Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 119 to 126)
હજ્જતુલ વદાઅનો ખુત્બો
(હજ્જતુલ વદાઅનો ખુત્બો સઘળા માનવીઓ માટે સદાના માટેનું એક અટલ માર્ગદર્શન છે. વ્યકિતગત અને સામુહિક ક્ષેત્રે આ મહાન ખુત્બો, સંસ્કારિક બંધનો અને પવિત્ર સામાજીક ઉસૂલો તથા રાજયનીતિ માટે એવા અંતિમ બંધારણો ઉપર શામેલ છે કે ચૌદ સદીઓ પસાર થવા છતાં તેમાં કોઈ પણ જાતનો ફેરફાર અને વધારો–ઘટાડો થઈ શકયો નથી અને ભવિષ્યમાં પણ તેમાં તબદીલીની કોઈ શકયતા નથી.
હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક અને પવિત્ર વાણીમાં બયાન ફરમાવેલ એ (ખુત્બાના) શબ્દો વાસ્તવમાં અંતિમ શબ્દો જ પુરવાર થયા, જે ખરેખર માનવતાના માટે માર્ગદર્શકની રૂએ હંમેશાના માટે દીવાદાંડીરૂપ છે.)
હઝરત જાબિર (રદિ.)ની એક લાંબી હદીષમાં ”હજજતુલ વદાઅ”નું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં ૯મી ઝિલ્હજ્જના હાલાતનું વર્ણન કરતાં ફરમાવે છે કે :
જયારે સુર્ય ઢળી ગયો ત્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આપની ઊંટણી ”કસ્વા” ઉપર કજાવા (કાઠી) કસવાનો હુકમ આપ્યો, જેથી તેના ઉપર કજાવો કસવામાં આવ્યો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેની ઉપર સવાર થઈને અરફાતની વાદી વચ્ચે આવ્યા અને આપે ઊંટણીની પીઠ ઉપરથી લોકોને ખુત્બો આપ્યો, જેમાં ફરમાવ્યું :
”લોકો તમારૂં ખૂન તથા તમારો માલ તમારી ઉપર હરામ છે.(એટલે કે નાહક કોઈનું ખૂન કરવું તથા નાજાઈઝ રીતે કોઈનો માલ પડાવી લેવો, તમારા માટે હંમેશ–હંમેશ માટે હરામ છે.) બિલ્કુલ એવી રીતે જેવી રીતે આજે અરફાના દિવસે, ઝિલ્હજ્જના આ મુબારક મહિનામાં, પોતાના આ પવિત્ર શહેરમાં (નાહક કોઈનું ખૂન કરવું તથા નાહક કોઈનો માલ લઈ લેવું તમો હરામ ગણો છો.) ખૂબ સારી રીતે ધ્યાનમાં રાખો કે જાહિલિયત (નબુવ્વત પહેલાંની) બધી વસ્તુઓ (એટલે કે ઇસ્લામની રોશનીના યુગ પહેલાંનું અંધારકાર પણું અને ગુમરાહીના યુગની બધી વાતો તથા સઘડા કિસ્સા ખત્મ છે.) આ બધુ મારા બંને પગોની નીચે દફન અને પાયમાલ છે.(હું તેને ખત્મ કરવાની જાહેરાત કરૂં છું.) અને જાહિલિયતના યુગનો કોઈ ખૂનનો બદલો લેવામાં આવશે નહિ, અને સૌથી પહેલાં હું પોતાના કુટુંબ (ખાનદાન)ના એક ખૂન, રબીઅ ઈબ્ને હારિસ બિન અબ્દુલ મુત્તલિબના ખૂનને ખત્મ કર્યાની તથા માફ કરવાની જાહેરાત કરૂં છું, જે બની સઅદના કબીલાના એક ઘરમાં દૂધ પીવા રહેતા હતા, તેમને હઝીલ કબીલાના માણસોએ કત્લ કરી દીધા હતા. (હઝીલથી હજુ તે ખૂનનો બદલો લેવાનો બાકી હતો, પરંતુ હવે હું મારા ખાનદાન તરફથી જાહેર કરૂં છું કે હવે આ કિસ્સો ખત્મ છે, બદલો લેવામાં આવશે નહિ.)
