Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 149 to 154)
સવાલ : અમારે ત્યાં એક ઓરત કુર્આન મજીદની તિલાવત કરી ટી.વી. ઉપર મહાભારત સિરિયલનો સમય થતાં તે જોવા ગઈ ત્યાં જ તેને પ્રસૂતિ થઈ અને બાળકનો જન્મ થયો; પરંતુ તે બાળક શકલ-સૂરતમાં ડરામણું લાગતું હતું, ઘરવાળાઓ ચિંતામાં મૂકાઈ ગયા અને બાળકને મારવાનું શરૂ કયુઁ, પડોશીઓ તે ઘરવાળાઓને બૂરું ભલું કહેવા લાગ્યા. એટલામાં તે બાળક બોલ્યું કે,
“તમો બે રકાત નફલ નમાઝ પઢીને કુર્આન મજીદની તિલાવત કરો.”
આટલું કહી તે બાળક મરણ પામ્યું. ત્યાર બાદ ઘરવાળાઓએ બે રકાત નમાઝ પઢી કુર્આનની તિલાવત કરી તો કુર્આનમાંથી વાળ નીકળ્યા. હવે કોઈ કહે છે કે આ દાઢીના વાળ છે અને કોઈ કહે છે કે આ પાંપણના વાળ છે. વળી, કોઈ કહે છે કે આ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની દાઢીના વાળ છે. આ ચર્ચાએ એટલું જોર પકડયું કે આ લાકામાં આ ચર્ચા ઠેર ઠેર થવા લાગી છે. ઘણા માણસો આ રીતે બે રકાત નમાઝ પઢી કુર્આન મજીદની તિલાવત કરી બાલ મુબારક કાઢે છે. એક બે કિસ્સા અમારા ગામમાંથી પણ સાંભળવા મળ્યા. નમાઝી ભાઈઓએ આ પ્રમાણે કયુઁ તો કંઈ નીકળ્યું નહિ.
તો શું આવી વાતો સાચી માની શકાય ખરી ? અને આવું થતું હશે ખરું ? બૂઝૂગૌંથી સાંભળ્યું કે આવી અફવાઓ ૧૯પર-પ૪ની સાલમાં ફેલાઈ હતી; પરંતુ તે વાત તાત્કાલિક દબાઈ ગઈ હતી તો આ વિશે કુર્આન-હદીસથી ખુલાસો અને સમજ આપશો.
જવાબ : નવ જન્મેલ બાળકની શકલ-સૂરતનું ડરામણું હોવું અને તેનું પેદા થતાં જ બોલવું એ શકય છે; પરંતુ તહકીક (તપાસ) કરતાં આવી ઘટનાઓ મોટા ભાગે બેબુનિયાદ-પાયાહીન અને માત્ર અફવાઓ જ સાબિત થાય છે.
રહી વાત બે રકાત નમાઝ પઢીને અને તિલાવત કરીને કુર્આન મજીદમાં વાળ ઢુંઢવાની અને મળવાની અને તે વાળને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના બાલ મુબારક માનવાની તો એ વિશે પ્રથમ એક બુનિયાદી હકીકત સમજી લેવી જાઈએ કે જે કોઈ વાત કે કામ અથવા ચીજ વસ્તુની નિસ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝાતે અકદસ તરફ કરવામાં આવે મુહદ્દિસીન હઝરાતની વ્યાખ્યાની દ્રિષ્ટએ તેને હદીસ કહેવામાં આવે છે. માટે આવી કોઈ વાત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝાતે આલી તરફ નિસ્બત કરીને બયાન કરવી એ એક પ્રકારની હદીસ બયાન કરવા સમાન છે અને કોઈ હદીસના સહીહ અને માન્ય હોવા માટે વિશ્વાસપાત્ર સનદનું હોવું જરૂરી છે.
જે વસ્તુ ખરેખર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ન હોય એવી બેસનદ વસ્તુની નિસબત આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ કરવી ઘણો મોટો ગુનાહ છે અને તેવી ગલત અને મનઘડત વસ્તુને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની માનવી અને તેને બરકતરૂપ સમજવી સખત ગુમરાહી અને હરામ છે.
