Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 377 to 383)
[૧૩૬] મષનવી શરીફની એક હિકાયત અને મૃત વ્યિકતનું વાતચીત કરવું
સવાલ : ઉર્દૂ માસિક “ફારાન”ના નવેમ્બર ૧૯૬૮ના અંકમાં “જાદૂ નહિ, મુઅજિઝહ”ના શીર્ષકથી મસ્નવી શરીફના ત્રીજા ભાગના હવાલાથી એક હિકાયત છપાઈ હતી. જે આ મુજબ છે કે,
હઝરત મૂસા (અલૈ.)ના સમયમાં એક જાદૂગર હતો. તેના બે છોકરા હતા. જાદૂગરના મૃત્યુ પછી તે બે છોકરાઓએ બાપની કબર પાસે જઈ હઝરત મૂસા (અલૈ.) વિષે બાપથી પૂછયું કે,
“ તેઓ સાચા છે કે જાૂઠા ?” બાપે જવાબ આપ્યો કે, “ એ બતાવવાની તો મને પરવાનગી નથી. હાં, એક વાત બતાવું છું કે, તમો તેમની અસા (લાકડી) ચોરવાનો પ્રયાસ કરો. જો એમાં તમે સફળ થઈ જાઓ તો પોતે જ તમારા સવાલનો જવાબ સમજી લેશો.”
મઝકૂર હિકાયતનો મેં ઉર્દૂ પરથી ગુજરાતી અનુવાદ કરીને “વહોરા સમાચાર” માસિકમાં બૂઝૂગૌંના બોધદાયક બનાવોના શીર્ષક હેઠળ છપાવી હતી. એ હિકાયત અને એમાં દર્શાવેલ વિષયથી આપણને સંતોષ છે જ, પરંતુ સદર હિકાયતની વિગત એક ભાઈને વાંધાજનક લાગી અને તેઓએ મારા ઉપર પત્ર લખ્યો છે જેમાં તેઓ પોતાનો વાંધો આ પ્રમાણે દર્શાવે છે કે :
“જયારે જાદૂગર બાપ મરણ પામ્યો તો તેના છોકરા જે પૂછે તેનો જવાબ કઈ રીતે આપી શકે ? આવી મહાન ભૂલો આપના લખાણથી યા “વહોરા સમાચાર”ના પ્રેસથી થઈ છે જે મુસલમાનોના પાયાના સિધ્ધાંતોના વિરુદ્ઘ હું સમજું છું. આપ એ હિકાયતનો ખુલાસો આપશો. હું તો દીની ઇલ્મથી વધુ વાકેફ નથી, પણ મને આ શરીઅત વિરુદ્ઘ લાગ્યું છે તો “વહોરા સમાચાર”ના લાખો વાંચકોને મારા જેમ ગેર સમજ તથા શરીઅતના અકીદાની વિરુદ્ઘ માની લે તો આપણા વચ્ચે હજારો મુફતી મૌલાનાઓ હોવા છતાં આવું બને તો તે દુ:ખદ બીના કહેવાય તથા શરમજનક પણ.
આપ એક આલિમ હોવા છતાં આવી ગલતી કેમ થઈ એ સમજાતું નથી. હું ત્રણ વાર મકકા મુઅઝઝમા તથા મદીના શરીફ ગયો છું. ત્યાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મઝાર મુબારક પર હાજરી આપી. સલામ તથા દુરૂદ શરીફ પઢયો છું. ત્યાં મઝાર મુબારકમાંથી કોઈ અવાજ ન સાંભળ્યો તો એક અદના જાદૂગર મરણ બાપ કેવી રીતે જવાબ આપી શકે ? એ સમજ બહારની વાત છે, ખુલાસો જરૂરી છે.”
મેં યોગ્ય એ જ સમજયું કે ફતવાથી આ વાતનો ખુલાસો થઈ જાય, માટે આપ સદર હવાલાની બરાબર ચકાસણી કરી લેશો કે દરમિયાનથી કોઈ ઇબારત છૂટવા તો નથી પામી ?