અને જાહિલિયતના યૂગના બધા જ વ્યાજના લેણાઓ જે કોઈના જિમ્મે બાકી હોય તે બધા પણ ખતમ અને રદબાતલ છે. હવે કોઈ મુસલમાન કોઈનાથી પણ પોતાના વ્યાજનું લેણું વસૂલ કરશે નહિ. આ બાબતમાં પણ હું સૌથી પહેલાં પોતાના ખાનદાનમાં મારા કાકા અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબના વ્યાજના બાકી રહેલા લેણાને ખતમ તથા રદબાતલ જાહેર કરૂં છું. હવે તેઓ પોતાનું વ્યાજ કોઈથી વસૂલ કરશે નહિ. તેમના બધા જ વ્યાજના લેણા આજે ખતમ કરી દેવામાં આવ્યા છે.
અને હે લોકો ! સ્ત્રીઓના હકકો (અધિકારો) તથા તેમના સાથેના વર્તાવ અંગે ખુદાથી ડરો એટલા માટે કે તેણીઓને તમોએ અલ્લાહની અમાનત તરીકે લીધેલ છે અને તમારો ખાસ હકક તેમના ઉપર આ છે કે જે માણસનું ઘરમા આવવું અને તમારી જગ્યા અને તમારા બીસ્તર ઉપર બેસવું તમોને પસંદ ન હોય, તે માણસને તેણીઓ તેનો મોકો આપે નહિ, પરંતુ જો તેઓ આ ભૂલ કરે, તો તમો (તંબીહ અને આગમચેતીરૂપે જો તમો કોઈ સજા દેવાને યોગ્ય સમજો) તેમને હલ્કી સજા આપી શકો છો અને તેણીઓનો ખાસ હકક તમારી ઉપર એ છે કે પોતાના સગવડ તથા શકિત અને ગજા પ્રમાણે તેણીઓનો ખાવા–પીવાનો, પહેરવાનો બંદોબસ્ત કરો.
અને હું તમારા માટે તે હિદાયત અને દોરવણીનો સામાન મુકી જાઉં છું કે જો તમો તેનાથી સંકળાયેલા રહયા અને તેનું અનુકરણ કરતા રહયા તો પછી તમો કયારેય ગુમરાહ થશો નહિ, તે છે ”કિતાબુલ્લાહ”.
અને કિયામતના દિવસે અલ્લાહ તઆલા તરફથી તમોને મારા સંબંધી પૂછવામાં આવશે (કે મેં તમોને અલ્લાહની હિદાયત તથા તેના અહકામો પહોંચાડયા કે નહિ ?) તો બતાવો, તમો ત્યાં શું કહેશો અને શું જવાબ આપશો ? હાજર રહેલાઓએ અરજ કરી કે અમો ગવાહી આપીએ છીએ કે તમોએ અમાનત (દીન) અને તેના અહકામો અમોને પહોંચાડી દીધા અને રેહનુમાઈ (દોરવણી) તથા તબ્લીગ (પ્રચાર)નો હકક અદા કરી દીધો અને નસીહત તથા ખૈરખ્વાહીમાં કોઈ કોઈ કચાસ રાખી નહિ.
