નાબાલિગ છોકરાંઓના હજ્જની રીત

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 173 to 174)

નાબાલિગ છોકરાંઓના હજ્જની રીત

                નાબાલિગ છોકરાઓ તેમજ છોકરીઓ બે પ્રકારના હોય છે, એક તો સમજદાર છોકરા, છોકરીઓ, કે જેઓ હજ્જની નિય્યત કરીને, તલબિયહ પઢી શકે છે અને હજ્જના અમલો અદા કરવાની અકકલ અને સૂઝબૂઝ રાખે છે. અને બીજા તે નાના છોકરા, નાની છોકરીઓ, કે જેઓ નિય્યત તથા હજ્જના અમલોની સમજ નથી રાખતા. આ બંને કિસમના છોકરાંઓ માટે હજ્જની રીત અલગ અલગ છે.

                પહેલા પ્રકારના છોકરાંઓ કે જેઓ સમજદાર છે, તેમની હજ્જની રીત આ છે, કે તેઓ મોટા માણસોની જેમ જ, પોતે નિય્યત કરીને, તલબિયહ પઢીને, એહરામ બાંધે, અને હજ્જના તે બધા જ અમલો, કે જેના કરવા ઉપર તેઓ કાદિર છે, પોતે જ કરે, એમાં વાલી કે બાપ નિય્યત નથી કરી શકતા, બલ્કે આવા છોકરા, છોકરીઓ બધાજ અરકાનો અને વાજિબો પોતે અદા કરે.

                બીજા પ્રકારના છોકરાંઓ તે છે કે જેઓ નાસમજ છે, તેમના વાલિદ અને જો વાલિદ સાથે ના હોય તો તેમના સૌથી નઝદીકના, જે સગા હોય તેઓ, છોકરાઓને નવડાવીને, એહરામની બે ચાદરો લપેટી આપે અને છોકરાંઓ તરફથી પોતે નિય્યત કરીને, તલબિયહ પઢે, આ રીતે છોકરું મુહરિમ થઈ જશે, હવે વાલી છોકરાને, એહરામના મમ્નૂઆતથી બચાવતો રહે, અને તેમને સાથે લઈને, હજ્જના અમલો કરાવે, અને જે અમલોમાં નિય્યતની જરૂરત હોય, જેમકે તવાફ, તેમાં છોકરાં તરફથી પોતે નિય્યત કરે, અને તેને ઉંચકીને તવાફ અને સઈ કરાવે અથવા પોતાના તવાફ તથા સઈ પછી, છોકરાં માટે તવાફ તથા સઈ પોતે કરે અથવા પોતાની મદદથી કરાવે.

                તવાફની બે રકા’ત છોકરાંઓ ઉપરથી સાકિત (માફ) થઈ જાય છે, માટે વાલી તેના તરફથી બે રકા’ત નમાઝ ના પઢે.

                છોકરાંઓને સાથે લીધા વગર, પોતાની રમી પછી, છોકરાંઓની રમી કરે, અથવા છોકરાંને સાથે લઈ, તેના હાથમાં એક પછી એક કાંકરી મુકીને, છોકરાંને રમી કરાવે.

                એટલું યાદ રાખો, કે ઉપરોકત બંને પ્રકારના છોકરાંઓ, જે હજ્જ કરે છે, તેનાથી તેમની ફર્ઝ હજ્જ અદા નહિ થાય, પણ નફલ હજ્જ થશે, અને વાલીને તેનો સવાબ મળશે.

                જો નાસમજ બચ્ચાઓ અન્યોને જોઈને અથવા કોઈના કહેવાથી પોતે એહરામ બાંધે અને હજ્જ કરે, તો તેની હજ્જ કોઈ જ ગણત્રીમાં નહિ આવે, ન તો ફર્ઝ થશે અને ન નફલ.

                બંને પ્રકારનાં છોકરાંઓનું એહરામ લાઝિમ નથી, એટલે કે જો છોકરું એહરામ બાંધ્યા પછી, તેને ખોલી નાંખે અથવા હજ્જના બધા જ અમલો અથવા અમુક અમલો કે વાજિબો છોડી આપે, તો તેના ઉપર ન તો જઝા વાજિબ થશે અને ન તો કઝા વાજિબ થશે અને આવી હાલતમાં તેની નફલ હજ્જ પણ ગણવામાં નહિ આવે.

Log in or Register to save this content for later.