[૪૮] હઝરત રસૂલુલ્લાહ (સલ.)એ વફાત નજીક કાગળ-કલમ માંગ્યા અને હઝરત ઉમર (રદિ.)એ ન આપવા દીધા, તેનું કારણ

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 138 to 144)

સવાલ  : જ્યારે આપણા સરદાર હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ દુનિયાથી વિદાય લેતી વખતે કોઈ લખાણ અર્પણ કરવા માટે કલમ અને કાગળ લાવી આપવા ફરમાવ્યું હતું તો હઝરત ઉમર (રદિ.)એ કાગળ અને કલમ ન આપવા દીધા તેનું કારણ શું હતું ?

જવાબ  : સૌ પ્રથમ એક બુનિયાદી હકીકત સમજી લેવી જોઈએ કે હઝરત ઉમર ફારૂક (રદિ.) તે જલીલુલ કદ્ર સહાબએ કિરામની આગલી હરોળમાં હતા કે જેઓ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ફરમાનોનો સહીહ મતલબ સમજવામાં ખૂબ જ નિપૂણ હતા. માટે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાની છેલ્લી બીમારીમાં જયારે આ હુકમ ફરમાવ્યો કે,

                “(ઊંટ અથવા બકરીના) ખડપાનું હાડકું મારી પાસે લઈ આવો,

                તા કે હું તમોને એક એવું લખાણ લખી આપું કે તે પછી

                 તમો કદી ગુમરાહ નહિ થાઓ.”

                તો હઝરત ઉમર (રદિ.)એ કહ્યું કે,

                “આપ (સલ્લલ્લાહુ  અલયહિ  વ  સલ્લમ) પર  બીમારીનું  દર્દ ગાલિબ છે અને તમારી દીની રેહબરી માટે કિતાબુલ્લાહ પૂરતી  છે.”

                તે વખતે ઘરમાં જે સહાબએ કિરામ અને રિશ્તેદારો હતા તેઓમાં મતભેદ થયો અને તેઓ બહસ કરવા લાગ્યા. અમુક લોકો કહેવા લાગ્યા કે,

                લખાણના સાઘનો કલમ-કાગળ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં હાજર કરો, તા કે આપ જે વાત લખવા ચાહે છે તે લખી આપે અને બીજા અમુક લોકોએ હઝરત ઉમર (રદિ.)ના મંતવ્યને સમર્થન આપ્યું.

                જ્યારે બહસ કરતાં લોકોનો ઘોંઘાટ અને વિવાદ વધી ગયો તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે તમો લોકો મારી પાસેથી હટી જાઓ.

                હઝરત ઉમર (રદિ.) અને આ બનાવમાં તેઓના હમખયાલ (સહમત) સહાબા (રદિ.)નું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કાગળ-કલમ આપવાથી મના કરવાનું કારણ એ હતું કે તેઓ પોતાની ઈમાની ફિરાસત (પારદશર્િતા)ના આધારે એમ સમજયા હતા કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો આ હુકમ વાજિબ અને લાઝિમ પ્રકારનો નથી અને આપ કોઈ જરૂરી હુકમ લખવા નથી ચાહતા, બલકે મુસ્લિમોના હિતને લગતી કોઈ સલાહ-મશ્વરારૂપી વાત લખી આપવા ચાહે છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને બીમારીની તકલીફ એટલી વધુ છે કે એવી હાલતમાં આપને આવી બિનજરૂરી વાત લખવાની તકલીફ ન આપવી જોઈએ.

                હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતે પણ લોકોનો શોરબકોર સાંભળીને કોઈ લખાણ લખવાનો ઇરાદો પડતો મૂકયો હતો અને ફરમાવ્યું હતું કે,

                “મારી પાસેથી હટી જાઓ.”

