Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 33 to 44)
- રોઝામાં દિવસે આંખોમાં દવા કે સૂરમો લગાડવાથી અથવા શરીર પર તેલ ચોળવાથી કે માથામાં તેલ નાંખવાથી, ખુશ્બૂ (અત્તર) વિગેરે લગાડવા કે સુંઘવાથી, ઠંડક માટે ન્હાવાથી કે કાનમાં પાણી જવાથી, મિસ્વાક કરવાથી, ઈન્જેક્શન લેવાથી કે પોતાનું થૂંક કે બલગમ ગળી જવાથી રોઝો તૂટશે નહીં.
- આપોઆપ ઉલ્ટી થાય તો તેનાથી રોઝો તૂટતો નથી. પછી તે ઉલ્ટી થોડી હોય કે વધારે. પરંતુ જો પોતે જાણી જોઈને ઉલ્ટી કરી હોય અને તેમાં મોઢુ ભરીને ઉલ્ટી થઈ, તો રોઝો જતો રહ્યો અને જો એનાથી થોડી હોય (એટલે કે મોઢુ ભરીને ન હોય) તો પોતે જાણી જોઈને કરવાથી પણ રોઝો તૂટશે નહીં.
- થોડીક ઉલ્ટી આવી, પણ આપોઆપ ગળામાં પાછી ચાલી જાય, ત્યારે રોઝો તૂટ્યો નથી. પણ જો જાણી જોઈને તે પાછી ગળી જાય, તો રોઝો તૂટી જશે.
- રોઝામાં સુવાની હાલતમાં એહતિલામ (વીર્યપાત, સ્વપ્નદોષ) થઈ જાય, તો રોઝો તૂટશે નહીં. એવી જ રીતે જાગૃત અવસ્થામાં કોઈ ઔરત અથવા એવું દૃશ્ય જોવાથી અથવા મનમાં કોઈ એવા વિચાર કે ખ્યાલથી એહતિલામની જેમ ગુસલ વાજિબ થઈ જાય, ત્યારે પણ રોઝો તૂટશે નહીં.
- રાત્રે ગુસલની હાજત થઈ, પણ ગુસલ કર્યું નહીં અને દિવસે ગુસલ કર્યું, તો પણ રોઝો થઈ ગયો. એટલું જ નહીં પણ આખો દિવસ ગુસલ ન કર્યું, તો પણ રોઝો જશે નહીં. પરંતુ એનું આખો દિવસ ગુસલ (જનાબત)ની હાલતમાં રહેવું સખ્ત ગુનોહ છે. એનાથી રોઝો મકરૂહ થઈ જાય છે.
- રોઝાની હાલતમાં પતિ-પત્નીનું સાથે સૂવું, અડકવું, પ્યાર કરવો વિગેરે દુરૂસ્ત છે. પણ જો ઈન્ઝાલ (વીર્યપાત) થઈ જવાની બીક હોય અથવા પોતાનું મન કબ્જામાં રહી શકે તેમ ન હોય તો મકરૂહ છે. અને જો બીક ન હોય તો મકરૂહ નથી. આ સૂરતમાં ઈન્ઝાલ થઈ જાય, તો રોઝો તૂટી જશે અને કઝા વાજિબ થશે.
- કોલસો ચાવી દાંતો ઉપર ઘસવું અથવા દાંતો ઉપર મંજન લવાડવું મકરૂહ છે. જો તેમાંથી કંઈક ગળામાં ઉતરી જશે, તો રોઝો તૂટી જશે.
- પોતાના મોઢા વડે કોઈ વસ્તુ ચાવવી અથવા કોઈ ચીઝ ચાવી બાળકને ખવડાવવી મકરૂહ છે. પરંતુ જરૂરત અને લાચારીના સમયે મકરૂહ નથી.
