Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 18 to 24)
રોઝો ઇસ્લામની એક પાયાની બાબત (રુકન) છે. માનવીના નૈતિક ઘડતરમાં રોઝાની બહુ મોટી ભૂમિકા છે. રોઝાથી જે સદ્ગુણોનો વિકાસ થાય છે, તેને કુર્આને કરીમ એક સર્વગ્રાહી શબ્દ ‘તકવા વડે વ્યકત કરે છે. અલ્લાહપાકે ઈન્સાનને જિસ્મ (શરીર) તથા રૂહ (આત્મા) બંને વસ્તુ આપી છે. તેમાં ફરિશ્તાઓ જેવા સદ્ગુણો સહિત શયતાન જેવા દુર્ગુણો પણ રાખ્યા છે. રૂહ તેને ઉપર લઈ જવા માંગે છે અને જિસ્મ તેને નીચે ખેંચે છે. માણસ એક તરફ તો માટીનું પૂતળું છે, પરંતુ તેમાં પ્રાણ ખુદાએ પુર્યો છે. અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે કે, ‘‘માનવીને ખણખણતી માટીમાંથી બનાવવામાં આવ્યો છે. [રહમાન : ૧૪]
બીજી જગ્યાએ છે કે, ‘‘જ્યારે હું તેને ઘાટ આપી દઉં અને તેમાં મારી (માલિકીની) પ્રાણ ફુંકી દઉં ત્યારે તમે બધા તેની સામે માથું ઝુકાવી દેજો. [હિજર : ર૯] માનવજાતને જે અમાનત સુપરત કરવામાં આવનાર હતી, તેને ઉપાડવા માટેની ક્ષમતા ભલાઈ–બુરાઈ વચ્ચે ઉપર્યુકત ખેંચતાણ વગર શકય જ ન હતી.
આજનો આધુનિક માનવી શરીરના વિકાસ માટે ઘણું ધ્યાન આપે છે, પરંતુ આત્મા (રૂહ)ના પ્રતિ કોઈનું ધ્યાન નથી જતું. માનવતા પાયમાલ થઈ રહી છે અને પાશવતા વધતી જઈ રહી છે.
ઈસ્લામે જિસ્મ તથા રૂહ બન્નેના તકાદાઓ પુરા કરવાની વાત કરી છે. એક સાચો મુસ્લિમ માત્ર આખિરત (મરણોત્તર જીવન)ની જ ભલાઈ નથી માંગતો, આ દુનિયાની પણ ભલાઈ માંગે છે. [અલ બકર : ર૦૧]
રોઝાનો આદેશ એ ઇસ્લામની સર્વગ્રાહિતાનું પ્રતિક છે. તે એક ટ્રેનિંગ કોર્ષ છે. તે માણસને મન પર કાબુ રાખવાની ટેવ પાડે છે. આત્માને પવિત્ર કરે છે તથા ઉચ્ચ હેતુઓ સિધ્ધ કરવા માટે બલિદાનની ભાવના વિકસાવે છે. એટલે જ નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના મોઢેથી અલ્લાહપાકે એલાન કરાવ્યું કે, ‘‘રોઝો મારા માટે છે અને હું જ તેનું વળતર (અજ્ર) આપીશ. બીજી એક હદીષમાં છે કે, ‘‘રોઝો ઢાલ છે. (જેના દ્વારા શયતાનના હુમલાને ખાળી શકાય છે.) હદીષ શ.માં એમ પણ છે કે, ‘‘જ્યારે તમારો રોઝો હોય તો અશ્લીલ વાતો ન કરો, ચીસાચીસ ન કરો. જો કોઈ ગાળાગાળી કરે કે મારવા ચાહે તો રોઝેદારે એમ કહેવું જોઈએ કે હું તો રોઝેદાર છું, હું તો રોઝેદાર છું. એક હદીષમાં રોઝેદારની મહત્વતા દર્શાવતાં કહયું છે કે, ‘‘એ હસ્તીના સોગંદ, જેના હાથમાં મુહમ્મદ (સલ.)નો જાન છે, કિયામતના દિવસે રોઝેદારના મોઢાની દુર્ગંધ અલ્લાહપાકના ત્યાં કસ્તૂરીથી વધારે સુગંધીદાર હશે. અન્ય એક રિવાયતમાં છે કે, રોઝો તથા કુર્આન કિયામતના દિવસે બંદાની ભલામણ કરશે. રોઝો કહેશે કે, હે પરવરદિગાર ! મેં તેને દિવસે ખાવા–પીવા તથા સહશયનથી રોકી રાખ્યો હતો, એટલે મારી ભલામણ સ્વીકારી લો. બીજી બાજુ કુર્આન કહેશે કે, મેં તેને રાત્રેસુવાથી રોકી રાખ્યો હતો એટલે તેના વિશે મારી ભલામણ સ્વીકારી લો. આમ બન્ને સિફારિશ કરશે.