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જે વાત લખવા ચાહતા હતા, જો તે વાત જરૂરી અને શરીઅતના હુકમરૂપી હોત તો ન સહાબએ કિરામ કાગળ-કલમ આપવાથી મના ફરમાવતે અને ન હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેઓના મના કરવાથી લખવાનું અને જાહેર કરવાનું પડતું મૂકતે. કારણકે રસૂલુલ્લાહ તરીકે ખુદા તઆલાના હુકમો પહોંચાડવાની તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની જવાબદારી હતી. માટે આપ આ જવાબદારી જરૂર બજાવત અને હઝરત ઉમર (રદિ.) તરફથી કાગળ-કલમ આપવાના ઈન્કારને નકારી કાઢત. જેમ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કટ્ટર દુશ્મનોની મુખાલફત છતાં જિંદગીભર એક પણ હુકમને બયાન કરવાનું ચૂકયા નથી.

                વળી હદીસમાં આ વર્ણન પણ છે કે અમુક સહાબા (રદિ.)એ તે જ વખતે કહ્યું કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ વાત કંઈ બીમારીની બેહોશીમાં (બેભાન અવસ્થામાં) તો નથી ફરમાવતા, માટે આપનાથી પૂછો (કે આપનો લખાણસામગ્રી માંગવાથી શું હેતુ છે) તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

                “મને (આ વિવાદ અને શોરબકોરથી) મુક્તિ આપો, હું જે હાલત માં છું તે હાલત તમો જે વિવાદ માટે મને બોલાવો છો  તેનાથી બેહતર છે.”

                તે પછી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હાજર સહાબએ કિરામને ત્રણ વાતોનો હુકમ આપ્યો કે,

(૧)     મુશરિકીનને અરબ ટાપુની બહાર કાઢી મૂકજો.

( ર )   એલચીઓને જે પ્રમાણે હું ઈનામ અને ભેટ આપતો હતો તે જ પ્રમાણે તમો પણ આપતા રહેજો.

(૩)     ત્રીજી વાત વિશે હદીસના રાવી (નકલ કર્તા) સુલેમાન બિન અબૂ  મુસ્લિમ અલ્ અહ્વવલ કહે છે કે,

                “કાં તો ઈબ્ને અબ્બાસ (રદિ.)એ તે ત્રીજી વાત બયાન નથી કરી અથવા તેઓએ તો બયાન કરી હોય પણ મને યાદ ન રહી હોય.”

               હદીસના તહકીકકાર (સંશોધક) આલિમો લખે છે કે,

                ત્રીજી વાત એ હતી કે હઝરત ઉસામહ (રદિ.)ના લશ્કર માટે સામાન તૈયાર કરવામાં આવે અથવા ત્રીજી વાત એ હતી કે મારી કબ્રને એવી મૂર્તિ સમાન ન બનાવશો કે જેની પૂજા કરવામાં આવે.

               હદીસ શરીફથી આ હકીકત પણ સાબિત છે કે મજકૂર ઘટના જુમેરાતના દિવસે બની હતી અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત તે પછી પાંચમાં દિવસે એટલે કે સોમવારના દિવસે થઈ હતી. જાહેર છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જે વાત લખવા ચાહતા હતા જો તે કોઈ જરૂરી વાત હોત તો મજકૂર ત્રણ વાતો સાથે તે પણ બયાન ફરમાવી આપત અથવા તે પછી પાંચ દિવસના ગાળામાં ગમે ત્યારે લખાવી આપત અથવા મૌખિક ફરમાવી આપત. (“મિરકાત” ૧૧ / ર૪૪, “અસહ્હુસ્ સિયર” પાનું પરપ)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના લખાણસામગ્રી માંગવા ઉપર હઝરત ઉમર (રદિ.)એ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સખત તકલીફનું વર્ણન કરી લખાણની તકલીફ ન આપવાની સલાહ આ બનાવમાં એ જ પ્રમાણે ઇખ્લાસ અને ખેરખ્વાહી ઉપર આધારિત હતી જે પ્રમાણે આથી  પહેલાં એક બીજા પ્રસંગમાં પણ તેઓએ નબવી તરબિયત અને સોહબતના ફલસ્વરૂપ આવી જ એક ઇખ્લાસ અને ખેરખ્વાહી ભરી સલાહ આપી હતી અને તે સલાહને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ માન્ય રાખી હતી. જેની વિગત આ પ્રમાણે છે કે એક વખતે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અબુ હુરૈરહ (રદિ.)ને પોતાના નઅલ (ચપ્પલ) મુબારક આપીને ફરમાવ્યું કે,

