Chapter : ઇલ્મ
(Page : 458-460)
સવાલ : અમારા ગામના મદ્રસાના ત્રણ ઓરડા હાઈસ્કૂલને ભાડે આપવામાં આવેલ છે, જે પૈકી એક રૂમમાં ધો. ૮ નો વર્ગ ચાલે છે, જેમાં બાળકો બેંચો ઉપર બેસી ભણે છે. સવારમાં એ જ બેંચો પર બાળકો બેસે છે અને ઉસ્તાદ સાહેબ ખુરશી પર બેસી તેમને કુર્આન શરીફ વગેરેની દીની તાલીમ આપે છે.
બેંચો પર આગળ પાછળ બેસવાથી કુર્આન શરીફ તરફ પીઠ પણ થાય છે, તો આ રીતે બેંચો ઉપર બેસી કુર્આન શરીફની તાલીમ આપવી કેવી છે ? તા”લીમ આપવાનો જાઈઝ અને મસનૂન તરીકો બતાવશો.
જવાબ : મદ્રસાનો મકસદ શઆઈરે ઇસ્લામ કુર્આન, કિબ્લહ, મિસ્જદ, દીની કિતાબો, મદ્રસા અસાતિઝએ કિરામના અદબ સાથે બાળકોને દીની તાલીમ આપવાનો અને તરબિયત કરવાનો છે.
કુર્આન શરીફથી વધીને કોઈ કિતાબ આદરપાત્ર નથી અને બધી જ દીની કિતાબો આદર પાત્ર છે. માટે ફુકહાએ કિરામે દીની કિતાબો અને ખાસ કરી કુર્આન કરીમના વિશેષ અદબો વર્ણન કર્યા છે અને દીની ઇલ્મ પ્રાપ્ત કરવાના પણ અનેક અદબો વર્ણન કર્યા છે.
કુર્આન મજીદ અને દીની ઇલ્મ શીખવાનો પ્રણાલિકાગત સુન્નત તરીકો આ જ છે કે નીચે બેસીને શીખવામાં આવે.
ઇમામે હદીસ હઝરત ઇમામ બુખારી (રહ.)એ પોતાની જગ મશહૂર કિતાબ સહીહ બુખારી શરીફ ભા.-૧, પેજ નં.-ર૦ ઉપર ઇલ્મ શીખવા-શિખવવાના મસાઈલ અને આદાબના બયાનમાં આ અદબનું પણ વર્ણન કયુઁ છે કે તાલિબે ઇલ્મ માટે દર્સગાહમાં ઉસ્તાઝ સામે નમ્રતાપૂર્વક બેસવાનો અને ઉસ્તાઝની પૂરી તવજ્જુહ પ્રાપ્ત કરવાનો અફઝલ અને બેહતર તરીકો આ છે કે જેવી રીતે નમાઝના કઅ્દહમાં બેસે છે એ રીતે ઉસ્તાઝ સામે બેસવું જોઈએ.
હદીસ (ઉમ્મુસ્સુન્નત)માં છે કે : હઝરત જિબ્રઈલ (અલૈ.) પૂરા દીનનો ખુલાસો બતાવવા હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખિદમતમાં સાઈલ (સવાલ પૂછનાર) અને તાલિબે ઇલ્મ બનીને હાજર થયા તો તાલિબે ઇલ્મની અદબપૂર્વક બેઠક ધારણ કરી બેઠા હતા. [“ફત્હુલ્ મુલ્હિમ” : ૧ / ૧૬૧]
જો કે લાંબી બેઠકમાં બેસવાની પદ્ઘતિ બદલવાની પણ ગુંજાઈશ છે, પરંતુ કઅ્દહ સિવાયની બેઠક પણ અદબપૂર્વક જ હોવી જોઈએ. માટે કુરસી અથવા બેંચ ઉપર બેસી ઇલ્મ શીખવું એ ઈસ્લામી પ્રણાલિકા વિરુદ્ઘ છે.
પૂછેલી સૂરતમાં બેંચો પર બેસી કુર્આન શરીફની તા”લીમ આપવી જેમાં કુર્આન શરીફ તરફ પીઠ થતી હોય, જેને કુર્આન શરીફની બેઅદબી ગણવામાં આવે છે અને તેમાં તા”લીમ માટે બેસવાનો પ્રણાલિકાગત સુન્નત તરીકો પણ છૂટે છે, માટે એ પ્રમાણે બેંચો પર બેસી કુર્આન શરીફ અને દીની ઇલ્મ શીખવાની વ્યવસ્થા દુરુસ્ત નથી, બલ્કે એ પ્રમાણે નીચે બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ કે જેમાં કુર્આન શરીફ અને દીની કિતાબોનો અદબ જળવાય, તા”લીમી બેઠકમાં સુન્નત તરીકાની પૈરવી થાય અને બાળકોના માનસ ઉપર ઇસ્લામી સુસંસ્કારની સારી છાપ ઊભી થાય.
Log in or Register to save this content for later.