અને જો ઇબારત બરાબર છે તો મારા ઉપર પત્ર લખનાર ભાઈએ મજકૂર હિકાયત વિષે જે વાંધો વ્યકત કર્યો છે તેનો શરઈ દ્રિષ્ટએ વિગતવાર જવાબ આપી ખુલાસો કરશો.
જવાબ : સવાલનો ખુલાસો બે વાતોની ચોખવટ કરવાનો છે.
એક તો એ કે મજકૂર હિકાયત “વહોરા સમાચાર”ના ડિસેમ્બરના અંકમાં જે પ્રમાણે નકલ કરવામાં આવી છે તે જ મુજબ છે અથવા નકલ કરવામાં કે છપામણીમાં કોઈ ભૂલ થઈ છે.
તો એ વિષેની વિગત આ પ્રમાણે છે કે માસિક પત્ર “વહોરા સમાચાર”માં મજકૂર કિસ્સો યુ.કે.થી પ્રગટ થતા ઉર્દૂ માસિક “ફારાન”ના પ્રથમ વર્ષના છઠ્ઠા અંકના પેજ અગિયાર પરથી ગુજરાતી અનુવાદ કરી આપવામાં આવ્યો છે અને ફારાનના તે અંકના અભ્યાસથી માલૂમ પડે છે કે કિસ્સો નકલ કરવામાં કે છપામણીમાં કોઈ ભૂલ થઈ નથી બલ્કે મજકૂર કિસ્સો “ફારાન” માસિકમાં ગુજરાતી અનુવાદ મુજબ મષનવી શરીફના હવાલાથી ઉર્દૂ ભાષામાં આપવામાં આવ્યો છે.
અલબત્ત તે પછી કિસ્સાનું મૂળ ગ્રહણ સ્થળ એટલે મસ્નવી શરીફનો અભ્યાસ કરીએ તો એ વાતની ખબર પડે છે કે “ફારાન”માં મસ્નવી શરીફના ફારસી અશઆરનો અક્ષારસ: ઉર્દૂ અનુવાદ આપવામાં આવ્યો નથી, બલ્કે કંઈક ટૂંકાવીને ભાવાર્થ આપવામાં આવ્યો છે.
મષનવીની કિસ્સાને લગતી કાવ્યપંક્તિઓથી સમજાય છે કે, છોકરાઓએ બાપની કબ્ર પર હાજર થઈ હઝરત મૂસા (અલૈહિસ્સલામ)ની લાકડીના મોઅજિઝહ કે જાદૂ હોવા વિષે પ્રશ્ન કર્યો હતો, તે પ્રશ્ન છોકરાઓએ જાગૃત હોવાની હાલતમાં કર્યો છે પરંતુ જાદૂગર બાપે પ્રશ્નકર્તા પોતાના પુત્રોને હઝરત મૂસા (અલૈ.)ની લાકડીના મોઅજિઝહ કે જાદૂ હોવાની નિશાની બતાવતાં જે જવાબ આપ્યો છે, તે પુત્રોને જાગૃત હોવાની હાલતની વાતચીત નથી બલ્કે જાદૂગર બાપે તે જવાબ સ્વપ્નમાં આપ્યો છે, જેમ કે મષનવી શરીફની આ ફારસી પંક્તિથી સ્પષ્ટ થાય છે :
મન, ગુફત શાં દર ખ્વાબ કે અય અવલાદે
નેસ્ત મુમકિન ઝાહિરે ઈંરા દમ ઝદન.
