Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 57 to 61)
રોઝા માટે પાછલી રાતમાં સેહરી ખાવી સુન્નત છે. સવાબ અને બરકતનો ઝરીયો છે. હદીષ શરીફમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, સેહરીનું ખાવુ બરકતની વસ્તુ છે. કાંઈ નહીં તો પાણીના થોડાક ઘુંટ પણ પી લે. અલ્લાહ અને તેના ફરિશ્તા સેહરી ખાનારાઓ ઉપર રહમત મોકલે છે. (મુસ્નદે અહમદ) જો ભૂખ ન હોય તો માત્ર બે-ત્રણ ખજુર અથવા ખારેક અથવા બીજી કોઈ વસ્તુ ખાય લે. કાંઈ નહીં તો ચા અથવા પાણી પણ સેહરીની નિય્યતથી પી લે, તો પણ સેહરીનો સવાબ તેને મળી જશે.
ઘણાખરા લોકો સેહરી વખતે અઝાન થતાં સુધી પાન અથવા બીડીસિગારેટ પીતા રહે છે અથવા અઝાન થવા પછી પાણી પીએ છે, તે ઠીક નથી. કારણકે ફજરની અઝાન સુબ્હે સાદિક થઈ ગયા પછી આપવામાં આવે છે, જેથી સવાર થઈ ગયા પછી કોઈ ચીઝ ખાવાપીવાથી રોઝો થશે નહીં. માટે બચાવ અર્થે સુબ્હે સાદિકથી દસ મિનિટ પહેલાં જ ખાવુ-પીવુ બંધ કરી દેવું જોઈએ.
સૂર્યાસ્તની ખાતરી થઈ ગયા પછી ઈફતારીમાં વાર લગાડવી મકરૂહ છે. પરંતુ વાદળના કારણે શક હોય ત્યારે સાવચેતી ખાતર થોડી વાર થોભવું બેહતર છે. ખજૂર અથવા ખારેકથી રોઝો ઈફતાર કરવો સુન્નત છે. પાણીથી પણ બેહતર છે. કોઈ પકાવેલી ચીઝ કે ફ્રુટ વિગેરેથી પણ રોઝો ખોલવામાં વાંધો નથી. ઈફતારના વખતે દુઆની કબૂલિયતનો ખાસ વખત છે, તેથી દુઆ કરવાનું ભૂલવું ન જોઈએ અને ઈફતાર કરતી વખતે આ દુઆ પઢે : અલ્લાહુમ્મ લક સુમતુ વબિક આમન્તુ વ ઈલયક તવક્કલતુ વઅલા રિઝકિક અફતરતુ.
- જો કોઈ મુસલમાન વિશે એ ખબર ન હોય કે એનો આવકનો સ્ત્રોત શું છે, હલાલ કે હરામ ? તો મુસલમાન હોવાના કારણે એના વિશે સારૂં ગુમાન રાખી ઈફતારીની દઅવત કબૂલ કરવી જોઈએ. હા, કોઈની આવક નાજાઈઝ હોય અથવા આવકનો વધુ ભાગ નાજાઈઝ હોય, તો એની દઅવત કબૂલ કરવાથી બચવું જોઈએ. (કિતાબુલ ફતાવા : ૪૩૪/૩)
- ઈફતારી એ સમયે કરવી જોઈએ, જ્યારે સૂરજ ગુરૂબ (સૂર્યાસ્ત) થઈ જાય. જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય, ઈફતારી કરવી દુરૂસ્ત નથી. અને સૂર્યાસ્ત થયો છે કે નહીં, એમાં માણસ જ્યાં હોય ત્યાંનો એતેબાર થશે. જો જમીન પર હોય તો જમીનના આધારે સૂર્યાસ્ત થાય એટલે ઈફતાર કરે અને જો વિમાનમાં હોય અને ત્યાં સૂર્યાસ્ત થયો નથી, તો ઈફતારી કરવી દુરૂસ્ત નથી. રોઝો ઈફતાર કરી લેશે તો કઝા અને કફ્ફારો બન્ને વાજિબ થશે. (કિતાબુલ ફતાવા : ૪૩૮/૩)
- સેહરીમાં મોડું કરવું મુસ્તહબ છે. પરંતુ સેહરીના અંતિમ સમયમાં શંકા થઈ જાય એટલું મોડું કરવું મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : ૭ર/ર)