આની ઉપર આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આસ્માન તરફ શહાદતની આંગળી ઉઠાવતાં અને પોતાના માનવંત અસ્હાબના સમૂહ તરફ ઈશારો કરતાં ત્રણ વખત ફરમાવ્યું : ”હે અલ્લાહ તુ સાક્ષી રહે કે મેં તારો સંદેશો અને તારી આજ્ઞાઓ તારા બંદાઓ સુધી પહોંચાડી દીધી અને તારા આ બંદાઓ તેનો ઈકરાર કરે છે. (સહીહ મુસ્લિમ, મઆરિફુલ હદીસ)
અરફાતનું મૈદાન તે અઝીમુશ્શાન મૈદાન છે, જયાં હઝરત આદમ (અલયહિસ્સલામ) અને હઝરત હવ્વા (અલયહિસ્સલામ)નો જન્નતથી થયેલ જુદાઈ પછી મેળાપ (મિલન) થયો હતો, જયારે હઝરત આદમ (અલયહિસ્સલામ) કઅબહના બાંધકામથી ફારિગ થયા, તો ૯ ઝિલ્હજ્જના હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) , હઝરત આદમ (અલયહિસ્સલામ)ને એક પહાડી ઉપર લઈ ગયા અને તે જ વખતે હઝરત હવ્વા (અલયહિસ્સલામ) પણ ફરતાં ફરતાં અને હઝરત આદમ (અલયહિસ્સલામ)ને શોધતાં શોધતાં, ત્યાં આવી પહોંચ્યા, અને બંનેને એક બીજા સાથે ઓળખાણ અને મુલાકાત થઈ,અને એટલા માટે જ એને અરફાત કહેવામાં આવે છે. અને આજુ બાજુના મૈદાનને ”મૈદાને અરફાત” કહેવામાં આવે છે.
એ પણ યાદ રાખો કે ૯ ઝિલ્હજ્જની ફજરની નમાઝ પછીથી, ”તકબીરે તશરીક” શરૂ થઈ જાય છે, માટે ”મિના” અને ”અરફાત”માં બંને જગાએ, ફર્ઝ નમાઝ પછી એક વખત આ તકબીરે તશ્રીક પઢવી : (મર્દો ઊંચા અવાજે પઢે.)
اَللّٰہُ اکْبَرَ اَللّٰہُ اکْبَرَ، لااِلٰہَ الاّ اللّٰہُ وَ اَللّٰہُ اکْبَرَ، اَللّٰہُ اکْبَرَ وَ لِلّٰہِ الْحَمْد۔
”અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વ લિલ્લાહિલ હમ્દ.”
(અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહના સિવાય કોઈ મઅ્બૂદ નથી, અને અલ્લાહ સૌથી મોટો છે,અલ્લાહ સૌથી મોટો છે, અને અલ્લાહ માટે જ બધા વખાણ છે.)
૯ મી ઝિલ્હજ્જથી ૧૦ ઝિલ્હજ્જ સુધી દરેક ફર્ઝ નમાઝ પછી પહેલાં તકબીરે તશરીક પઢવી, પછી ”તલબિયહ” પઢવું અને દસમી ઝિલ્હજ્જની ”રમી” (શયતાનને કાંકરા મારવાનો અમલ) શરૂ કરવાની સાથે જ ”તલબિયહ” પઢવું ખતમ થઈ જાય છે એટલે ૧૩ મી ઝિલ્હજ્જની સાંજ સુધી દરેક ફર્ઝ નમાઝ પછી ફકત ”તકબીરે તશ્રીક” જ પઢવામાં આવશે.
અય્યામે તશ્રીકમાં (તે દિવસો જેમાં નમાઝ પછી તકબીરે તશ્રીક કેહવી વાજિબ છે) નમાઝ પછી જો પહેલાં ”લબ્બૈક” કહી આપ્યું, તો હવે ”તકબીરે તશ્રીક” સાકિત થઈ જશે.
અલ્લાહુ અકબર! ઈન્સાનોનું એક જંગલ, જંગલમાં મંગલ, લાખો માણસો બે જ ચાદરોમા, બાદશાહ, ફકીર, બધા જ એક લિબાસમાં જયાં સુધી નજર પહોચે છે, તંબુ જ તંબુ નજર આવે છે. એમ લાગે છે, જાણે ફરિશ્તાઓએ આ ઝમીન ઉપર વસવાટ કર્યો છે ! સફેદ લિબાસ, નૂરાની ચેહરાઓ, ઝુબાનો ઝિક્રથી તર, લબ્બૈક લબ્બૈકની બુલંદ અવાઝો પહાડીઓથી ટકરાઈ રહી છે.
