તવાફે ઝિયારત

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 150 to 154)

તવાફે ઝિયારત

                ”તવાફે ઝિયારત”ને ”તવાફે રુકન”, ”તવાફે ઈફાઝહ”, ”તવાફે ફર્ઝ”, ”તવાફે હજ્જ” અને ”તવાફે યવમુન્‍નહર” પણ કહેવામાં આવે છે.

                આ તવાફ સામાન્ય રીતે કુર્બાની તથા હજામત કરી, એહરામ ખોલીને, ન્હાવા પછી કરવામાં આવે છે એટલે સીવેલાં કપડાંમાં કરવામાં આવશે, અને ”તવાફે ઝિયારત”માં ”રમલ” તો કરવાનું છે, પણ ”ઈજતિબાઅ” (જમણી બગલના નીચેથી ચાદર કાઢી, ડાબા ખભા ઉપર નાંખી દેવી)કરવાનું નથી, કારણ કે સીવેલા કપડાં પહેરેલાં હશે. એવી જ રીતે ”સઈ” પણ સીવેલા કપડાંમા જ કરવાની છે.

                અને જો કુર્બાની તથા હજામત કરતા પહેલાં તવાફે ઝિયારત કરી રહયા હોય તો એનો અર્થ એ છે કે તમો હજૂ હાલતે એહરામમાં છો, માટે તવાફે ઝિયારતમાં રમલ તથા ઈજતિબાઅ કરવામાં આવશે.

                (જો ૮,મી ઝિલ્હજ્જના તમે એહરામ બાંધ્યા પછી નફલ તવાફ કરતી વખતે, રમલ, ઈજ્‌તિબાઅ, અને સઈ પહેલાંથી જ કરી લીધી હોય, તો હવે આપને સઈ કરવાની નથી, તેનો ખ્યાલ રાખશો, રમલ વગર ફકત તવાફ કરશો, અને ત્યાર પછી તવાફની બે રકા’ત નમાઝ પઢી ઝમઝમ ઉપર જશો…..)

                આ ”તવાફે ઝિયારત” કરવો હજ્જનો રુક્‌ન અને ફર્ઝ છે. ”તવાફે ઝિયારત” ૧૦, ઝિલ્હજ્જના કરવો અફઝલ છે, ૧ર, ઝિલ્હજ્જના સુર્ય આથમતા સુધી કરી લેવો પણ જાઈઝ છે, અને જો ત્યાં સુધી ના કર્યો તો, લેટ કરવાના કારણથી દમ વાજિબ થશે અને તે છતાં તવાફ તો કરવો જ પડશે, કારણ કે આ તવાફે ઝિયારત કોઈ પણ હાલતમાં મા’ફ થતો નથી. ઝિંદગીની છેલ્લી ઘડી સુધી અદા કરવો ફર્ઝ રહે છે, અને જયાં સુધી તેને અદા કરવામાં નહિ આવે, ઓરત તેના માટે હરામ જ રહે છે.

                ઓરતો માટે અમુક કુદરતી હાલતો એવી છે, જે એમને ફિતરી (કુદરતી) તૌર પર પેશ આવે છે, જેના કારણે એમના માટે મસ્જિદમાં દાખલ થવું, નમાઝ પઢવું અને તિલાવત કરવી નાજાઈઝ થઈ જાય છે. જો હજ્જમાં આ પ્રમાણે ”માસિક” આવી જાય, તો તે હજ્જના બધા જ અરકાનો અદા કરશે, પણ મસ્જિદે હરામ અથવા અન્ય કોઈપણ મસ્જિદમાં દાખલ ન થાય અને તવાફ ત્યાં સુધી નહિ કરે, જયાં સુધી તે પાક નહિ થઈ જાય. એટલા માટે તવાફે ઝિયારતમાં મોડું થઈ જાય, તો પણ ઓરત પર દમ વાજિબ થશે નહિ, અને ન તો કોઈ જાતનો ગુનોહ થશે.

                કોઈ ઓરત માસિકથી એવા સમયે પાક થઈ કે ૧રમી તારીખના ગુરૂબે આફતાબમાં એટલી વાર હતી કે પાકીનું ગુસલ કરી, ”મસ્જિદે હરામ”માં જઈને પૂરો ”તવાફે ઝિયારત” અથવા ”તવાફે ઝિયારત”ના ચાર ચકકર પૂરા કરી શકતી હતી છતાં તે ઓરતે એમ ન કર્યું તો એના પર ”દમ” વાજિબ થશે. અને જો એટલો સમય ના હોય તો ”દમ” વાજિબ થશે નહિ.

