હઝરત શિબ્લી (રહ.) અને તેમના એક મુરીદ વચ્ચેનો ઈમાનવર્ધક વાર્તાલાપ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 159 to 168)

હઝરત શિબ્લી (રહ.) અને તેમના એક મુરીદ

વચ્ચેનો ઈમાનવર્ધક વાર્તાલાપ

(૧)

શયખ : તમે હજ્જનો ઈરાદો પાકો કર્યો હતો ?
મુરીદ : જી, હા! હજ્જનો ઈરાદો પાકો જ હતો.
શયખઃ શું એ હજ્જના ઈરાદાની સાથે સાથે તે સઘળા ઈરાદાઓને એકદમ છોડી દેવાનો મકકમ કરાર પણ કર્યો હતો કે જે પેદા થવા પછીથી આજ સુધી હજ્જની શાન વિરૂધ્ધ કર્યા હતા ?
મુરીદ : આવો અહદ તો કર્યો ન હતો.
શયખઃ તો પછી હજ્જનો અહદ જ ન થયો.

(ર)

શયખ : એહરામ વખતે બદન પરથી બધાં કપડાં (સીવેલાં) ઉતારી નાખ્યા હતા ?
મુરીદ : જી,   હા ! બિલકુલ ઉતારી નાખ્યાં હતાં.
શયખ : શુ તે વખતે ખુદાના સિવાય દરેક વસ્તુ પોતાનાથી અલગ કરી હતી ?
મુરીદઃ એવું તો થયું ન હતું.
શયખ : તો પછી કપડાં શાના ઉતાર્યા ?

(૩)

શયખ : એહરામ વખતે વુઝૂ અને ગુસલ કરી પાકી હાસિલ કરી હતી ?
મુરીદ : જી, હા ! બરાબર પાક સાફ થયો હતો.
શયખ : શું એ વેળા દરેક જાતની ગંદકી અને સઘળા ગુનાહોથી પણ પાકી મળી હતી ?
મુરીદ : એમ તો થયું ન હતું .
શયખ : તો પછી પાકી શું હાસિલ થઈ !

(૪)

શયખ : લબ્બયક પઢયા હતા કે નહિ ?
મુરીદ : જી, હા !
શયખ : શું અલ્લાહ જલ્લ શાનહૂ તરફથી લબ્બયકનો જવાબ મળ્યો હતો ?
મુરીદ : જવાબ તો કાંઈ મળ્યો નહિ.
શયખ : તો લબ્બયક પણ શુ કહયું !

(પ)

શયખ : હરમે પાકમાં દાખિલ થયા હતા ?
મુરીદ : જી, હા ! દાખિલ થયો હતો.
શયખ : શું હરમે પાકમાં દાખિલ થતી વખતે સઘળી હરામ વસ્તુઓને સદાને માટે ત્યાગી દેવાનો મજબૂત ઈરાદો કર્યો હતો ?
મુરીદ : એ તો મેં કર્યું નહિ.
શયખ : ત્યારે તો હરમે પાકમાં દાખિલ જ ન થયા!

(૬)

શયખ : મકકહ મુકર્રમહની ઝિયારત કરી હતી ?
મુરીદ : જી, હા ! ઝિયારત કરી હતી.
શયખ : શું એ વખતે આલમે બાલા (બીજી દુન્યા)ની ઝિયારત પણ થઈ હતી ?
મુરીદ : આલમે ઉકબાની કોઈ ચીઝ મારા જોવામાં નહિ આવી.
શયખ : ત્યારે તો મકકહની ઝિયારત પણ નહિ થઈ !

(૭)

શયખ : મસ્જિદે હરામમાં દાખિલ થયા હતા ?
મુરીદ : જી, હા ! દાખિલ થયો હતો.
શયખ : શું એ વખતે હકતઆલા શાનુહૂની નઝદીકમાં દાખિલ થવાનો એહસાસ થયો હતો ?
મુરીદ : ના એવું તો મને કાંઈ જણાયુ નહિ.
શયખ : ત્યારે તો મસ્જિદમાં દાખિલ જ થયા નહિ !

(૮)

શયખ : કઅબહ શરીફની ઝિયારત થઈ હતી ?
મુરીદ : જી, હા ! ઝિયારત કરી હતી.
શયખ : શું તે ચીઝ જોઈ, કે જેના લીધે કઅબહનો સફર ખેડયો હતો ?
મુરીદ : મને તો કાઈ પણ નજરે પડયું નહિ .
શયખ : તો પછી કઅબહ શરીફની ઝિયારત પણ થઈ નહિ !

(૯)

શયખ : તવાફમાં રમલ કર્યો હતો ?
મુરીદ : જી, હા !
શયખ : શું દોડતી વખતે દુન્યાથી પણ એવીજ રીતે નાઠા હતા કે જેમાં એમ જણાયું હોય કે દુન્યાને તદ્દન ઠુકરાવી દીધી   ?
મુરીદ : એવું તો મહસૂસ થયું નહિ .
શયખ : તો પછી રમલ પણ કર્યો નહિ !

