[૧રર] નેકી અને બદીની નિય્યત અને અમલ ઉપર જઝા અને સઝા

Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ

(Page : 350 to 358)

[૧રર] નેકી અને બદીની નિય્યત અને અમલ ઉપર જઝા અને સઝા

સવાલ : સાંભળવામાં આવ્યું છે કે જયારે કોઈ માણસ નેક કામ કરવાનો ઇરાદો કરે છે ત્યારે અલ્લાહ તઆલા એક નેકી અર્પણ કરે છે અને જયારે માનવી તે નેક કામને પૂરું કરી આપે છે તો તેને તે કામના બદલામાં પૂરેપૂરો બદલો આપે છે. અને જયારે માનવી કોઈ ગુનાહિત કામનો ઇરાદો કરે છે ત્યારે અલ્લાહ તઆલા તેના ગુનાહોને લખતો નથી પણ એ કામને જયારે માનવી પૂરું કરી આપે છે ત્યારે તેના ગુનાહો લખાય છે.

                હવે બીજા મસ્અલામાં નીચે મુજબ છે.

                ચાર માણસો છે,

(૧)     માલદાર જેણે માલનો સહીહ ઈસ્તેમાલ કરેલો છે. તેના બદલામાં અલ્લાહ તઆલા સારો અજર આપશે. અને

(ર)     બીજો માણસ ગરીબ છે જેનો ખ્યાલ એમ છે કે હું જો માલદાર હોત તો પહેલા માણસની જેમ દીનના રસ્તામાં માલ ખર્ચ કરત. આ બંનેવનો અજર અલ્લાહ તઆલા એક જ આપશે એટલે

                (બરાબર)અને

(૩)     ત્રીજો માણસ માલદાર છે પણ તે માલના સહીહ તરીકા પ્રમાણે માલને ખર્ચ કરતો નથી. મતલબ કે ગુનાહિત કાર્યમાં ખર્ચ કરે છે તો અલ્લાહ તઆલા તેને અઝાબ આપે છે. અને

(૪)     ચોથો માણસ જે ગરીબ છે પણ ખ્યાલ કરે છે કે હું જો માલદાર હોત તો એવા જ (ગુનાહિત) કામોમાં માલ ખર્ચ કરત. ત્રીજો અને ચોથો ગુનાહમાં સરખાં છે.

                તો હવે આ બંનેવ મસ્અલામાં મતભેદ કેમ છે ?

                બંનેવ મસ્અલામાં મતભેદ એ છે કે ઉપરના મસ્અલામાં જણાવ્યું કે માણસ ગુનાહિત કાર્યનો ઇરાદો કરે છે ત્યારે તેના ગુનાહ લખાતા નથી જયારે બીજા મસ્અલામાં ત્રીજા નંબર પર માલદારના મુકાબલામાં ચોથા નંબરનો માણસ ખાલી ઇરાદો કરે છે તો તેના ગુનાહો કેમ લખવામાં આવે છે ?

જવાબ  : આપના સાંભળવામાં આવેલા બંને મસ્અલામાં આપને મતભેદ લાગવાનું કારણ એ છે કે આપે એ સાંભળેલા મસ્અલાને દુરુસ્ત માની ફેસલો કરી લીધો. કુર્આન શરીફ અને હદીષ્ો પાકની રોશનીમાં એ મસ્અલાઓની વિગત નીચે મુજબ સમજશો તો મતભેદ આપો-આપ દૂર થઈ જશે.

                સર્વ પ્રથમ એ બાબત સમજી લેવી જોઈએ કે કોઈ કામ પર સવાબ અને તેનું પ્રમાણ અને ગુનાહ અને તેનું પ્રમાણ એ “સિમાઈ” વસ્તુઓ છે. એટલે કે કુર્આન-હદીષથી સાંભળીને જ કોઈ ફેસલો કરી શકાય છે. અંદાજ અને કયાસથી એ વસ્તું નકકી થઈ શકતી નથી.

                અગર મુસલમાન કોઈ નેક કામની નિય્યત કરે છે અને કોઈ કારણસર કરી શકતો નથી તો ફકત નિય્યત કરવા પર એક મોટી નેકી લખવામાં આવે છે. અને નિય્યત કર્યા બાદ જો અમલ પણ કરી લે છે તો અલ્લાહ તઆલાની મરજી મુજબ દસ અને દસથી વધુ નેકીઓ પણ લખવામાં આવે છે. (“મિરકાત” : ૧ / ૪૩)

“બુખારી” અને “મુસ્લિમ” શરીફમાં ઇબ્ને અબ્બાસ (રદિ.)ની રિવાયત છે કે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું છે કે,

                “બેશક અલ્લાહ તઆલા નેકીઓ અને બદીઓને લખે છે.

