Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 359 to 360)
સવાલ : હદીસ શરીફમાં છે કે કિયામતમાં હિસાબ-કિતાબ વખતે બંદાના નામએ આ”માલ ચેક કરવામાં આવશે, અગર ફર્ઝ નમાઝમાં કોઈ કમી હશે તો નફલથી પૂરી કરવામાં આવશે. તો સવાલ આ છે કે આ હદીસમાં નફલથી શું મુરાદ છે ?
અમુક લોકોથી એવું સાંભળવા મળ્યું છે કે નફલમાં દરેક પ્રકારનો અમલ શામિલ છે એટલે કે ઝિક્ર, તિલાવત, તસ્બીહ, તહલીલ, નફલ રોઝહ, સદકએ નાફિલહ, રસ્તામાંથી હાનિકારક વસ્તુઓનું હટાવવું વગેરે અન્ય નફલ કામો. તો સહીહ રહબરી કરી શંકા દૂર કરશો, જેથી આખિરતનો ઝખીરહ કરવામાં સહૂલત રહે.
જવાબ : હદીસ શરીફ આ પ્રમાણે છે કે : હઝરત અબૂ હુરૈરહ રદિયલ્લાહુ અન્હુ ફરમાવે છે: મેં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા કે : “કિયામતના દિવસે બંદાના આ”માલમાંથી સૌ પ્રથમ નમાઝનો હિસાબ લેવામાં આવશે, જો નમાઝ દુરુસ્ત હશે તો તે માણસ કામિયાબ અને બામુરાદ હશે અને જો નમાઝ ખરાબ હશે તો તે માણસ મહરૂમ અને ખસારામાં હશે અને જો ફર્ઝમાં કોઈ કમી હશે તો રબ તબારક વ તઆલા ફરિશ્તાઓથી ફરમાવશે કે : જુઓ તો, મારા બંદા પાસે કોઈ નફલ છે અને તે નફલથી ફર્ઝ નમાઝની કમી પૂરી કરવામાં આવશે, પછી આ જ પ્રમાણે (નમાઝ સિવાય) બીજા ફર્ઝ અમલોનો પણ હિસાબ થશે.” [“તિર્મિઝી શરીફ” : ૧ / ૯૪]
આ હદીસ શરીફ અને આ બાબતને લગતી અન્ય હદીસોના મૂળ શબ્દોથી એમ માલૂમ પડે છે કે : નફલ નમાઝથી ફર્ઝ નમાઝની કમી અને નફલ સદકહથી ફર્ઝ ઝકાતની કમી અને નફલ હજથી ફર્ઝ હજની કમી પૂરી કરવામાં આવશે. મતલબ કે જે તે પ્રકારની ફર્ઝ ઇબાદતની કમી તે જ પ્રકારની નફલ ઇબાદતથી પૂરી કરવામાં આવશે. અન્ય પ્રકારની નફલ ઇબાદતથી કમી પૂરી કરવાનું હકારાત્મક કે નકારાત્મક વર્ણન હદીસ શરીફમાં નથી. [“શામી” : ૧/૪પર, “બઝ. મજ્હૂદ” : પ/૧૩૬, “મિરકાત” : ૩/ર૧૮] Log in or Register to save this content for later.