અર્થ :- જાદૂગર પિતાએ છોકરાઓને સ્વપ્નમાં કહ્યું કે,“હે મારા બેટાઓ ¦ એ બાબત ખુલીને વાત કરવી મારા માટે શકય નથી.” (“મષનવી શરીફ” : ૩ / ૧ર૧)
જયારે છોકરાઓએ બાપનો જવાબ સ્વપ્નમાં સાંભળ્યો છે તો હવે એ પ્રશ્ન રહેતો નથી કે બાપે મરી ગયા પછી કેવી રીતે વાત કરી ? કારણ કે સ્વપ્નમાં માણસ ઘણી દુષ્કર અને અશકય વાતોને પણ થતી જોઈ શકે છે-જુએ છે અને એ હકીકત સામાન્યત: અનુભવ સિદ્વ છે.
બીજી એ વાતની ચોખવટ કે કોઈ માણસનું પોતાના મૃત્યુ બાદ વાત કરવું શકય છે કે નહિ અને આજ સુધી વાસ્તવમાં કોઈ એવી ઘટના બની પણ છે કે નહિ ?
તો શરઈ દ્રિષ્ટએ કુર્આન અને હદીસથી એ હકીકત સાબિત છે કે મૃત્યુ બાદ કબ્રની ઝિંદગીમાં કોઈ મરનાર વ્યિકતનું વાતચીત કરવું શકય અને જાઈઝ છે અને ઘણા હઝરાતે અમ્બિયા (અલૈહિમુસ્સલામ) માટે મોઅજિઝહ રૂપે અને હઝરાત સહાબએ કિરામ (રદિ.) તથા અવલિયાઉલ્લાહ (રહ.) માટે કરામતરૂપે એ પ્રકારની સંખ્યાબંધ ઘટનાઓ વાસ્તવમાં બની પણ છે. બલ્કે એથીએ વિશેષ મોઅજિઝહ અને કરામતરૂપે નિર્જીવ-સજીવ પ્રાણીઓ અને જમાદાત (જડ પદાર્થો)ની વાતચીતના બનાવો પણ સીરત અને અકાઈદની કિતાબોમાં મવજૂદ છે. (“નિબરાસ” : ૪૭૯)
હઝરત મૂસા (અલૈહિસ્સલામ)ના સમયમાં એક છોકરીની શાદીના કઝિયામાં એક માણસની હત્યા થઈ અને તે હત્યા પામેલ વ્યિકતએ પોતાના કાતિલનું (હત્યારાનું) નામ બતાવ્યું અને એ કિસ્સો કુર્આને કરીમની સૂરએ “બ-ક-રહ”ની આયત નં. ૬૭ થી લઈ ૭૩ સુધી વર્ણન કરવામાં આવ્યો છે.
હઝરત હસન (રદિયલ્લાહુ અન્હુ)થી નકલ છે કે, નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં એક માણસ આવ્યો અને તેઓએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી અરજ કરી કે, “હું મારી છોકરીને ફલાણી ખાયમાં નાખી આવ્યો હતો.” તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેઓની સાથે ખાય ઉપર આવ્યા અને તે છોકરીનું નામ લઈને અવાજ આપ્યો કે, “હે ¦ ફલાણી ¦ અલ્લાહ તઆલાના હુકમથી જવાબ આપ ¦ “ તો તે છોકરી આ પ્રમાણે જવાબ આપતાં ખાયમાંથી બહાર આવી કે, “લબ્બય્ક વ સઅ્દય્ક” આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેનાથી ફરમાવ્યું કે, “તારા મા-બાપ હવે ઇસ્લામ સ્વીકારી ચૂકયાં છે. શું તું પસંદકરે છે કે, હું તને તેઓની પાસે વાપસ પહોંચાડી આપું ?” તેણે જવાબ આપ્યો કે, “હવે મને તેઓની મોહતાજી નથી. મેં અલ્લાહ તઆલાને તેઓ કરતાં ઘણાં જ સારા અને શ્રેષ્ઠ પામ્યા છે.”