                (એટલે કે ફરિશ્તાઓને લખવાનો હુકમ આપે છે.)”

                તો જે મુસલમાન કોઈ નેકીનો ઇરાદો કરે છે અને કોઈ કારણના લઈ તે નેક કામ કરતો નથી તો અલ્લાહ તઆલા પોતાની પાસે એક કામિલ નેકી લખે છે. અને જો નેકીનો ઇરાદો કરે છે અને તે નેક કામ કરી ગુજરે છે તો અલ્લાહ તઆલા તે નેક માણસ માટે પોતાની પાસે દસ નેકીઓથી લઈ સાતસો ગણી સુધી બલ્કે તેનાથી પણ કંઈ ગણી વધારે લખે છે (એટલે કે નેક કામ કરનારના ઇખ્લાસ અને શર્તો તથા અદબોના પાલન કરવામાં તફાવત મુજબ દરેક વ્યિકતના સવાબમાં તફાવત રહેશે.) અને જે મુસલમાન કોઈ ગુનાહિત કામ કરવાનો ઇરાદો કરે છે પછી (ખુદા તઆલાના ડરથી) તે ગુનાહનું કામ કરતો નથી તો અલ્લાહ તઆલા પોતાની પાસે તે માણસની એક કામિલ નેકી લખે છે. અને જો ગુનાહના કામનો ઇરાદો કરે છે અને કરી પણ લે છે તો અલ્લાહ તઆલા તેનો એક ગુનાહ લખે છે. (“મિરકાત” પ / ૧૬૦)

                જ્યારે કોઈ મુસલમાનના દિલ અને દિમાગમાં કોઈ ગુનાહની કલ્પના હોય છે તો એના કેટલાક દરજાઓ હોય છે

                પ્રથમ તે વહેમના દરજામાં હોય છે,

                બીજા નંબરે ખયાલ બને છે,

                ત્રીજા નંબરે વિચાર બને છે,

                ચોથા નંબરે ઇરાદો બને છે, અને

                પાંચમાં દરજજે મકકમ નિર્ણય અને ચોકકસ ધ્યેય બને છે.

                અને આ વાસ્તવિકતાથી દરેક વ્યિકતને વાસતો પડતો હોય છે. એટલે આસાનીથી સમજી શકાય છે. એટલે જ ગુનાહિત કાર્યોની કલ્પના તો ઘણાંનાય મનમાં આવે પણ તેથી કંઈ તે કામો વુજૂદમાં નથી આવી જતાં.

                આ પાંચ દરજાઓને અરબી અને કુર્આન હદીષની ભાષામાં ક્રમશ: (૧) હાજિસ,  (ર) ખાતિર, (૩) હદીસુન્‍નફસ, (૪) હમ્મ, અને (પ) અઝ્મના શબ્દથી યાદ કરવામાં આવે છે.              (“રૂહુલ્ મઆની” : ૩/૬૪)

                જયાં સુધી ગુનાહિત કાર્ય દિલમાં આવી પહેલા ચાર દરજાઓમાંથી કોઈ એક દરજા સુધી પહોંચી ખત્મ થઈ જાય અને નીકળી જાય છે તો તેના પર ગુનાહ લાગુ પડતો નથી અને આ ઉમ્મતે મુહમ્મદિયહ અલા સાહિબિસ્સલાતુ વસ્સલામની વિશિષ્ટતા છે કે ચોથા દરજાએ પહોંચતા સુધી અલ્લાહ તઆલા માફી અતા ફરમાવે છે.

