Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 118 to 119)
સવાલ : હમારે ત્યાં એક માણસે એક રિપોર્ટમાં પોતાના ધંધાની જાહેરાતની ઉપર એક હદીસ લખી છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ આ પ્રમાણે દુઆ કરી હતી કે મારા ગુનાહ આગલા, પાછલા, ખાનગીમાં કર્યા હોય, થવાના હોય તે તું માફ ફરમાવનાર છે. તો શું આ હદીસ સહીહ છે ? અને નબીને ગુનેહગાર માનવું કેવું છે
જવાબ : કુર્આન શરીફની સૂરએ મુહમ્મદની આયત નં. ૧૯માં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલા તરફથી હુકમ આપવામાં આવ્યો છે કે,
“આપ યકીન રાખો કે અલ્લાહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને આપ પોતાની (જાહેરી) ખતાઓની માફી માંગતા રહો અને બધા મુસલમાન મર્દો અને ઓરતો માટે પણ મગફિરતની દુઆ માંગતા રહો.”
બુખારી શરીફની એક હદીસમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી તહજ્જુદ વખતે પોતાની દુઆમાં આગલી, પાછલી, છુપી અને જાહેરી ખતાઓથી માફી માંગવી સાબિત છે.
પરંતુ આ પ્રમાણે ખતાઓની માફી માંગવાના આધારે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અથવા અન્ય કોઈ નબીને (મઆઝલ્લાહ) ગુનેહગાર માનવા-સમજવા હરામ અને નાજાઈઝ છે અને ઈમાન માટે હાનિકર્તા છે. કારણ કે દરેક નબી ગુનાહોથી મઅસૂમ અને પાકસાફ હોય છે અને તેઓ પ્રત્યે દરેક મુસલમાને પોતાના ઈમાનની હિફાઝત માટે એવી જ માન્યતા રાખવી જરૂરી છે. કુરઆન અને હદીસમાં હઝરાત અંબિયા (અલયહિમુસ્સલામ) માટે જે જે જગ્યાએ ઝુનૂબની મગફિરતનું વર્ણન છે ત્યાં ઝુનૂબ શબ્દથી પ્રચલિત પ્રકારના ગુનાહો મુરાદ નથી, બલ્કે હઝરાત અંબિયાએ કિરામના એવા કામો મુરાદ છે જે નુબુવ્વતના મકામે આલીની નિસ્બતથી ગેર અફઝલ અને ખિલાફે અવ્લા હતા. જેમ કે તેનો એક નમૂનો સૂરએ “અ-બ-સ વ તવલ્લા”માં મવજૂદ છે. (“શર્હે ફિકહે અકબર” પાનું ૬૭, “મઆરિફુલ કુર્આન” ૮/૩૬,૬૬ )
Log in or Register to save this content for later.