”અરફાત”માં હાજીઓની કસરત (ભીડ) જોઈને મહશરના દિવસનો ખ્યાલ કરશો, આ તેનો નમૂનો છે. અને પોતાની દીની હાલત ઠીક કરવાની ફિકરમાં લાગી રહેશો. પોતાની દરેક ઇબાદતમાં અલ્લાહ તઆલાના ફઝલો કરમની પાકી ઉમ્મીદની સાથે સાથે, અલ્લાહ તઆલાથી આ પણ ઉમ્મીદ રાખશો, કે જયારે દુન્યામાં તેણે પોતાના મકાનની ઝિયારતનો સોનેરી મૌકો ઈનાયત કર્યો, અને વુકૂફે અરફાતની નેકબખ્તી અતા ફરમાવી, તો આખિરતમાં પણ પોતાના દીદારથી મહરૂમ નહિ રાખે. અને પૂરા સફરમાં જયાં જયાં તમો દુઆ માંગો ત્યાં એવા યકીન સાથે દુઆ માંગો, કે અલ્લાહ તઆલા સાંભળવાવાળો, અને કબૂલ કરવાવાળો છે.
”અરફાત” પહોંચીને પોતાના તંબુમાં થોભો. અને ઝવાલ થતાં પહેલાં ખાવા–પીવા તેમજ પોતાની બીજી જરૂરતોથી પરવારી જાઓ.
”અરફાત”નું મેદાન એક વિશાળ મેદાન છે. ચારેવ બાજુ તેના હુદૂદ ઉપર નિશાનીઓ લગાવી દેવામાં આવી છે. ત્યાં હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ની બનાવેલ એક મસ્જિદ (મસ્જિદે નમિરહ) પણ છે.
અરફાતના મેદાનમાં ઝવાલથી પહેલાં તૌબા, ઈસ્તિગફારમાં લાગી જાઓ. મસ્અલાના એઅ્તિબારથી ઝુહર અને અસરની નમાઝ આપે અરફાતમાં અદા કરવાની છે. ઝવાલનો ટાઈમ પૂરો થતાં જ મસ્જિદે નમિરહના ઈમામ સાહેબ એક અઝાન અને બે તકબીરોની સાથે ઝુહરના ટાઈમે ઝુહર તથા અસરની નમાઝ મિલાવીને પઢાવશે.
પરંતુ ઈમામ અબૂ હનીફહ (રહ.) ના મતાનુસાર અરફાતના મૈદાનમાં ઝુહર અને અસરની નમાઝ તે માણસ મિલાવીને પઢે, કે જે મજિદે નમિરહના ઈમામની પાછળ હોય,અને એકલા પઢવાની સૂરતમાં ઈમામ અબૂહનીફહ સાહબ (રહ.) ઝુહર–અસર મિલાવવામાં માનતા નથી.
જે લોકો મસ્જિદે નમિરહના ઘણા જ નઝદીક હોય, તેઓ મસ્જિદમા જવાની કોશિષ કરે, પણ જે લોકો મસ્જિદથી દૂર છે, તેઓને મશ્વેરો આપવામાં આવે છે, કે તેઓ મસ્જિદે નમિરહમાં જવાની કોશિષ ના કરે, કારણ કે એકજ દેખાવના હઝારો તંબૂઓ (ખૈમા) હોવાના કારણે નમાઝ પછી પોતાના ખૈમામાં , પહોંચવાના બદલે ભટકી જશો, અને તમો તથા તમારા માણસો તકલીફમાં મુકાઈ જશો. એટલા માટે ખૈમામાં જમાઅત સાથે નમાઝ અદા કરવામાં આવે છે, તે જ બેહતર છે. અઝાન થતા જ પોતાના ખૈમામાં લોકો ભેગા થઈને પોત પોતાના ઈમામ પાછળ ફકત ઝુહરની નમાઝ પઢે છે, અને અસરના ટાઈમે અસરની નમાઝ પઢે છે.