- મીઠુ (નમક) વિગેરેનો સ્વાદ ચાખીને થૂંકી દેવું, તેનાથી રોઝોતૂટતો નથી, પણ વગર જરૂરતે મકરૂહ છે. ઔરતને પોતાના પતિ અને બબરચી (ભઠીયારા)ને પોતાના શેઠના ગુસ્સાના ખ્યાલથી ચાખીને થૂંકી દે, તો મકરૂહ નથી.
- જાણી જોઈને મોઢામાં થૂંક ભેગું કરી ગળી જવું, કોઈની ગીબત કરવી, જૂઠુ બોલવું, લડાઈ-ઝઘડો કે ગાળ-ગલોચ કરવી, બેચેની અને ગભરાટ જાહેર કરવો, ફસદ ખોલાવવી (ખરાબ લોહી કઢાવવું), આ બધી વાતોથી રોઝો મકરૂહ થાય છે અને સવાબ ઓછો થઈ જાય છે.
- દાંતોમાં કે મોઢામાં નીકળેલું લોહી થુંકની સાથે ગળી જાય અને તેમાં જો લોહી થુંક કરતાં ઓછું હોય અને લોહીનો સ્વાદ ગળામાં ખબર ન પડે, તો રોઝો તૂટતો નથી. પરંતુ જો લોહી થુંક કરતાં વધુ હોય અને ગળી જાય, તો રોઝો તૂટી જશે.
- દાંતમાં સોપારીનો ટુકડો અથવા ગોશ્તના રેસા કે કોઈ ચીઝ અટકેલી હતી અને તેને ખિલાલથી કાઢી, પણ મોઢામાંથી બહાર કાઢી નહીં અને આપોઆપ ગળામાં ઉતરી ગઈ, ત્યારે જો તે ચણાથી ઓછી હોય તો રોઝો તૂટશે નહીં, અને તે જો ચણા બરાબર અથવા ચણા કરતાં મોટી હશે, તો રોઝો તૂટી જશે. પરંતુ મોઢામાંથી બહાર કાઢીને ફરી જો તે વસ્તુ ગળી જાય, ત્યારે ચણા કરતાં નાની હશે તો પણ રોઝો તૂટી જશે.
- કોઈ માણસ મોડો ઉઠ્યો અને રાત બાકી છે એમ સમજી સેહરી ખાઈ લીધી, પછી ખબર પડી કે સવાર થઈ ગઈ છે, તો રોઝો થયો નથી. કઝા રાખી લે, કફ્ફારો નથી. એવી જ રીતે દિવસ આથમી ગયો છે એવા અનુમાનથી કોઈએ રોઝો ઈફતાર કરીલીધો અને ખરૂં જોતાં હજુ દિવસ બાકી હતો, તો એવા સંજોગોમાં પણ રોઝો જતો રહ્યો. હવે તેની કઝા રાખી લે, કફ્ફારો નથી.
- કોગળો કરતી વખતે ગળામાં પાણી ચાલ્યુ ગયું અને રોઝો યાદ હતો, તો રોઝો તૂટી ગયો. કઝા રાખવો પડશે, કફ્ફારો નથી.
- મોઢામાં પાન દબાવીને સૂઈ જાય અને એમ જ સવાર થઈ જાય, પછી જાગે ત્યારે રોઝો થયો નથી. કઝા રાખે, કફ્ફારો તેના ઉપર વાજિબ થશે નહીં.
- રોઝાની હાલતમાં બીડી કે હુક્કો પી લેવાથી રોઝો તૂટી જાય છે. કઝા વાજિબ થશે, કફ્ફારો નથી. પરંતુ જે લોકોને પીવાની ટેવ છે અથવા કોઈ ફાયદા માટે પીએ, તો તેના ઉપર કઝા અને કફ્ફારો બન્ને વાજિબ થશે.
- રોઝાની હાલતમાં નાકમાં દવા કે તેલ નાંખવાથી, તપખીર સુંઘી લેવાથી, નાસ લેવાથી, જુલાબ માટે એનીમા લેવાથી રોઝો તૂટી જાય છે. કઝા વાજિબ થશે.
