Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 125 to 127)
સવાલ : અત્તહિય્યાતમાં જે સલાતો સલામ છે તેમાં અને બિદઅતી લોકો જે સલાતો સલામ પઢે છે તેમાં શું તફાવત છે ?
જવાબ : સામાન્ય રીતે જે લોકો હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના રવઝહ મુબારકહ સિવાય બીજી જગ્યાઓએ “સલામુન્ અલયક યા રસૂલલ્લાહ”ના શબ્દોથી સલામ પઢેછે તેઓ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પોતાની પાસે હાઝિર નાઝિર માનીને પઢે છે. હાલાં કે મજકૂર માન્યતા કુર્આન, હદીસ અને બુઝુર્ગાને દીન, અવલિયાએ કિરામ રહમતુલ્લાહિ અલયહિમ અજમઈનના મંતવ્યોના વિરુદ્ઘ છે.
અને તેઓ આ માન્યતાની દલીલરૂપે અત્તહિય્યાતમાંના “અસ્સલામુ અલય્-ક અય્યુહન્નબિય્યુ”ના શબ્દો રજૂ કરે છે. હાલાં કે અત્તહિય્યાતમાં મજકૂર શબ્દોથી સલામ એ હેતુથી અને એવી માન્યતાથી નથી પઢવામાં આવતી કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મજકૂર સલામ પઢનાર પાસે હાઝિર છે, બલ્કે હદીસ શરીફના આધારે એ મતલબથી અને એવી માન્યતાથી પઢવામાં આવે છે કે ફરિશ્તાઓ મારી આ સલામ મજકૂર શબ્દોમાં હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહોંચાડી આપશે, જેમકે કાગળમાં જેના નામે કાગળ લખાય છે તેને સંબોધન કરી સલામ લખાય છે “અસ્સલામુ અલયકુમ” અને સલામ સિવાય બીજી વાતો પણ સંબોધન કરીને લખાય છે. દા.ત. તમો આ કામ કરશો, ફલાણા માણસને આ સંદેશો કહેશો, હાલાં કે તે વ્યિકત કાગળ લખનાર સમક્ષા મવજૂદ હોતી નથી.
“બુખારી શરીફ “ અને”મુસ્લિમ શરીફ”માં હદીસ છે કે :આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ રોમના બાદશાહને કાગળમાં લખ્યુંકે: “હું તને ઇસ્લામની દઅવત આપું છું.”
જાહેર વાત છે કે રોમના બાદશાહ “હિરક્લ” ત્યાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દરબારમાં હાજર ન હોવા છતાં આપે તેને મજકૂર શબ્દોથી સંબોધન ફરમાવ્યું હતું.
અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સલાતો સલામના સ્થળે પધારેલા ન હોવા છતાં અત્તહિય્યાતના સલામના સંબોધનવાળા શબ્દો એટલા માટે પણ અપનાવવામાં આવે છે કે અલ્લાહ તઆલા તરફથી મિઅરાજની રાત્રે આ શબ્દોમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સલામ ફરમાવવામાં આવી હતી.
માટે જેમ કુર્આન મજીદના ઘણા કિસ્સાઓમાં ઘણી વ્યિકતઓ વિશે ઘણા સંબોધનના વાકયો આપણે પઢીએ છીએ, પણ તે વ્યિકતઓને આપણે અત્યારે હાઝિર અને મવજૂદ માનતા નથી, જેઓને તે વાકયોમાં સંબોધવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અત્તહિય્ય્તની સલામના શબ્દો છે. [“અલ્ બહ્રુર્રાઇક” : ૧ / ૩ર૪]
અને અમુક સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈન તો આ જ કારણથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત બાદ “અસ્સલામુ અલય્ક”ની જગ્યાએ “અસ્સલામુ અલન્નબી” પઢતા હતા કે હવે તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આપણી સમક્ષા મવજૂદ નથી. જેમકે વફાત પહેલાં મવજૂદ હતા, એટલે સંબોધનના શબ્દો ન બોલવા જોઈએ. [“સહીહ બુખારી શરીફ” ભાગ : ર]
ખુલાસો આ કે નમાઝ સિવાય અને રવઝએ મુબારકહ સિવાય અન્ય સ્થળોની ઘણા લોકોની સલાતો સલામ સામાન્ય રીતે હાઝિર નાઝિરના અકીદહ સાથે હોય છે. જયારે નમાઝ અને નમાઝથી બહાર અત્તહિય્યાતની સલામ એવા અકીદહ સાથે પઢવામાં આવતી નથી. જો કોઈ માણસ મજકૂર સલામ એવા અકીદહ સાથે પઢતો હોય તો તેનો પોતાનો અમલ છે, જે કુર્આન-હદીસના અનુરૂપ નથી.
Log in or Register to save this content for later.