[૩ર] હઝરત નબી કરીમ (સલ.) કબ્રે મુબારકમાં હયાત છે

Chapter : હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ

(Page : 108 to 114)

સવાલ  : મારો અને મુસ્લિમ અવામનો આ અકીદો છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાની કબ્રે મુબારકમાં હયાત છે. શું અમો જાહિલોનો આ અકીદો સત્ય છે ? અમારા આ અકીદામાં કુર્આન હદીસની દ્રિષ્ટએ કોઈ ખરાબી તો નથી ?

જવાબ  : જમહૂર અહલે સુન્‍નત વલ જમાઅત મુસલમાનોનો અકીદો છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને બીજા અમ્બિયાએ કિરામ હઝરાત (અલયહિમુસ્સલામ) પોતાની દુન્યવી વફાત પછી આલમે બરઝખમાં પોતાના શરીર અને રૂહ સાથે હયાત છે અને તેઓને આલમે બરઝખમાં રૂહાની અને જિસ્માની હયાત પ્રાપ્ત છે.

                અલ્લાહ તઆલાએ શહીદોને મૃત કહેવાથી મના ફરમાવી તેઓના જીવંત હોવાની ખબર આપી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે,

ولا تقولوا لمن یقتل فی سبیل اللہ أموات بل أحیآء ولکن لا تشعرون ط ) سورۃالبقرۃ،آیت :۱۵۴)

અર્થ : અને જે લોકો અલ્લાહના રસ્તામાં શહીદ થઈ ગયા છે તેઓને મરેલા ન કહો, બલ્કે તેઓ તો હયાત છે. પરંતુ તમોને ખબર નથી.

                જયારે આ આયતથી શહીદો માટે હયાત સાબિત છે તો હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) માટે તો વિશેષ રીતે હયાત સાબિત થાય છે, કારણકે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)નો મરતબો તો શહીદોથી પણ ઊંચો છે.

                અલ્લામહ શવ્કાની (રહ.) “નય્લુલ્ અવ્તાર” (આદાબુલ જુમ્અહ ૩ / ર૧૧)માં ફરમાવે છે કે,“જયારે કિતાબુલ્લાહમાં શહીદોના જીવંત હોવાની અને રોઝી પામવાની ચોખવટ છે અને તેઓની હયાત રીરથી સંબંધિત છે તો હઝરાત અમ્બિયાએ કિરામ અને મુર્સલીન માટે પણ હયાત સાબિત જ માનવી પડશે.” (“તકમિલહ ફત્હુલ્ મુલ્હિમ” પ/ર૮)

                અને એ જ કારણથી તેઓ માટે ઘણી બાબતોમાં તેઓની દુન્યવી વફાત પછી પણ કુર્આન અને હદીસથી એવા હુકમો સાબિત છે જે તેઓ માટે દુન્યવી ઝિંદગીમાં સાબિત હતા. માટે તેઓની દુન્યવી વફાત પછી તેઓની મિલકતો તેઓના વારસદારોમાં વારસારૂપે વહેંવામાં આવતી નથી અને તેઓની બીવીઓને તેઓએ છોડેલા માલમાંથી માત્ર હંમેશા ભરણ-પોષણ આપવામાં આવે છે.

                હઝરત આઈશહ (રદિયલ્લાહુ અન્હા)થી નકલ છે કે,હઝરત ફાતિમહ (રદિયલ્લાહુ અન્હા) અને હઝરત  અબ્બાસ (રદિયલ્લાહુ અન્હુ) બંને જયારે હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ) પાસે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના છોડેલા માલમાંથી પોતાના વારસા હકની માંગણી કરવા આવ્યા અને તે બંને ફદક અને ખયબરની જમીનોમાંથી વારસાહક માંગી રહ્યા હતા તો હઝરત અબૂબક્ર (રદિ.)એ ફરમાવ્યું કે,

                મેં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતા સાંભળ્યા છે કે, “અમારા માલમાંથી કોઈને વારસાહક નહિ મળે, અમો જે  કંઈ  માલ-મિલકત છોડીશું તે (બધી ઉમ્મત માટે) સદકહ ગણાશે અને (હઝરત) મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની આલ-અવલાદ આ માલમાંથી માત્ર ભરણપોષણ લઈ શકશે.” (“બુખારી શરીફ” : ર / ૯૯પ)

એવી જ રીતે હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ની વફાત પછી તેઓની બીવીઓથી કોઈ ઉમ્મતીએ નિકાહ કરવા પણ હલાલ નથી.