- લોઢુ, તાંબુ, પથ્થર, કાંકરી કે લાકડાનો ટુકડો અથવા કોઈ એવી વસ્તુ ખાધી કે જે લોકોના ખાવામાં આવતી ન હોય, તો તેનાથી રોઝો તૂટી જશે અને કઝા વાજિબ થશે. પણ મજકૂર એવી કોઈ વસ્તુમાં કે જે દવા તરીકે લોકો ખાય છે, તે જો ખાય લેશે, તો પણ રોઝો જતો રહ્યો અને કઝા તથા કફ્ફારો બન્ને વાજિબ થશે. એવી જ રીતે કોઈને માટી ખાવાની આદત હોય અને તે જો માટી ખાય લેશે, તો કઝા અને કફ્ફારો બન્નેવ વાજિબ થશે.
- કોઈએ ભૂલથી ખાય-પી લીધું અને એમ સમજ્યો કે, મારો રોઝો જતો રહ્યો અને તેથી કરીને ફરીથી જાણી જોઈને ખાધું, તો હવે રોઝો જતો રહ્યો. તેના ઉપર કઝા વાજિબ છે, કફ્ફારો વાજિબ નથી
- રમઝાન મહિનામાં રોઝો રાખી કોઈ એવી વસ્તુ કે જે માણસના ખોરાક અથવા કોઈ દવામાં કે શરીરના ફાયદા કે લિઝઝત માટે વાપરવામાં આવે છે, તે જાણી જોઈને ખાધી કે પીધી અથવા જાણી જોઈને સોહબત (સંભોગ) કરી, તેમાં ઈન્ઝાલ (વીર્યપાત) થાય કે ન થાય, તો પણ રોઝો તૂટી જશે. કઝા તથા કફ્ફારો બન્નેવ વાજિબ થશે.
- કોઈને એકાએક ઉલ્ટી થઈ અથવા એહતિલામ (વીર્યપાત) થઈ ગયો અથવા કોઈ એવા ખ્યાલથી ઈન્ઝાલ થઈ ગયો કે ભૂલથી સોહબત કરી લીધી અને મસ્અલાની ખબર ન હોવાના લીધે તે સમજ્યો કે મારો રોઝો તૂટી ગયો અને એમ સમજીને ખાધું, તો હવે તેનો રોઝો તૂટી ગયો. તેણે માત્ર રોઝાની કઝા કરવી પડશે. પરંતુ જો તેને મસ્અલાની ખબર હશે કે આથી રોઝો જતો નથી, અને જાણી જોઈને રોઝો ઈફતાર કર્યો, તો કઝા અને કફ્ફારો બન્નેવ વાજીબ થશે.
- કોઈએ સૂરમો લગાડ્યો અથવા ફસદ ખોલાવી (ખરાબ લોહી કઢાવ્યું), માથામાં કે શરીરમાં તેલ લગાવ્યું અથવા મિસ્વાક કર્યું અને એમ સમજે કે મારો રોઝો તૂટી ગયો, અને જાણી જોઈને ખાઈ લીધું, તો કઝા અને કફ્ફારો બન્નેવ વાજિબ થશે.
- રમઝાન મહિનામાં જો કોઈનો રોઝો તૂટી ગયો, તો પણ દિવસમાં કાંઈ ખાવુ-પીવુ દુરૂસ્ત નથી. આખો દિવસ રોઝદારની જેમ રહેવું વાજિબ છે.