વર્તમાન સમયમાં સાવચેતી ખાતર બેહતર એ જ છે કે પોતાના તંબુમાં ઝોહર અને અસરને દરરોજની જેમ જ પોતાના નિયમિત સમય પર પઢવી.
”અરફાત”માં જુમ્આની નમાઝ પઢવું જાઈઝ નથી.
ઝમીનના એક ટુકડામાં ર૦ થી રપ લાખ માણસોનું એક શહેર આબાદ થઈ ગયું છે. એક એવું શહેર જેમના રહેવાના મકાનો એક જ જાતના અને જેમનો બધાનો લિબાસ (યુનિફોર્મ) પણ એક, જેમની ઝુબાનો ઉપર એક જ નામ. દરેક વ્યકિતના દિલમાં એક જ આરઝુ અને ઉમ્મીદ કે, અલ્લાહ તઆલા તેની તૌબા કબૂલ કરી લે. તેના ગુનાહોને મા’ફ કરી આપે. અને આ તો દુન્યાભરના માણસોનો એક ઈજ્તિમાઅ છે, જે દર વર્ષે ભરાય છે, અને કિયામત સુધી ભરાતો રહેશે. ઈન્શાઅલ્લાહુ તઆલા.
ઝવાલ પછી વુકૂફનો ટાઈમ શરૂ થાય છે અને ગુરૂબે આફતાબ સુધી રહે છે.નમાઝથી ફારિગ થઈ વુકૂફમાં મશ્ગૂલ થઈ જાઓ, જો શકય હોય તો વુકૂફના સમયે છાયડામાં ઊભા રહેવું નહિ બલ્કે તડકામાં ઊભા રહેવું એ બેહતર છે, પરંતુ તકલીફ, કમશકિત અથવા બીમાર થઈ જવાનો ભય હોય તો છાયડામાં ઊભા રહી શકો છો .અને જો થઈ શકે તો કિબ્લહ તરફ મોઢું કરીને ઉભા રહી વુકૂફ કરો. જો પૂરો ટાઈમ ઊભૂ રહેવું મુશ્કિલ હોય, તો જેટલીવાર ઉભા રહી શકતા હોય તેટલીવાર ઉભા રહો. વુકૂફ વખતે બેસવું બલ્કે સુઈ જવું પણ જાઈઝ છે.
”અરફાત”ના મેદાનના (ઝુહરથી ગુરૂબે આફતાબ સુધી)ના આ થોડાક કલાકો વીતાવવા આખી હજ્જનો નીચોડ છે. અલ્લાહનાં વાસ્તે એક સેકન્ડ પણ ગફલતમાં બરબાદ ના કરતા. અહીંયાંનો ખાસ વઝીફો તો દુઆ અને ઈસ્તિગફાર છે. પરંતુ આપણા જેવાઓ માટે પૂરો ટાઈમ દિલ લગાવીને ફકત દુઆમાં મશ્ગૂલ રહેવું મુશ્કેલ છે, એટલા માટે પોતાની તબીયતના મુવાફિક તકબીર, લાઈલાહ ઈલ્લલ્લાહ, અને તિલાવતનું કામ પણ રાખશો અને થોડી થોડી વારે તલબિયહ પઢતા રહેશો.
જયારે તડકો ફીકો પડે, તો ”તલબિયહ” પઢતાં પઢતાં ”જબલે રહમત”ની તરફ જાઓ, અને ત્યાં પણ ખૂબ દિલ ખોલીને દુઆ કરો.
જે લોકોની નજરથી આ કિતાબ ગુજરે તેઓથી આ આજિઝ ”ઇકબાલ ફલાહી”ની આજિઝાનહ દરખ્વાસ્ત છે, કે તેઓ આ સિયાહકાર ”ઇકબાલ ફલાહી” માટે પણ, મૌત સુધી દીનો ઈમાન ઉપર કાયમ રહેવાની અને મૌત પછી મગફિરત અને જન્નતની દુઆ જરૂર કરે. આપનું મોટું એહસાન ગણાશે.
