Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 83 to 84)
[૧૩] હદીસના મુનકિરનો હુકમ
સવાલ : સહાબી (રદિ.)ની હદીસને ન માનનાર ઇસ્લામમાં બાકી રહેશે કે ઇસ્લામથી નીકળી જશે ?
જવાબ : સહાબી (રદિ.) જે હદીસ હઝરત રસૂલુલ્લાહ (સલ.)થી નકલ કરે તે હદીસ અગર મુતવાતિર હોય તો તેવી હદીસને ન માનનાર કાફિર ગણાશે. મુતવાતિર એવી હદીસને કહેવામાં આવે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ.)ના સમયથી અમારા સુધી દરેક સમયમાં તેના નકલ કરનારાઓ એટલી મોટી સંખ્યામાં હોય કે અકલ અને આદત તેમના જૂઠ ઉપર સર્વસંમતી કરી લેવાને મહાલ અને અશકય સમજે. સનદની દ્રિષ્ટએ મુતવાતિરની આ વ્યાખ્યા છે. મુતવાતિરની બીજી કિસમો પણ છે અને તે કિસમોને ન માનનારનો પણ આ જ હુકમ છે.
જો કોઈ સહાબીથી મનકૂલ હદીસ મશહૂર હોય તો તેનો ઈન્કાર કરનાર માણસ ગુમરાહ કહેવાશે, તેને કાફિર નહિ કહેવાય અને ઉલમાએ કિરામની એક મોટી જમાઅતે મશહૂર હદીસના મુનકિરને પણ કાફિર કહ્યો છે અને જો તે હદીસ ખબરે વાહિદ પ્રકારની હોય અને સહીહ અથવા હસન હોય તો તેનો ઈન્કાર કરનાર ગુનેહગાર ગણાશે અને જો ખબરે વાહિદ પ્રકારની હદીસને તુચ્છ સમજીને મઝાક રૂપે તેનો ઈન્કાર કરશે તો કાફિર ગણાશે. જે હદીસના નકલ કરનારા શરૂમાં એકથી બે માણસ હોય અને પછી તેને એક જમાઅત નકલ કરવા લાગે તેવી હદીસને હદીસે મશહૂર કહેવામાં આવે છે અને જેને નકલ કરનાર એક એક માણસ હોય તેને ખબરે વાહિદ કહેવામાં આવે છે. [“શર્હે ફિકહે અકબર” : ર૪૬] Log in or Register to save this content for later.