- રોઝાની હાલતમાં દાંત કઢાવવામાં વાંધો નથી, પરંતુ દાંત કઢાવ્યા બાદ મોટે ભાગે ઘણુ લોહી નીકળે છે, અને તે લોહીનો થૂંક સાથે પેટમાં ચાલ્યા જવાનો ભય છે. અને જો એ રીતે પેટમાં લોહી ચાલ્યું ગયું, તો રોઝો તૂટી જશે. એટલે સખ્ત મજબૂરી ન હોય તો બેહતર એ છે કે, રમઝાનમાં દાંત ન કઢાવે. વગર ઉઝરે રમઝાનમાં દાંત કઢાવવો મકરૂહ છે. (કિતાબુલ ફતાવા : ૪૦૦/૩)
- પેસ્ટમાં સ્વાદ હોય છે અને રોઝાની હાલતમાં કોઈ પણ વસ્તુનો સ્વાદ ચાખવો મકરૂહ છે. એટલા માટે રોઝાની હાલતમાં ટૂથપેસ્ટ કરવાથી બચવું જોઈએ. (કિતાબુલ ફતાવા : ૪૦૧/૩)
- રોઝાની હાલતમાં હસ્તમૈથુન મકરૂહે તહરીમી અને ગુનાહનું કામ છે. આમ કરવાથી જો વીર્ય ન નીકળે, તો રોઝો ફાસિદ થશે નહીં, અને જો વીર્ય નીકળી ગયું, તો રોઝો ફાસિદ થશે. કઝા કરવી પડશે. હા, કફ્ફારો આપવો પડશે નહીં. (ફતાવા રહીમિય્યહ : ૮૪/૪)
- કોઈ સ્ત્રી રોઝાની હાલતમાં પેશાબની જગ્યાએ દવાનું પૂમડું મૂકે તો એનાથી રોઝો તૂટી જશે. હા, સેહરીથી પહેલાં મૂક્યું હોય અને સહેરી પછી રોઝાની હાલતમાં પણ તે ત્યાં જ રહે, તો રોઝો તૂટશે નહીં. (કિતાબુલ ફતાવા : ૩૮૩/૩)
- રોઝાની હાલતમાં પોસ્ટ કવરના ગુંદરને પોતાની જીભ વડે ભીનો કરવો મકરૂહ છે. જો ગુંદરનો કોઈ ભાગ ગળાથી નીચે ચાલ્યો ગયો, તો રોઝો તૂટી જશે. (કિતાબુલ ફતાવા : ૪૦૦/૩)
- રોઝાની હાલતમાં કોઈને લોહી આપવાથી રોઝો તૂટતો નથી. પરંતુ જો એને ડર (બીક) હોય કે લોહી આપ્યા બાદ આખો દિવસ રોઝો રાખી નહીં શકાય અને બીમારની ગંભીર સ્થિતિ અને મજબૂરી ન હોય તો મકરૂહ છે. (કિતાબુલ ફતાવા : ૪૦૦/૩)
- રોઝાની હાલતમાં ગળામાં આપોઆપ માખી ચાલી ગઈ અથવા ધૂમાડો કે ધૂળ આપમેળે ચાલી ગઈ, તો રોઝો તૂટશે નહીં. હા, જો જાણી જોઈને રોઝદારે આમ કર્યું, તો રોઝો તૂટી જશે. (મસાઈલે રોઝા : ૬૦)
- પાયરીયાની બીમારીને કારણે પેઢામાં પરૂ નીકળે છે. જે પરૂ મોઢામાં જ બને છે. એટલે એનાથી બચવું શક્ય નથી. અને પરૂની માત્રા પણ થૂંકથી ઓછી હોય છે, જેથી એ પરૂના ગળાની અંદર ચાલ્યા જવાથી રોઝો તૂટશે નહીં.(ફતાવા રહીમિય્યહ : ૭૭/૪)
- રોઝાની હાલતમાં ગરમીને કારણે કોગળા કરવા, નાકમાં પાણી નાખવું, વારંવાર મોઢા પર પાણી છાંટવું, ન્હાવું, લીલુ કપડું શરીરના કોઈપણ ભાગ પર મૂકવાથી રોઝો તૂટતો નથી. અને આમ કરવું મકરૂહ પણ નથી. (મસાઈલે રોઝા : ૭૦)