                અલ્લાહ તઆલાનું ફરમાન છે,

 ألنبی أولی بالمؤمنین من أنفسہم و أزواجہ أمہاتہم ط (سورۃ الأحزاب ،آیت:۶)

અર્થ : હઝરત નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ઈમાનવાળાઓ સાથે તેઓની જાનો અને ઝાતોથી વધારે સંબંધ છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની બીવીઓ તેઓની માતાઓ છે.

                બીજી જગ્યાએ ઈર્શાદ છે,

وماکان لکم أن رؤذوا رسول اللہ ولا أن تنکحوا أزواجہ من بعدہ أبدا أن ذٰلکم کان عنداللہ عظیما ط( سورۃ الأحزاب،آیت :۵۳)

 અર્થ : અને તમારા માટે (કોઈ પણ બાબતમાં) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને તકલીફ પહોંચાડવી જાઈઝ નથી અને ન એ વાત જાઈઝ છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત પછી આપની બીવીઓથી કદી પણ નિકાહ કરો, વિના શંકાએ એ વાત મહા ભારે ગુનો છે.

                હઝરત અનસ બિન માલિક (રદિ.) નકલ કરે છે કે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) પોતાની કબ્રોમાં હયાત છે અને તેઓ નમાઝ (પણ) પઢે છે.”(“મુસ્નદે અબૂ યા”લા”)

                હઝરત ર્થાસ બિન ર્થાસથી જુમ્અહના દિવસની ફઝીલતની હદીસમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, “તમો મારા પર કસરતથી (અધિકતર) દુરૂદ શરીફ પઢો, તમારું દુરૂદ મારી સામે રજૂ કરવામાં આવે છે.” સહાબએ કિરામ (રદિ.)એ અરજ કરી કે,  “યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આપના (પવિત્ર) શરીરના સડી જવા પછી અમારું દુરૂદ આપની સામે કેવી  રીતે રજૂ કરવામાં આવશે ?” તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે, “અલ્લાહ તઆલાએ હઝરાતે અમ્બિયા (અલયહિમુસ્સલામ)ના શરીરોને જમીન પર હરામ ફરમાવી દીધા છે (માટે તે સડાવી અને મિટાવી શકશે નહિ.)” (“નસાઈ”, “અબૂ દાવૂદ”, “ઈબ્ને માજહ”, “દારિમી”, “હાકિમ”)

                હઝરત અબૂ દર્દાઅ (રદિ.)ની હદીસમાં આ વધારો પણ છે કે,  “અલ્લાહના નબી હયાત હોય છે, તેઓને રોઝી (પણ) પહોંચાડવામાં આવે છે.” (“ઈબ્ને માજહ”)

                હઝરત અનસ (રદિયલ્લાહુ અન્હુ) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,  “ઈસરાઅની રાતે હું હઝરત મૂસા (અલયહિસ્સલામ) પાસેથી એ હાલતમાં પસાર થયો કે તેઓ પોતાની કબ્રમાં નમાઝ પઢતા હતા.”  (“મુસ્લિમ શરીફ” ભાગ ર)