હઝરત અબૂ ઉમામા (રદી.) રિવાયત કરે છે કે, હું અલ્લાહ તઆલાના રસૂલ (સલ.) પાસે આવ્યો અને કહયું કે, મને કોઈ એવું કામ બતાવો જે મને જન્નતમાં લઈ જાય. આપ (સલ.)એ કહયું કે, તમારે રોઝા રાખવા જોઈએ. એટલા માટે કે રોઝાની બરાબરી કોઈ અમલ કરી શકે એમ નથી. પછી હું બીજી વખત પણ ગયો (અને આ જ પ્રશ્ન કર્યો) તો આપે કહયું, તમારે રોઝા રાખવા જોઈએ. [અહમદ, નસઈ] બીજી એક હદીષમાં છે કે, ‘‘જે કોઈ બંદો અલ્લાહ તઆલાના માર્ગમાં (અલ્લાહપાક માટે) રોઝો રાખે છે તો તે દિવસે અલ્લાહપાક જહન્નમની આગને તેનાથી સિત્તેર વર્ષના અંતરે દૂર કરી દે છે. હઝરત સહલ બિન સઅદ વર્ણવે છે કે, જન્નતમાં એકદરવાજો છે. જેનું નામ રય્યાન છે. કિયામતના દિવસે કહેવામાં આવશે કે, રોઝેદારો કયાં છો ? અને જ્યારે છેલ્લો રોઝેદાર દાખલ થઈ જશે તો તે દરવાજો બંધ કરી દેવામાં આવશે.
રોઝો ઇસ્લામની એક પાયાની બાબત છે. માનવીના નૈતિક ઘડતરમાં રોઝાની બહુ મોટી ભૂમિકા છે. રોઝાથી જે સદ્ગુણોનો વિકાસ થાય છે તેને કુર્આન એક સર્વગ્રાહી શબ્દ ‘તકવા વડે વ્યકત કરે છે. તકવા માટે ઉર્દૂમાં પરહેઝગારી શબ્દ વપરાય છે. આ પરેજીને જો શાયરના શબ્દોમાં કહેવી હોય તો એમ થશે.
ઝિદંગીકી રાહમે ચલ, લેકિન ઝરા બચ બચકે ચલ.
જેના માથા પર કાચના વાસણો મૂકયા હોય તો તે દરેક કદમ સાવચેતીપૂર્વક ઉપાડશે. આવી જ રીતે જીવનમાં તકેદારીથી ડગ માંડવાનું તથા અનિષ્ટોથી બચતા બચતા આગળ વધવાનું નામ ‘તકવા છે. રોઝાનો મકસદ આ જ સ્થિતિ નિર્માણ કરવાની છે.
રોઝો હિ.સન–ર માં મુસ્લિમો પર ફર્ઝ થયો. તે પૂર્વે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ૧૦મી મુહર્રમ (યવમે આશુરા)નો રોઝો રાખતા હતા. સહાબાએ કિરામ રદી.ને પણ આપ (સલ.)એ એમ કરવાનો આદેશ આપ્યો હતો. મદીના શરીફ પહોંચ્યા પછી દર મહિનાના ત્રણ રોઝા રાખવાની પણ આપે શરૂઆત કરી હતી. અહીં સુધી કે રમઝાનના રોઝા ફર્ઝ થઈ ગયા અને બીજા રોઝાઓ મરજીયાત બની ગયા.