- જો કોઈ માણસ સેહરી વખતે ન ઉઠી શકે તો કંઈ પણ ખાધાપીધા વગર જ રોઝાની નિય્યત કરી લે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પપ૧/૪)
- સેહરી ખાવી સુન્નત છે. કોઈ માણસ સેહરી ખાધા વગર જ રોઝાની નિય્યત કરી લે, તો રોઝો તો સહીહ થઈ જશે, પરંતુ સેહરીની બરકતોથી મેહરૂમ (બાકાત) રહેશે. (કિતાબુલ મસાઈલ : ૭ર/ર)
- ઈફતારીનો સમય થઈ ગયા પછી એમાં જલ્દી કરવું સારૂ છે. વગર કારણે મોડું કરવું સારૂં નથી. (કિતાબુલ મસાઈલ : ૭ર/ર)
- દાંતોમાં અટકેલું ખાણું ચણા જેટલું કે એથી વધુ પ્રમાણમાં ગળામાં ઉતરી જાય, તો રોઝો તૂટી જાય છે. કઝા કરવી વાજિબ થાય છે, કફ્ફારો નહીં. અને ચણાના પ્રમાણથી ઓછું હોય તોરોઝો તૂટતો નથી. એટલે ઉપર જણાવ્યા પ્રમાણે રોઝો તૂટવા(ની બીક)ના કારણે સેહરી ખાઈને કુલ્લી કરી લેવી જોઈએ.(મસાઈલે રોઝા : પ૮) અને બની શકે તો મિસ્વાક કરી લે.
- આપણે ત્યાં ગામડાઓમાં સાયરનના સમય પહેલાં સેહરીથી રવારી જાય છે અને પછી સાયરન વાગવાની રાહ જુએ છે. જેવું સાયરન વાગે એટલે પાણી પીવાનું શરૂ કરે છે. તો જો સાયરનનો વખત પૂરો થવાના એક-બે મિનિટ પહેલાં શરૂ થતું હોય તો સાયરન વાગવા દરમિયાન પાણી પી શકાય છે. તેમ છતાં સાયરન વાગવા પહેલાં જ પાણી પી લેવું જોઈએ. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પપ૪/૪)
- રોઝો ખોલવા માટે (ઈફતારીની) નિય્યત કરવી શર્ત નથી, રોઝો ખોલવા માટે દુઆ મુસ્તહબ છે. દુઆ ન કરી અને રોઝો ખોલે, તો એ મકરૂહ પણ નથી. પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે ઈફતારી વખતની દુઆ (જલ્દી) કબૂલ થાય છે. એટલે ઈફતારી વખતે દુઆ કરવાની આદત બનાવવી જોઈએ અને ઈફતારીની ૧૦-૧પ મિનિટ પહેલાંથી ખૂબ ધ્યાનપૂર્વક દુઆઓ કરવી જોઈએ. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પપ૪/૪)
- સારૂ એ છે કે, ખજૂરથી ઈફતારી કરવામાં આવે. જો ખજૂર ન હોય તો પાણીથી ઈફતાર કરવું પણ સારૂ છે. (કિતાબુલ મસાઈલ : ૭૩/ર)
- વિમાન જમીનથી હજારો ફૂટની ઉંચાઈ પર હોય છે અને જમીન પર સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે, પરંતુ વિમાન ઘણું ઉંચે હોવાથી ત્યાં સૂરજ સામે દેખાતો હોય છે. તો હવે એ સમજી લેવું જોઈએ કે રોઝદાર જ્યાં હોય ત્યાંના સૂર્યાસ્તનો એતેબાર થશે. એટલે તેણે જમીન પર સૂર્યાસ્ત થવાના આધારે ઈફતારી કરવી જોઈએ નહીં. જ્યારે તેને વિમાનમાં સૂર્યાસ્ત દેખાય ત્યારે તેણે ઈફતારી કરવી જોઈએ. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પપ૬/૪)