- કોલેજો અને સ્કૂલોમાં રમઝાન માસમાં પરીક્ષા આવવાને કારણે રોઝામાં તકલીફ પડવાની ભિતી (ડર) હોય તો પણ રોઝો ન રાખવાની કે તોડવાની ગુંજાઈશ નથી. રોઝો રાખીને જ પરીક્ષા આપે. (ફતાવા રહીમિય્યહ : ૬૭-૬૮/૩)
- ગર્ભ રહી ગયાના થોડાક જ દિવસો પછી અમૂક સમયે લેડી ડોક્ટર અથવા ડાયણ ચેકઅપ માટે બારીક અને પાતળા ગ્લોવ્ઝ (મોજા) પહેરીને આંગળી પેશાબની જગ્યામાં નાંખે છે, તો આ રીતે આંગળી નાખવાથી તો રોઝો નહીં તૂટે, પરંતુ જો તેના ઉપર કોઈ પ્રવાહી લગાવ્યું હશે, તો રોઝો તૂટી જશે. (મસાઈલે રોઝા : ૧૧૪)
- કોઈ સ્ત્રી રમઝાનના મહિનામાં માસિક બંધ કરવાવાળી દવા લે અને માસિક બંધ થઈ જાય અથવા ન આવે અને રોઝો રાખી લીધો, તો રોઝો અદા થઈ જશે. તેમ છતાં શરીઅત તરફથી માસિકની હાલતમાં રોઝો ન રાખવાનો-તોડવાનો હુકમ છે. તો પછી બેહતર એ છે કે, આ પ્રકારની દવાઓ લેવામાં ન આવે. જે તંદુરસ્તી માટે પણ નુકસાનકારક છે, અને શરીઅત તરફથી છૂટછાટ મળતી હોવા છતાં તે છૂટછાટથી દૂર ભાગવું અને તકલીફ વેઠીને આ કામ કરવું દીની કામોમાં હદથી વધારે પડતું બહાર નીકળવું અતિશ્યોક્તિ કહેવાશે અને તેનાથી મનાઈ ફરમાવવામાં આવી છે. (કિતાબુલ ફતાવા : ૪ર૧/૩)
- કોઈ રોઝદાર ભૂલથી કંઈ ખાઈ-પી લે અથવા ભૂલથી પોતાની પત્નિ સાથે સંભોગ કરી લે, તો એનાથી રોઝો તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ૭૭/ર)
- કોઈ વ્યક્તિ કોઈ રોઝદારને ભૂલથી કંઈ ખાતો-પીતો જોઈ લે, તો જો તે રોઝદાર એવો તાકતવર અને તંદુરસ્ત છે કે રોઝાથી એને કોઈ તકલીફ થશે નહીં, તો જોનાર વ્યક્તિએ તેને રોઝો યાદ અપાવવો વાજિબ છે. અને જો તે એવો અશક્ત અને કમઝોર છે કે રોઝાથી એને તકલીફ થાય છે, તો એને રોઝો યાદ ન અપાવે, ખાઈ લેવા દે. (બેહિશ્તી ઝેવર : ૧૩૮)
- કોઈ પણ ઈરાદા વગર અનાયાસે મચ્છર કે માખી ગળામાં ચાલી જાય, તો રોઝો તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ૭૮/ર)
- કોઈ ચીઝ જીભથી ચાખીને થૂંકી દીધી, તો રોઝો તૂટશે નહીં. પરંતુ વગર કારણે આમ કરવું મકરૂહ છે. હા, કોઈનો પતિ ખરાબ સ્વભાવનો હોય અને સ્ત્રીને બીક હોય કે ખાવા-પીવામાં નમક (મીઠુ) વગેરે ઓછું-વત્તુ હશે તો પતિ પરેશાન કરશે, તો એના માટે ચાખવું મકરૂહ પણ નથી. (બેહિશ્તી ઝેવર : ૧૪૦)
- રોઝાની હાલતમાં લોહી કઢાવીને ચેકઅપ કરાવવાથી રોઝો તૂટતો નથી. પરંતુ એટલું બધું લોહી પણ ન કઢાવે કે અશક્તિ આવી જાય. (કિતાબુલ મસાઈલ : ૭૭/ર)
