[૧૩૩] રમઝાનની છેલ્લી જુમ્અહમાં કઝાએ ઉમ્રી નમાઝ

Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ

(Page : 374 to 375)

 [૧૩૩] રમઝાનની છેલ્લી જુમ્અહમાં કઝાએ ઉમ્રી નમાઝ

સવાલ : કઝાએ ઉમ્રીની નમાઝનો શું દરજો છે? આ કઈ નમાઝ છે ? અને તેની હકીકત શું છે ?

જવાબ : કઝાએ ઉમ્રીના નામથી જે નમાઝ પ્રચલિત છે જેને રમઝાનની છેલ્લી જુમ્અહમાં અલગ અલગ રીતે પઢવામાં આવે છે, કંઈક તો પાંચ નમાઝો અઝાન અને ઇકામત સાથે પઢવામાં આવે છે, કંઈક તો ચાર રકા”ત અથવા બાર રકા”ત નફલ જમાઅત સાથે અથવા અલગ અલગ પઢે છે, અને આના વિશે એવી માન્યતા રાખે છે કે આ નમાઝ પૂરી ઝિંદગીની નમાઝોના બરાબર થઈ જાય છે.

                અને હદીસ શરીફ નકલ કરવામાં આવે છે કે આ નમાઝ સાતસો (૭૦૦) નમાઝોનો બલ્કે બાપ-દાદાઓની નમાઝોનો કફ્ફારો થઈ જાય છે.

                આ રીતની કઝાએ ઉમ્રીના નામથી જે નમાઝ પ્રચલિત છે તે ફકત બેબુનિયાદ અને ઉપજાવી કાઢેલી છે. શરીઅતમાં આની કોઈ હકીકત નથી, ન તો કોઈ હદીસમાં છે અને ન સહાબા (રદિ.)ના કથન કે અમલથી સાબિત છે અને ન મુજતહિદીને ઉમ્મત (રહ.)થી મન્કૂલ છે. કોઈ એવી હદીસ પણ નથી કે આ નમાઝ સાત સો (૭૦૦) નમાઝોનો કફ્ફારો  બને છે.

                બસ, આ મનઘડત કઝાએ ઉમ્રીને છોડી દેવી એ જ શરીઅતનો હુકમ છે. આ નમાઝ ભરોસાપાત્ર નથી, બલ્કે બિદઅત અને બેબુનિયાદ હોવાની સાથે સાથે અકીદહને પણ ખરાબ કરનાર છે અને કોઈ નફલ નમાઝ ફર્ઝના બરાબર નથી થઈ શકતી.

                ચાર રકા”ત નફલથી ચાર રકા”ત ફર્ઝ : ઝોહર,અસર માફ નથી થતી તો પછી સેંકડો અને હઝારો કઝા નમાઝોના બરાબર કેવી રીતે થઈ શકે.

                જો કોઈ માણસની અમુક નમાઝો કઝા થઈ હોય અને એની સંખ્યા તેને યાદ હોય તો તેટલી નમાઝો કઝાની નિય્યતથી પઢવી જરૂરી છે અને જો કઝા થયેલી નમાઝોની સંખ્યા યાદ ન હોય તો અંદાજે સંખ્યા નકકી કરી એની કઝા કરે. કઝાએ ઉમ્રીના નામથી જે નમાઝ મશહૂર છે તેને પઢવાથી કઝા થયેલી નમાઝો ઝિમ્મેથી અદા નહિ થાય.  “કિફાયતુલ્ મુફતી” : ભાગ-૩, “અઝીઝુલ્ ફતાવા” : રપ૪] Log in or Register to save this content for later.