હજ્જનું ફર્ઝ હોવું અને જરૂરી સુચનો

Chapter : હજ

(Page : \)

હજ્જનું ફર્ઝ હોવું અને જરૂરી સુચનો

અલ્લાહ તઆલાનું ફરમાન છેઃ

وَ لِلّٰہِ عَلَی   النَّاسِ حِجُّ الْبَیْتِ مَنْ اسْتَطَاعَ إِلَیْہِ سَبِیْلاً وَ مَنْ کَفَرَ فَإِنَّ اللّٰہَ غَنِیٌّ عَنِ الْعٰلَمِیْنَ (سورۂ آل عمران،۹۷(

                                (અલ્લાહની પ્રસન્ના માટે અલ્લાહના ઘરની હજ્જ તે લોકો માટે ફરજિયાત છે, જેઓ હજસફર માટે સક્ષમ હોય અને જો કોઈ ઈન્કાર કરશે તો (જાણી લો કે) અલ્લાહ તઆલા તમામ જગતોથી બેપરવા છે.)

اَذِّنْ فِیْ النَّاسِ بِالْحَجِّ یَاْتُوْکَ رِجَالاً وَ عَلٰی کُلِّ ضَامِرٍ یَاتِیْنَ مِنْ کُلِّ فَجٍّ عَمِیْقٍ۔                               (سورۂ حج، ۲۷

                હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ને હુકમ કરવામાં આવ્યો કે આપ હજ્જનું એ’લાન કરી આપો, લોકો પગપાળા અને દુબળા–પાતળા ઊંટો (જાત જાતની સવારીઓ ) ઉપર દૂર દૂરથી આવી પહોંચશે.

હઝુરે અકદસ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :

                ” ઇસ્લામનો પાયો પાંચ વસ્તુઓ ઉપર નાંખવામાં આવ્યો છે : (૧) અલ્લાહના એકમાત્ર મઅ્‌બૂદ હોવાની ગવાહી આપવી, (ર) નમાઝ કાયમ કરવી, (૩) ઝકાત અદા કરવી, (૪) બયતુલ્લાહની હજ્જ કરવી,(પ) રમઝાન શરીફનાં રોઝહ રાખવા.

                હજ્જ કોઈ નવીન વસ્તુ નથી, જૂના ઝમાનાથી હજ્જ થતી આવી છે. સૌથી પહેલાં હઝરત આદમ (અલયહિસ્સલામ)એ હિંદુસ્તાનથી મકકહ મુકર્રમહ જઈને હજ્જ કરી અને તે વખતે હઝરત જિબ્રઈલ (અલયહિ સ્સલામ)એ હઝરત આદમ (અલયહિસ્સલામ)ને ફરમાવ્યું કે ફરિશ્તાઓ આ બયતુલ્લાહનો તવાફ સાત હઝાર વર્ષથી કરી રહયા છે.

                આખી દુન્યામાં ફકત હિંદુસ્તાન ને જ આ શર્ફ હાસિલ છે, કે સૌથી પહેલી હજ્જ હિંદુસ્તાનથી કરવામાં આવી.

                કિતાબોમાં આવે છે કે હઝરત આદમ (અલયહિસ્સલામ)એ હિંદુસ્તાનથી પગપાળા ૪૦ હજ્જ કર્યા છે.

                હઝરત આદમ (અલ.) સૌથી પહેલા માણસ છે, અને માણસોમાં સૌથી પહેલા હાજી છે. (કન્ઝુલ ઉમ્માલ હદીષ નંબર ૩૪૭૧૬)

                તફસીર અને હદીષની કિતાબો અને તેની શુરૂહાત (ગાઈડો)થી આ વાત સાબિત થાય છે, કે ખાનએ કઅબહનું સૌથી પહેલું બાંધકામ હઝરત આદમ (અલ.)ના હાથોથી થયું છે. અલ્લાહ તઆલાએ તેમને હુકમ આપ્યો કે, મકકહ મુકર્રમહ જાઓ અને ત્યાં એક મકાન બનાવો, અને જેવી રીતે ફરિશ્તાઓને તવાફ કરતા જુઓ એવી રીતે તે ઘરનો તવાફ કરો.

                તારીખે તબરીમાં છે કે, હઝરત ઈબ્ને ઉમર (રદિ.)એ ફરમાવ્યું કે, અલ્લાહ તઆલાએ હઝરત આદમ (અલ.) ઉપર હિંદુસ્તાનમાં વહી મોકલી કે, ખાનએ કઅબહની હજ્જ કરો એટલે તેઓએ હજ્જ કરી.

