ઓરતની હજ્જની રીત

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 180 to 184)

ઓરતની હજ્જની રીત

                કિતાબના પાછલા પેજોમાં હજ્જે તમત્તુઅમાં જયાં જયાં ઓરતો માટે કોઈ અલગ મસ્અલો હતો, તો તે તેની જગા ઉપર બયાન કરી દેવામાં આવ્યો છે, તે છતાં આસાની માટે, અહીંયા ઓરતોના હજ્જની રીત અલગ લખવામાં આવી રહી છે, જેથી એક સાથે સમજવામાં સરળતા રહે.

                ઓરતો એ હજ્જના બધા અમલો, મર્દોની જેમ જ કરવાના છે, અમુક જ બાબતોમાં મર્દોથી થોડો અલગ હુકમ છે અને અમુક બાબતો ઓરતોની સાથે મખ્સૂસ છે.

(૧)     ઘણી ઓરતો હજ્જ કે ઉમરહ માટે મહરમ અથવા શોહર વગર ચાલી જાય છે, આ રીતે હજ્જ કે ઉમરહ માટે જવું, નાજાઈઝ અને ગુનાહનું કામ છે.

(ર)     કેટલીક ઓરતો ફર્ઝી (માની લીધેલાં) મહરમ (જેમકે મોં બોલા બેટા,મોં બોલા બાપ, મોં બોલા ભાઈ) બનાવીને હજ્જ કે ઉમરહ માટે ચાલી જાય છે, શરીઅતમાં તેની કોઈ જ ગુંજાઈશ નથી અને આ ગુનાહનું કામ છે અને શરીઅતના કાનૂનની મઝાક ઉડાડવા બરાબર છે. આ સૂરતમાં હજ્જ કે ઉમરહ તો થઈ જશે, પરંતુ સાથે સાથે તેણીના નામએ આ’માલમાં મહરમ વગર સફર કરવાનો ગુનોહ પણ લખવામાં આવશે અને પેલો ફરઝી મહરમ મફતમાં જ ગુનેહગાર થશે.

(૩)     અમુક ઓરતો એમ સમજે છે કે, કેટલીક ઓરતો ભેગી મળીને હજ્જ કે ઉમરહ માટે જઈ શકે છે, તેમનો એ ખ્યાલ ખોટો છે, અને યાદ રાખો કે, આ મનાઈનો હુકમ જુવાન, ઘરડી દરેક માટે એક સરખો છે. મો’મીન બંદાઓ ઉપર શરીઅતની પાબંદી કરવી જરૂરી છે, પોતાની મનચાહત ઉપર અમલ ના કરે.

(૪)     જે ઓરત ઉપર હજ્જ ફર્ઝ થઈ ગઈ, પણ તેની સાથે હજ્જમાં જનાર કોઈ મહરમ નથી, તો તેણીએ મહરમ મળતાં સુધી, હજ્જ મુલ્તવી કરવી જોઈએ, અને આ મજબૂરીના કારણે હજ્જમાં જે મોડું થશે, તેનો કોઈજ ગુનોહ તેને નહિ થાય. જો ઝિંદગીભર કોઈ મહરમ ના મળે, તો આવી ઓરતે મરતી વખતે હજ્જે બદલની વસીય્યત કરવી વાજિબ છે.

(પ)    ઈદ્દતમાં બેઠેલી ઓરત ઈદ્દતના દિવસોમાં હજ્જ માટે બિલકુલ ના જાય, આ હાલતમાં તેના માટે હજ્જની સફર કરવી હરામ છે. એથી વધીને એ કે આવી ઓરત માટે સફરે શરઈથી ઓછી મસાફત માટે સફર કરવું પણ જાઈઝ નથી. ઈદ્દતની હાલતમાં ઓરત કોઈ સખ્ત મજબૂરી હોય, તો ફકત દિવસ દરમિયાન ઘરની બહાર નીકળી શકે છે, પણ રાતે તો, કોઈ પણ હાલતમાં ઈદદતવાળા મકાનમાં પાછા આવવું પડશે અને રાત તે જ મકાનમાં ગુઝારવી પડશે. તો જાહિર વાત છે, કે હજ્જમાં આવું થઈ નથી શકતું, માટે તલાક અથવા મૌતની ઈદ્દતમાં હજ્જ માટે ન નીકળે, તે છતાં જો સફર કરશે તો હજ્જ કે ઉમરહ તો થઈ જશે, પણ ગુનેહગાર થશે.

(૬)     એહરામ બાંધતી વખતે મરદોની જેમ બે ચાદરો લપેટવાનો ઓરતો માટે હુકમ નથી, ઓરતો તો પોતાના સીવેલા કપડાં જ પહેરશે, ભલેને તે રંગીન હોય. ઓરતો હાથ અને પગના મોજા પણ પહેરી શકે છે, જો કે સારું એ છે કે મોજા ન પહેરે. ઓરત એવા બૂટ પણ પહેરી શકે છે જેનાથી પગના વચ્ચેનું હાડકું છુપાઈ જાય.