                ઉપરોકત આયતો અને હદીસોથી એ વાત સાબિત થાય છે કે હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) આલમે બરઝખમાં પોતાની કબ્રોમાં શરીર સાથે હયાત હોય છે અને બીજા બધા માનવીઓ કરતાં તેઓની બરઝખી હયાત વધુ મજબૂત અને ઉચ્ચ પ્રકારની હોય છે. ચાહે મજકૂર બરઝખી હયાતનો મતલબ એ પણ નથી કે તે હયાત આબેહુબ દુન્યવી હયાત સમાન છે અને તેમાં તે બધી જ હાલતો લાગુ પડે છે જે દુન્યવી હયાતમાં લાગુ પડે છે, બલ્કે બંને હયાતોમાં તફાવત પણ મવજૂદ છે. અલ્લામા સુબ્કી (રહ.)એ પોતાની કિતાબ “શિફાઉલ્ અસ્કામ”માં આ વાતની ચોખવટ ફરમાવી છે.

હઝરત મૌલાના મુફતી મુહમ્મદ તકી ઉસ્માની (દા.બ.) લખે છે કે : હઝરાતે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ની હયાત વિશે નુસૂસ (કુર્આન-હદીસ)થી સાબિત જે હકીકતો માનવી વાજિબ છે તે આ મુજબ છે.

(૧)     હઝરાત અમ્બિયા (અલયહિમુસ્સલામ)ની રૂહોને તેઓની વફાત પછી તેઓના શરીરો સાથે મજબૂત સંબંધ હોય છે.

(ર)     બીજા મૃત માનવીઓની રૂહોને તેઓના શરીર સાથે જે  સંબંધ  હોય  છે તેના કરતાં આ (હઝરાત અમ્બિયાએ કિરામની રૂહોનો)  સંબંધ  ઘણો  જ મજબૂત હોય છે.

(૩)     અને આ મજબૂત સંબંધના કારણે  દુન્યવી  હયાતની  ઘણી  વિશેષતાઓ તેઓ માટે સાબિત હોય છે જેમ કે તે નુસૂસથી માલૂમ થઈ ચૂકી છે.

(૪)     (રૂહ અને જિસ્મના) આ મજબૂત સંબંધને હયાત  (ઝિંદગી) અને  આ સંબંધવાળાઓને  હયાતવાળાઓ  (જીવંત)  કહેવા દુરુસ્ત છે. જેમ કે : કુર્આન અને હદીસમાં આ પ્રમાણે કહેવું સાબિત છે.

(પ)    અને હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ને  તેઓની  વફાત પછી આ હયાત જે પ્રાપ્ત થાય છે તે આબેહુબ દુન્યવી હયાત   નથી અથવા દુન્યવી હયાતની બધી વિશેષતાઓ સાથે નથી બલ્કે અમુક વિશેષતાઓમાં તે દુન્યવી હયાત સમાન છે, જે કોઈ શંકા વગર કુર્આન-હદીસથી સાબિત છે અને બીજી અમુક વિશેષતાઓમાં (જેની કુર્આન-હદીસમાં કોઈ ચોખવટ નથી) એ વાતની શકયતા છે કે તે દુન્યવી હયાત સમાન હોય.

                જયાં સુધી કોઈ માણસ આ હકીકતોને માનતો રહેશે તો તે અહલે સુન્‍નત વલ જમાઅતના અકીદહને અનુરૂપ ગણાશે અને આ મસ્અલામાં આ ચોખવટથી વધુ ઊંડાણમાં ઉતરવાની જરૂરત નથી.(“તકમિલહ ફત્હુલ્ મુલ્હમિ”પ / ૩ર,૩૩)

અલ્લામહ સુયૂતી (રહમતુલ્લાહિ અલયહ)એ આ વિષય પર “ઈન્બાહુલ અઝ્કિયાઈ ફી હયાતિલ્ અમ્બિયાઅ”ના નામથી એક કિતાબ અને અલ્લામહ બયહકી (રહ.)એ “હયાતુલ્ અમ્બિયાઅ”ના નામથી એક કિતાબ લખી છે અને આ કિતાબોમાં એવી હદીસો સંપાદન કરી છે જેનાથી હઝરાત અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) માટે આલમે બરઝખમાં રૂહાની અને જિસ્માની હયાત સાબિત થાય છે.

                ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.