[૮પ] અહલે સુન્‍નત વલ જમાઅત શબ્દનો ઉપયોગ અને તેનો મતલબ

Chapter : ફિર્કા

(Page : 210 to 215)

સવાલ  :  મુસ્લિમોમાં અનેક ફિર્કોઓ છે, ઘણાં લોકો પોતાને અહલે સુન્‍નત વલ જમાઅત કહે છે. જો કે ખરી રીતે જેઓ સુન્‍નતની પાબંદી વધુ કરતા હોય, નાની-મોટી દરેક સુન્‍નતની અદાયગીનો ખ્યાલ રાખતા હોય, તેઓને જ ખરેખર અહલે સુન્‍નત વલ જમાઅત કહી શકાય. જો ઇન્સાફની નજરથી જોઈએ તો તબ્લીગી કામ કરતા ઉચ્ચ આલિમો અને દેવબંદી મકતબે ફિક્રના મોટા મોટા દારુલ ઉલૂમોમાં કામ કરતા નેક દિલ આલિમો જ સુન્‍નતોની વધુ પાબંદી કરતા દેખાય છે. જેથી ખરેખર અહલે સુન્‍નત વલ જમાઅત કહેવડાવવાનો હક તો તેઓને જ છે. બીજા દાવેદારો બરાબર નથી. એ યકીની બાબત છે.

                “દારુલ ઉલૂમ” માસિક હું નિયમિત વાંચું છું. ઘણું સારું અને માહિતી સભર ઇલ્મી માસિક છે. છપાઈ, કાગળ બધું સુંદર છે, તેના મુખપૃષ્ઠ પર અહલે સુન્‍નત વલ જમાઅતનું તરજુમાન લખવામાં આવે છે, તો સવાલ આ છે કે,

                “અહલે સુન્‍નત વલ જમાઅત”નો શબ્દ કયારથી વપરાશમાં આવ્યો અને કયારથી પ્રચલિત થયો ?

                શું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સમયમાં આ શબ્દ પ્રચલિત હતો ?

                અને અહલે સુન્‍નત વલ જમાઅતનો શું મતલબ છે ?

જવાબ  : અમુક હદીસોથી માલૂમ પડે છે કે, “અહલે સુન્‍નત વલ જમાઅત” શબ્દનો ઉપયોગ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સમયથી જ સાબિત છે. અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.)એ આ શબ્દનો ઉપયોગ ફરમાવ્યો છે.

                હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી નકલ કરે છે કે,

                આપે ફરમાવ્યું કે,

                “જે સુન્‍નત અને જમાઅતનો પાબંદ હશે, અલ્લાહ તઆલા તેની    દુઆ કબૂલ ફરમાવશે અને તેના દરેક કદમના બદલામાં દસ    નેકીઓ લખવામાં આવશે અને તેના દસ દરજા બુલંદ કરવામાં આવશે.”

                કોઈ સહાબીએ આ ઇર્શાદ સાંભળી પૂછયું કે,

                “યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કોઈ માણસ એ               વાત કયારે જાણી શકે કે તે અહલે સુન્‍નત વલ જમાઅતમાંથી છે ?”

                તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે,

                “જયારે માણસને પોતાની જાતમાં દસ વાતો પ્રાપ્ત થાય તો તે સુન્‍નત અને જમાઅતનો પાબંદ ગણાશે :

                (૧)     પાંચ નમાઝો જમાઅત સાથે પઢે.

                (ર)     સહાબએ કિરામ (રદિ.)માંથી કોઈ પણ સહાબીનું બુરાઈ સાથે વર્ણન ન કરે અને તેઓનું અપમાન ન કરે.

                (૩)     બાદશાહના વિરુદ્ઘ તલવાર લઈને બગાવત (વિદ્રોહ) ન કરે.

                (૪)     અને તેના ઈમાન વિશે શંકા ન કરે.

                (પ)    દરેક ભલી-બૂરી તકદીર અલ્લાહ તઆલા તરફથી હોવાનું              ઈમાન રાખે.

                (૬)     અલ્લાહ તઆલાના દીન બાબત ઝઘડો ઊભો ન કરે.

                (૭)     અહલે તવહીદમાંથી કોઈને ગુનાહના કારણે કાફિર ન કહે.

                (૮)     અહલે કિબ્લામાંથી મૃત્યુ પામનાર વ્યિકત ઉપર નમાઝે   જનાઝહ પઢવાનું ન છોડે.

                (૯)     સફર અને હઝરમાં મોઝાઓ પર મસહ કરવાને જાઈઝ    સમજે.

       (૧૦)       નેક અને ફાસિક દરેક ઇમામ પાછળ નમાઝ પઢે.” (“અલ્ બહરુર્રાઈક” ૮ / ૧૮ર)

                બીજી એક હદીસમાં હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખબર આપે છે કે,

                “મારી ઉમ્મત ૭૩ ફિર્કાઓમાં વિભાજિત થઈ જશે, જેમાંથી એક

                ફિર્કો નજાત પામનાર હશે અને બાકી ફિર્કાઓ હલાક થનાર હશે.”

                આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પૂછવામાં આવ્યું કે,

                “નજાત પામનાર ફિર્કો કોણ છે ?”

                તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,

                “અહલે સુન્‍નત વલ જમાઅત છે.”

                આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પૂછવામાં આવ્યું કે,

                “સુન્‍નત વલ જમાઅત શું છે ?”

                તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપતા ફરમાવ્યું કે,“જે તરીકા ઉપર હું અને મારા સહાબા છે.” (“અલ્ મિલલ્ વિન્‍નહલ” ૧/૧૧)

                હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી નકલ છે કે,

                જેમાં આ દસ વાતો મવજૂદ હોય તે “અહલે સુન્‍નત વલ જમાઅત” માંથી છે.

  (૧)    હઝરાત શૈખૈન (અબૂ બક્ર અને ઉમર રદિ.)ને બીજા બધા               સહાબએ કિરામ (રદિ.)થી અફઝલ માને.

  (ર)    હઝરાત ખતનૈન (ઉસ્માન અને અલી રદિયલ્લાહુ અન્હુમા)ની ઇઝઝત કરે.

  (૩)    બન્ને કિબ્લાઓ (કઅબહ અને બૈતુલ મુકદ્દસ)ની તઅઝીમ કરે.

  (૪)    નેક અને બદ બન્ને પ્રકારના મુસલમાનની નમાઝે જનાઝહ પઢે.

  (પ)   નેક અને ફાસિક બન્ને પ્રકારના ઇમામ પાછળ નમાઝ પઢે.

  (૬)    આદિલ અને ઝાલિમ બન્ને પ્રકારના અમીરથી બગાવત ન કરે.

  (૭)    મસહ અલલ્ ખુફફૈન (મોઝાઓ ઉપર મસહ)ને જાઈઝ સમજે.

  (૮)    ભલી અને બુરી બન્ને પ્રકારની તકદીર પર ઈમાન રાખે.

  (૯)    હઝરાત  અમ્બિયા (અલયહિમુસ્સલામ) અને સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)માંથી જેઓનું જન્‍નતી હોવું કુર્આન અથવા હદીસથી સાબિત હોય તેઓના  સિવાય બીજા કોઈના જન્‍નતી અથવા  જહન્‍નમી હોવાની ગવાહી આપવાથી બચે.

(૧૦)   બે ફર્ઝો એટલે કે નમાઝ અને ઝકાત અદા કરે.

                અહલે સુન્‍નત વલ જમાઅતના ઓળખ ચિહ્નો સમાન અકીદાઓ અને આ”માલ માત્ર આ દસ વાતો સુધી જ સીમિત નથી, અલબત્ત હઝરત ઇબ્ને અબ્બાસ (રદિયલ્લાહુ અન્હુ)ના મજકૂર મંતવ્યમાં અહલે સુન્‍નતના ફકત મુખ્ય અને મહત્વના ઓળખ ચિહ્નોનું વર્ણન છે, બાકી તે સિવાય બીજી ઘણી બાબતો છે. (“હાશિયહ અકીદએ તહાવિય્યહ” પેજ : ૯)

                અલ્લાહ તઆલાના ફરમાન,

يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ(سورۃ آل عمران:106)

અર્થ : જે દિવસે અમુક ચહેરાઓ સફેદ હશે અને અમુક ચહેરાઓ કાળા હશે.

                માં સફેદ અને કાળા ચહેરાઓની તફસીર કરતાં હઝરત ઇબ્ને અબ્બાસ (રદિયલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે,

                “અહલે સુન્‍નત વલ જમાઅત”ના ચહેરાઓ સફેદ હશે અને બિદઅતી તથા ગુમરાહ લોકોના ચહેરાઓ કાળા હશે.

                હઝરત ઇબ્ને ઉમર (રદિયલ્લાહુ અન્હુ) અને હઝરત અબૂ સઈદ ખુદરી (રદિયલ્લાહુ અન્હુ)એ આ પ્રમાણેની તફસીર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પણ નકલ ફરમાવી છે.(“દુર્રે મન્સૂર” ર / ર૯૧)

                ઉપરોકત હદીસોથી માલૂમ પડે છે કે,

                “અહલે સુન્‍નત વલ જમાઅત” શબ્દનો ઉપયોગ એક ખાસ ફિર્કોના ઉપનામ તરીકે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુબારક સમયમાં થતો હતો, પરંતુ આપનો સમય ભલાઈ, નેકી અને કુર્આન-હદીસની  સહીહ સમજ અને તાબેદારીનો યુગ હતો અને ઉપરોકત હદીસમાં આગાહીરૂપે બયાન કરવામાં આવેલા ૭૩ ફિર્કોઓ હજુ સુધી અિસ્તત્ત્યવમાં આવ્યા ન હતા, એટલે અહલે સુન્‍નત વલ જમાઅતનો શબ્દ વપરાશમાં હોવા છતાં એટલો પ્રચલિત ન હતો, જેટલો તે પછી પ્રચલિત થયો.

                જેમ જેમ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ભવિષ્યવાણી મુજબ ગુમરાહ ફિર્કોઓ વધતા ગયા મજકૂર શબ્દનો ઉપયોગ પણ વધુ પ્રચલિત થતો ગયો.

                ઉકત હદીસોથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે,

                “અહલે સુન્‍નત વલ જમાઅત”નો મતલબ એવા મુસલમાન હોવાનો છે કે જે અકાઈદ અને અહકામમાં કિતાબુલ્લાહ સાથે સુન્‍નતને પણ શરીઅતની દલીલ માનતો હોય અને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તથા હઝરાત સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)ના તરીકાના પાબંદ હોય. (“ઈમ્દાદુલ અહકામ” ૧ / ૭૭)

Log in or Register to save this content for later.