Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 207 to 209)
સવાલ : આજકાલ ઘણાં લોકો અલ્લાહ તઆલાના નેક બંદાઓના મઝારો ઉપર જઈ મન્નતો માને છે અને પોતાના કામની સફળતા-નિષ્ફળતા માલૂમ કરવા માટે નારિયેળની છાલ કાઢીને મઝાર ઉપર મૂકે છે અને કહે છે કે, જો મારા કામમાં સફળતા મળવાની હશે તો નારિયેળ ફૂટીને બે ટુકડા થઈ જશે અને જો સફળતા નહિ મળવાની હોય તો નારિયેળ નહિ ફૂટે તો આવી માન્યતા રાખવી ખરી છે કે ખોટી છે ?
જવાબ : બૂઝૂગૌંના મઝારો ઉપર જઈ બુઝુર્ગાને દીન અને અવલિયાઉલ્લાહના નામની મન્નતો માનવી એ નાજાઈઝ અને હરામ છે. દુર્રે મુખ્તાર, શામી-ભાગ ર વગેરે અનેક કિતાબોમાં આ વાત સાફ શબ્દોમાં લખવામાં આવી છે.
પોતાના કામની સફળતા-નિષ્ફળતા માલૂમ કરવા માટે મઝારો ઉપર નારિયેળ મૂકવું અને તેના ફૂટવા ન ફૂટવાને પોતાના કામમાં સફળતા મળવા ન મળવાની નિશાની અને દલીલ સમજવું એ તદ્દન શરીઅત વિરુદ્ઘ, નરી ગુમરાહી અને ઇસ્લામપુર્વે કાફિરો અને મુશરિકોની ગલત પ્રથા સમાન છે.
ઇસ્લામપુર્વે જહાલત અને ગુમરાહીના યુગમાં કઅબહ મુઅઝઝમહના ખાદિમ અને મુજાવર પાસે એક થેલીમાં સાત તીરો રહેતા હતા. જેમાંથી એક તીર ઉપર હા, અને બીજા ઉપર ના, લખેલું હતું અને બાકીના ચાર ઉપર પણ વિવિધ શબ્દો લખેલા હતા એક તીર ખાલી રહેતું હતું.
તે સમયના અભણ અને ગુમરાહ લોકો કોઈ કામ કરવા ઈચ્છતા તો તેની સફળતા અને નિષ્ફળતા માલૂમ કરવા માટે સો દિરહમ નજરાણું લઈને બૈતુલ્લાહના ખાદિમ પાસે આવતા અને હુબલ નામી કુરૈશના સૌથી મહાન બુત પાસે પોતાના ભવિષ્યના કામની ઈચ્છા દર્શાવતા પછી ખાદિમ થેલીમાંથી તીર કાઢતો. જો હા લખેલું તીર નીકળતું તો પોતાના કામમાં સફળતા માનીને તે કામ કરી લેતા અને જો ના લખેલું તીર નીકળતું તો પોતાના કામમાં નિષ્ફળતા માનીને એક વર્ષ સુધી તે કામ મુલતવી રાખતા.
કુર્આને કરીમમાં,
وَأَنْ تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ(سورۃ المائدہ:آیت 3)
અર્થ : અને તમે જુગારના તીરોથી વહેંચણી કરો તે હરામ છે.
ફરમાવી આ શિર્કિય્યહ પ્રથાને હરામ ઠરાવી દીધી.
આ આયતે કરીમાના આધારે ઉલમાએ કિરામે અદ્રશ્ય અને ભવિષ્યની વાતો જાણવાના જેટલા ગલત તરીકાઓ પ્રચલિત છે જેમ કે જોષ જોવો, હાથની લીટીઓ (હસ્તરેખા) જોવી, ફાલ જોવો આ બધા તરીકાઓને તીરો વડે ભવિષ્ય ભાખવાના હુકમ મુજબ હરામ ઠરાવ્યા છે. (“તફસીરે મઝહરી” ૩ / ર૩)
આવી જ રીતે અમુક પક્ષીઓ અને પ્રાણીઓના કોઈ ચોકકસ દિશા તરફ ઉડવા અને નાસવા ઉપરથી પણ પોતાના કામો અને હેતુઓના ભવિષ્ય ભાખવાનો રિવાજ પ્રચલિત હતો. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આવી ગલત રસમને ખોટી અને શિર્ક આધારિત ઠરાવી તેનાથી મનાઈ ફરમાવી છે. (“મિરકાત”)
મજકૂર નારિયેળની હરામ રસમ પણ તે જ પ્રકારની ગુમરાહીભરી હરામ રસમ છે-કુર્આન,હદીસ,મુજતહિદ ઈમામો (રહ.) અને અવલિયાઉલ્લાહથી આવી કોઈ સાબિતી નથી. બલ્કે ઉપરની વિગત મુજબ સખત શબ્દોમાં તેની મનાઈ સાબિત છે.
Log in or Register to save this content for later.