                જરા વિચારો તો ખરા કે ”ખાનએ કા’બા” એક મરકઝી ઈમારત છે.”હજરે અસ્વદ” તેની પૂર્વ દિશાએ છે,”મુલ્તઝમ” પણ તેની પૂર્વ દિશાએ છે,બયતુલ્લાહનો દરવાજો પણ તેની પૂર્વ દિશાએ છે,”ઝમઝમ”નો કુવો પણ તેની પૂર્વ દિશાએ છે,”મકામે ઈબ્રાહીમ” પણ તેની પૂર્વ દિશાએ છે, ઈમામ સાહેબનો મુસલ્લો પણ તેની પૂર્વ દિશાએ છે,”સફા– મરવહ” તેની પૂર્વ દિશાએ છે,

                એટલુંજ નહિ, ”મકકહ મુકર્રમહ”થી બહાર નીકળો તો : ”મિના” પણ તેની પૂર્વ દિશાએ છે,”મુઝદલિફહ” પણ તેની પૂર્વ દિશાએ છે,”અરફાત” પણ તેની પૂર્વ દિશાએ છે,અને એક કદમ આગળ વધો તો ”હિંદુસ્તાન” પણ તેની પૂર્વ દિશાએ છે,તો હિંદુસ્તાનીઓની કેટલી ખૂશકિસ્મતી છે કે અરફાત, મુઝદલિફહ, અને મિનાનો જે બાજુ કિબ્લહ છે, હિંદુસ્તાનીઓનો પણ તે જ તરફ કિબ્લહ છે.

                હજ્જ સર્વે અંબિયાએ કિરામ તેમજ અલ્લાહ તઆલાના સર્વે નેક બંદાઓનો શિઆર, પ્રથા અને પ્રણાલિકા છે. હઝરત આદમ (અલયહિસ્સલામ)થી હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સુધી કોઈ પયગમ્બર એવા નથી થયા જેમણે હજ્જ ન કરી હોય.

                હજ્જ ફર્ઝે ઐન છે. ઝિંદગીમાં એક વખત તેવા તમામ લોકો ઉપર ફર્ઝ છે, જેમને અલ્લાહ તઆલાએ એટલો માલ આપ્યો હોય, કે પોતાના વતનથી મકકા શરીફ સુધી જવા–આવવા પર કાદિર હોય,અને પોતાના બાલ બચ્ચાઓનો તથા જેમનો ખર્ચ તેના શિરે હોય તેવા બધા લોકોનો હજ્જમાંથી પરત આવતા સુધીનો ખર્ચ વેથી શકતો હોય,હાં, શરત એ છે કે પોતે તંદુરસ્ત હોય, અને હજ્જ નો સફર કરી શકતો હોય, અને રસ્તામાં અમન હોય,ખતરો ના હોય. જો ઓરત હોય તો તેણી ની સાથે પતિ, અથવા મહરમનુ હોવુ જરૂરી છેં

               જયારે હજ્જ ફર્ઝ થઈ જાય,તો શકય એટલી જલ્દી અદા કરવામાં આવે અને આવતા વર્ષ પર ઠેલવવામાં ન આવે.

                હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :” જે માણસ હજ્જનો ઈરાદો રાખતો હોય તેણે હજ્જ કરવામાં જલ્દી કરવી જોઈએ.” (અબૂદાવૂદ શરીફ )

                હઝરત અબૂ ઉમામહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :

                ” જે માણસને કોઈ જરૂરી હાજત અથવા ઝાલિમ બાદશાહ અથવા સખ્ત બીમારીએ હજ્જથી રોકયો નહિ હોય, તે છતાં તેણે હજ્જ ના કરી અને ઈન્તિકાલ કરી ગયો, તો ચાહે તો યહૂદી થઈને મરે અથવા નસરાની થઈને મરે.” (દારમી)

                અલ્લાહની પનાહ ! કેટલી સખ્ત વઈદ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તે લોકોને, જેમના ઉપર હજ્જ ફર્ઝ થઈ ગઈ છે અને દુન્યવી ગરજ કે સુસ્તીના કારણે, શરઈ ઉજ્‌ર ન હોવા છતાં હજ્જ નથી કરતા, તેમના માટે સૂએ ખાતિમહ (બુરીમોત)ની તંબીહ ફરમાવી રહયા છે અને મનઘડત, શયતાની બહાનાઓને કારણે હજ્જ ન કરનારાઓને યહૂદીઓ,નસરાનીઓ સાથે સરખાવ્યા છે, એટલે જાણે ફર્ઝ હજ્જ ના કરવાના કારણે તેમના જેવા જ થઈ ગયા છે.