                તમે ”તવાફે ઝિયારત” કરી લીધો, એટલે કે અલ્હમ્દુલિલ્લાહ, તમો ૧૦ ઝિલ્હજ્જના કરવાના બધાંજ કામોથી ફારિગ થઈ ગયા. તમો અલ્લાહનો શુક્ર અદા કરો, કે તેણે આપને ઝિંદગીની આટલી મોટી ખૂશી અર્પણ કરી,પોતાના ઘરે બોલાવ્યા, પોતાના દરવાઝાને પકડવાનો મોકો ઈનાયત કર્યો, મેદાને અરફાતના કિયામની સઆદત અર્પણ કરી. હવે તમો પૂર્ણ રીતે એહરામથી ફારિગ થઈ ગયા.

                હવે તમો પાછા ”મિના”માં જતા રહો, કારણ કે ”તવાફે ઝિયારત” પછી બે રાતો અને બે દિવસ તમારે ‘મિના”માં રોકાવવાનું છે.

                ૧૧/૧ર/૧૩ ઝિલ્હજ્જને હજ્જની ઈસ્તિલાહ (પરિભાષા)માં ”અય્યામે રમી” (રમીના દિવસો) કહેવામાં આવે છે. એટલા માટે આ દિવસોમાં ”રમી” કરવી જ ઈબાદત, છે અને એના માટે મિનામા થોભવું સુન્‍નતે મુઅકકદહ છે.

                બાકીનો ટાઈમ પણ ગફલતથી ના ગુજારશો , અરે મો’મિનની ઝિંદગીની એક એક ઘડી કિંમતી છે, અને કયામતના દિવસે આપણે સૌએ પોતાની ઉમરની એક એક મિનિટનો હિસાબ આપવાનો છે, પરંતુ ખાસ કરીને આ સફર, અને તેમાં પણ આ મુબારક દિવસો, જો અલ્લાહ સમજ અતા ફરમાવે, અને બંદાઓ તેની કદ્‌ર કરે, તો બેશક આ બે ચાર દિવસોમાં લાખો વર્ષની કમાઈ થઈ શકે છે, માટે દુઆ ઝિક્ર, તિલાવત, ઈસ્તિગફાર, વગેરેમાં મશ્ગૂલ રહો. આ દિવસોમાં મિના બહાર, મકકહ મુકર્રમહ કે અન્ય કોઈ જગાએ રાત રહેવું મના છે. રાતનો વધુ પડતો ભાગ પણ કોઈ જગાએ ગુજારવો મકરૂહ છે.

                ૧૧ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાઓને ”રમી” કરવાની છે અને આજે ”રમી”નો ટાઈમ ઝવાલ પછીનો છે. તમો પોતાના ખૈમા (તંબુ) અથવા મસ્જિદે ખૈફમાં ઝુહરની નમાઝ, જમાઅત સાથે અદા કરો અને પછી રમી માટે નીકળી જાઓ.

                રસ્તામાં સૌથી પહેલા ”જમરએ ઊલા” (પહેલો શૈતાન) આવશે, એટલે ગઈ કાલે જે રીતે ”જમરએ અકબહ”ની રમી કરી હતી, એ જ રીતે એની ”રમી” પણ કરો, એટલે કે સાત કાંકરીઓ મારો અને દરેક કાંકરી પર :

بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرْ رَغْمَاً للشَّیْطَانِ وَ رِضًی للرَّحْمَان

બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર, રગ્મન લિશ્શયતાન વ રિદન લિર્રહમાન.

                ”હું અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહ સૌથી મોટો છે. (આ કાકરી) શૈતાનને ઝલીલ કરવા અને અલ્લાહ પાકને રાજી કરવા માટે મારું છું” પઢવામાં આવે. ”રમી” પછી ત્યાંથી થોડાક હટીને કિબ્લહ તરફ મોં કરી ઉભા રહી, દુઆ,તૌબા, ઈસ્તિગફાર અને ઝિક્ર પછી દુરૂદ શરીફ પઢો. પોતાના માટે, પોતાના સગાઓ, દોસ્તો વગેરે માટે દુઆ કરો.

