Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 76 to 81)
[૧૦] ઊંઘમાં કુફ્રિયહ શબ્દો બોલવા
સવાલ : એક બાલિગ મુસ્લિમ યુવાન છે. તેની હમણાં હમણાં શાદી થયેલ છે. તે ઊંઘમાં મોડી રાતના અથવા વહેલી સવારના ઘડી ઘડી ગેર મઝહબના મઅબૂદનું નામ રામ-ભગવાન વગેરે બે ચાર વખત પોકારે છે. જયારે એ મુસ્લિમ યુવાનની પત્ની તેને ઊંઘમાંથી જગાડી આવું બોલવાથી રોકે છે અને કહે છે કે, “અલ્લાહનું નામ લો ¦ “ તો તે મુસ્લિમ યુવાન ઊંઘની જ હાલતમાં કોઈક વખત એમ પણ કહે છે કે, “અલ્લાહ તો મરી ગયો.” તેમજ આ યુવાન પોતાની જ ઓરત સાથે સોહબત કર્યા પછી જનાબતનું ગુસલ પણ તરત કરતો નથી. સવારના ગુસલ કરે છે. તો શું આવી હાલતમાં આ મુસ્લિમ યુવાનનું ઈમાન કાયમ રહેશે. તેમજ આ યુવાનની ઓરત તેના નિકાહમાં રહેશે કે નિકાહમાંથી નીકળી જશે. અથવા નિકાહમાં કોઈ ખરાબી આવશે ?
જવાબ : સવાલમાં જે શબ્દો લખ્યા છે. રામ ભગવાનને પુકારવું તથા અલ્લાહ તો મરી ગયો (અલ્ ઈયાઝુ બિલ્લાહિ તઆલા મિન્હા) કુફ્રિયહ શબ્દો છે. જો કોઈ માણસ ઈરાદાપૂર્વક આવા શબ્દો ઉચ્ચારે તો તે કાફિર થઈ જશે. અને પોતાની ઓરતથી તેના નિકાહ તૂટી જશે.
ویکفر اذا وصف اللہ تعالی بمالا یلیق بہ او سخر باسم من اسمائہ۔۔۔۔۔۔او جعل لہ شریکا او ولدا او زوجۃ او نسبہ الی الجھل او العجز او النقص۔(البحر الرائق :۵؍۱۲۰)
[અર્થ : તે માણસ કાફિર ઠરશે જે અલ્લાહ તઆલાની એવી વસ્તુથી ઓળખ કરાવે જે તેના લાયક ન હોય અથવા તેના નામોમાંથી કોઈ નામની મઝાક ઉડાવે અથવા અલ્લાહ તઆલા માટે ભાગીદાર, અવલાદ કે પત્ની ઠરાવે અથવા અલ્લાહ તઆલા તરફ જહાલતની અથવા આજિઝ (અશકત) હોવાની અથવા કોઈ કમી હોવાની નિસ્બત કરે.]
અલ્લાહ તઆલાની સિફતોમાંથી એક સિફત હયાત (એટલે જીવંત હોવું છે) અલ્લાહ તઆલા હમેશાથી જીવંત છે. અને હમેશા જીવંત રહેશે. એટલું જ નહી પણ અલ્લાહ તઆલા હયાતની એવી મામૂલી કમજોરીઓથી પણ પર અને પાક છે કે જે મૌત સમાન છે. જેમ કે ઊંઘ અને ઊંઘનું ઘેન.
અલ્લાહ તઆલા સૂરએ “બ-ક-રહ”માં ફરમાવે છે કે,
اللہ لآ الہ الا ھو الحی القیوم لا تاخذہ سنۃ ولا نوم (سورۃ البقرۃ ، آیت: ۲۵۵)
અર્થ : “અલ્લાહ તઆલા એવો છે કે તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તેસજીવ (જીવંત) છે, તે હંમેશા કાયમ રહેવાવાળો છે.
તેના ઉપર ન તો ઊંઘ છવાય છે ન નિંદ્રા.”
માલૂમ પડયું કે આવા શબ્દો બોલવાથી અલ્લાહ તઆલાની સિફતે હયાતનો ઈન્કાર કરવો લાઝિમ થાય છે. જે ચોખ્ખું કુફ્ર છે.
