Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 54 to 56)
- રમઝાન શરીફના રોઝાને તોડી નાખવાનો કફ્ફારો એ છે કે, એક ગુલામને આઝાદ કરે, પરંતુ આપણા દેશમાં ગુલામ નથી, તેથી અહીં બે રીતે આપી શકાય છે :
(૧) બે મહિનાના રોઝા લાગલગાટ રાખે. થોડા થોડા કરીને રોઝા રાખવા દુરૂસ્ત નથી. કોઈ કારણ અથવા બીમારીથી વચ્ચે એક-બે રોઝા છૂટી ગયા તો કફ્ફારો અદા થશે નહીં. બધા રોઝા ફરીથી રાખવા પડશે. સ્ત્રીના હેઝ (માસિક)ના કારણે વચ્ચે રોઝા છૂટી જાય, તો કંઈ વાંધો નથી. એટલા દિવસો છોડી દઈ હેઝ બંધ થયા પછી તરત રાખવા શરૂ કરી પૂરા સાઈઠ રોઝા પૂરા કરે. નિફાસ (પ્રસુતિ બાદનો રક્તસ્ત્રાવ)ના કારણે વચ્ચે છૂટી જાય તો કફ્ફારો અદા થશે નહીં. ફરીથી લાગલગાટ બે મહિનાના રોઝા રાખી લે. એવી રીતે કફ્ફારો અદા કરવામાં વચ્ચે જો રમઝાન મહિનો આવી ગયો, તો પણ કફ્ફારો અદા થશે નહીં.
(૨) જો કોઈની રોઝા રાખવાની શક્તિ ન હોય, તો સાઈઠ મિસ્કીનોને સવાર-સાંજ બન્ને ટાઈમ પેટ ભરીને ખાણું ખવડાવે. જો ઘઉંની રોટી હોય તો એકલી રોટી ખવડાવવી પણ દુરૂસ્ત છે. પરંતુ જુવાર, બાજરી વિગેરેની રોટી સાથે કંઈક દાળ-શાક હોવું પણ જરૂરી છે. અથવા સાઈઠ મિસ્કીનોને કાચુ અનાજ સદકએ ફિત્રમાં જેટલું અપાય છે, તેટલું આપી દે અથવા તેટલા અનાજની કિંમતના પૈસા દરેક ફકીરને આપી દે, તો પણ દુરૂસ્ત છે. અથવા એક ફકીરને સાઈઠ દિવસ સુધી સવાર-સાંજ પેટ ભરીને ખવડાવે અથવા સાઈઠ દિવસ સુધી સદકએ ફિત્ર જેટલું અનાજ અથવા તેની કિંમતના પૈસા આપે, તો પણ અદા થઈ જશે. જો સાઈઠ દિવસનો હિસાબ કરી એક જ દિવસ એક જ ફકીરને તેટલું અનાજ અથવા તેની કિંમત આપી દીધી, તો કફ્ફારો અદા થશે નહીં, એક જ દિવસનું ગણાશે. એટલે કે એક જ દિવસનું દુરૂસ્ત થશે. અને એક દિવસથી જેટલું વધુ આપ્યું છે, તે કફ્ફારામાં ગણાશે નહીં. અને જો કોઈ ફકીરને ફિત્રના સદકાથી ઓછું અનાજ આપ્યું, તો પણ કફ્ફારો સહીહ થશે નહીં.
- એકદમ નાના બાળકો (જે બાલિગ થવાની ઉંમરના નજીક પણ પહોંચ્યા ન હોય)ને ખાવા ખવડાવવાથી કફ્ફારો અદા થશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૯૩)
- આ (૬૦) મિસ્કીનોમાં જો અમુક નાના છોકરાઓ પણ હોય, તો એ છોકરાઓના બદલે (એટલા) બીજા મિસ્કીનોને ફરી ખવડાવે. (બેહિશ્તી ઝેવર : ૧૪ર/૧૪૩)
- જો કોઈએ એક જ રમઝાનમાં બે કે ત્રણ અથવા વધુ રોઝા તોડી નાંખ્યા, જેથી કફ્ફારો વાજિબ થયો, ત્યારે દરેક રોઝાનો કફ્ફારો એટલો આપવો પડશે, જેટલો કે એક રોઝાનો છે.
- સોહબત સિવાય કોઈ બીજા કારણે કફ્ફારો વાજિબ થયો હોય અને હજી તે અદા કરવામાં આવ્યો નથી, એટલામાં બીજો કફ્ફારો વાજિબ થઈ ગયો, તો એ બન્નેવ માટે એક જ કફ્ફારો બસ છે. જો એ બન્નેવ કફ્ફારા બે રમઝાનના હોય, પણ સોહબત કરવાથી જેટલા રોઝા ફાસિદ થયા હશે, તે જો એક જ રમઝાનના રોઝા છે, તો એક જ કફ્ફારો બસ છે. અને જો બે રમઝાનના રોઝા છે, તો દરેક રમઝાનનો કફ્ફારો જુદો જુદો આપવો પડશે. જો પહેલો કફ્ફારો અદા કરવામાં આવ્યો ન હોય, તો પણ બીજો કફ્ફારો અદા કરવો પડશે.
- રોઝો યાદ હોવાની હાલતમાં જો કોઈ મુકલ્લફ (જેને શરીઅતના હુકમોનું પાલન કરવું જરૂરી છે તેવો) માણસ રમઝાનમાં જાણી જોઈને કોઈ પણ શંકા વગર કોઈ મનભાવતું ખાણું અથવા ફાયદાકારક દવા ખાઈ-પી લે અથવા સંભોગ કરીને રોઝો ફાસિદ કરી નાંખે, તો એના ઉપર કઝા અને કફ્ફારો બન્ને લાજીમ થશે. (કિતાબુલ મસાઈલ : ૯ર)
- જે માણસમાં શક્તિ છે અને તંદુરસ્ત પણ છે, એના ઉપર રોઝો રાખવો ફર્ઝ છે. એના માટે કફ્ફારો કે ફિદયો નથી. ફિદયો એવા ઘરડા લોકો માટે છે, જેઓ કમશક્તિને કારણે રોઝો રાખી શકતા ન હોય. અને એમાં ફરીવાર શક્તિ આવવાની ઉમ્મીદ પણ ન હોય. (ફતાવા ઉસ્માની : ૧૭૮/ર)
- રમઝાન સિવાય બીજા કોઈ પણ દિવસમાં રોઝો તોડવાથી ફક્ત કઝા કરવી જરૂરી છે, કફ્ફારો આપવો નહીં પડે. ચાહે તે રોઝો કઝાનો હોય કે નફિલ. (કિતાબુલ મસાઈલ : ૯૪)
- દરેક રોઝાનો ફિદયો સદકએ ફિત્ર જેટલો છે. એટલે પોણા બે કિલો અનાજ અથવા એની કિંમત. ફિદયો રમઝાનુલ મુબારકમાં આપવો બેહતર છે. રમઝાનમાં ન આપે તો પછી પણ આપી શકે છે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૯૯/૪)
જો કોઈ મિસ્કીનને સદકએ ફિત્રના પ્રમાણ (માપ)થી ઓછું આપ્યું તો કફ્ફારો સહીહ થશે નહીં. (બેહિશ્તી ઝેવર : ૧૪૩)
Log in or Register to save this content for later.