                ત્યાર પછી આગળ ચાલો અને ”જમરએ વુસ્તા” (વચલા શૈતાન) પાસે આવો, અને ઉપર બતાવ્યા મુજબ જ, તેની પણ ”રમી” કરો, અને ”રમી” પછી એટલી વાર દુઆ કરો, જેટલી વાર ”જમરએ ઊલા” ઉપર કરી હતી.

                ત્યાર પછી ”જમરએ અકબહ” મોટા શૈતાન પાસે આવો, અને આજ પ્રમાણે ”રમી” કરો, પરંતુ એની ”રમી” કર્યા પછી, ત્યાં રોકાવવાનું કે દુઆ કરવાની નથી. બસ પોતાના ખૈમામાં ચાલ્યા જાઓ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પણ આમ જ કર્યું હતું.

                (એક ખાસ વાત આ છે કે જો તમે ગઈ કાલે ૧૦ ઝિલ્હજ્જના કુર્બાની અને તવાફે ઝિયારત ના કર્યો હોય, તો આજે કરી લો.)

                ૧ર ઝિલ્હજ્જના પણ આવી જ રીતે, ત્રણેવ જમરાઓને ”રમી” કરવાની છે, અને આજે પણ ”રમી”નો ટાઈમ ઝવાલ પછી જ છે. અને આગલા બંને દિવસોની માફક, આજે પણ ”જમરએ અકબહ” ની ”રમી” કર્યા પછી, ત્યાં થોભવાનું નથી.

                (એક વાત ખાસ આ છે કે જો તમે ૧૦, તથા ૧૧, ઝિલ્હજ્જના, કુર્બાની અને તવાફે ઝિયારત ના કર્યો હોય, તો આજે કરી લો.)

                ૧ર ઝિલ્હજ્જની ”રમી” કર્યા પછી, ૧૩મી ઝિલ્હજ્જની ”રમી” માટે, ”મિના”માં રોકાવવાનો તમને ઈખ્તિયાર છે, કારણ કે ૧૩મી ઝિલ્હજ્જના રમી વાજિબ નથી, પણ અફઝલ છે.

                જો તમો ૧ર મી ઝિલ્હજ્જના રમી કર્યા પછી મકકહ મુકર્રમહ જતા રહેવા માંગતા હોય, તો જઈ શકો છો, પણ હા, મગરિબ પહેલાં, મિનાથી નીકળી જવું જરૂરી છે. અને જો તમો મિનામાં જ હતા, અને સુર્ય ગુરૂબ થઈ ગયો, તો હવે જવું મકરૂહ છે, હવે તો મિનામાં જ રાત રોકાઇ જાઓ અને ૧૩ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાઓની રમી કરીને જ મકકહ મુકર્રમહ જવું જોઈએ, ગુરૂબે આફતાબ પછી નીકળશો તો ૧૩મીની ”રમી” વાજિબ તો નથી થતી, પરંતુ ૧૩મીની ”રમી” કર્યા વગર જવું મકરૂહ છે અને જો ૧૩મીની સુબહ સાદિક ”મિના”માં થઈ જાય તો ૧૩મી તારીખની ”રમી” વાજિબ થઈ જશે. અને ”રમી” કર્યા વગર ચાલ્યા જવાથી ”દમ” વાજિબ થશે. અલબત્તા, આજે એટલી સહુલત છે કે, રમી ઝુહર પહેલાં પણ કરી શકો છો.

                ખૈર ૧ર ઝિલ્હજ્જના ઝુહર અને અસરની વચ્ચે તમે જોશો કે લાખો માણસોનો આ કાફલો ફરી એકવાર મકકહ મુકર્રમહ તરફ, કૂચ કરી રહયો છે. દરેકને પોતાની ખૂશનશીબી ઉપર નાઝ છે અને બધા જ એ વાત પર ખૂશ ખૂશાલ છે, કે તેઓએ હુકમે ખુદાવંદી ઉપર, પોતાની ઝિંદગીના દિવસો, અને રાતો તકવહના સાથે વીતાવી.

       હવે હજ્જના બધા જ, અરકાનો પૂરા થઈ ગયા છે, અને હજ્જની મહાન નેઅમત તમને મળી ગઈ છે. હવે ફકત તવાફે વદાઅ કરવાનો બાકી છે.

Log in or Register to save this content for later.