[૧૪પ] નીચલા દરજાના જન્‍નતીને મળનાર જન્‍નત

Chapter : જન્નમત અને જહન્નુમ

(Page : 391 TO 393)

સવાલ : મેં સાંભળ્યું છે કે નીચલા દરજાના જન્‍નતી માણસને આ દુનિયાથી દસ ગણી મોટી જન્‍નત આપવામાં આવશે, હાલાં કે કુર્આને પાકમાં છે કે :

وَجَنَّةٍ عَرْضُهَا السَّمَوَاتُ وَالْأَرْضُ

અર્થ : જન્‍નતની પહોળાઈ પૂરા આસમાન અને જમીનના બરાબર છે.જયારે નીચલા દરજાના જન્‍નતીને આટલી મોટી જન્‍નત મળશે તો પછી સૌથી ઉપરના દરજાના જન્‍નતીને તો કેટલી મોટી જન્‍નત મળશે ?

જવાબ  : નીચલા દરજાના જન્‍નતીને દુનિયાથી દસ ગણી જન્‍નતનું મળવું એ “મુસ્લિમ શરીફ”ની હદીસથી સાબિત છે.

                હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ નકલ કરે છે કે,

                “જહન્‍નમમાંથી સૌથી છેવટમાં નજાત પામનારને અને જન્‍નતમાં સૌથી છેલ્લે દાખલ થનારને હું જાણું છું, એક પુરુષ જહન્‍નમમાંથી ગૂંઠણ અને હાથોના સહારે ચાલીને બહાર નીકળશે.

                અલ્લાહ તઆલા તેનાથી ફરમાવશે કે,      “જા અને જન્‍નતમાં દાખલ થઈ જા ¦ “

                તે માણસ જન્‍નત પાસે પહોંચશે અને તેને એવું લાગશે કે જન્‍નત તો ભરેલી છે. (અને તેમાં ખાલી જગ્યા નથી), માટે તે માણસ પાછો ફરશે અને અર્ઝ કરશે, “હે મારા રબ ¦ મેં તો જન્‍નતને ભરેલી જોઈ છે.” અલ્લાહ તઆલા તેને ફરી ફરમાવશે કે, “જા અને જન્‍નતમાં દાખલ થઈ જા ¦ “ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે તે માણસ જન્‍નત પાસે પહોંચશે અને તેને એવું લાગશે કે જન્‍નત તો ભરેલી છે, તે માણસ ફરી પાછો ફરીને અર્ઝ કરશે કે,  “હે મારા રબ ¦મેં તો તેને ભરેલી જોઈ છે.”તો અલ્લાહ તઆલા તેને ફરમાવશે કે, “જા અને જન્‍નતમાં દાખલ થઈ જા, બેશક તારા માટે દુનિયા બરાબર અને દુનિયાથી દસ ગણી જન્‍નત છે.” અથવા એમ ફરમાવશે કે, “તારા માટે દુનિયાથી દસ ગણી જન્‍નત છે.” આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, તે માણસ કહેશે કે, “શું આપ મારી મશ્કરી કરો છો ? હાલાં કે આપ તો બાદશાહ છો.”

                હઝરત અબ્દુલ્લાહ (રદિ.)એ કહ્યું કે, મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલલાહુ અલયહિ વ સલ્લમ)ને હસતાં જોયા. અહીયા સુધી કે આપના દાંત જાહેર થઈ ગયા, પછી ફરમાવ્યું કે,  “આ માણસ વિશે કહેવાતું હતું કે જન્‍નતીઓમાં સૌથી નીચલા દરજાનો જન્‍નતી હશે.” (“મુસ્લિમ શરીફ” ૧ / ૧૦પ)

                મજકૂર આયતે કરીમામાં જન્‍નતની વિશાળતા બયાન કરવામાં આવી છે કે તેની પહોળાઈ પૂરા આસમાન અને જમીનના બરાબર છે, ઇન્સાનના દિમાગમાં આસમાન અને જમીનનની વિશાળતાથી વધારે કોઈ વિશાળતાનો વિચાર આવી શકતો નથી, માટે જન્‍નતની વિશાળતા સમજાવવાના હેતુથી જન્‍નતની પહોળાઈ આસમાન અને જમીન જેવી બતાવી છે, કે જન્‍નત ઘણી વિશાળ છે કે માત્ર તેની પહોળાઈમાં જમીન, આસમાન સમાઈ શકે છે અને જયારે તેની પહોળાઈ આટલી બધી છે તો તેની લંબાઈ તો ખુદા જાણે કેટલી વધુ હશે.  (“મઆરિફુલ કુર્આન” ર / ૧૮ર)

                મજકૂર આયતે કરીમામાં મુતલક જન્‍નતની વિશાળતા સમજાવવામાં આવી છે અને હદીસ શરીફમાં અદના જન્‍નતીને મળનાર જન્‍નતનું વર્ણન છે, માટે બન્નેવમાં કોઈ વિરોધાભાસ નથી.

Log in or Register to save this content for later.