રોઝો એક એવી ઈબાદત છે, જેને દેખાડા ખાતર રખાય એ શકયતા બહુ ઓછી હોય છે. તેમાં ઈખ્લાસ (શુધ્ધતા)નો અવકાશ વધારે હોય છે. એટલે શરીઅતે તેનો સવાબ પણ વધારે રાખ્યો છે.
રોઝાની આ ફઝીલત તે રોઝેદાર માટે છે જે રોઝાની સમગ્ર આચારસંહિતા પાળતો હોય. બાહ્ય રીતે જે વસ્તુઓથી રોઝો તૂટી જાય છે તેનાથી દૂર રહેવાની સાથોસાથ એવી બાબતોથી પણ દૂર રહેવાની જરૂર છે જેનાથી રોઝાના હાર્દને હાનિ પહોંચે છે. દા.ત. જૂઠું બોલવું, લડાઈ–ઝઘડો, ગાળાગાળી, બદગોઈ કરવી વગેરે.
રોઝેદારનું સ્થાન જુઓ કેટલું ઉંચું છે. એક હદીષમાં છે કે, ત્રણ માણસોની દુઆ રદ થતી નથી : (૧) એક રોઝેદારની. જ્યાં સુધી તે રોઝાની હાલતમાં હોય. (ર) ન્યાયી પ્રશાસકની અને (૩) પરેશાની વેઠનારની. આ ત્રણેયની દુઆઓ અલ્લાહ આકાશો પર ઉઠાવી લેછે અને કહે છે કે, ‘‘મારી ઈઝઝત તથા જલાલની કસમ, હું તમારી મદદ કરીશ. ભલે થોડાક સમય પછી જ કેમ ન હોય. [અહમદ, તિર્મિઝી]
બીજી એક હદીષમાં છે, ‘ જે કોઈ રમઝાનના રોઝા ઈમાન સાથે તથા સવાબની નિય્યતથી રાખશે તો તેના પાછલા તમામ ગુનાહો માફ કરી દેવામાં આવે છે. એક હદીષ આ મુજબ છે કે, ‘‘દીનનો પાયો ત્રણ ચીજો પર છે. (૧) ખુદાના એક હોવાની સાક્ષી આપે, (ર) ફર્ઝ નમાઝો અદા કરે, (૩) રમઝાનના રોઝા રાખે.
આ હદીષના ઉલ્લેખ પછી ઈમામ ઝહબી (રહ.) ફરમાવે છે કે, જે શખ્સ કોઈપણ શરઈ કારણ વગર (દા.ત. બીમારી કે પ્રવાસ) રમઝાનના રોઝા છોડી દેશે તો તે શરાબ તથા સુંદરીના વ્યસની હોય એવા ગુનેહગારથી પણ વધારે ખરાબ છે. કેટલાક લોકો તેને ફાસિકોમાંથી ગણે છે.
ઇસ્લામ એક વૈશ્વિક ધર્મ છે. એટલે તેના સિધ્ધાંતો એવા રાખવામાં આવ્યા છે કે, બધા તેના પર અમલ કરી શકે. આ કારણે જ ચાંદ જોઈ (ચંદ્રદર્શન) રોઝો રાખવાનો તથા ચાંદ જોઈને જ ઈદ મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આના માટે તેણે ગણત્રી તથા વેધશાળાઓના મંતવ્યનો આધાર લેવાને પસંદ નથી કર્યું. જેથી શહેરવાસીઓ તથા ગામડાવાસીઓ, સુસભ્ય પ્રજાઓ તથા વણઝારાઓ બધા તેની પર અમલ કરી શકે.
રમઝાનનો આખો મહીનો ખૈરો બરકતવાળો છે. એટલે તેની પ્રત્યેક ક્ષણથી ફાયદો ઉઠાવવાની કોશિષ કરવી જોઈએ. ફરાઈઝ સહિત નફિલ ઈબાદતોના પ્રમાણમાં વધારો કરવો જોઈએ.
