[૧ર૯] ગુનાહ છોડવા ઉપર શહાદતનો મરતબો

Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ

(Page : 366 to 369)

 [૧ર૯] ગુનાહ છોડવા ઉપર શહાદતનો મરતબો

સવાલ : માહે જુલાઈ-૮પના “દારુલ્ ઉલૂમ માસિક”માં શહીદોના ઊંચા દરજા વાંચતા નં. 🙁 ૭) જે શખ્સ કોઈના પર આશિક હોય છતાં પરહેઝગાર રહે અને પોતાની મુહબ્બતને છુપાવે ફરી એ હાલતમાં ગુજરી જાય. આ બાબતે ઊંડો વિચાર કરતાં ઘણી ગૈર સમજ ઊભી થાય છે. તો આશા છે કે આશિક અને મુહબ્બત કયા સંદર્ભમાં વપરાયા છે તેનો યોગ્ય ખુલાસો કરી પુરતી સમજણ  આપવા મહેરબાન થશો.

જવાબ : મજકૂર માણસને શહાદતનો મરતબો પ્રાપ્ત થવો હદીસ શરીફથી સાબિત છે.“સુનને બયહકી”માં હદીસ શરીફ છે કે :“જે માણસને કોઈ બીજા સાથે ઇશ્ક (હોય)અને તેણે પોતાની પાકદામની જાળવી રાખી અને ઇશ્ક, મુહબ્બતને છુપાવી રાખી અને તેની વફાત થઈ તો તે શહીદ થઈને મરશે.”

                ઉપરોકત હદીસ શરીફમાં ઇશ્કથી મુરાદ કોઈ પરાઈ ઓરત અથવા અમરદ છોકરાની કે પુરુષની ચાહત અને મુહબ્બત પોતાના દિલમાં પૈદા થઈ જવી છે.

                અફાફ અને પાકદામનીનો મતલબ એ છે કે નાજાઈઝ મુહબ્બતની  બુનિયાદ ઉપર અને તેના કારણે જે નાજાઈઝ હરકતો અને પ્રવૃત્તિઓ સામાન્ય રીતે આશિકથી ઉપિસ્થત થાય છે તેવી તમામ નાજાઈઝ અને નાપાક હરકતોથી પોતાને બચાવી રાખે.

                અને કિતમાન-છુપાવવાનો મતલબ એ છે કે જે માણસથી મુહબ્બત-પ્રેમ થઈ ગયો છે તે પ્રેમને બીજાઓ સામે જાહેર પણ ન થવા દે કે જેથી પ્રેમીની ફજેતી અને રુસ્વાઈ થાય, બલ્કે સબ્ર અને સહનશીલતાથી ફકત પોતાના સુધી જ મર્યાદિત રહેવા દે.

                ઉપરોકત હદીસ શરીફ વિશે કદાચ કોઈને એમ શંકા થાય કે મજકૂર માણસ નાજાઈઝ ઇશ્ક-પ્રેમના કારણે સજા પાત્ર થવો જોઈતો હતો તેને શહાદતનો દરજજો કેવી રીતે મળી શકે ?

                તો પ્રથમ સમજી લેવું જોઈએ કે નાજાઈઝ ઇશ્ક બે પ્રકારનો  હોય છે :

                એક ઇિખ્તયારી કે માણસ ઇરાદાપૂર્વક કોઈની નાજાઈઝ ચાહત દિલમાં પૈદા થવાની તરકીબો અપનાવે.

                બીજો ગૈર ઇિખ્તયારી ઇશ્ક કે આપોઆપ કોઈની ચાહત તેના દિલમાં જામી ગઈ તેને ત્યાગ કરવાના ઉપાયો અપનાવવા છતાં તેનો પ્રેમ ભૂલાતો નથી અને કાબૂ શિકતથી બહારની વસ્તુ બની ગઈ છે.

                પહેલાં પ્રકારનો ઇશ્ક તો કાબિલે ગિરિફત (પકડ) અને સજા પાત્ર છે, પણ બીજા પ્રકારનો ઇઝ્તિરારી અને કાબૂ શિકત બહારનો ઇશ્ક સજા પાત્ર નથી.

