Chapter : તકદીર
(Page : 347 to 350)
[૧ર૧] દુઆ, વઝીફહથી તકદીરમાં તબ્દીલી (ફેરફાર)
સવાલ : શું વઝીફહ અથવા દુઆથી મારી તકદીર બદલાઈ શકે છે ?
મારી મુસીબતથી છૂટકારા માટે ઘણા લોકો મને વઝીફહ પઢવા કહે છે અને કોઈ વઝીફહ સિવાય બીજા કામો કરવા કહે છે, પરંતુ મારી સમજમાં એ વાત નથી આવતી કે અલ્લાહ તઆલાએ લવ્હે મહફૂઝમાં તકદીરરૂપે લખી દીધેલી વાત કેવી રીતે બદલાઈ શકે ?
જવાબ : તમારે તકદીર તબદીલ થવા ન થવાના વિચારોમાં ન પડવું જોઈએ અને અલ્લાહ તઆલાએ તથા હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મુસીબતો દૂર થવાના અને હેતુઓ પાર પાડવાના, પ્રાપ્ત થવાના જે ઉપાયો બતાવ્યા છે, તે કરતાં રહેવું જોઈએ, આ મુસીબતોથી છૂટકારો મેળવવા માટે તમો જે કંઈ વઝીફહ પઢશો, દુઆ કરશો અથવા કુર્આન-હદીસથી સાબિત હોય એવો બીજો કોઈ અમલ કરશો તો તે પણ તકદીરમાં લખાયેલું જ છે અને વઝીફહ, દુઆ અને અન્ય કોઈ અમલથી મકસદ પ્રાપ્ત થવો એ પણ તકદીરમાં લખાયેલું જ છે, એમ માનવું અને સમજવું જરૂરી છે.
હઝરત અબૂ ખિઝામહ (રદિ.) પોતાના વાલિદ સાહબથી નકલ કરે છે કે, મેં અરજ કરી કે, “યા રસૂલલ્લાહ ¦ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમો જે દમ કરીએ છીએ અથવા ગળામાં કે હાથ પર તાવીઝ બાંધીએ છીએ અથવા કોઈ દવાનો ઉપયોગ કરીએ છીએ અથવા કોઈ રક્ષાણની વસ્તુ (ઢાલ, બખતર) વડે પોતાનો બચાવ કરીએ છીએ, આપ અમને બતાવો કે શું આ વસ્તુઓ અલ્લાહ પાકે નકકી કરેલ તકદીરમાંથી કોઈ વસ્તુને રોકી અને રદ કરી શકે છે ? “ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ જવાબ આપ્યો કે, “આ વસ્તુઓ (નો ઉપયોગ) પણ તકદીરનો જ એક ભાગ છે.”(“મિશ્કાત શરીફ” બાબુલ્ ઈમાનિ બિલ્કદ્ર)
આ બધી વસ્તુઓ પણ તકદીરમાં શામેલ છે, તેમાંથી કોઈ વસ્તુ તકદીરથી બહાર નહિ ગણાય. (“અશિઅ્અહ” : ૧ / ૧૦૧)
તકદીરના બે પ્રકાર છે :
(૧) તકદીરે મુબરમ જેમાં કોઈ ફેરફાર થતો નથી અને તે બદલાતી નથી.
(ર) તકદીરે મુઅલ્લક જેમાં તકદીર આધારિત ફેરફાર અને તબદીલી થાય છે.
માટે નિરાશ થયા વિના મકસદ પ્રાપ્ત થવાની આશાએ અમલ કરતાં રહેવું જોઈએ અને અમલની તૌફીકને મકસદ પ્રાપ્ત થવાની નિશાની સમજવી જોઈએ. (“મિરકાત” : ૧ / ૧૪૬)
હઝરત સલમાન ફારસી (રદિ.) નકલ કરે છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,“ફકત અલ્લાહ તઆલાથી દુઆ જ તકદીરને રોકી અને રદ કરી શકે છે.” (“મિશ્કાત શરીફ”)
શૈખ અબ્દુલ હક મુહદ્દિસે દહેલ્વી (રહ.) લખે છે કે, “આ હદીસનો તહકીકી ભાવાર્થ આ છે કે આ હદીસમાં તકદીરથી તકદીરે મુઅલ્લક મુરાદ છે.” (“અશિઅ્અહ” : ર / ૧૭ર)
શૈખ મુલ્લા અલી કારી (રહ.) લખે છે કે, “ખુલાસો આ છે કે તકદીરે મુઅલ્લકમાં ફેરફાર અને તબદીલી થાય છે અને તકદીરે મુબરમમાં કોઈ તબદીલી અને ફેરફાર થતો નથી.” (“મિરકાત” : ભાગ પ)
હઝરત ઇબ્ને ઉમર (રદિ.)થી નકલ છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “ઉતરેલી અને આવેલી મુસીબતમાં પણ દુઆ લાભ કરે છે (કે જો તે તકદીરે મુઅલ્લકમાંથી હોય તો દુઆથી દૂર થઈ જાય છે અને જો તે મુસીબત તકદીરે મુહકમમાંથી હોય તો દુઆથી એવો સબ્ર પ્રાપ્ત થાય છે કે તે મુસીબતનું વેઠવું સરળ થઈ જાય છે) અને હજુ સુધી ન ઉપિસ્થત થયેલી મુસીબતમાં પણ દુઆ લાભ કરે છે (કે અલ્લાહ તઆલા તેનાથી મહફૂઝ રાખે છે) માટે હે અલ્લાહના બંદાઓ તમો દુઆને લાઝિમ પકડો (દુઆ જરૂર કરતા રહો).” (“મિશ્કાત શરીફ”)
ઇમામ ગઝાલી (રહ.) બીજી રીતે સમજાવે છે કે, “અગર કોઈ સવાલ કરે કે જયારે તકદીર રદ થતી નથી તો દુઆ કરવાથી શું ફાયદો ? “અને આ સવાલનો જવાબ આપતાં લખે છે કે, “આ બાબત જાણી લેવું જોઈએ કે બલા-મુસીબતનું દુઆથી દૂર થવું એ પણ તકદીરનો જ એક ભાગ છે, માટે દુઆ એવી જ રીતે બલા દૂર થવાનું અને રહમત પામવાનું એક માધ્યમ છે જેવી રીતે કે ઢાલ હથિયારોથી હિફાઝતનું માધ્યમ છે અને પાણી જમીનથી છોડ ઊગવાનું માધ્યમ છે.”(“મિરકાત” : પ / ૩૯)
Log in or Register to save this content for later.