Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 174 to 178)
હજ્જે બદલ
”હજ્જે બદલ”નો અર્થ છે બીજાના તરફથી હજ્જ કરવી, કોઈના તરફથી નફલી હજ્જ, કે ઉમરહ કરવા માટે કોઈ જ શર્ત નથી. હા, હજ્જ ઉમરહ કરનારમાં અહલિયત, એટલે કે ઇસ્લામ અને આકિલ–બાલિગ હોવું જરૂરી છે.
બીજા માણસથી ફર્ઝ હજ્જ અદા કરાવવા માટે વીસ (ર૦) શરતો છે. આ શરતો જાણવા પહેલાં આટલું યાદ રાખો કે હજ્જ કરાવવા વાળાને ”આમિર” (એટલે કે હુકમ કરનાર) કહેવામાં આવે છે, અને જે માણસ, બીજાના હુકમથી હજ્જ કરે છે તેને ”મા’મૂર” કહેવામાં આવે છે.
શરતો આ છે :
૧ | જે માણસ હજ્જ કરાવી રહયો છે, તેના ઉપર હજ્જ ફર્ઝ થઈ ગઈ હોવી જોઈએ. |
૨ | હજ્જ ફર્ઝ થઈ ગયા પછી, પોતે હજ્જ કરવાથી આજિઝ અથવા મજબૂર હોય. |
૩ | મરતાં સુધી આજિઝ રહયો હોય. |
૪ | ”આમિર” અને ”મામૂર” બંને મુસલમાન હોય. |
૫ | ”આમિર” અને ”મામૂર” બંને આકિલ હોય. |
૬ | ”મામૂર”માં એટલી તમીઝ હોય કે, હજ્જના અમલો સમજતો હોય જો ઓરત, મર્દના તરફથી હજ્જે બદલ કરે તો જાઈઝ છે, પણ કોઈ મર્દથી હજ્જે બદલ કરાવવું અફઝલ છે, અને એવા માણસથી હજ્જે બદલ કરાવવી અફઝલ છે, જે આલિમે બાઅમલ હોય મસ્અલાઓનો જાણકાર હોય, અને પોતાની હજ્જ કરી ચુકયો હોય. |
૭ | પોતાની હયાતીમાં હજ્જે બદલ કરાવી રહયો હોય, તો બીજાને પોતાની તરફથી હુકમ કરવો, અને જો વસીય્યત કરીને મરી ગયો હોય, તો વારિસ તરફથી હુકમ થવો શર્ત છે. જો મય્યિતે વસિય્યત નથી કરી, પણ વારિસ, અથવા કોઈ અંજાણો માણસ, તેના તરફથી પોતે હજ્જ કરે, અથવા બીજા કોઈથી કરાવે તો ઈન્શાઅલ્લાહ તે મય્યિતનો ફર્ઝ અદા થઈ જશે. અને તે સૂરતમાં, આગળ આવતી શરતો લાગુ નહિ પડે. |
૮ | સફરમાં પૂરો માલ, અથવા વધૂ પડતો માલ, હજ્જ કરાવવા વાળાના માલથી ખર્ચ થવું. જો ”મામૂરે” પોતાના પૈસાથી હજ્જ અદા કરી, અને પછી ”આમિર”ના માલમાંથી ખર્ચ વસૂલ કરી લીધો, તો ”આમિર”ની હજ્જ અદા થઈ જશે. નહિ તો નહિ થશે. |
૯ | એહરામ બાંધતી વખતે, અથવા હજ્જના અમલો શુરૂઅ કરતી વખતે, ”આમિર” તરફથી હજ્જની નિય્યત કરવી. |
૧૦ | એક જ માણસ તરફથી હજ્જનું એહરામ બાંધવું. |
૧૧ | એક જ હજ્જનું એહરામ બાધંવું. |
૧૨ | જો ”આમિરે” કોઈ માણસનું નામ લીધું હોય, તો તે માણસનું ”આમિર” તરફથી હજ્જ કરવું.– અને જો ઈખ્તિયાર આપ્યો હોય કે, (કોઈ પણ વ્યકિતથી હજ્જ કરાવી આપો તો પછી કોઈ પણ વ્યકિત મા’રફતે કરાવી શકાય છે) અને ”આમિર” માટે આ જ મુનાસિબ છે. |
૧૩ | મામૂરનુ મુઅય્યન (નકકી) થવું, એટલે કે જો ”આમિરે” કહયું હોય કે, ફલાણો માણસ જ હજ્જ કરે,કોઈ બીજો ના કરે, તો બીજા પાસે કરાવવી નાજાઈઝ છે, પણ જેને નકકી કર્યો છે, તે ઈન્કાર કરી આપે, અને વારિસ કોઈ બીજાથી હજ્જ કરાવે તો જાઈઝ છે. |
૧૪ | જો મરનારના માલનો ત્રીજો ભાગ હજ્જના ખર્ચ માટે કાફી હોય, તો ”આમિર”ના વતનથી હજ્જ કરાવવી, નહિતો પછી ”મીકાત”થી પહેલાં, જયાંથી પણ શકય હોય, ત્યાંથી કરાવવી. |
૧૫ | હજ્જ અથવા ઉમરહ, આમિરે જેનો હુકમ આપ્યો છે, તેના જ માટે સફર કરવો, જો હજ્જનો હુકમ આપ્યો હોય, અને ”મામૂર” પહેલા, ઉમરહ કરે, અને પછી મીકાત ઉપર પાછો આવીને તે વર્ષે અથવા બીજા વર્ષે, હજ્જનું એહરામ બાંધે, તો ”આમિર”ની હજ્જ અદા નહિ થાય. |