(૭)     ઓરત, મરદની જેમ માથું ખુલ્લું ના રાખે, ઓરત માટે માથાનું ઢાંકવું વાજિબ છે. ઓરતે એહરામની હાલતમાં માથે એક નાનો રૂમાલ બાંધવો જોઈએ, જેથી માથું ખુલવા ના પામે. પણ એ યાદ રહે, કે રૂમાલ પેશાની ઉપર ના આવી જાય, જો આવી જશે તો, જઝા વાજિબ થશે, કારણ કે એહરામની હાલતમાં, ઓરતની પેશાની ઉપર કપડું લાગવું નાજાઈઝ છે. રૂમાલ બાંધવો એહરામમાં દાખલ નથી, કારણ કે ઓરતના માથામાં એહરામ નથી.

(૮)     ઓરતો ”તલબિયહ” ઊંચી અવાઝે ના પઢે.

(૯)     ઓરતો તવાફમાં ”રમલ” ના કરે.

(૧૦)   જો મરદોની ભીડ વધારે હોય તો ઓરતોએ ખાનએ કઅબહથી દૂર રહીને તવાફ કરવો જોઈએ, ભીડમાં મરદોની સાથે મળી જઈને તવાફ કરવું ગુનોહ છે, કારણ કે ઓરતોનું જિસ્મ, બીજા મરદોને અડી જશે જે હરામ છે.

(૧૧)   એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, જેમ જેમ ૮ ઝિલ્હજ્જ નઝદીક આવશે, તેમ તેમ ભીડ વધતી જશે અને ૮ ઝિલ્હજ્જના બે–ચાર દિવસ પહેલાં, એટલી જબરદસ્ત ભીડ થઈ જાય છે કે જો કોઈ માણસ ફર્ઝ નમાઝની જમાઅતના થોડીકવાર પહેલાં, તવાફ થી ફારિગ થાય, તો તેને નમાઝ માટે ઉભા રહેવા જગા મળવી મુશ્કિલ થઈ જાય છે, કારણ કે પુરું મતાફ ખીચો ખીચ ભરાઈ જાય છે, તો જયારે મરદને જગા નથી મળી શકતી, તો ઓરતને તો કયાંથી મળી શકશે ? માટે તે દિવસોમાં ઓરતોએ એવા ટાઈમે તવાફ કરવો જોઈએ, કે નમાઝના ટાઈમથી ઘણી વાર પહેલા તવાફથી ફારિગ થઈ શકે.

(૧ર)   સફા–મરવહની સઈ કરતી વખતે લીલા થાંભલાઓના વચમાં ઓરતોએ દોડવું નહિ, બલ્કે પોતાની સ્વભાવિક ચાલ પ્રમાણે જ ચાલતી રહે.

(૧૩)   ઓરતો એહરામથી હલાલ થવા માટે માથું ના મુંડાવે, પણ પૂરા માથાના વાળ અથવા ચોથા ભાગના માથાના વાળને, લંબાઈમાં આંગળીના વેઢા જેટલા કાપી લે.

(૧૪)   ઘરેથી હજ્જ માટે રવાના થતી વખતે, જો ઓરતને માસિક આવતું હોય તો તે હાલતમાં એહરામ બાંધી શકે છે. એહરામ બાંધવાની નિય્યતથી ગુસલ કરી લે અને જો આવી હાલતમાં ગુસલ નુકસાન કરતું હોય, તો વુઝૂ કરીને કિબ્લહ તરફ મોઢું કરીને, બેસીને એહરામની નિય્યત કરી લે અને તલબિયહ પઢી લે, એહરામની બે રકા’ત નમાઝ આ હાલતમાં પઢવાની નથી.

(૧પ)   એહરામ બાંધ્યા પછી, માસિક આવી જાય, તો એનાથી એહરામ ખતમ નહિ થાય, એહરામ બાકી જ રહેશે એહરામ તો ત્યારે જ ખુલશે જયારે હજ્જના બધા અમલોથી ફારિગ થઈ વાળ કપાવશે.

(૧૬)   માસિક આવવાની હાલતમાં હોય તો મકકહ મુકર્રમહ પહોંચીને, પોતાના રૂમ ઉપર જ થોભે અને મસ્જિદે હરામમાં ના જાય, કેમકે હૈઝ અથવા નિફાસની હાલતમાં ઓરત માટે મસ્જિદે હરામમાં અથવા કોઈપણ મસ્જિદમાં દાખલ થવું, મના છે. આવા સમયે ઓરત તલબિયહ,તકબીર, લાઇલાહ ઇલ્લલ્લાહ, અને તસ્બીહ પઢતી રહે જયારે માસિકથી પાક થઈ જાય, ત્યારે એહરામની પાબંદીઓને ધ્યાનમાં રાખીને પાકીનું ગુસલ કરી, બાવુઝૂ, હરમ શરીફમાં જઈને, ઉમરહના અમલો કરે.એટલેે કે તવાફ કરે, બે રકા’ત નમાઝ તવાફની પઢે, અને સઈ કરીને, ઉપર બતાવ્યા મુજબ બાલ કપાવી, બે રકા’ત નમાઝ પઢી એહરામથી ફારિગ થાય.