સવાલમાં લખવા મુજબ જો ઊંઘની હાલતમાં આવા કુફ્રિયહ શબ્દો બકે છે તો આવા શબ્દો ઊંઘમાં બકવાથી ઈમાન કે નિકાહ પર કોઈ અસર પડશે નહી, કારણકે ઊંઘનાર ઈરાદાપૂર્વક શબ્દોનો ઉચ્ચાર નથી કરતો બલ્કે ઊંઘનારના શબ્દોને શબ્દોચ્ચાર કરનાર (વાત કરનાર અને બોલનાર) માનવામાં નથી આવતો.
بخلاف کلام النائم فانہ غیر معتبر عند احد ۔۔۔۔۔ قلت ۔۔۔۔۔ وفی التحریر وتبطل عباراتہ (ای النائم ) من الاسلام والردۃ والطلاق ولم توصف بخبر وانشاء وصدق وکذب ۔۔۔۔۔۔۔۔۔ الخ (شامی : ۲؍۴۲۷)
[અર્થ : ઊંઘનારની વાતચીતનો કોઈ પણ આલિમના નઝદીક એ”તિબાર નથી. અને તહરીર નામી કિતાબમાં છે કે ઊંઘનારની ઇસ્લામ સ્વીકારવાની અને ઇસ્લામથી ફરી જવાની અને તલાક આપવાની વાતો રદ-બાતલ ગણાશે. અને તેની વાતોને ભૂતકાળની ખબર કે વર્તમાન હુકમ અને સાચી કે જૂઠી નહી કહેવામાં આવે.]
હઝરત સાદિકે અમીન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ કુફ્ર અને શિર્કથી હિફાઝત માટે નીચે પ્રમાણે દુઆ પઢવા ફરમાવ્યું છે. તે દુઆ સવાર સાંજ ત્રણ ત્રણ વખત પઢવામાં આવે.
اللھم انی اعوذ بک من ان اشرک بک شیئا و انا اعلم واستغفرک لما لا اعلم انک انت علام الغیوب۔(در مختار : ۳؍۲۸۹،عالمگیر ی:۲؍۲۸۳)
“અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુ બિ-ક મિન્ અન્ ઉશ્રિ-ક બિ-ક શયઅંવ્ વ અ-ન અઅ્લમુ વ અસ્તગ્ફિરુ-ક લિમા લા
અઅ્લમુ, ઈન્ન-ક અન્ત અલ્લામુલ્ ગુયૂબ.”
[હે અલ્લાહ ! હું તારી પનાહ માંગું છું એ વાતથી કે હું જાણી જોઈને તારી સાથે કોઈને શરીક બનાવું. અને જે ગુનાહોથી હું અજાણ છું તેનાથી તારી માફી માંગું છું. તું જ છૂપી વાતોનો ખૂબ જાણનાર છે.]
જનાબતનું ગુસલ સોહબત કર્યા બાદ તુરંત કરવું જરૂરી નથી. જો કોઈ એ પ્રમાણે કરી લે તો અફઝલ છે કે જેથી નમાઝના વખત સુધી સૂઈ રહેવાય તો ગુસલના કારણે નમાઝ ન છૂટી જાય. માટે ગુસલ કરી નમાઝ જમાઅત સાથે પઢી શકાય, એટલા વખત સુધી ગુસ્લે જનાબતમાં મોડું કરવું જાઈઝ તો છે પણ નમાઝનો વખત થઈ જતાં સુધી મોડું કરવાથી ગુનાહગાર થશે. પણ એથી ઈમાન પર કે નિકાહ પર કોઈ અસર પડશે નહી. જો જનાબતની હાલતમાં સૂઈ જવું હોય તો વુઝૂ કરી સૂવું મુસ્તહબ છે. (“કબીરી” પ૬)
હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું છે,
“જે ઘરમાં (સજીવ વસ્તુનું) ફોટું કે કૂતરું અથવા જનાબતવાળી વ્યિકત હોય તે ઘરમાં (બરકત અને રહમતના) ફરિશ્તાઓ દાખલ નથી થતા.” (“મિશ્કાત” પેજ પ૦)
હદીસમાં એવી જનાબતવાળી વ્યિકત મુરાદ છે કે જેણે નમાઝના વખત વીતી જવા છતાં ગુસલ ન કયુઁ હોય. અને ગફલત સુસ્તીથી એવી જ હાલતમાં રહ્યો હોય. (“મિરકાત” ભાગ:૧/૩૩પ)
Log in or Register to save this content for later.