Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 419 to 421)
સવાલ : સમા ભરવો એટલે શું ? સમા શું વસ્તું છે ? શરઈ દ્રિષ્ટએ તેનો શું હુકમ છે? તેના ફાયદા અને ગૈર ફાયદા કયા છે?
તેની અમુક સ્કીમ મેં સાંભળેલી છે તેમાંથી એક સ્કીમ આ પ્રકારની છે કે “વધેલું ખાવું દફનાવી દેવું” શંકા એ વાતની છે કે શરઈ દ્રિષ્ટએ ખુદાની મખ્લૂકને તેની નેઅમતથી મહરૂમ ન રાખી શકાય કે વધેલું ખાવું દફનાવી દે, બલ્કે વહેંચી દેવું જોઈએ. આ અરકાન શરીઅતની વિરુદ્ઘ હોઈ શકે તો તે સંબંધી પૂરતી માહિતી આપશો અથવા તે સંબંધી કિતાબનું નામ લખી મોકલશો.
જવાબ : સમા ભરવાનો રૂઢિ પ્રયોગ (ઇિસ્તલાહ) પહેલી વાર વાંચવામાં આવ્યો. એ વિષેની માહિતી કોઈ કિતાબમાં વાંચવામાં આવી નથી. અમુક આલિમોથી જાણવા મળ્યું છે કે “સમા ભરવો” એ શાદીના રિવાજો પૈકી એક રિવાજ છે. જેને એક ખાસ પીરના મુરીદો માને છે અને પોતાના છોકરાની શાદી વખતે અપનાવે છે.
જેમાં એક ચોકકસ પ્રમાણમાં ખાવાની વસ્તુઓમાંથી અમુક નકકી વસ્તુઓ (જેમ કે : ઘી, મમરા) ભેગી કરવામાં આવે છે અને તે વસ્તુઓ પોતાના પીરના મુરીદો જ ખાય શકે છે. બીજા માટે ખાવી જાઈઝ અને હલાલ નથી.
સમાનું વધેલું ખાણું દફનાવી દેવામાં આવે છે, જો બીજો માણસ ખાય તો તેના ઉપર પણ પોતાને ત્યાં શાદી વખતે સમા ભરવો જરૂરી થઈ જાય છે.
આ સમા ભરવાની રસમ કોઈ પીરની વસિય્યત માની કરવામાં આવે છે. અને એવા અકીદહ સાથે કરવામાં આવે છે કે જો સમા ન ભરવામાં આવે તો કોઈ નુકસાન થઈ જશે અને શાદીમાં બરકત નહિ થાય.
ઉપરોકત વિગત મુજબ સમા ભરવો શરઈ દ્રિષ્ટએ નાજાઈઝ અને બિદઅત છે. કારણ કે તેમાં ગૈર જરૂરી કામ અને પાબંદીઓને જરૂરી માનવામાં આવે છે, બલ્કે અમુક ગુનાહિત કાર્યોને પણ જરૂરી સમજવામાં આવે છે, જેમ કે : મુરીદો સિવાય બીજા લોકો માટે ખાણાને હરામ સમજવું, વધેલા ખાવાને દફન કરી ખાવાનો બગાડ કરવો, જે ઇસરાફ છે અને ઇસરાફ હરામ છે. ઇસરાફ કરનારને શૈતાનનો ભાઈ કહેવામાં આવ્યો છે, ગૈર લાઝિમ વસિય્યતને જરૂરી સમજવી.
હદીસ શરીફમાં છે કે :“પોતાની નમાઝમાં શૈતાનને ભાગીદાર ન બનાવો, એ પ્રમાણે કે નમાઝ પઢી જમણી તરફ ફરવાને જરૂરી સમજવા લાગો.”આ હદીસથી માલૂમ પડયું કે ગૈર જરૂરી કામને જરૂરી સમજવાના કારણે શૈતાન ખૂશ અને રાજી થાય છે.
તહકીકકાર (સંશોધક) ઉલમાએ લખ્યું છે કે : જયારે મુસ્તહબ કામને જરૂરી સમજવાનો આ હુકમ છે, તો માત્ર જાઈઝ કામને જરૂરી સમજવાનો શું હુકમ હોય શકે છે અને એથી ય વિશેષ ગુનાહ અને બિદઅતના કામને જરૂરી સમજવાનો શું હુકમ હોય શકે છે તે ઝાહિર અને સ્પષ્ટ છે. વળી આવી બિદઅત ન કરવાથી નુકસાનની માન્યતા રાખવી એ અકીદહની પણ ખરાબી છે. માટે આવી ખોટી રીત-રસમને છોડી આપવી જરૂરી છે.
નિકાહની જે સુન્નતો હદીસ શરીફથી સાબિત છે તે મુજબ નિકાહ કરવામાં ખૈર અને બરકત છે અને ખોટી રસમો અને બિદઅતો મુજબ નિકાહ કરવામાં બે બરકતી અને નુકસાન છે.
Log in or Register to save this content for later.