એક હદીસમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે,
“જેણે જાણી બુઝીને મારા વિશે કોઈ જૂઠી વાત ઘડી કાઢી તો તે પોતાનું ઠેકાણું જહન્નમની આગમાં બનાવી લે”
(“બુખારી”, “મુસ્લિમ શરીફ”)
બીજી હદીસમાં છે કે,
“જેણે મારી તરફ નિસબત કરીને કોઈ એવી વાત બયાન કરી જેની બાબત તે જાણે છે કે એ વાત જૂઠ છે તો તેવી વાત નકલ કરનાર પણ જૂઠાઓ પૈકી એક જૂઠો છે.” (“મુસ્લિમ શરીફ”)
જાહેર વાત છે કે કુર્આન મજીદમાં મળતા વાળ વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના વાળ હોવાની કોઈ સનદ અને કોઈ જ આધાર નથી અને કુર્આનમાં વાળોનું મળી આવવું કોઈ જ આશ્ચર્યની વાત નથી. એવા બિન સનદી અને આધારહીન વાળોની ખરી હકીકત તો આ પ્રમાણે છે. જેમકે :-
હઝરત મૌલાના મુફતી સિય્યદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહબ (દા.બ.) લખે છે કે,
“માથાના, ભવાંના, મૂછોના, દાઢી અને શરીરના હઝારો લાખો વાળોમાંથી ખબર નહિ રોજ કેટલા વાળ ખરે, તૂટે છે, મૂંડાવવા અને કતરાવવામાં આવે છે, તે હવામાં ઊડીને આમતેમ ઘૂસી જાય છે. કુર્આન શરીફો જે વર્ષોથી પઢાય છે અને કલાકો ખુલ્લા રહે છે, ઘરમાં પડેલા વાળ હવાથી ઊડીને અને પઢવાવાળાઓના માથા (દાઢી)ના વાળ ખંજવાળવાથી તૂટીને તેમાં પડે છે અને વર્ષો સુધી પાનાઓની થપ્પીમાં દબાયેલા રહે છે માટે જો ઢુંઢવા પછી કોઈ બાલ (અમુક
કુર્આનોમાંથી) મળી જાય તો એમાં આશ્ચર્યની શું વાત છે બલ્કે વપરાશમાં આવેલા કુર્આનોમાંથી વાળ ન નીકળવા
આશ્ચર્યજનક છે.” (“ફતાવા રહીમિય્યહ” ઉર્દૂ ભા. ૧)
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના બાલ મુબારક આપના પવિત્ર શરીરથી અલગ હાલતમાં કોઈ જગ્યાએ કોઈ વ્યિકત પાસે હોવા બાબત સહીહ હદીસોથી આ હકીકત સાબિત છે કે હઝરત ઉમ્મે સલમહ (રદિ.) પાસે અમુક બાલ મુબારક હતા જેને તેઓ ચાંદીની નળીમાં અદબથી રાખતા હતા અને લોકો બીમારોને તે બાલોનું ધોવણ-શીફા-બરકતના હેતુથી પીવાડતા હતા.
વળી હજ્જતુલ વિદાઅ પ્રસંગે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિનામાં કુરબાનીઓથી ફારિગ થઈને હલ્લાક (હજામ)ને બોલાવી માથું મુબારક મૂંડાવ્યું હતું અને પોતાના મૂંડાવેલા વાળ હઝરત અબૂ તલહા અનસારી (રદિ.)ને અતા ફરમાવીને સહાબએ કિરામમાં વહેંચી આપવા ફરમાવ્યું હતું.
માટે જો આજે પણ કોઈ જગ્યાએ કોઈ વ્યિકત પાસે સહીહ સનદથી અને આધારભૂત રીતે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બાલ મુબારક હોવું સાબિત થાય અને માલૂમ પડે તો તેવા બાલ મુબારકને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના બાલ મુબારક માનવા જોઈએ અને કોઈ તારીખ, વાર નકકી કર્યા અને સમજયા વગર અને મેળા સમારંભની સામુહિક શકલ બનાવ્યા વગર વ્યિકતગત રીતે તેવા વિશ્વાસપાત્ર સનદી બાલ મુબારકની ઝિયારત કરવી અને તેનાથી બરકત હાસિલ કરવી વિના સંકોચે જાઈઝ અને સવાબ પાત્ર છે.(“અશરફુલ જવાબ”ભાગ:ર)
ઉકત હદીસોથી એ હકીકત પણ છતી થાય છે કે આવા વિશ્વાસપાત્ર સનદી બાલ મુબારક અમુક ઠેકાણે અને કમપ્રાપ્ય જ હોય શકે છે અને આટલી સદીઓ વીત્યા પછી સહીહ સનદ સાથે ખરેખર બાલ મુબારકનું ઠેર ઠેર અને ઘરે ઘર પ્રાપ્ત થવું મુશ્કેલ છે એટલે જ ફુકહાએ કિરામ લખે છે કે,
“જો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુલ્યવાન બાલ મુબારક પ્રાપ્ત થવા બદલ ભારે ભેટ આપવી પડે તો તેવી ભેટ આપીને પણ બાલ મુબારક પ્રાપ્ત કરવા જાઈઝ છે.” (“શામી” ૪ / ૧૦પ )
બાકી કુર્આન મજીદ, હદીસ શરીફ, ફુકહાએ કિરામ અને અવલિયાએ ઈઝામથી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના યુગ પછી બાલ મુબારક પ્રાપ્ત કરવા માટે સહીહ સનદ સિવાય અન્ય એવી કોઈ વસ્તુ સાબિત નથી કે બે રકાત નમાઝ અને તિલાવત કરી કુર્આન મજીદમાં તલાશ કરવામાં આવે. કુર્આન મજીદ ખુદ જ દુનિયામાં સૌથી બરકતવાળી અને અતિ મજબૂત સનદવાળી કિતાબ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ પવિત્ર કિતાબ દ્વારા જે અતિ બરકતવંતા ઈલાહી આદેશો ઉમ્મતને પહોંચાડયા છે તે આદેશો કુર્આનથી પ્રાપ્ત કરવા અને તે મુજબના અકીદાઓ અને આમાલવાળી ઝિંદગી ગુજારવી એ આ મુકદ્દસ કિતાબનો મુખ્ય હેતુ છે આ મુખ્ય હેતુથી હટીને માત્ર આવી બેસનદ, મનઘડત અને જહાલત ભરી પ્રવૃત્તિને પોતાનો વિષય બનાવવો એ એક મહાન શૈતાની ધોકો છે અને કુર્આન મજીદની બેકદરી અને દુનિયા આખિરતની બરબાદી છે.
Log in or Register to save this content for later.