રોઝાનો સવાબ

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 26 to 27)

રોઝામાં ઈબાદતની નિય્યતથી ખાવા-પીવા અને નફસાની ખ્વાહિશ પૂરી કરવાથી પોતાના નફસને રોકવામાં આવે છે. અને અલ્લાહ તઆલાની ખાતર જ પોતાની ઈચ્છાઓ તથા લિઝઝતોને કુર્બાન કરવામાં આવે છે, જેથી અલ્લાહપાકે એનો સવાબ પણ ઘણો જ વધુ રાખ્યો છે.

        એક હદીષ શરીફમાં છે કે, જે માણસ પુરા ઈમાન તથા યકીન સાથે અને અલ્લાહપાકની રઝામંદી પ્રાપ્ત કરવા માટે અને તેનાથી સવાબ હાસિલ કરવા માટે રમઝાનના રોઝા રાખશે, તો તેના આગલા દરેક ગુનાહ માફ કરી દેવામાં આવશે. (મિશ્કાત શરીફ)

        બીજી હદીષ શરીફમાં છે કે, માણસની દરેક નેકીનો સવાબ વધારી દેવામાં આવે છે. અહીં સુધી કે, એક-એક નેકીનો સવાબ દસથી લઈને સાતસો ઘણા સુધી પહોંચી જાય છે. પરંતુ રોઝાના સવાબ માટે અલ્લાહપાક ફરમાવે છે કે, તેનો સવાબ (ગણત્રીથી બાકાત છે) ઘણો જ વધુ છે. એટલા માટે કે, રોઝો ફક્ત મારા માટે છે. અને બંદાઓએ પોતાની ઈચ્છાઓ અને ખાવા-પીવાનું મારી ખુશી માટે છોડ્યું છે, તેથી હું જ એનો બદલો અને અવેજ અર્પણ કરીશ. રોઝાદાર માટે ખુશીના ખાસ બે મોકા છે. એક ખાસ ખુશી તેને રોઝો છોડતી વખતે આ દુનિયામાં જ પ્રાપ્ત થાય છે, અને બીજી ખુશી આખિરતમાં અલ્લાહપાકની સામે હાજર થતાં અને તેના દરબારમાં પહોંચતી વેળા પ્રાપ્ત થશે. રોઝાદારના મોઢાની વાસ અલ્લાહપાકની નજદીક કસ્તુરી (મુશ્ક)ની સુગંધ કરતાં વધુ સારી છે. રોઝો ઢાલ છે, તેના કારણથી દુનિયામાં બંદો શયતાનના ફરેબથી અને આખિરતમાં દોઝખની આગથી બચેલો રહે છે. રોઝદારને જોઈએ કે, બદકલામી (ખરાબ બોલવા)થી બચે. જો કોઈ તેનાથી ઝઘડો કરે અથવા તેને બુરૂં કહે, તો એને કહી દે કે હું રોઝદાર છું. તારી બુરાઈનો જવાબ આપીશ નહીં. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)

        વળી બીજી હદીષ શરીફમાં છે કે, રમઝાન અને કુર્‌આન શરીફ અલ્લાહ તઆલાથી બંદાની સિફારીશ કરશે. રોઝો કહેશે કે, આ બંદાએ દિવસના ખાવું-પીવું તથા નફસાની ખ્વાહિશ મારા ખાતર જ છોડી દીધી હતી (માટે એને બખ્શી દેવામાં આવે અને તેને પૂરેપૂરો અજર આપવામાં આવે), અને કુર્‌આન શરીફ કહેશે કે, મારા માટે તેણે ઉંઘ છોડી દીધી. એટલે કે, તેણે સૂવાનું મૂકી દીધું, જેથી એના માટે મારી પણ સિફારીશ કબૂલ કરવામાં આવે. તો અલ્લાહ તઆલા તેઓની આ ભલામણ સ્વીકારી લેશે. (મિશ્કાત શરીફ)

        રોઝાની આ સિવાય બીજી પણ ઘણી ફઝીલત હદીષ શરીફમાં બયાન થઈ છે. પરંતુ રોઝામાં તમામ એ વાતોનો ખ્યાલ કરવામાં આવે કે, જેની રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હિદાયત ફરમાવી છે. એટલે કે, ખાવા-પીવા સિવાય દરેક નાના- મોટા ગુનાહોથી પણ બચેલો રહે. જૂઠું બોલે નહીં, ગીબત કરે નહીં, કોઈની સાથે લડે-ઝઘડે નહીં. મતલબ કે, રોઝાની સ્થિતિમાં દરેક જાહિરી અને બાતિની ગુનાહોથી સંપૂર્ણ બચેલો રહે. જેવી રીતે કે હદીષ શરીફમાં તાકીદ કરવામાં આવી છે.

        સારાંશ કે, જો એવી રીતે કામિલ રોઝો રાખવામાં આવે, તો ઈન્શાઅલ્લાહ તે તમામ ફાયદા પ્રાપ્ત થઈ શકે છે, જેનું વર્ણન કરવામાં આવ્યું. અને એવા રોઝા માણસને ફરિશ્તા સિફત બનાવી શકે છે. અલ્લાહ તઆલા આપણને સૌને તવફીક આપે કે, રોઝાની હકીકત તથા તેના દરજ્જા અને મહત્તાને સમજીએ અને તેના કારણે પોતાની અંદર તકવા અને પરહેઝગારીના ગુણો પેદા કરીએ.

Log in or Register to save this content for later.