اَللّٰھُمَّ احْفَظْنَا منْ سُوْئِ الْخَاتِمَۃِ وَ وَفِّقْنَا لادائِ فَرَائِضِکَ کَمَا تُحِبُّ وَ تَرْضٰی۔

                                (અલ્લાહુમ્મહફઝના મિન સુઇલ ખાતિમતિ વ વફિફકના લિ અદાઇ ફરાઈઝિક કમા તુહિબ્બુ વ તરદા.)

                ” હે અલ્લાહ ! ખરાબ મોતથી અમને સુરક્ષિત રાખો અને આપની આજ્ઞાઓનું એ રીતે પાલન કરવાની તવફીક આપો, જે રીતે આપને સ્વીકાર્ય અને પસંદ હોય.”

                સહીહ વાત આ છે કે જયારે હજની શરતો પૂરી થઈ જાય તો બિલા તાખીર (વિના વિલંબે) હજ્જ ફર્ઝ છે. બીજા વર્ષ ઉપર છોડવું ગુનોહ છે. મર્દ માટે આ વાત નાજાઈઝ છે કે, તે હજ્જ કરવામાં એટલા માટે મોડું કરે કે પોતાની ઓરતને સાથે લઈ જવી છે અને તે માટે માલ ભેગો કરી રહયો છે.

નાજાઈઝ માલથી હજ્જ કરવું હરામ છે, હજ્જ અને ઉમરહ માટે હલાલ અને પાક માલ હોવો જરૂરી છે, એટલા માટે કે અલ્લાહ તઆલા પાક માલની જ ઈબાદત કબૂલ કરે છે, હરામ અથવા શકવાળા માલથી હજ્જ અથવા ઉમરહ જાઈઝ નથી, માટે એવા માલથી હજ્જ અને ઉમરહ કરવામાં ના આવે.

(ઈઝાહુલ મનાસિક પ૦/ ફતાવા રહીમિય્યહ ૩/૧૧૬)

                કોઈનાં મા–બાપ તેની ખિદમતના મુહતાજ હોય અથવા કોઈનું કર્ઝ હોય તો મા–બાપથી, અને જેનું કર્ઝ છે, તેનાથી રજા લઈ લેવી જરૂરી છે. વગર ઈજાઝતે હજ્જ કરવી મકરૂહે તહરીમી છે. હા, જો મા–બાપ ખિદમતના મુહતાજ ના હોય, તો તેમની ઈજાઝત લેવી જરૂરી નથી, પણ સારું આ છે કે તે છતાં ઈજાઝત લઈ લે.

                ઓરત હજ્જ માટે જાય, તો તેણી સાથે તેણીનો ધણી કે કોઈ એવો સંબંધી, જેની સાથે હંમેશના માટે નિકાહ જાઈઝ નથી, જેમકે બાપ, કાકા, ભાઈ, છોકરો, અથવા દૂધ શરીક ભાઈ તથા સસરા વગરેનું હોવું જરૂરી છે. મહરમ વગર સફર કરવું જાઈઝ નથી, જો સફર કરશે તો ગુનેહગાર થશે. ભાઈ અથવા પોતાનો છોકરો હોય તો તેમનું આકિલ બાલિગ હોવું પણ જરૂરી છે, અને જો મહરમ ના હોય, તો એવી હાલતમાં ઓરતે ઈન્તિઝાર કરવો જોઈએ, અને જયારે તેને શરીઅતના હુકમ પ્રમાણે કોઈ સાથી મળી જાય તો પોતે હજ્જ કરે, નહિ તો પછી બીજાથી હજ્જ કરાવે અથવા વસિય્યત કરતી જાય.

                ઈમામ નવવી (રહ.) લખે છે કે જે માણસ હજ્જનો ઈરાદો કરે તેણે હજ્જની રીત સારી રીતે સમજી લેવી ફર્ઝે ઐન છે, એટલા માટે કે જે માણસ ઈબાદતની રીત નથી જાણતો, તેની ઈબાદત સહીહ થશે નહિ. અને સારું આ છે કે કોઈ એવી આધારભૂત, વિશ્વાસપાત્ર અને પ્રમાણિત કિતાબ પોતાની સાથે સફરમાં રાખે, જેમાં મસ્અલાઓ, હુકમો અને હજ્જના મકસદો પૂરતા પ્રમાણમાં લખાયેલા હોય, એને રસ્તામાં પઢે અને પૂરા સફરમાં વારંવાર પઢતો રહે, જેથી મસ્અલાઓ બરાબર યાદ થઈ જાય. જો આવું નહિ કરે તો, અમને દિલમાં ઊંડે ઊંડે એવો ખટકો છે કે તે માણસ (રૂહાની ને પરિપૂર્ણ) હજ્જ વગર જ પાછો આવશે અથવા હજ્જની કોઈ શર્ત અથવા રૂકનમાં ખલલ કરશે.(મનાસિકે નવવી સફા ૩૭)