કુર્આનના અવતરણ (નુઝૂલ)ની શરૂઆત રમઝાનમાં થઈ. એટલે કુર્આન સાથે આ મહિનાનો એક વિશેષ સબંધ છે. આ જ કારણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ મહિનામાં કુર્આનની વધારેમાં વધારે તિલાવત કરતા હતા. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદી.)ની એક રિવાયતનો અર્થ આ મુજબ છે :
અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ બધા લોકોમાં સૌથી વધારે સખાવત કરનાર હતા. જ્યારે રમઝાનનો મહિનો આવતો અને આપ (સલ.)ની મુલાકાત હઝરત જિબ્રઈલ અલયહિસ્સલામથી થતી તો આપ ઝડપથી ચાલતા પવનથી પણ વધારે સખી બની જતા હતા. [બુખારી, મુસ્લિમ]
હઝરત મુજદિૃદ અલ્ફેષાની (રહ.) ફરમાવે છે કે, ‘‘રમઝાનનો મહિનો બરકતનો મહિનો છે. આ મહિનામાં જેનું મન નેકીઓમાં ચોંટેલું રહેશે, આખું વર્ષ તેનું મન પરોવાયેલું રહેશે અને આ મહિનામાં જેનું મન ભમતું રહેશે, તેનું મન આખું વર્ષ આમતેમ ભટકતું રહેશે.
જે મહિનામાં શયતાનને પકડી ગોંધી દેવામાં આવ્યા હોય તથા જન્નતના દરવાજા ખોલી દેવામાં આવ્યા હોય તે સમયગાળામાં પણ જો માનવી પોતાના મન પર કાબૂ ન મેળવી શકે તો કયારે મેળવશે?
અલ્લામા ઈબ્ને કય્યિમ (રહ.) ફરમાવે છે કે, રોઝાનો હેતુ મનને તેની રોજિંદી ટેવોમાંથી મુકત કરવાનો છે. અને વાસ્તવિક અર્થમાં સૌભાગ્ય મેળવવાની તેમાં ક્ષમતા પેદા કરવાનો છે. તેની સૌથી સારી રીત એ છે કે, થોડીક મુદૃત માટે ખાવા–પીવાથી દૂર રહેવાની પ્રેકટીશ કરવામાં આવે.
રોઝાથી આધ્યાત્મિક ફાયદાઓ સહિત શારીરિક ફાયદાઓ પણ થાય છે. રોઝા શરીરની ઉત્કટ ઈચ્છાઓને ઠંડી પાડવામાં ઘણો ભાગ ભજવે છે. અલ્લાહપાકના રસૂલ (સલ.)એ શાદી ન કરી શકતા હોય એવા યુવાનોને રોઝાનું સૂચન કર્યું છે.
અકરાંતિયાની જેમ ખાવાથી પેટ તો બગડે જ છે; આધ્યાત્મિક વિકાસ પણ રૂંધાય છે. મનની ઈચ્છાઓ સંતોષવા માટે સતત ભમતા રહેવાથી માણસ સદ્ગુણો સંપન્ન નથી કરી શકતો. રોઝાની વ્યવસ્થા કરી ખુદાપાકે આ મોટી નેઅમત પ્રાપ્ત કરવા માટે માર્ગ મોકળો કરી દીધો છે.