(૧૭)   આવી જ રીતે જો ૮ઝિલ્હજ્જ પહેલાં જ માસિક શરૂ થઈ જાય, તો તેવી જ હાલતમાં હજ્જનું એહરામ બાંધી લે, હજ્જની નિય્યત કરી લે અને તલબિયહ પઢે.–મિના, અરફાત, અને મુઝદલિફહમાં નમાઝો ના પઢે, પણ તલબિયહ, તકબીર, લાઇલાહ ઇલ્લલ્લાહ, અને તસ્બીહ પઢતી રહે અને જો હજુ પણ હાલતે હૈઝમાં હોય, તો તવાફે ઝિયારત ના કરે, પાક થયા પછી તરત જ તવાફે ઝિયારત કરી લે.

(૧૮)   માસિક આવવાના કારણે ”તવાફે ઝિયારત” પોતાના ટાઈમથી લેટ થઈ ગયો, તો તેથી ”દમ” વાજિબ નહિ થાય, પરંતુ એ ખ્યાલ રાખે કે ”તવાફે ઝિયારત” હજ્જનો રૂકન છે અને તેનો કોઈ જ બદલ, કે કજા નથી, અને નતો એ કદી માફ થાય છે અને જયાં સુધી તવાફે ઝિયારત નહિ કરે, હજ્જ અદા નહિ થાય.

(૧૯)   જો તવાફ કરી રહી હતી અને માસિક આવી ગયું, તો તવાફ કરવાનું તરત જ બંધ કરી, મસ્જિદથી બહાર આવી જાય અને સઈ તવાફના તાબેઅ છે, એટલે સઈ પણ ના કરે, પાક થયા પછી તવાફ અને સઈ કરે.

(ર૦)   જો એવું બને કે, તવાફથી હજુ ફારિગ જ થઈ હતી, કે માસિક આવવાનું શરૂ થઈ ગયું, તો પછી તવાફ તો થઈ ગયો છે, એટલે હવે માસિક આવવાની હાલતમાં જ સફા–મરવાની સઈ કરી લે, એ જાઈઝ છે કારણ કે સઈ માટે હૈઝથી પાકી જરૂરી નથી, અલબત્ત પાકીની હાલતમાં સઈ કરવી સુન્‍નત છે.

(ર૧)   માસિકવાળી ઓરત (નમાઝ અને તિલાવતે કુર્આન સિવાય) બીજી દુઆઓ, દુરૂદ શરીફ તથા વઝીફા ચાલુ રાખી શકે છે અને તે જાઈઝ છે, મના નથી. આવી ઓરત માટે મુસ્તહબ આ છે કે, નમાઝનો ટાઇમ થાય તો દરેક નમાઝના ટાઇમે પાક–સાફ થઈને મુસલ્લા ઉપર બેસીને, જેટલો ટાઇમ નમાઝ અદા કરવામાં જાય છે એટલો ટાઇમ ”સુબ્હાનલ્લાહ” અને ”લાઈલાહ ઈલ્લલ્લાહ” તેમજ ”અસ્તગફિરુલ્લાહ લ્લઝી લાઇલાહ ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ”, પઢતી રહે, જેથી ઈબાદતની આદત પણ ના છૂટે.

(રર)   જો માસિક વાળી ઓરતના સાથીઓ, પોતાના વતન પાછા ફરી રહયા હોય અને ઓરત હજુ પાક નથી થઈ, તો તે ઓરત માટે ”તવાફે વિદાઅ”નું છોડી આપવું જાઈઝ છે અને તવાફ છોડવાના કારણે દમ પણ વાજિબ થશે નહિ. વતન રવાના થવાનો ટાઈમ આવે, તો આવી ઓરત મસ્જિદે હરામમાં તો દાખલ ના થાય, પણ મસ્જિદે હરામના ”બાબુલ વિદાઅ” અથવા બીજા કોઈ પણ દરવાજાની સામે બહાર ઉભી રહીને, દુઆઓ માંગે, અને ખાનએ કઅબહની દૂરથી જ ઝિયારત કરી લે અને પોતાના વતન માટે રવાના થઈ જાય.

(ર૩)   ઓરતોમાં આજ–કાલ આ વાત જે મશ્હૂર છે, કે હજ્જ અને ઉમરહના સફરમાં પરદો નથી, આ જહાલતની વાત ગણાય, આવી ઓરતો બે પરદા થઈને, પોતે પણ ગુનેહગાર બને છે અને તેમની ઉપર નજર નાખનાર મરદોને પણ ગુનેહગાર કરે છે.

Log in or Register to save this content for later.