Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 48 - 49)
Views:
158
- અચાનક એવી હાલત થઈ જાય કે જો રોઝો ન તોડે તો જીવ (પ્રાણ) ખતરામાં પડી જશે અથવા બીમારી વધી જશે, તો રોઝો તોડી દેવો જાઈઝ છે. તંદુરસ્તી આવી ગયા પછી કઝા કરી લે. (કિતાબુલ મસાઈલ : ૯૯/ર)
- સગર્ભા સ્ત્રીને કોઈ એવું કારણ બની જાય કે જેના લીધે પોતાનો જીવ અથવા બાળકના જીવને ખતરો છે, તો એણે રોઝો તોડી દેવો જાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : ૯૯/ર)
- સગર્ભા સ્ત્રી અથવા દૂધ પિવડાવવાવાળી સ્ત્રીને પોતાનો અથવા બાળકના જીવનો અથવા તંદુરસ્તીનો ડર હોય, તો રોઝો ન રાખે. પછી કઝા કરી લે. (બેહિશ્તી ઝેવર : ૧૪પ)
- કોઈ એવું બીમાર છે કે, રોઝાથી એને નુકસાન થાય છે અને એવી બીક છે કે, જો રોઝો રાખશે તો બીમારી વધી જશે અથવા સારૂ થવામાં મોડુ થશે અથવા પ્રાણપંખેરૂ ઉડી જશે, તો રોઝો ન રાખે. જ્યારે સાજો થાય ત્યારે કઝા કરે. પરંતુ પોતાના દિલમાં આવતા આવા વિચાર માત્રથી રોઝો તોડવો કે ન રાખવો દુરૂસ્ત નથી. બલ્કે જ્યારે કોઈ મુસલમાન, દીનદાર, અનુભવી ડોક્ટર એમ કહે કે રોઝાથી તમને નુકસાન થશે, ત્યારે રોઝો છોડી દેવો જોઈએ. (બેહિશ્તી ઝેવર : ૧૪૪) અથવા પોતાને પણ તેનો અનુભવ હોય અને એની કંઈક નિશાની માલુમ પડે અને તેનું દિલ ગવાહી આપે કે રોઝો નુકસાન કરશે, તો રોઝો ન રાખે અને કઝા કરી લે.
- કોઈ કામ કરવાને કારણે એકદમ ભૂખ અથવા તરસ લાગી ગઈ અને એટલી બધી તાલાવેલી થઈ ગઈ કે હવે જીવ જવાનો ભય છે, તો રોઝો તોડવો દુરૂસ્ત છે. પરંતુ રોઝાની હાલતમાં જાણી જોઈને એવા કષ્ટદાયક કામ કરે, જેથી તેની હાલત ગંભીર થઈ જાય, તો તે ગુનેહગાર થશે. (કિતાબુલ મસાઈલ : ૧૦૦/ર)
- શરીઅતે દર્શાવેલ અંતર મુજબ કોઈ સફર કરે, તો એવા મુસાફિરને રોઝો ન રાખવાની છૂટ છે. પછી કઝા કરી લે. તેમ છતાં સફરમાં કોઈ તકલીફ કે પરેશાની ન હોય, તો સારૂ એ છે કે રોઝો રાખી લે. (મસાઈલે રોઝા : ૧૭૪)
- પાંચ કારણો એવા છે, જેના કારણે રોઝો ન રાખવાની ઈજાઝત છે : (૧) બિમારી : એવી બિમારી જેના કારણે રોઝો રાખવાની તાકાત ન હોય અથવા રોઝો રાખવાને કારણે બિમારી વધી જવાનો ભય હોય. સારૂ થઈ ગયા પછી કઝા કરવી જરૂરી છે. (ર) ગર્ભવતી અને દૂધ પિવડાવવાવાળી સ્ત્રી : જેમને રોઝો રાખવાને કારણે પોતાની જાન અથવા બાળકને નુકસાન અને તકલીફ પહોંચવાની બીક હોય. આ કારણની સમાપ્તિ બાદ કઝા કરવી જરૂરી છે. (૩) શરઈ મુસાફિર, મુકીમ થઈ ગયા બાદ કઝા કરવી જરૂરી છે. (૪) એવો વયોવૃદ્ધ અશકત (પુરૂષ હોય કે સ્ત્રી) જે રોઝો રાખી શકતો ન હોય, લાચાર અને માઝૂર હોય તો તે રોઝાના બદલે ફિદયો ગરીબ વ્યક્તિને આપી છે. પરંતુ જો અલ્લાહપાક એને રોઝો રાખવાની તાકાત અને શક્તિ આપી દે, તો તેણે કઝા કરવી જરૂરી છે. (પ) હૈઝ (માસિક) અને નિફાસ (બાળકની પ્રસુતિ બાદનો રક્તસ્ત્રાવ)વાળી સ્ત્રીએ રોઝો રાખવો દુરૂસ્ત નથી. અને જો રોઝો રાખી લે, તો પણ અદા થશે નહીં, ગુનેહગાર થશે. પાક થયા પછી રોઝાની કઝા કરવી જરૂરી છે. (ફતાવા રહીમિય્યહ : ૭૬/૪)
Log in or
Register to save this content for later.