”વકત પર ભૂલ ન જાના, યે જરા યાદ રહે.”
આ ટાઈમ અને આ મકામ, દુઆઓ અને ઈસ્તિગફારની કબૂલિયતનો છે, અને આવો મુબારક વખત ઝિંદગીમાં વારે ઘડીએ નથી આવતો અને તેમાંય વળી અરફાત જેવી મુકદદસ જગા બીજે કયાંય નથી મળી શકતી, એટલે દરેક દુઆ દિલથી માંગો.
શું તમે નથી જાણતા કે લાખો–કરોડો માણસો, આ મુકદ્દસ ફર્ઝ (હજ્જ)ની તમન્ના કરતાં કરતાં દુન્યાથી ચાલ્યા ગયા. માટે ”ગયા વકત ફિર હાથ આતા નહિ.”ની કહેવત યાદ રાખી, ખૂબ ખૂબ અને ખૂબ જ વસૂલ કરો.
મતાફ, મકામે ઈબ્રાહીમ, મુલ્તઝમ, રૂક્ને યમાની, ઝમઝમ, બયતુલ્લાહ શરીફ, સફા, મરવહ, તથા સફા મરવહના વચ્ચેનો ભાગ, અરફાત, મુઝદલિફહ, મિના, જમરએ ઊલા, જમરએ વુસ્તા વગેરે તમામ જગાઓ કે જે દુઆ કબૂલ થવાની જગાઓ છે અને જયાં હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અને ખાતમુન્નબિય્યીન સય્યિદના હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને તેમના સિવાય ન જાણે સેંકડો હઝરો પેગમ્બરોએ અને લાખો બલ્કે કરોડો વલીઓએ પોતપોતાના ઝોક શોક, અને પોતપોતાના ઝર્ફ (ગજા) પ્રમાણે કેવી કેવી ઈલ્હાહજારીથી (રડી રડીને) અલ્લાહથી દુઆઓ માંગી હશે? અને કેવા તડપતા દિલથી તેને યાદ કર્યો હશે?
તો તમે પણ આ બધી જ જગાઓએ પહોંચવાના છો, અને અલ્લાહથી દુઆઓ કરવાના છો, માટે આ જગાઓની દુઆઓ સંબંધી આપને મશ્વેરો આપવામાં આવે છે કે, તમો ઉપરોકત જગાઓએ જયારે દુઆઓ માંગો, તો તેની સાથે સાથે આટલી દુઆ પણ જરૂરથી કરશો કે :
” અય અલ્લાહ ! તારા મકબૂલ બંદાઓએ આ જગા ઉપર તારાથી જે જે દુઆઓ, જયારે જયારે પણ કરી છે અને જે જે વસ્તુઓનો તારાથી સવાલ કર્યો છે, ઓ મારા રહીમો કરીમ પરવરદિગાર, હું પોતાની નાઅહલિયત, નાલાઈકી અને ગુનાહોના ઈકરાર સાથે, ફકત તારી અને તારી જ શા’ને કરીમી ઉપર ભરોસો કરીને, તે બધી જ વસ્તુઓનો આ જગાએ તારાથી સવાલ કરું છું. અને જે જે ચીઝોથી તેઓએ આ મકામ ઉપર તારાથી પનાહ માંગી છે, આ જગાએ હું પણ તે તમામ વસ્તુઓથી પનાહ માંગું છું.
અય અલ્લાહ ! આ ખાસ જગાની જે ખાસ રોશની અને બરકતો છે, મને તેનાથી મહરૂમ ના કરો અને અહીંયાં હાજર થનાર તમારા બધા બંદાઓને તમેં જે કંઈ આપ્યું હોય, અથવા તમો તેમને જે કંઈ આપનાર હોય, મને પણ તેમાં ભાગીદાર બનાવો, અને એનો થોડો ભાગ મને પણ અતા ફરમાવો, તમારા ખઝાનામાં કોઈ જ કમી નથી.
Log in or Register to save this content for later.