૧૬ | જો માલના ત્રીજા ભાગમાં ગુંજાઈશ હોય, તો સવારી ઉપર હજ્જ કરવી. |
૧૭ | ”આમિર”ના મીકાતથી એહરામ બાંધવું, જો ”મામૂર” મીકાતથી ઉમરહનું એહરામ બાંધે, અને મકકહ મુકર્રમહ જઈ હજ્જનું એહરામ બાંધે, અને હજ્જ કરે તો ”આમિર”ની હજ્જ અદા થશે નહિ. આનાથી માલૂમ પડયું, કે મકકહ મુકર્રમહ અથવા મદીનહ મુનવ્વરહના, રહેવાસી પાસે, હજ્જે બદલ કરાવવું સહીહ નથી. આ સૂરતમાં હજ્જ કરનારની જ હજ્જ થશે, ”આમિર” તરફથી હજ્જ નહિ થાય, હા, નફલી હજ્જ, ગમે તેના પાસે કરાવી શકાય છે. |
૧૮ | હજ્જનું ફાસિદ ન થવું. |
૧૯ | હજ્જનું ફૌત ન થવું. |
૨૦ | ”આમિર”ના હુક્મના વિરૂધ્ધ ના કરવું, જો ”આમિરે” ”ઈફરાદ” એટલે કે ફકત હજ્જનો હુકમ કર્યો હોય, અને ”મામુર” ”હજ્જે તમત્તુઅ” અથવા ”હજ્જે કિરાન” કરે તો હુકમના વિરૂધ્ધ કરનાર થયો, એટલે ”આમિર”ને પૈસા પાછા આપવા પડશે, અને તે હજ્જ ”મામૂર”ની પોતાની ગણાશે. |
નોટ : (૧)જેના ઉપર હજ્જ ફર્ઝ નથી અને તેણે પહેલાં હજ્જ નથી કરી તેને ”હજ્જે બદલ” માટે જવું, ઈમામ અબૂહનીફહ (રહ.)ના નઝદીક જાઈઝ છે, પણ સારું એ છે કે હજ્જે બદલ માટે એવા માણસને મોકલવામાં આવે જેણે પોતાની હજ્જ કરી લીધી હોય.
(ર)જેના ઉપર હજ્જ ફર્ઝ થઈ ગઈ છે, અને હજુ તેણે હજ્જ અદા નથી કરી, તેણે હજ્જે બદલ માટે જવું જાઈઝ નથી.
(૩)માં–બાપ માંથી કોઈ ઈન્તિકાલ કરી જાય અને તેના ઝિમ્મે હજ્જ ફર્ઝ હતી અને તેણે તેની અદાયગી માટે વસીય્યત નથી કરી, તો બેટાએ એહસાનના તૌર પર વાલિદૈન તરફથી હજ્જ કરાવી આપવી જોઈએ અને પોતે તેમના તરફથી હજ્જ કરે, તો વધારે સારું, અને આવી સૂરતમાં ”નંબર સાત” પછીની શરતો લાગુ નહિ પડે, અને જો પોતે અથવા બીજા પાસે મકકહ મુકર્રમહથી હજ્જ કરાવે તો પણ ઇન્શાઅલ્લાહ તે મય્યિતની ફર્ઝ હજ્જ અદા થઈ જશે.
(૪)જયારે માં–બાપમાંથી કોઈ એક ઇન્તિકાલ કરી જાય અને તેમના ઉપર હજ્જ ફર્ઝ ના હતી અને તેના છોકરાઓ સાહિબે હૈસિયત છે, તો આવી શકલમાં વાલિદૈન તરફથી ફર્ઝ હજ્જ તો નથી કરાવી શકતા, કારણ કે માં–બાપ ઉપર હજ્જ ફર્ઝ ના હતી,તે છતાં અવલાદે વાલિદૈન તરફથી ઈસાલે સવાબ માટે હજ્જ કરાવવી અથવા પોતે તેમના તરફથી હજ્જ કરવી ઉત્તમ વાત છે અને આ શકલમાં પણ ”નંબર સાત” પછીની શરતો લાગુ નહિ પડે. અને પોતે અથવા બીજા પાસે મકકહ મુકર્રમહથી પણ હજ્જ કરાવી શકે છે.
આ સિલસિલામાં યાદ રાખો કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું છે કે વાલિદૈનની વફાત પછી, તેમના માટે, ખૈરો બરકતની દુઆઓ કરતા રહો, અને તેમના માટે અલ્લાહથી મગફિરત અને બખ્શિશ માંગતા રહો.
જેથી હજ્જ કરાવી વાલિદૈન ને તેનો સવાબ પહોંચાડવો, મગફિરત અને બખ્શિશ માંગવા બરાબર છે.
(પ)જેણે પોતાની ફર્ઝ હજ્જ અદા કરી લધી હોય, તેના માટે નફલ હજ્જ કરવા કરતાં બીજાના તરફથી હજ્જે બદલ કરવું અફઝલ છે.
(૬) મહેનતાણું આપીને હજ્જ કરાવવી કોઈ પણ હાલતમાં જાઈઝ નથી. કોન્ટ્રાકટ આપી હજ્જે બદલ ના કરાવો.
નોટ : હજ્જે બદલની નિય્યત આ પ્રમાણે કરે :
(*)અય અલ્લાહ હું પોતાના વાલિદ, (અથવા ફલાણા) તરફથી હજ્જની નિય્યત કરું છું.
(*) જીવતા, કે મરેલાઓ તરફથી તવાફ અથવા ઉમરહ કરતા હોય તો તેમના માટે પણ આ જ પ્રમાણે નિય્યત કરવી.
Log in or Register to save this content for later.