- ઈન્જેક્શન લેવાથી રોઝો તૂટતો નથી. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૭૮/૪) પરંતુ ઈન્જેક્શન એવું હોય કે દવા દિમાગ અથવા ગળા સુધી પહોંચે, તો રોઝો તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૭૮/ર)
- કોઈ કારણસર ગ્લુકોઝ ચઢાવવાથી રોઝો તૂટતો નથી. અને વગર કારણે ચઢાવવાથી મકરૂહ થાય છે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૮ર/૪)
- રોઝાની હાલતમાં ડાયાલિસીસ કરાવવાથી રોઝો તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ૭૮/ર)
- રોઝાની હાલતમાં કાનનો મેલ કાઢવાથી રોઝો તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ૮૦/ર)
- મોઢામાંથી લાળ નીકળીને ટપકે તે પહેલાં તેને ગળી જાય, તો એનાથી રોઝો તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ૮૧/ર)
- આંખોમાંથી નીકળેલા આંસુ મોઢામાં ચાલ્યા જાય અને તે પ્રમાણમાં થોડા હોય, જેમકે એક-બે ટીપાં, તો એનાથી રોઝો તૂટશે નહીં. અને જો એટલા પ્રમાણમાં હોય કે એની ખારાશ મોઢામાં સારી રીતે ખબર પડે અને એવા ઘણા બધા ટીપાં ભેગા થઈ જાય અને તેને ગળી જાય, તો રોઝો તૂટી જશે. પસીનાનો પણ એ જ હુકમ છે. (મસાઈલે રોઝા : ૬૦)
- વુઝૂમાં ખારા પાણીથી કોગળા કરવામાં કોઈ વાંધો નથી. એનાથી રોઝો મકરૂહ નથી થતો. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૮૬/૪)
- રોઝાની હાલતમાં ટુથપેસ્ટ વાપરવું અથવા કોલસો કે કોઈ મંજન દાંતોમાં લગાવવાથી રોઝો તૂટતો નથી. પરંતુ રોઝાની હાલતમાં આ મકરૂહ છે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૮૬/૪)
- કુલ્લી કર્યા બાદ મોઢામાં પાણીની જે થોડી ભીનાશ રહી જાય છે, એને થૂંક સાથે ગળી જવાથી રોઝામાં કોઈ ખરાબી કે વાંધો આવતો નથી. (કિતાબુલ મસાઈલ : ૮૦/ર)
- દિલની બીમારીઓમાં જે દવા જીભ નીચે મૂકવામાં આવે છે, રોઝાની હાલતમાં એ દવા લેવામાં આવે અને એના રજકણો અથવા એ દવા મિશ્રિત થૂંક ગળી જવાથી સંપૂર્ણપણે બચી શકાતું હોય તો રોઝો ફાસિદ થતો નથી. (નવાકિઝે શૌમસે મુતઅલ્લિક નયે મસાઈલ : ૧૯)
- શ્વાસ જેવી બીમારીઓમાં ઈન્હેલરના ઈસ્તેમાલથી રોઝો ફાસિદ થઈ જશે. (નવાકિઝે શૌમસે મુતઅલ્લિક નયે મસાઈલ : ૧૯)
નોટ : કોઈ શ્વાસનો રોગી ઈન્હેલર વગર રહી શકે એમ નથી અને ઉપરછલ્લી નજરે તે તંદુરસ્ત જેવો લાગે છે, તો તેને ઈન્હેલર વાપરવાની સાથે સાથે રોઝો રાખવાનો હુકમ આપવામાં આવશે. પરંતુ તંદુરસ્તી પછી સાવચેતીરૂપે કઝા કરવી પડશે. અને જો મૃત્યુ સુધી તંદુરસ્તી ન મળે, તો ફિદયો અદા કરે. આમ કરવામાં વધુ સાવચેતી છે. (કિતાબુલ મસાઈલ : ૮પ/ર)