                “મારી આ નઅલૈન લઈને જાઓ અને આ બાગથી બહાર તમોને  જે માણસ “લા ઇલાહ ઇલ્લલ્લાહ”ની ગવાહી દિલના યકીન સાથે આપનાર મળે તેને જન્‍નતની ખૂશખબરી સંભળાવી આપો.”

                હઝરત અબુ હુરૈરહ (રદિ.)ને સૌથી પહેલાં હઝરત ઉમર (રદિ.)ની મુલાકાત થઈ તેઓથી ઉપર પ્રમાણે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી ખૂશખબરી સંભળાવવા વિશે વાતચીત થઈ, તો હઝરત ઉમર (રદિ.)એ તેઓને ધકકો મારીને ભારપૂર્વક કહ્યું કે તમો પાછા ફરો, પછી બંને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં હાજર થયા અને બંને વચ્ચે બનેલા બનાવની રજૂઆત પછી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત ઉમર (રદિ.)થી ફરમાવ્યું કે,

                “તમોએ આવું (હઝરત અબુ હુરૈરહ રદિ.ને ધકકો દઈ પાછા મોકલવાનું) કામ શા માટે કયુઁ ?”

                તો હઝરત ઉમરે ગુઝારિશ કરી કે,

                “આપ આ હુકમ જતો કરો. કારણકે મને એ વાતનો ડર છે કે લોકો આ ખૂશખબરીથી માત્ર આ “કલિમહ” ઉપર ભરોસો કરી બેસી  રહેશે અને અમલો નહિ કરે માટે તેઓને અમલ કરતા રહેવા દો.”

                તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત ઉમર (રદિ.)ની સલાહ સ્વીકારતાં જવાબ આપ્યો કે,

                “અચ્છા તો (આ બશારત ન આપો) અને તેઓને અમલ કરતા રહેવા દો.”

                જે પ્રમાણે આ ઘટનામાં હઝરત ઉમર (રદિ.) આ વાત સમજી ગયા હતા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી બશારત આપવાનો હુકમ વાજિબ અને લાજિમ પ્રકારનો નથી, બલ્કે માત્ર ઈમાનવાળાઓને ખૂશ કરવાની મિસ્લહતથી છે એ જ પ્રમાણે મરઝુલ વફાત (છેલ્લી બીમારી)માં લેખન સામગ્રી હાજર કરવાના હુકમને પણ તેઓ સમજી ગયા હતા કે આ કોઈ લાઝમી અને વુજૂબી હુકમ નથી, બલ્કે ઉમ્મતની મસલિહત અને તેના પ્રતિ શફકતરૂપ એક હુકમ છે, જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની આવી દુ:ખદ હાલતનો ખ્યાલ કરવો જોઈએ અને જેમ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તે ઘટનામાં હઝરત ઉમર (રદિ.)ની ગુઝારિશને માન આપી બશારત આપવાનો ઈરાદો મુલ્તવી ફરમાવ્યો હતો તેમ આ બનાવમાં પણ લખાણનો ઈરાદો મુલ્તવી ફરમાવ્યો હતો. (“અશિઅ્અતુલ્ લમ્આત” ૧ / ૬૬, ૪ / ૬૦૯ )

                અને આ એક સીરત અને ઇસ્લામી ઇતિહાસ આધારિત હકીકત છે કે ખુલફાએ રાશિદીન જેવા હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નિકટના સહાબએ કિરામને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સોબત અને તરબિયતની બરકતથી આપના ઈરશાદો અને ફરમાનોથી એક ખાસ લગાવ અને સમજ પ્રાપ્ત થઈ ચૂકી હતી અને આ ખાસ લગાવ અને સમજ  દ્વારા તેઓ એ વાત સરળતાથી સમજી શકતા હતા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો કયો હુકમ લાઝિમ અને વાજિબ પ્રકારનો છે અને કયો હુકમ ખેરખ્વાહી અને શફકત પ્રકારનો છે. માટે હઝરત ઉમર (રદિયલ્લાહુ અન્હુ)ની જેમ બીજા પણ અમુક સહાબએ કિરામથી આવી ઘટનાઓ સાબિત છે.

