ઝકાતના હેતુઓ અને સામૂહિક સામાજિક જીવન ઉપર તેની અસરો

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 73 - 74)

ઝકાતના સામૂહિક હેતુઓ ઝકાતના હકદારો બાબતની આયત ઉપર વિચાર કરવાથી જ માલૂમ પડે છે. જેમાં ગરીબો, મોહતાજો, ગુલામો, કર્જદારો અને મુસાફિરોની મદદ થાય છે. જેના મારફતે સમાજમાંથી ગરીબી દૂર થાય છે.

            ઝકાત ઇસ્લામી આર્થિક નિતીનો મહત્વનો અંગ છે. જે બાહ્ય તથા આંતરિક જીવનના બધા જ પાસાઓ (સંરક્ષણ, રાજકારણ, નૈતિકતા, ઈબાદતો (ઉપાસના), સંસ્કૃતિ અને અર્થતંત્ર) માટે મદદરૂપ થઈ બધી જ બાબતોએ પગભર થવા તથા સ્વાવલંબી બનવા માટે સહયોગ આપે છે.

            ઝકાતનો બીજો ફાયદો આધ્યાત્મિક (રૂહાની) બાબતે પણ છે. ઇસ્લામે રૂહાની વ્યવસ્થાને પરિપૂર્ણ કરવા માટે ત્રણ બાબતોને બુન્યાદી મહત્વની ગણી છે.

(૧) સમાજના બધા જ માણસોને સ્વતંત્રતા હોવી જોઈએ. અને કુર્આન શરીફમાં ઝકાતના હકદારોમાંથી એક “ગુલામોની મુક્તિ”ના શબ્દોથી સંબોધી તેને ઉચ્ચ દરજ્જો આપ્યો.

(ર) સમાજની દરેક વ્યક્તિમાં એવી ભાવના અને જઝબો પેદા કરવામાં આવે કે તે પોતાનો કિંમતી માલ સમાજના અખ્લાકી અને ભૌતિક (માદ્દી) ફાયદાઓ માટે ખર્ચ કરવા તત્પર રહે. આ હુકમ ઝકાતવાળી આયતમાં “કર્ઝદારો”ના શબ્દથી વર્ણન કરવામાં આવ્યો છે.

(૩) તે અકીદાઓ (માન્યતા) અને શિક્ષણની રક્ષા કરવામાં આવે, જે માનવીની આધ્યાત્મિક (રૂહાની) સફાઈ માટે ઉતારવામાં આવ્યા છે. ખાસ કરીને અલ્લાહ તઆલાથી સબંધ મજબૂત કરનારા અહકામોથી એનો સીધો સબંધ છે. માટે તેને ઝકાતના હકદારો દર્શાવતી આયતમાં “અલ્લાહપાકના રસ્તામાં”ના પવિત્ર શબ્દોથી સંબોધવામાં આવ્યુ છે.

        ઝકાત જાહેરી દૃષ્ટિએ એક માલી વ્યવસ્થા છે. પરંતુ તેનો સબંધ માન્યતાઓ (અકાઈદ), ઈબાદતો (ઉપાસના), અખ્લાક (નૈતિકતા), રાજકારણ વગેરે બધાથી જ છે.

Log in or Register to save this content for later.