                હઝરત અબૂ હુરયરહ (રદિ.) રિવાયત કરે છે કે,                રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું છે કે, “બેશક અલ્લાહ તઆલા મારી ઉમ્મતની તે ભૂંડી વાતોથી ત્યાં સુધી દરગુજર ફરમાવે છે જે વાતો તેઓના સીનાઓમાં વસવસા અને વિચાર રૂપે આવે છે જયાં સુધી કે (જો હાથ, પગ, આંખ વગેરે અંગોથી કરવાની હોય તો) તેને કરી ન લે અથવા (જો ઝુબાનથી બોલવાની હોય તો) કહી ન લે.”(“બુખારી”, “મુસ્લિમ શરીફ”)

                બીજી હદીષમાં છે કે,

                “જયારે કોઈ મુસલમાન ગુનાહ કરવાનો વિચાર અને ફકત સામાન્ય

                ઇરાદો કરે છે અને તેને કરતો નથી તો તેના વિરુદ્ઘ તે ગુનાહને

                લખવામાં આવતો નથી અને જયારે કરી ગુજરે છે તો તે બુરાઈ

                બરાબર ગુનાહ લખવામાં આવે છે.”             (“તફસીરે મઝહરી”)

                પરંતુ મુસલમાન દિલમાં જયારે કોઈ ગુનાહનો મજબૂત નિર્ણય કરી લે છે અને અલ્લાહ તઆલાના ડર અને તેની તરફના ધ્યાન થવા સિવાય બીજી કોઈ રુકાવટ અને અગવડને લઈ તેને કરવાથી અશિકતમાન બની કરતો નથી તો ન કરવા છતાં પણ તે ગુનાહગાર થાય છે.

                મુલ્લા અલી કારી (રહ.)એ ઇમામ ગઝાલી (રહ.)નું ઉદાહરણ સહિત કલામ નકલ કયુઁ છે કે,

૦      રસ્તે ચાલતાં પોતાની પીઠ પાછળ આવી રહેલી એવી ઓરતની સૂરતનું દિલમાં આવવું કે જો મોઢું ફેરવે તો તેને જોઈ શકાય એ ખાતિર (પ્રથમ નંબર) છે.

૦      પછી તેના તરફ જોવાની રગબત થવી (બીજો નંબર છે)

૦      ત્રીજા નંબરે દિલનો તેને જોવાનો ફેસલો કરવો. જેનું નામ એઅતેકાદ છે. અને

૦      ચોથા નંબરે દિલનો મકકમ નિર્ણય અને પુખ્ત નિય્યત કરી લેવી               કે બસ જોવું જ છે. તો ચોથા નંબરે ગુનાહ લાગુ પડે છે.

                ઇમામ ગઝાલી (રહ.)ના કલામમાં ચાર દરજાઓ બતાવી અઝમ (મકકમ નિર્ણય)ને ચોથો દરજો આપવામાં આવ્યો છે એટલો તફાવત યાદ રાખવો જોઈએ.

                કુર્આન શરીફમાં મવજૂદ છે,

وَإِنْ تُبْدُوا مَا فِي أَنْفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُمْ بِهِ اللَّهُ

અર્થ : અને જો તમે પોતાના મનના વિચારો જાહેર કરશો અથવા તેને

                છુપાવશો, અલ્લાહ તઆલા તમારાથી તેનો હિસાબ લેવાના છે.

અર્થાત્ :

                ખોટી માન્યતાઓ અથવા દુગર્ુણો અથવા ગુનાહો કરવાના પાકા ઇરાદા અને મકકમ નિર્ણયની જે વાતો તમારા દિલોમાં છે તેને તમો (ઝુબાન અને શરીરના અંગોથી) જાહેર કરશો કે દિલ દિલમાં છુપાવી રાખશો. અલ્લાહ તઆલા તો (બીજા ગુનાહોની જેમ તે વાતોનો પણ) હિસાબ લેશે. હિસાબ કર્યા પછી (કુફ્ર અને શિર્ક સિવાય) જેના હકમાં બક્ષિાશ મંજૂર હશે તેને માફ કરી દેશે અને જેને સજા કરવી મંજૂર હશે તેને સજા આપશે. અને અલ્લાહ તઆલા તો દરેક વસ્તુની સંપૂર્ણ તાકતવાળા છે.      (“બયાનુલ્ કુર્આન”)

                હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.)એ હઝરત સુફયાન (રહ.)થી પૂછયું કે, “શું અલ્લાહ તઆલા બંદાના ગુનાહિત કાર્યના વિચાર અને સામાન્ય ઇરાદા ઉપર પણ પકડ કરશે ?” તો સુફયાન (રહ.)એ જવાબ આપ્યો કે, “હાં જયારે એ સામાન્ય ઇરાદો પુખ્ત અને મકકમ નિર્ણય બની  જશે તો તેના ઉપર પણ પકડ કરશે.”  (“તફસીરે મઝહરી” ૧ / ૪૦૭)

                અલ્લામા મહમૂદ આલૂસી (રહ.)એ પણ પોતાની તફસીરમાં લખ્યું છે કે, દિલના ગુનાહિત મકકમ નિર્ણયોનો પણ “અવ્તુખ્ફુહુ” (અને તેને છુપાવશો.)માં સમાવેશ થાય છે.