                એક વેળા બનૂ અમ્ર બિન ર્થાફના ખાનદાનમાં કોઈ વાત ઉપર ઝઘડો થયો હતો તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સુલહ કરાવવા માટે તશરીફ લઈ ગયા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ત્યાં મોડું થયું અને અસરની નમાઝનો વખત થઈ ગયો તો હઝરત બિલાલ (રદિયલ્લાહુ અન્હુ)એ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની રાહ જોઈને હઝરત અબૂબક્ર (રદિ.)ને ઇમામત કરાવવા કહ્યું. હઝરત અબૂબક્રે નમાઝ પઢાવવાનું શરૂ કયુઁ અને થોડીવારમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અસરની જમાઅતમાં તશરીફ લઈ આવ્યા. હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ)ને આપના આવવાની ખબર પડી અને પાછળ જોયું તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે) ઇશારો ફરમાવ્યો કે તેઓ નમાઝ પઢાવવાનું ચાલુ રાખે, પરંતુ હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ) આપના મજકૂર ઈશારા છતાં ઉલ્ટા પગે પાછળ હટીને સફમાં ઉભા થઈ ગયા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આગળ વધીને લોકોને નમાઝ પઢાવી. નમાઝ પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ હઝરત અબૂબક્ર્રથી ફરમાવ્યું કે,

                “જયારે મેં તમોને નમાઝ પઢાવવાનું ચાલુ રાખવાનો ઇશારો કર્યો હતો તો તમો લોકોને નમાઝ પઢાવવાથી શા માટે રોકાઈ ગયા હતા ?”

                અબૂબક્ર (રદિ.)એ જવાબ આપ્યો કે,

                “અબૂ કુહાફહના દીકરા માટે યોગ્ય ન હતું કે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની રૂબરૂ લોકોની ઇમામત કરાવે.” (“બુખારી”, “મૂસ્લિમ”)

                જુઓ આ ઘટનામાં પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફથી હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ)ને નમાઝ ચાલુ રાખવાનો હુકમ છતાં તેઓ પાછળ હટી ગયા એનું કારણ એ જ હતું કે અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ) સમજતા હતા કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ હુકમ વાજિબ અને લાઝિમ પ્રકારનો નથી, બલ્કે મારી હિંમત અને માન વધારવા માટે છે.

                સુલ્હે હુદૈબિય્યહ વખતે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મકકહના કાફિરો વચ્ચે સુલહનામુ લખવામાં આવ્યું તો એક પક્ષા તરીકે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું નામ અને તેની સાથે રસૂલુલ્લાહનો શબ્દ લખવામાં આવ્યો. આ શબ્દ સુલહનામામાં લખવા ઉપર કાફિરોએ વાંધો ઉઠાવ્યો તો હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)ને રસૂલુલ્લાહ શબ્દ સુલહનામામાંથી મિટાવી દેવા હુકમ આપ્યો, પરંતુ હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ) એ પોતાના હાથથી આ પવિત્ર શબ્દ મિટાવવાને ઉચિત ન સમજયું અને તેઓએ આ શબ્દ ન મિટાવ્યો. અહીયા પણ કારણ એ જ હતું કે તેઓ સમજતા હતા કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ હુકમ મારા માટે રસૂલુલ્લાહ શબ્દની અઝમત જોતાં વાજિબ અને લાઝિમ પ્રકારનો નથી.

(“ફત્હુલ્ મુલ્હિમ” ૧ / ૪૦૮)

                ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.