(૧૦)

શયખ : હજરે અસ્વદ પર હાથ મુકી તેને ચૂંબન કર્યું હતું ?
મુરીદ : જી, હા ! એ કર્યું હતું.
શયખ : (ખૌફઝદહ થઈ એક આહ ખેંચી પછી ફરમાવ્યું) તારો નાશ થાય, ખબર પણ છે કે નહિ ? કે જે હજરે અસ્વદ પર હાથ મુકે તે જાણે હકતઆલા શાનુહૂથી મુસાફહો (મુલાકાત) કરે છે, અને જેની સાથે હકતઆલા શાનુહૂ મુસાફહો કરે તે દરેક રીતે અમનમાં થઈ જાય છે. તો શું તમારા ઉપર પણ અમનના ચિન્હો ઝહિર થયા હતા ?
મુરીદ : મને તો અમનના કંઈ ચિહ્‌નો જણાયા નહિ .
શયખ : તો પછી તમે હજરે અસ્વદ પર હાથ મુકયો જ નહિ !

(૧૧)

શયખ : મકામે ઇબ્રાહીમ ઉપર ઉભા રહી બે રકા’ત નફિલ નમાઝ પઢી હતી ?
મુરીદ : જી, હાં ! પઢી હતી.
શયખ : મકામે ઇબ્રાહીમ પર નમાઝ પઢતી વેળા તમો ખુદાવન્દે કરીમની હુઝૂરમાં એક મોટા મરતબા પર પહોંચ્યા હતા, તો શું તે મરતબાનો હક અદા કર્યો અને જે હેતુસર ત્યાં ઉભા થયા હતા તે હેતુ પૂરો કર્યો ?
મુરીદ : મેં એવું તો કાંઈ કર્યું નહિ .
શયખ : તો પછી મકામે ઇબ્રાહીમ પર નમાઝ પણ પઢી નહિ !

                (૧ર)

શયખ : સફા–મરવહની સઈ કરવા માટે સફા પર ચઢયા હતા ?
મુરીદ : જી, હા !
શયખ : ત્યાં શું શું કર્યુ હતું ?
મુરીદ : સાત વખત તકબીર કહી અને હજ્જના કબૂલ થવાની દુઆ માંગી હતી .
શયખ : તમારી તકબીરની સાથે ફરિશ્તાઓએ પણ તકબીર કહી હતી અને પોતાની તકબીરની હકીકત તમે જાણી હતી કે નહિ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે તકબીર પણ કહી નહિ.

(૧૩)

શયખ : સફા ઉપરથી નીચે ઉતર્યા હતા ?
મુરીદ : જી, હા ! ઉતર્યો હતો.
શયખ : એ વખતે દરેક જાતની બીમારી મટી જઈ તમારામાં સફાઈ આવી ગઈ હતી ?
મુરીદ : નહિ .
શયખ : તો પછી ન સફા પર ચઢયા અને ન ઉતર્યા !

(૧૪)

શયખ : શું સફા–મરવહ વચ્ચે દોડયા હતા ?
મુરીદ : જી, હા ! દોડયો હતો.
શયખ : તે વખતે ખુદાના સિવાય દરેક વસ્તુથી નાસી તેની તરફ પહોંચી ગયા હતા ?
મુરીદ : ના .

 

શયખ : તો તમે દોડયા પણ નહિ !

(૧પ)

શયખ : મરવહ પર ચઢયા હતા ?
મુરીદ : જી, હા ! ચઢયો હતો.
   
શયખ : ત્યાં સકીનહ (સંતોષ) નાઝિલ થઈ અને એમાંથી મોટો ભાગ પ્રાપ્ત થયો હતો ?
મુરીદ : ના.
શયખ : ત્યારે મરવહ પર ચઢયા જ નહિ !

(૧૬)

શયખ : મિના ગયા હતા ?
મુરીદ : જી, હા ! ગયો હતો.
શયખ : ત્યાં અલ્લાહ જલ્લ શાનુહૂથી એવી ઉમ્મીદો બંધાઈ હતી જે ગુનાહની હાલત સાથે ન હોય ?
મુરીદ : ના. નહિ થઈ શકી.
શયખ : તો મિના જ ગયા નહિ !

(૧૭)

શયખ : મસ્જિદે ખૈફ (જે મિનામાં છે)માં દાખિલ થયા હતા ?
મુરીદ : જી, હા ! દાખિલ થયો હતો.
શયખ : શું એ વખતે અલ્લાહ જલ્લશાનુહૂનો ખૌફ એટલો ગાલિબ થયો હતો કે એ વખત સિવાય કદી તેટલો ન થયો હોય   ?
મુરીદ : નહિ.
શયખ : તો મસ્જિદે ખૈફમાં દાખિલ જ ન થયા !