- જે દવા વરાળરૂપે મોઢા કે નાકથી ખેંચવામાં આવતી હોય (જેમ કે નાસ), મશીનથી કે કોઈ બીજી રીતે, એનાથી રોઝો તૂટી જશે. (નવાકિઝે શૌમસે મુતઅલ્લિક નયે મસાઈલ : ૧૯)
- વુઝૂ, ગુસલ અથવા કુલ્લી કરતી વખતે ભૂલથી પાણી ગળામાં ચાલ્યું જાય, તો રોઝો તૂટી જશે. (આપકે મસાઈલ : પ૭૪/૪)
- કોઈ સ્ત્રીને જોવાથી વીર્યભંગ થઈ જાય, તો રોઝો તૂટતો નથી. હા, અડકવા, અડપલાં કરવા, હાથ મિલાવવા અથવા ચુંબન કરવાથી વીર્ય ભંગ થાય, તો રોઝો તૂટી જશે. (આપકે મસાઈલ : પ૭૭/૪)
- પેઢામાંથી એટલું લોહી નીકળે કે તે થૂંકથી વધી જાય અથવા થૂંકથી બરાબર લગભગ થઈ જાય અને એને ગળી જાય, તો રોઝો તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૮૭/ર)
- મોઢામાં લોહી નીકળતુ હોય અને થૂંક સાથે ગળી જાય, તો જો લોહી થૂંકથી ઓછું હોય અને ગળામાં લોહીનો કોઈ સ્વાદ ખબર ન પડે, તો રોઝો તૂટશે નહીં. (બેહિશ્તી ઝેવર : ૧૪૦)
- કોઈએ ભૂલથી કંઈ ખાઈ-પી લીધું અને પછી એમ સમજીને કે મારો રોઝો તૂટી ગયો અને ઈરાદાપૂર્વક કંઈ ખાઈ લીધું, તો હવે રોઝો તૂટી ગયો. કઝા કરવી પડશે. (બેહિશ્તી ઝેવર : ૧૪૦)
- કોઈ માણસ જાણી જોઈને ખૂશ્બુની કોઈ વસ્તુ સળગાવીને તેનો ધૂમાડો સુંઘે અને તેને રોઝો પણ યાદ છે, તો એનો રોઝો તૂટી જશે. ધૂમાડો ચાહે અગરબત્તીનો હોય કે લોબાનનો હોય, કેમ કે રોઝદાર એ ધુમાડાથી બચી શકતો હતો. અને જો કોઈ પણ ઈરાદા વગર ધૂમાડો ચાલ્યો જાય, તો એનાથી રોઝો તૂટશે નહીં. (મસાઈલે રોઝા : ૭૪)
- રોઝાની હાલતમાં મય્યિતને ધુણી વગેરે આપવામાં કોઈ વાંધો નથી. કેમકે અહિંયાં સુંઘવા માટે સળગાવ્યું નથી, ધુણી આપવા માટે સળગાવ્યું છે. હા, ગુલાબ, અત્તર વગેરે સુંઘવામાં કોઈ વાંધો નથી. કેમ કે અ ેમાં કોઈ ધુમાડો નથી. (મસાઈલે રોઝા : ૭૪)
- અંદરના ભાગે થતા પાયલ્સ પર મલમ કે દવા લગાવવાથી રોઝો તૂટી જશે અને જો પાયલ્સ (મસા) બહાર રહેતા હોય અને એના પર દવા લગાડે, તો રોઝો તૂટશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૯૦)
- પુરૂષની પેશાબની નળીમાં જો કોઈ દવા નાંખવામાં આવે અને તે દવા પેશાબની થેલીમાં પહોંચી જાય, તો રોઝો તૂટી જશે. અને જો પેશાબની થેલી સુધી ન પહોંચે તો રોઝો તૂટશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૯૦/ર)
