Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 105 to 107)
- માલદાર, એટલે તે માણસ કે જેની પાસે નિસાબ જેટલો માલ હોય અને તેના પોતાના ઉપર ઝકાત આપવી વાજિબ હોય, તેવા માણસને ઝકાત આપવી દુરૂસ્ત નથી. એવા માણસે ઝકાતના પૈસા લેવા અને ખાવા પણ હલાલ નથી. એવી જ રીતે જેની પાસે પોતાની હંમેશાની જરૂરીયાત કરતાં બીજો વધારાનો સામાન નિસાબની કિંમત જેટલો હોય, જો કે તે માલની ઝકાત આપવી તેના ઉપર વાજિબ થતી ન હોય, તો એવા માણસને પણ ઝકાત આપવી જાઈઝ નથી.
- સૈયદ અને અલ્વીઓને (એટલે કે હઝરત અલી રદી.ની ઔલાદ કે જે હઝરત ફાતિમા રદી.થી હોય) તેમજ જેઓ હઝ. અબ્બાસ (રદી.), હઝરત જઅફર (રદી.), હઝરત અકીલ (રદી.) તથા હઝરત હારિસ બિન અબ્દુલ મુત્તલિબ (રદી.)ની અવલાદમાંથી હોય, તેઓને ઝકાત તથા બીજા વાજિબ સદકાનો માલ આપવો દુરૂસ્ત નથી. નફલ ખયરાતનો માલ આપી શકાય છે.
- પોતાના માં-બાપ, દાદા-દાદી, નાના-નાની, પરદાદા (પછી તે ગમે તેટલી ઉપરના હોય) અને પોતાની અવલાદમાં દીકરો-દીકરી, પૌત્ર-પૌત્રી, નવાસો-નવાસી (ગમે તેટલી નીચેના હોય)ને પણ પોતાની ઝકાતના પૈસા આપવા દુરૂસ્ત નથી. એવી જ રીતે પતિ પોતાની પત્નીને અને પત્ની પોતાના પતિને ઝકાત આપી શકતા નથી.
- ઝકાતના પૈસા કોઈ કાફિરને આપવા જાઈઝ નથી. મુસલમાનને જ આપવા જોઈએ. માલદાર માણસની નાબાલિગ અવલાદને પણ ઝકાત આપવી દુરૂસ્ત નથી.
- એક માણસે કોઈને ઝકાતનો હકદાર સમજીને ઝકાત આપી દીધી, પછી તેને જણાયું કે, તે માલદાર છે અથવા સૈયદ છે. અથવા કોઈએ અંધારી રાતમાં કોઈને ઝકાત આપી દીધી અને પછી ખબર પડી કે તેના કોઈ એવા સગા છે, જેને તે ઝકાત આપી શકતો નથી, તો એ દરેક હાલતમાં ઝકાત અદા થઈ જશે. ફરી વાર ઝકાત આપવી વાજિબ નથી. પરંતુ જો ભૂલથી કાફિરને આપી દીધી હશે, તો અદા થશે નહીં. ફરીથી આપવી પડશે.
- ઝકાતના પૈસાથી મસ્જિદ બંધાવવી અથવા કોઈ વાલી-વારસ વગરની મય્યિતના કફન-દફનમાં પૈસા આપવા કે મય્યિતનું કર્જ અદા કરવું અથવા કૂવો ખોદાવવો કે એવા બીજા કોઈ કામમાં ખર્ચ કરવો દુરૂસ્ત નથી. જ્યાં સુધી કોઈ હકદારને માલિકીની સુરતમાં આપવામાં નહીં આવે, ત્યાં સુધી ઝકાત અદા થશે નહીં.
- એવા ફકીરો જેમણે માંગવાને ધંધો બનાવી લીધો છે, અને આપણને એ ખબર છે કે આ લોકો વધુ પડતા માલદાર હોય છે, તો એમને ઝકાત આપવી દુરૂસ્ત નથી. (ફતાવા દારૂલ ઉલૂમ : ર૦૪/૬)
- ગેરમુસ્લિમ ફકીર મોહતાજને અલ્લાહ વાસ્તે આપવું તો દુરૂસ્ત છે, પરંતુ ઝકાતનો રૂપિયો આપવું દુરૂસ્ત નથી. (ફતાવા દારૂલ ઉલૂમ : ર૦૪/૬)
- નીચે જણાવેલ લોકોને ઝકાત આપવી જાઈઝ નથી :
- બાપ, દાદા, પરદાદા, દાદી, પરદાદી, નાની, પરનાની.
- પૂત્ર, પૌત્ર, પરપૌત્ર, પુત્રી, પૌત્રી, પરપૌત્રી, નવાસા, નવાસી.
- પતિ અને પત્નિ.
- શરીઅત મુજબના ગુલામ-બાંદી. (આ પ્રકારના આજે દુનિયામાં મળે એમ નથી.)
- ગેરમુસ્લિમ.
- જેની પાસે નિસાબ જેટલો માલ હોય એવો સાહિબે નિસાબ માલદાર.
- માલદાર માણસનું નાનુ (નાબાલિગ) બાળક.
- સય્યદ (બનૂ હાશિમ). એટલે કે હઝરત અલી (રદી.)ની ઔલાદ, હઝ. અબ્બાસ (રદી.)ની ઔલાદ, હઝ. જઅફર (રદી.)ની ઔલાદ, હઝરત અકીલ (રદી.)ની ઔલાદ અને હઝરત હારિષ બિન અબ્દુલ મુત્તલિબ (રદી.)ની ઔલાદ. (કિતાબુલ મસાઈલ : ૧૮૮/ર)
- મય્યતના કફન-દફન ખર્ચમાં અથવા મય્યતનું કર્ઝ ચૂકવવામાં ઝકાત આપવું જાઈઝ નથી. (હા, સખત જરૂરત હોય તો કોઈ ગરીબ માણસને ઝકાતની રકમ આપી દેવામાં આવે અને તે માણસ પોતાના તરફથી કફન-દફન ખર્ચ આપે અથવા કરજ ચૂકવી દે, તો દુરૂસ્ત છે.) (કિતાબુલ મસાઈલ : ૧૯૦-૧૯૧/ર)
કોઈ મોહતાજ ગરીબ માણસને રહેવા માટે (અમુક મહિનાઓ સુધી) ઘર આપ્યું અને પછી તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી લીધી, તો એનાથી ઝકાત અદા થશે નહીં.(કિતાબુલ મસાઈલ : ૧૯૧/ર)
ઝકાતના મસ્અલા ઘણા ટૂંકમાં લખ્યા છે. જરૂર પડ્યે મોટી કિતાબોમાં જોઈ લેવામાં આવે અથવા મોઅતબર (ભરોસામંદ) આલિમોથી પૂછી લેવામાં આવે.
Log in or Register to save this content for later.