(૧૮)

શયખ : અરફાતના મેદાનમાં ગયા હતા ?
મુરીદ : જી, હા ! ત્યાં હાજર થયો હતો.
શયખ : ત્યાં આ વસ્તુ ઓળખી હતી કે દુન્યામાં કેમ આવ્યા ? અને અહિં શું કર્યું ? અને હવે કયાં જવાનું છે ? તથા એ હાલતોથી ચેતવનાર વસ્તુ પણ જાણી હતી કે નહિ ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે તો અરફાત પર ગયા જ નહિ !

(૧૯)

શયખ : મુઝદલિફહ ગયા હતા ?
મુરીદ : જી, હા ! મુઝદલિફહ ગયો હતો.
શયખ : ત્યાં ખુદાએ પાકનો એવો ઝિક્ર કર્યો હતો કે જે અલ્લાહના સિવાય દરેક વસ્તુને દિલથી ભુલાવી નાખે ?
મુરીદ : એવું તો નહિ થયું.
શયખ : ત્યારે મુઝદલિફહ ગયા નહિ !

(ર૦)

શયખ : મિનામાં જઈ રમી કરી હતી ?

(એટલે કાંકરી મારી હતી ?)

મુરીદ : જી, હા ! કરી હતી.
શયખ : દરેક કાંકરીની સાથે પોતાની આગલી અજ્ઞાનતાથી મુકત થઈ ઈલ્મમાં તરકકી થઇ હોવાનો એહસાસ કર્યો   હતો ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે રમી કીધી જ નહિ !

(ર૧)

શયખ : મિનામાં જઈ કુર્બાની કીધી હતી ?
મુરીદ : જી, હા ! કીધી હતી.
શયખ : તે વખતે તમારા નફસને ઝુબ્હ કરી નાખ્યો હતો ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે કુર્બાની જ કીધી નહિ !

(રર)

શયખ : તવાફે ઝિયારત કર્યો હતો ?
મુરીદ : જી, હા ! તવાફે ઝિયારત કર્યો હતો.
શયખ : તે વખતે કઈ હકીકતો અને અસરાર તમારા પર ખુલ્યા હતા ? અને અલ્લાહ જલ્લશાનુહૂ તરફથી તમારા પર એઅ્‌જાઝ અને ઈકરામ (ઈઝઝત અને માન)નો વરસાદ વરસ્યો હતો ? કેમકે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે, હજ્જ અને ઉમરો કરનાર અલ્લાહ તઆલાની ઝિયારત કરનાર છે અને જેની ઝિયારત અર્થે કોઈ જાય તો તેના પર હક થઈ જાય છે કે પોતાની ઝિયારત કરનારનો સત્કાર કરે. (તેનો ઈકરામ અને એઅ્‌જાઝ કરે.)
મુરીદ : મારા પર તો એવું કાંઈ મુનકશિફ થયું નહિ.
શયખ : ત્યારે તમે તવાફે ઝિયારત કર્યો જ   નહિ !

(ર૩)

શયખ : હલાલ થયા હતા ?
મુરીદ : જી, હા ! હલાલ થયો હતો.(એહરામ ખોલવાને હલાલ થવાનું કહે છે.)
શયખ : તે વખતે સદાને માટે હલાલ રોજી કમાવવાનો અહદ કર્યો હતો ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે તમો હલાલ પણ થયા નહિ !

(ર૪)

શયખ : તવાફે વદાઅ કર્યો હતો ?
મુરીદ : જી, હા ! કર્યો હતો.
શયખ : તે વખતે તન, મનને સદંતર અલવિદા કહી દીધું હતું ?
મુરીદ : નહિ.
શયખ : ત્યારે તવાફે વદાઅ પણ કર્યો નહિ. પછી ફરમાવ્યું કે બીજી વખતે હજ્જ કરવા જાઓ અને જેમ મેં વિગતવાર બયાન કર્યું, તેવી હજ્જ કરીને આવો !

                                ઉપરોકત કિસ્સો બયાન કરીને શૈખુલ હદીસ હઝરત મવલાના ઝકરિય્યહ (રહ.) લખે છે કે આ લાંબો કિસ્સો અહીંયા ટાંકવાનો મકસદ એ જ છે કે આનાથી અંદાઝો લગાવી શકાય છે કે એહલે ઝોક અને આશિકોની હજ્જ કેવી હોય છે.

                આગળ હઝરત શૈખ (રહ.) લખે છે કે દરેક ઝમાનામાં એવા લોકો જરૂર હોય છે, જેમની હજ્જ આવી કેફિયતોથી ભરપૂર હોય છે. અલ્લાહ તઆલાના મુખ્લિસ બંદાઓની ખોટ નથી પણ તેમને શોધવા પડે છે.

Log in or Register to save this content for later.