                એક સહીહ હદીષ છે કે,

                રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “જયારે બે મુસલમાન પોતાની તલવારો લઈ આપસમાં લડે ઝગડે છે (અને પરિણામે કોઈ એક કતલ થઈ જાય છે) તો   કાતિલ અને મરનાર (મકતૂલ) બંને જહન્‍નમમાં જશે.” રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પૂછવામાં આવ્યું કે, “મકતૂલ (મરનાર) કયા કારણે જહન્‍નમમાં જશે ?” તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે,          “(એ કારણથી) કે તે મરનાર પણ પોતાના કાતિલ સાથી ને કતલ કરવા જ તત્પર હતો.”

                આ હદીષથી સાફ જણાઈ ગયું કે મકતૂલ (મરનાર) ગુનાહ કરવાના ફકત મકકમ નિર્ણય અને પુખ્ત નિય્યત કરવાના કારણે જ જહન્‍નમમાં જશે. હાલાંકે તે તો ગુનાહનું કામ કર્યા વગર મઝલૂમ થઈને મૃત્યું પામે છે.

                હાં, જો ગુનાહના કામની પુખ્ત નિય્યત કર્યા પછી માત્ર અલ્લાહના ડર અને યાદના કારણે તે કામને કરવાનું પડતું મૂકે છે તો ખુદા તઆલાના ખોફથી નફસનો વિરોધ કરવાથી તેવા માણસ માટે એક કામિલ નેકી લખાય છે. જેમ કે, ઉપરોકત ઇબ્ને અબ્બાસ (રદિ.)ની હદીષમાં એનું વર્ણન છે.(“અલ અશ્બાહ” : ર૬)

                નેકીના કામોમાં પોતાનો માલ ખર્ચ કરનાર માલદાર અને ખર્ચ કરવાની નિય્યત કરનાર ગરીબ બંનેને સરખો સવાબ મળે છે એ મંતવ્ય સહીહ નથી. જેમકે ઉપર ઇબ્ને અબ્બાસ (રદિ.)ની હદીષમાં છે કે નેક કામની નિય્યત કરનારને એક નેકી મળે છે અને નિય્યત કરી અમલ કરનારને દસ અને તેથી વધુ જેટલી નેકી અલ્લાહ તઆલા અતા ફરમાવવા ચાહે મળે છે.

                “બુખારી શરીફ” અને “મુસ્લિમ શરીફ”માં હઝરત અબૂ હુરયરહ (રદિ.)થી રિવાયત છે કે,

                ગરીબ મુહાજિરીન (રદિ.)ની એક જમાઅત હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં હાજર થઈ અને અરજ કરી કે,           “(અલ્લાહ તઆલાની નઝદીકી અને સવાબના) ઊંચા ઊંચા રુત્બાઓ અને હમેશાંની નેઅમત (એટલે કે જન્‍નત) તો આ મોટા મોટા માલદારો જ પામી ગયા.”

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,“આ વાતનો મતલબ શું છે ?              અને એ પામી જવાનું કારણ શું છે ?”                તો એ ગરીબોએ અરજ કરી કે,   “(એનું કારણ એ છે કે) તેઓ અમારી પેઠે નમાઝ પઢે છે.                અને અમારી જેમ રોઝા રાખે છે. (તદ્ઉપરાંત) તેઓ માલથી સદકો ખૈરાત કરે છે. અને અમે (ગરીબીના લઈ) સદકો ખૈરાત       નથી કરી શકતા. તેઓ ગુલામ આઝાદ કરે છે અને અમે નથી કરી શકતા. (મતલબ કે બદનથી અદા થતી ઇબાદતોમાં તેઓ અમારી                 બરાબર છે અને માલી ઇબાદતોમાં તેઓ આગવું સ્થાન ધરાવે  છે.)”રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,         “શું હું તમોને એક એવો અમલ બતાવી આપું કે તે અમલ દ્વારા તમો આગલા મુસલમાનોનો મરતબો પ્રાપ્ત કરી શકો અને તે અમલ વડે પાછલા મુસલમાનોથી તમે ફઝીલતમાં આગળ વધી                જાઓ અને માલદારોમાંથી કોઈ વ્યિકત સવાબમાં તમારાથી આગળ વધી નહિ શકે સિવાય તેઓમાંથી એવો માણસ કે જે તમારા અમલ કરવા મુજબ અમલ કરે (કે તે માલદાર વ્યિકત તો તમારાથી  આગળ જ રહેશે.)”        હાજિરીન ગરીબોએ અરજ કરી કે,             “જરૂર એવો અમલ તાલીમ ફરમાવો.” આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “દરેક નમાઝ પછી તેત્રીસ (૩૩) વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ) તકબીર (અલ્લાહુ અકબર) અને તહમીદ (અલ્હમ્દુલિલ્લાહ) પઢયા કરો.”

