[૧૬ર] આશૂરહના રોઝહની ફઝીલત

Chapter : મુહર્રમ, આશૂરહ, તઅઝિયહ

(Page : 427-429)

સવાલ : આશૂરહના રોઝહની હદીસ શરીફમાં શું ફઝીલત આવેલી છે તે જણાવશો.

જવાબ : હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે,“મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કોઈ દિવસના રોઝામાં એ પ્રમાણે વધુ કોશિશ કરતાં જોયાં નથી કે તેને અન્ય દિવસોના રોઝાઓ કરતાં વધુ ફઝીલત આપી હોય, સિવાય આ દિવસના એટલે કે આશૂરહના દિવસના અને સિવાય આ મહિનાના એટલે કે રમઝાન મહિનાના. (“બુખારી”, “મુસ્લિમ”, “મિશ્કાત”-૧૭૮)

                હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે,  હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે મદીના મુનવ્વરા તશરીફ લાવ્યા તો યહૂદીઓને આશૂરાના દિવસનો રોઝો રાખતાં જોયા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓથી પૂછયું કે, “તમે આ દિવસનો રોઝો શા માટે રાખો છો ? “

                તો યહૂદીઓએ જવાબ આપતાં કહ્યું કે, “આ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેમાં અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અલૈ.) અને તેઓની કોમને ફિરર્થાન અને તેના લશ્કરથી નજાત અતા ફરમાવી અને જેમાં ફિરર્થાન અને તેની કોમને દરિયામાં ડૂબાડી દીધી. હઝરત મૂસા (અલૈ.)આ નેઅમતે નજાતના શુક્ર રૂપે આ દિવસનો રોઝો રાખતા હતા તો અમો પણ હઝરત મૂસા (અલૈ.)ની પેરવીમાં આ દિવસનો રોઝો રાખીએ છીએ.”

                આ જવાબ સાંભળી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,“અમો તમારા કરતાં હઝરત મૂસા (અલૈ.)ની પેરવીના વધુ હકદાર છીએ અને વધુ નિકટ છીએ.”

                તે પછી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલલાહુ અલયયહિ વ સલ્લમ)એ આ દિવસનો પોતે પણ રોઝહ રાખ્યો અને સહાબએ કિરામ (રદિ.)ને પણ રોઝહ રાખવાનો હુકમ આપ્યો.    (“બુખારી”, “મુસ્લિમ”, “મિશ્કાત”-૧૮૦)

                હઝરત અબૂ કતાદહ (રદિ.)ની હદીસમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,   “આશૂરાના રોઝહ વિષે મને અલ્લાહ તઆલાની ઝાતથી ઉમ્મીદ છે                 કે તેને પાછલા એક વર્ષના ગુનાહોનો કફફારો બનાવશે.” (“મુસ્લિમ શરીફ”)

                અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ યહૂદીઓના તરીકાની મુખાલફત કરવાના હેતુથી દસમી મુહર્રમ સાથે નવમી અથવા અગિયારમી મુહર્રમનો રોઝહ રાખવા પણ ફરમાવ્યું છે. માટે નવમી અને દસમી અથવા દસમી અને અગિયારમી મુહર્રમ એમ બે દિવસનો રોઝહ રાખવો મુસ્તહબ છે.                        (“શામી” : ર / ૮૩)

Log in or Register to save this content for later.