હઝરત અબ્દુલ્લાહ બિન ઉબૈદુલ્લાહ અનસારી (રદિ.) કહે છે કે,
હઝરત સાબિત બિન કૈસ (રદિ.)ની દફન ક્રિયામાં હું પણ શરીક હતો . તેઓ યમામહની લડાઈમાં શહીદ થયા હતા. અમોએ જયારે તેમને કબ્રમાં ઉતાર્યા તો તેઓને આ પ્રમાણે કહેતાં સાંભળ્યા કે,
“હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અલ્લાહના રસૂલ છે.” હઝરત અબૂબક્ર (રદિ.) સિદ્દીક છે.
હઝરત ઉમર (રદિ.) શહીદ છે. હઝરત ઉસ્માન (રદિ.) નેક અને દયાળુ છે.” તેઓને આ પ્રમાણે બોલતાં સાંભળી અમોએ તેઓના હયાત કે મિય્યત હોવાની તહકીક કરી તો ખબર પડી કે, ખરેખર તેઓ વફાત પામી ચૂકયા છે.
હઝરત નુઅમાન બિન બશીર (રદિ.) નકલ કરે છે કે, હઝરત ઝૈદ બિન ખારિજહ (રદિ.) મદીના મુનવ્વરહની એક શેરીમાં એકાએક વફાત પામી પડી ગયા. તેઓને ત્યાંથી ઉઠાવીને ચાદર ઓઢાડવામાં આવી. મગરિબ અને ઇશાના દરમિયાની ગાળામાં જયારે કે ઓરતો તેઓની આસપાસ અવાજથી રડતી હતી, અચાનક લોકોએ તેઓને આ પ્રમાણે બોલતાં સાંભળ્યા કે,
“ખામોશ થાઓ, ચૂપ રહો ¦ “ફરી ચહેરો ઉઘાડયો અને કહ્યું ; “હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અલ્લાહના રસૂલ નબીએ ઉમ્મી અને ખાતમુન્નબિય્યીન છે. આગલી કિતાબમાં પણ આ વર્ણન હતું.” પછી તેઓ બોલ્યા કે,“સત્ય છે સત્ય છે.” અને હઝરત અબૂબક્ર (રદિ.)હઝરત ઉમર (રદિ.) અનેહઝરત ઉસ્માન (રદિ.)નો તઝકિરો કર્યો અને સલામ કરી યથાવત્ મૃત્યુની નિંદ્રા સૂઈ ગયા.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી નકલ છે કે, એક યહૂદી ઓરતે ખય્બર મકામે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને એક પકાવેલી અને ઝેર ભેળવેલી બકરી ભેટ આપી. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબા (રદિ.)ની જમાઅતે તેમાંથી ખાવાની શરૂઆત કરી, તો આપે સહાબાથી ફરમાવ્યું કે,
“ તમે લોકો પોતાના હાથ આ ખાણા પરથી ઉઠાવી લો કારણ કે બકરીએ મને ખબર આપી છે કે તેના ગોશ્તમાં ઝેર ભેળવવામાં આવ્યું છે.”
આ સિવાય ઝાડ, પથ્થર, કંકર અને પ્રાણીઓમાંથી ઘો અને ભેળિયા (વરૂ)ની વાતચીતના બનેલા બનાવો પણ તફસીલથી સીરત અને હદીસની કિતાબોમાં મવજૂદ છે.
સારાંશ કે, મૃત વ્યિકતનું વાતચીત કરવું શકય અને વાસ્તવિક બાબત છે. પરંતુ એ જરૂરી નથી કે જે કોઈ વ્યિકત કોઈ કબ્રવાળાથી વાત કરવા ચાહે તો અવશ્ય થવી જ જોઈએ. કારણ કે મોઅજિઝહ અને કરામતના બનાવો સાધારણ અને સર્વત્ર હોતા નથી, બલ્કે પ્રકૃતિ વિરુદ્ઘ અને ચમત્કારિક હોવાથી અદભુત અને અલ્પ હોય છે.(“અિશ્શફાઅ કાઝી ઈયાઝ (રહ.)” : ૧ / ર૯૮ થી ૩ર૧ “અલબિદાયહ વિન્નહાયહ” : ૬ / ૧પ૬)
Log in or Register to save this content for later.