        હજ્જના સફરમાં એવો સાથી શોધી કાઢો જેનો મિઝાજ તમારા મિઝાજથી મેળ ખાતો હોય, અને જે ભલાઈ ચાહતો હોય, અને બુરાઈથી દૂર રહેવાવાળો હોય, ધીરજવાન અને શાંત સ્વભાવનો હોય, તમે કોઈ વસ્તુ ભૂલી જાઓ તો યાદ અપાવે, અને જો તમો ભૂલ કરો તો તેના ઉપર તમને ટોકતો રહે. કોઈ આલિમ સાથે હોય તો સૌથી બેહતર છે, કારણ કે તે આપને પોતાના ઈલ્મો અમલથી ફાઈદો પહોંચાડશે. (મનાસિકેનવવી સ.૩૮)

        જેઓ હજ્જ ફર્ઝ હોવા છતાં હજ્જ માટે નથી જતા તેઓ તો તંબીહના કાબિલ છે જ, પણ જે લોકો હજ્જના અહકામ શીખ્યા વગર, અને આ મહાન ઈબાદતનાં જરૂરી આદાબ જાણ્યા વગર હજ્જ માટે ચાલ્યા જાય છે, તેઓ પણ તંબીહના કાબિલ છે. કેટલા અફસોસની વાત છે, કે માણસ આટલી મોટી રકમ ખર્ચ કરીને, પોતાના વતન, અહલો અયાલ અને કારોબાર છોડીને જાય, અને મસ્અલાઓથી વાકિફ ના થાય. બધા જ જાણે છે, કે શીખ્યા વગર કોઈ વસ્તુ આવડતી નથી ! પરંતુ આ કેટલી નાદાની છે, કે જે ફર્ઝ ઈબાદત ઝિંદગીમાં મોટેભાગે ફકત એકવાર નસીબ થાય છે, તેને અદા કરવા નિકળ્યા હોય, તેને પણ શીખવાનો, અને દિલમાં અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુહબ્બત વસાવવાનો અને ઈશ્કો મુહબ્બતનાં જઝબાત પૈદા કરવાનો જરા પણ એહતિમામ ના કરે.

        ઘણા અફસોસની વાત છે, કે હજ્જની ભૌતિક (જાહિરી) તૈયારીઓ તો મહિનાઓ પહેલાંથી શરૂ થઈ જાય છે, પરંતુ આ સફરની રૂહાની (આત્મિક) તૈયારી જોઈએ એટલા ઉત્સાહથી થતી નથી. હજ્જ કરવાવાળા ઉપર હજ્જના ટાઈમથી પહેલાં મસાઇલે હજ્જ શીખવા વાજિબ છે.(આજ કાલ હજ્જ માટે હુકૂમતમાં અરજી કરવી પડે છે અને અરજીઓ લેવાની તારીખો વગેરેનું એ’લાન કરવામાં આવે છે, એટલા માટે હજ્જ માટે અરજી આપવી પણ, હજ્જની તૈયારી કરવામાં શામિલ છે, અને અરજી મંજૂર થઈ જાય, એટલે હજ્જની બાકીની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.)

        હજ્જનો ઈરાદો કરવાવાળા/કરવાવાળીએ, સૌથી પહેલાં એ વાત ઉપર પૂરતું ધ્યાન દેવું જરૂરી અને લાઝમી છે, કે હજ્જ એક અઝીમુશ્શાન ઈબાદત છે, અને કોઈ પણ ઈબાદત ઈખ્લાસ વગર મકબૂલ નથી થતી, એટલા માટે ફકત અલ્લાહ તઆલાની ખૂશ્‍નૂદી અને તેના હુકમના પાલન ખાતર જ, હજ્જનો ઈરાદો કરવો જોઈએ.

        એવું કયારેય ન વિચારો કે તફરીહ થશે, નવી નવી જગાઓ જોવા મળશે, સારો સારો સામાન ખરીદીશું, અને એવું પણ દિલમાં ના વિચારો કે મને હાજી કહેવામાં આવશે અને મારી ઈઝઝત વધી જશે.

        સૌ પ્રથમ પોતાનાં બધાં નાના મોટા ગુનાહોથી તૌબા કરો. તૌબાની મુસ્તહબ રીત આ છે, કે પહેલાં ગુસ્‌લ કરો, ગુસ્‌લની હિંમત ના હોય તો વુઝૂ કરો. ત્યાર પછી બે રકા’ત નમાઝ તૌબાની નિય્યતથી પઢો, નમાઝ પછી દુરૂદ શરીફ પઢો, અને ત્યાર પછી તૌબા અને ઈસ્તિગફાર કરો.

Log in or Register to save this content for later.