                બીજી વસ્તુ એ સમજવી જોઈએ કે જયારે કોઈ મુસલમાન દિલમાં કોઈ નાજાઈઝ અને ગુનાહિત કામનો વિચાર અને કલ્પના કરે અને તે કામ કરવાનો પાકો ઇરાદો કરી લે અને તે કામ પાર પાડવા માટે જે ઉપાયો અને સાધનો જરૂરી હોય છે તે બધાં જ તેના કાબૂ હેઠળ હોય અને તે કામ કરી છુટવા માટે કોઈ અવરોધ-અડચણ ન હોય, પરંતુ તે મુસલમાન માત્ર અલ્લાહ તઆલાના ડરથી અને આખિરતના અઝાબથી ભયભીત થઈને પોતાનો પાકો ઇરાદો હોવા છતાં તે કામ જતું કરે અને તેને પડતું મૂકે તો  આવો મુસલમાન ગુનાહિત કાર્ય પોતાના કાબૂ હેઠળ હોવા છતાં માત્ર અલ્લાહ તઆલાના ડરથી છોડવાના કારણે સવાબનો મુસ્તહિક બનેછે. અને તેના હિસાબમાં એક સંપૂર્ણ નેકી લખવામાં આવે છે.

                તો મજકૂર હદીસ શરીફમાં શહાદતનો મરતબો નાજાઈઝ ઇશ્ક-પ્રેમના કારણે બયાન નથી થયો, બલ્કે નાજાઈઝ ઇશ્કના કારણે જે ભૂંડી અને નાપાક હરકતોના ઇરાદાઓ નફ્સમાં ઉદ્ભવે છે તે નાપાક ઇરાદાઓ છતાં સબ્ર અને મુજાહદાથી કામ લઈ માત્ર અલ્લાહ તઆલાના ડરથી નાપાક કામોથી અળગો રહી પોતાની પાકદામની જાળવી રાખે છે અને તે પ્રેમને છુપાવી રાખે છે તો નાજાઈઝ કામોને પડતા મૂકવાથી અને પોતાની પાકદામની જાળવી રાખવાથી તે શહાદતનો મરતબો પ્રાપ્ત કરેછે. [“બવાદિરુન્‍નવાદિર” : ૪૦૯]

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે : “ફરિશ્તાઓ અરજ કરે છે કે :               હે અમારા પરવરદિગાર ¦ તારો ફલાણો બંદો ગુનાહ કરવાનો ઇરાદો કરે છે હાલાં કે અલ્લાહ તઆલા તે બંદાથી ખૂબ વાકિફ હોય છે,

                અલ્લાહ તઆલા ફરમાવે છે કે:   રાહ જુઓ, અગર તે ગુનાહનું કામ કરી લે તો તે ગુનાહના પ્રમાણમાં તેનો ગુનાહ લખી લો અને જો તે ગુનાહનું કામ છોડી  દે, જતું કરે તો તે બંદા માટે એક નેકી લખી લો, કારણ કે તેણે મારા લીધે જ તે કામ પડતું મૂકયું છે.”       [“મુસ્લિમ શરીફ” : ૧ / ૭૮]

                હદીસ શરીફમાં એક એવા માણસનો કિસ્સો નકલ કરવામાં આવ્યો છે કે :

                જેને પોતાના કાકાની છોકરી સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો અને નાજાઈઝ પ્રેમના પરિણામે તેણે તે છોકરીથી બદકારીની ઇચ્છા જાહેર કરી. છોકરીએ દીનાર આપવાની શર્ત ઠરાવી. તે માણસે કષ્ટી મહેનત કરીને સો દીનાર ભેગા કર્યા અને તે છોકરીને આપીને મેલી મુરાદ પૂરી કરવાની અણી ઉપર પહોંચી ગયો. છોકરીએ અલ્લાહ તઆલાથી ડરવાનો અને બદકારીથી બચવાનો અનુરોધ કર્યો, તે માણસે બદકારીનો ત્યાગ કર્યો, તો બદકારીની અણીએ  પહોંચીને અલ્લાહ તઆલાના ડરથી તેનો ત્યાગ કરવાને નેક અમલ ગણવામાં આવ્યો અને તે નેક અમલની બરકતથી તેના માથે આવી પડેલી આફતથી છુટકારાની દુઆ અલ્લાહ તઆલાએ કબૂલ ફરમાવી.[“મુસ્લિમ શરીફ” : ર / ૩પ૩] Log in or Register to save this content for later.