રોઝાના વિવિધ મસાઇલ

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 63 - 64)
  • બીમાર, મુસાફિર, સગર્ભા, દૂધ પીવડાવવાવાળી સ્ત્રી, બીમારની સેવા-ચાકરીમાં વ્યસ્ત માણસ, જ્યારે તેના રોઝા રાખવાથી બીમારનું નુકસાન થતું હોય, પાગલ અને બેહોશ વ્યક્તિ માટે ઉઝર (શરીઅતે દર્શાવેલ મજબૂરી)ને કારણે રોઝો ન રાખવાની ગુંજાઈશ છે. જ્યારે એમની ઉઝર (મજબૂરી) જતી રહે ત્યારે રોઝાની કઝા કરે. હા, કોઈ માણસ એવો હોય કે એનામાં રોઝો રાખવાની શક્તિ જ ન રહે, તો એના માટે હુકમ એ છે કે, દરેક રોઝાના બદલામાં ફિદયો આપતો રહે. (કિતાબુલ મસાઈલ : ૭૦/ર)
  • દસ વર્ષથી ઓછી ઉંમરનું બાળક જો એવું સિહતમંદ (તંદુરસ્ત) હોય કે રોઝો રાખવામાં એને કોઈ તકલીફ નહીં પડે, તો એવા બાળકને રોઝો રખાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો બાળક તંદુરસ્ત ન હોય અથવા અશક્ત હોય અથવા એટલું નાનું હોય કે રોઝો રાખવામાં એને ઘણી તકલીફ પડશે, તો એને રોઝો રખાવવો જોઈએ નહીં.
  • આજકાલ લોકો નામ કમાવવા માટે ઝબરદસ્તી નાના બાળકો પાસે રોઝો રખાવે છે અને પછી એમના ફોટા સમાચારપત્રોમાં આપે છે. અને (નામના મેળવવાના મોહમાં) મોટી મોટી દઅવતો અને ઈફતારપાર્ટીઓ યોજે છે. આ બધા રસ્મો (રિવાજો)ને તિલાંજલી આપવી જોઈએ અને આવા કામોથી બચવું જોઈએ. (કિતાબુલ મસાઈલ : ૭પ/ર)
  • કોઈએ મોકલેલ વસ્તુથી ઈફતારી કરવામાં પણ કોઈ વાંધો નથી. જ્યારે કે તે હરામ કમાઈથી ન હોય અથવા તે હરામ છે એ વિશેની જાણકારી ન હોય. (ફતાવા દારૂલ ઉલૂમ : ૪૯૪/૬)
  • રમઝાનુલ મુબારકના એહતેરામમાં દિવસ દરમિયાન હોટલ બંધ રાખવી જરૂરી છે. ચાહે ખાવાવાળા ગેરમુસ્લિમ કેમ ન હોય. (મસાઈલે રોઝા : ૧૬૩)
  • સ્ત્રીએ પતિની પરવાનગી લીધા વગર નફિલ રોઝો રાખવો જોઈએ નહીં. અને જો તેણે રાખી લીધો અને પતિ તોડવાનું કહે, તો તેણે રોઝો તોડવો પડશે. પછી જ્યારે પતિ કહે ત્યારે તેની કઝા કરી લે. (બેહિશ્તી ઝેવર : ૧૩૭) આ હુકમ ત્યારે છે, જ્યારે પતિ ઘરે હોય.

રમઝાન માસ દરમિયાન દિવસે રમઝાનના એહતેરામમાં હોટલ બંધ રાખવી જરૂરી છે. ચાહે ખાવા-પીવાવાળા કોઈપણ ધર્મના હોય. (ફતાવા રહીમિય્યહ : ૮૧/૪)

Log in or Register to save this content for later.