- વિમાનનો સ્ટાફ રોઝાની નિય્યત કરીને વિમાનમાં પહોંચી જાય, ત્યાર બાદ રોઝો તોડી નાંખે, તો જો તેણે રોઝાની નિય્યત સુબ્હ સાદિકથી પહેલાં રાતના કોઈ પણ સમયે કરી હતી, તો તેણે કફ્ફારો પણ આપવો પડશે. અને જો સુબ્હ સાદિક પછીથી (શરીઅતના હિસાબ મુજબ) અડધા દિવસની વચમાં કોઈ સમયે નિય્યત કરી અને પછી રોઝો તોડી નાંખ્યો, તો તેના ઉપર કફ્ફારો આવશે નહીં. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પપ૭)
- મગરિબની જમાઅત મળવાના હેતુથી મસ્જિદમાં ઈફતારી કરવાની ગુંજાઈશ તો છે, પરંતુ તેમાં બે વાતોનું ધ્યાન રાખવામાં આવે. પહેલી એ કે, મસ્જિદમાં પ્રવેશતાં જ નફિલ એઅતિકાફની નિય્યત કરી લેવી જોઈએ. કારણ કે એઅતિકાફ કરનાર માટે મસ્જિદમાં ખાવાની ઈજાઝત છે. બીજી એ કે, મસ્જિદને ગંદકી અને કચરાથી બચાવે. દા.ત. ચાદર વગેરે બિછાવે અને ઈફતારીમાં ખાવા-પીવાની લાંબી વ્યવસ્થા ન કરે. ખાવા-પીવાનું ઓછું રાખે. (કિતાબુલ ફતાવા : ૪૩૦/૩)
- ઈફતારી, વલીમા જેવી દાવતોમાં ગરીબોને પણ જરૂર યાદ રાખવામાં આવે. ફક્ત માલદારોને દાવત આપવી, પોતાની માલદારીનું પ્રદર્શન કરવું અને ગરીબ મુસ્લિમ ભાઈઓને લક્ષમાં ન લેવા ઈમાની ભાઈચારાની વિરૂદ્ધ છે. તદુપરાંત ઈફતારીમાં ખોટા ખર્ચાઓ પણ મુનાસિબ નથી. કિતાબુલ ફતાવા : ૪૩ર/૩)
- સેહરી, ઈફતારી અને બીજી ઈબાદતોમાં તે જ જગ્યાનો એતેબાર થશે, જ્યાં માણસ તે ઈબાદત અદા કરશે. જેથી કોઈ માણસ સઉદીમાં સેહરી કરે અને ભારતમાં ઈફતારી કરે, તો ભારતીય સમય પ્રમાણે જ ઈફતારી કરવી પડશે. ચાહે રોઝાના સમયનો ટોટલ સમય વધી જાય કે ઘટી જાય.(કિતાબુલ ફતાવા : ૪ર૭/૩)
- ઈફતારી (બની શકે એટલી) ટૂંકીટચ હોવી જોઈએ. અમુક જગ્યાઓ પર ઈફતારીમાં નાન-ગોશ્ત, ખિચડો પુલાવ ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જો આ વ્યવસ્થા ઈફતારી માટે કરવામાં આવતી હોય તો મગરીબની નમાઝ બાદ ખવડાવવામાં આવે. નમાઝથી પહેલાં ખવડાવવામાં ૧૦ મિનિટ પણ ઓછી પડશે, ઘણા લોકોની રકાતો પણ જશે અને ઘણાની જમાઅત પણ જશે. જેથી ગુનેહગાર પણ થશે. (ફતાવા રહીમિય્યહ : ૮૬/૪)
કોઈ માણસે ઈફતારી માટે પૈસા મોકલ્યા અને એમાંથી થોડી રકમ વધી, તો તે બાકી પડતી રકમ ક્યાં ખર્ચ કરવી તે મોકલ- નારને પૂછવામાં આવે. એના લખાણ અને પરવાનગી મુજબ કરવું જરૂરી છે. (પોતાની રીતે કોઈ મિસ્કીન કે મોહતાજને ન આપે.) (ફતાવા રહીમિય્યહ : ૮૭/૪)
Log in or Register to save this content for later.