                હદીષના રાવીયોમાંથી અબૂ સાલિહ કહે છે કે, (થોડી મુદ્દત) પછી ગરીબ મુહાજિરીન આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં બીજીવાર હાજર થયા અને અરજ કરી કે,

                “અમારા માલદાર મુસલમાન ભાઈઓને આપના બતાવેલા અમારા અમલની ખબર પડી ગઈ છે અને તેઓ પણ એ મુજબ અમલ કરવા લાગ્યા છે .  (માટે તેઓ તો પાછા સવાબમાં અમારાથી  આગળ થઈ ગયા.)”  હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે, “એ (માલદારોનું સવાબમાં આગળ વધી જવું) તો ખુદાઈ                 ફઝ્લ અને દૈન છે. અલ્લાહ તઆલા જેને ચાહે અતા ફરમાવે છે. (માટે સબર અને ખુદાઈ તકસીમથી રઝામંદી સિવાય હાલ બીજો કોઈ ઉપાય કે રસ્તો નથી)”  (“અશિઅ્અતુલ્લમ્આત” : ૧ / ૪ર૦)

                આ હદીષથી એટલી વાત સાફ રીતે સમજી શકાય છે કે ગરીબ મુહાજીરો પણ જો માલ પોતાની પાસે આવે તો નેકી ખૈરાતના કામોમાં ખર્ચ કરવા ઘણાં આતુર અને ઉત્સાહી હતા. પરંતુ તે છતાં હુઝૂરે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના જવાબે એ સ્પષ્ટ કરી આપ્યું કે ખર્ચ કરીને કામ કરનારનો સવાબ વધુ રહેશે.

                ગુનાહિત કાર્યોમાં ખર્ચ કરનાર માલદાર અને પોતાને માલ મળે તો ગુનાહિત કાર્યોમાં ખર્ચ કરવાનો પાકો ઇરાદો કરનાર ગરીબ બંનેવ ગુનાહમાં સરખાં છે એ મંતવ્ય પણ દુરુસ્ત નથી.

                મુલ્લા અલી કારી (રહ.) પોતાની શર્હે મિશ્કાતમાં કાઝી અયાઝ (રહ.)ના હવાલાથી નકલ કરે છે કે,

                જમહૂર સલફ ફુકહાએ કિરામ અને મુહદ્દિસીને ઈઝામ (રહ.)નો મત એ છે કે, ગુનાહનો પાકો નિર્ણય કરવાથી પકડ થશે. પરંતુ ગુનાહિત કાર્યના નિર્ણયનો ગુનાહ અને સજા લાગુ પડશે. ગુનાહિત કાર્ય કરવાનો ગુનાહ અને સજા લાગુ નહિ પડે.                (“મિરકાત” : ૧ / ૪૩-૧૩પ)

                શેખ અબ્દુલ હક મુહદ્દિસે દહેલ્વી (રહ.) લખે છે કે,            ગુનાહનો મકકમ નિર્ણય ગુનાહ કરવા સમાન નથી. અને નિર્ણય પર ગુનાહ કરવા જેવી પકડ નહિ થાય. દાખલા તરીકે વ્યભિચારનો પાકો નિર્ણય ગુનાહ છે પરંતુ તે ઝિનાનો અમલ નથી. અને તેના પર વ્યભિચાર કરવા બરાબર સજા લાગુ નહિ પડે. ખુલાસો એ કે વ્યભિચાર કરવા કરતાં વ્યભિચારનો નિર્ણય નિચલા દરજાનો ગુનાહ છે. (“અશિઅ્અહ” : ૧ / ૮૦, “લમ્આતુત્તનકીહ” : ૧ / ૧૩૦)

Log in or Register to save this content for later.