- રમઝાન શરીફમાં જો કોઈનો રોઝો તૂટી જાય તો રોઝો તૂટવા પછીથી બાકીના દિવસમાં ખાવું-પીવું દુરૂસ્ત નથી. બાકી રહેતા દિવસમાં રોઝદારોની જેમ રહેવું વાજિબ છે.(બેહિશ્તી ઝેવર : ૧૪૧)
- રોઝાની હાલતમાં સંભોગની કલ્પના કરવાથી અથવા કોઈ સ્ત્રીનો ફોટો જોઈને કામવાસના પેદા થાય, અંતે વીર્ય નીકળી જાય, તો એનાથી રોઝો તૂટતો નથી. એટલે ન કઝા કરવી પડશે, ન તો કફ્ફારો આપવો પડશે. (ફતાવા રહીમિય્યહ : ૮૯/૪)
- કોઈ સ્ત્રીને ગર્ભપીડા ઉપડી અને એ સમયે રોઝો ન તોડવાથી સ્ત્રી કે ગર્ભાશયમાં બચ્ચાને નુકસાન થવાનું વધારે ગુમાન છે, તો રોઝો તોડી દેવો જાઈઝ છે. આ હાલતમાં ફક્ત કઝા કરવી પડશે. અને જો એવો કોઈ ડર ન હોય, તો રોઝો તોડવાનો ગુનોહ થશે, અને કફ્ફારો પણ વાજિબ થશે. હા, જો એ જ દિવસે ઈફતારી પહેલાં બાળક પેદા થઈ જાય, તો કફ્ફારો વાજિબ થશે નહીં. (મસાઈલે રોઝા : ૧૧૯)
- રોઝાની હાલતમાં હોઠ પર લાલી લગાડવી જાઈઝ તો છે, પરંતુ મોઢામાં જવાની શંકા હોય, તો મકરૂહ છે. (મસાઈલે રોઝા : ૧ર૧)
- નાબાલિગ છોકરાઓનો હુકમ રોઝા માટે એ જ છે, જે નમાઝ માટે છે. એટલે કે સાત વર્ષની ઉંમરમાં નમાઝ અને રોઝાનો હુકમ કરવામાં આવે અને દસ વર્ષની ઉંમરમાં (હલકો માર) મારીને રોઝા રખાવવામાં આવે. (મસાઈલે રોઝા : ૧રપ)
- નાબાલિગ રોઝો રાખીને તોડી નાંખે, તો એના માટે કઝા નથી. (મસાઈલે રોઝા : ૧ર૪-૧રપ)
- પાખાનું બંધ થઈ જવાને કારણે રોઝાની હાલતમાં એનીમા લગાવે તો યાદ રહે કે એનીમાનો ઉપયોગ દવા સમજીને કરવામાં આવે છે, જે અંદર લગાવવામાં આવે છે, એટલે એનાથી રોઝો તૂટી જશે. કઝા કરવી પડશે. કફ્ફારો આપવો પડશે નહીં. (મસાઈલે રોઝા : ૧૩ર)
- પેટની સફાઈ માટે પાછળના ભાગેથી દવા ચઢાવવામાં આવે (જેને એનીમા કહે છે) તો એનાથી રોઝો તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૯૦)
- ટીબીના રોગીને નુકસાન થવાનો ભય હોય અને દીનદાર નિષ્ણાંત અનુભવી ડોક્ટરના મતે રોઝો ન રાખવો જરૂરી હોય છે, તો ડોક્ટરના મતાનુસાર અમલ કરવો જોઈએ અને તંદુરસ્તી બાદ કઝા કરવી પડશે. (ફતાવા રહીમિય્યહ : ૭૩/૪)
- સફરની હાલતમાં એકદમ તડકો અને લૂ વેઠી ન શકવાને કારણે રોઝો તોડી નાંખે, તો કઝા કરવી પડશે. કફ્ફારો વાજિબ થશે નહીં. (મસાઈલે રોઝા : ૧૪૬)
- કોઈએ રમઝાન મહિનામાં રોઝો રાખવાની નિય્યત કરી ન હોય, તેથી કરી તેણે ખાવુ-પીવુ ચાલુ રાખ્યુ, તો તેના ઉપર કફ્ફારો નથી. કફ્ફારો તે જ વખતે છે, કે જ્યારે રોઝાની નિય્યત કર્યા પછી તોડી નાંખે.