રોઝો એ કાંઈ નકારાત્મક ક્રિયા નથી, બલ્કે તેની કબૂલિય્યત માટે હકારાત્મક અભિગમ એક અનિવાર્ય શરત છે. મતલબ કે ઈમાન હોય તથા સવાબની નિય્યત હોય પછી ભૂખ્યા તરસ્યા રહેવાથી રોઝો આકાર પામે છે. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાનું નામ રોઝો નથી. અલ્લાહપાકના રસૂલ (સલ.)નું કથન છે કે, ‘‘જે માણસ જૂઠ બોલતા તથા ખોટું કરતા નહીં ખચકાય તો અલ્લાહપાકને કોઈ જરૂર નથી કે (તે રોઝાના નામે) પોતાનું ખાવા–પીવાનું છોડી દે. એવી જ રીતે આપ (સલ.)એ ફરમાવ્યું : ‘‘કેટલાય રોઝેદારો એવા છે કે તેમને તેમના રોઝાથી ભૂખ–તરસ સિવાય કાંઈ નથી મળતું. અને કેટલાય (રાત્રે) નમાઝ પઢનારા એવા છે કે તેમને તેમની નમાઝથી ઉજાગરા સિવાય કાંઈ નથી મળતું. [દારમી]
રમઝાન મહિનાનો એક ખાસ તોહફો ‘શબે કદ્ર છે. આ રાતની મહત્વતા પર સ્વયં કુર્આને એક આખી સૂરત વડે પ્રકાશ ફેંકયો છે.
હદીષ શરીફમાં છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પણ આ રાતની ફઝીલતો બયાન કરી છે કે, ‘‘જે શખ્સ કદરની રાત્રે ઈમાન તથા સવાબની નિય્યત સાથે ઈબાદતમાં ઉભો રહેશે, તો તેના પાછલા બધા ગુનાહ માફ કરી દેવામાં આવે છે.
શબે કદ્રને ખુદાપાકે વિશેષ હેતુસર છુપાવી રાખી છે. તેની કોઈ ચોક્કસ તારીખ કુર્આનમાં કે હદીષમાં નક્કી કરવામાં આવી નથી. હદીષોમાં જો કે તેને રમઝાનના છેલ્લા દસ દિવસોની એકી સંખ્યાવાળી રાતોમાં શોધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આરાતને છુપાવી રાખવા પાછળનો આશય એ છે કે, તેની તલાશમાં બંદાને અનેક રાતોમાં ઈબાદત કરવાની તૌફીક મળી જાય છે.
હઝરત આયશા (રદી.)નું વર્ણન છે કે, જ્યારે રમઝાનના છેલ્લા ૧૦ દિવસો શરૂ થઈ જતા તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આખી રાત જાગતા અને પોતાના ઘરવાળાઓને પણ જગાડતા અને ઘણી જદ્દોજહદ (કોશિશ) કરતા અને પોતાનો પાયજામો કસીને બાંધી લેતા (મતલબ કે એકચિત્તે ઈબાદતમાં પરોવાય જતા).
આપનો ઈર્શાદ છે કે, ‘‘તમે લોકો શબે કદરને અંતિમ દસ દિવસોની એકી સંખ્યાવાળી રાતોમાં શોધો. [બુખારી શરીફ]
રમઝાન મહિનાની ઈબાદતોમાં એક ઈબાદત એતેકાફ પણ છે. જેનો હેતુ દિલને દુનિયાના કામકાજથી દૂર કરી થોડાક દિવસો માટે ખુદાના ઘરમાં બેસવાનો છે તથા ઈબાદતમાં તલ્લીન રહેવાનો છે. મસ્જિદને એતેકાફ માટે એટલે પસંદ કરવામાં આવી છે કે શાંત ચિત્તે સાચા અર્થમાં માણસ ખુદાની યાદમાં વ્યસ્ત રહી શકે. આમ, તે ખુદાની વધારે નિકટ જઈ શકે છે અને પોતાની અંદર સાચા અર્થમાં તકવો પેદા કરી શકે છે, જે રમઝાનનો ખાસ મકસદ છે.
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે દર વર્ષે એતેકાફ કર્યો છે અને સાચા દિલવાળા મુસ્લિમોએ પણ દરેક કાળમાં એતેકાફને એક સુન્નત તરીકે સમજી અમલ કર્યો છે. હઝ. આયશા રદી. ફરમાવે છે કે, ‘‘આપ (સલ.) દર વર્ષે રમઝાનમાં દસ દિવસ એતેકાફ કરતા હતા અને જે વર્ષે આપની વફાત થઈ તે વર્ષે આપે વીસ દિવસનો એતેકાફ કર્યો. [બુખારી શરીફ] Log in or Register to save this content for later.