અરફાતથી મુઝદલિફહ માટે રવાનગી

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 137 to 142)

અરફાતથી મુઝદલિફહ માટે રવાનગી

                હવે લાખો માણસોની આ વસ્તી ૩ માઈલ દૂર જતી રહેશે. દુન્યામાં કોઈ શહેરનું આબાદ થવું કે વેરાન થવું કોઈ નાની વાત નથી ગણાતી, એક કિયામત બરપા (મોટો બનાવ) થઈ જાય છે, એક તોફાન મચી જાય છે. સમસ્ત દુન્યામાં ચર્ચા થાય છે. પણ અહીંયાં તમે જોશો કે જાણે કશું જ થયું નથી. બધાને હુકમ લાવ્યો હતો અને હુકમ જ લઈ જઈ રહયો છે ! ગુલામોની જેમ આવ્યા હતા, અને ગુલામોની જેમ જ જઈ રહયા છે.

                ”અરફાત” અને ”મુઝદલિફહ”ના વચમાં અલ્લાહની શા’ન નઝર આવે છે. મોટરો અને ગાડીઓનો આટલો મોટો સૈલાબ (કાફલો) તમે ઝિંદગીમાં કયારેય જોયો નહિ હોય.

                (અનુભવીઓના કહેવા પ્રમાણે અરફાતથી પાછા ફરતા, ભીડ એટલી બધી હોય છે કે ઘણીવાર એમ બને છે કે ચાલતા માણસો બસો તથા ગાડીઓ કરતાં વહેલાં, મુઝદલિફહ પહોંચી જાય છે, અને અમુક ટાઈમે તો સવારીઓ ઉપર જનારા એટલા લેટ પડી જાય છે કે, રાત પૂરી થઈ જાય છે, અને વુકૂફે મુઝદલિફહ અશકય બની જાય છે. માટે આપને ખાસ મશ્‍વેરો આપવામાં આવે છે કે સઊદી હુકૂમતે મિના, અરફાત, મુઝદલિફહ પગપાળા જવા આવવા માટે છત વાળી જે ચેનલ બનાવેલી છે, એનો ઉપયોગ કરી, ઉપરોકત તમામ જગાઓએ ચાલતા જશો, તો ગાડી કરતાં વહેલા પહોચશો અને પરેશાન પણ નહિ થશો. માટે ઉપરોકત ચેનલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. આ ચેનલ બાબુસ્લામની સામે આવેલી છે.)

                જુઓ થોડીવારમાં મુઝદલિફહ પણ આવી ગયું. એક મૈદાનમાં એક સાથે લાખો મુસાફિરો ઉતરી પડયા છે. આજની રાત તમને મુઝદલિફહ,   ચો તરફ આબાદ નઝર આવશે ! શું ખયરો બરકતની રાત હશે ! તમને જે પણ ટાઈમ મળે, તેને ગનીમત જાણશો.

મુઝદલિફહની આજની રાતના વિષે આવ્યું છે કે :

فَاِذَا قَضَیْتُمْ مِنْ عَرَفَاتٍ فَاذْکُرُوا اللّٰہَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ

                ”તમો જયારે અરફાતથી પાછા વળીને મુઝદલિફહ આવો તો અહીંયા મશઅરે હરામની પાસે, અલ્લાહના ઝિક્રમાં મશ્ગૂલ રહો.”

                બતાવવામાં આવ્યું છે કે મુઝદલિફહમાં રહેવાવાળા હાજીઓ માટે આ રાત શબે કદ્રથી પણ અફઝલ અને કાબિલે કદ્ર છે.આ રાતની કદ્રો કીંમતને યાદ રાખશો, આ રાતને જાગીને વિતાવવામાં આવે.ઈબાદત, ઝિક્ર, ઈસ્તિગફાર, તૌબા અને દુરૂદ શરીફમાં મશ્ગૂલ રહેશો. બેશક તમે સુઈ પણ શકો છો, પણ સુવા માટે આખી ઝિંદગી પડેલી છે, આવી રાતો ઝિંદગીમાં વારંવાર નસીબ નથી થતી. લગભગ એવું બને છે કે અરફાતના દિવસભરના થાકેલા, પાકેલા, અહીંયાં આવી સુઈ જાય છે અને રાત, સુવાની હાલતમાં જ કાઢે છે. એટલા માટે તમો એ વાતનો ખ્યાલ રાખશો કે રહમત અને બરકતવાળી આ રાત, કયાંક ઊંઘમાં વેડફાય ના જાય.

                જો થાક નો અસર હોય અને તબિયત સુવા માટે બેચેન હોય તો એમ કરવું બેહતર છે કે,જો ઇશાના ટાઈમ પહેલાં મુઝદલિફહ પહોંચી ગયા હોય તો ઇશાના ટાઈમ થઈ જવાની રાહ જુઓ અને જયારે ઈશાની નમાઝનો ટાઈમ થઈ જાય તો મગરિબ અને ઈશા બંને નમાઝો એકજ ટાઈમમાં એ રીતે પઢશો, કે પહેલા મગરિબની ત્રણ ફર્ઝ, અને પછી ઈશાની ચાર, અથવા બે રકા’ત (મુસાફિર હોય તો) ફર્ઝ અદા કર્યા પછી, મગરિબ ની સુન્‍નતો અને નવાફિલ, અને ત્યાર પછી ઈશાની સુન્‍નતો અને નવાફિલ અને વિત્‌ર પઢશો. મતલબ આ છે, કે બંને નમાઝોના ફર્ઝના વચમાં કોઈ સુન્‍નત કે નફલ ન પઢવામાં આવે.(મુઝદલિફહમાં મગરિબ તથા ઈશાની નમાઝ ભેગી પઢવા માટે જમાઅત શર્ત નથી, ચાહે તો જમાઅત સાથે પઢો, ચાહે એકલા પઢો, પણ બંને નમાઝ ભેગી પઢો અને જો જમાઅતથી પઢો તો સારૂં છે.)

                મગરિબ અને ઈશાની નમાઝ પઢીને થોડીવાર તસ્બીહ તથા ઈસ્તિગફાર અને અલ્લાહની હમ્દ બયાન કરી, તેના સમક્ષ દુઆ કરીને થોડીવાર માટે આરામ કરી લેશો અને પછી ઉઠીને સવાર સુધી અલ્લાહના ઝિક્રમાં વગેરેમાં અરફાતના મેદાનની જેમ અહીંયાં પણ મશ્ગુલ રહેશો.

                સહીહ રિવાયતોથી આ પણ સાબિત છે કે હજ્જતુલ વદાઅ્‌ના મૌકા ઉપર રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અરફાતના મેદાનમાં ઉમ્મતના હકમાં ઘણું જ માંગ્યું હતું અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને એક દુઆ છોડીને બાકીની બધી જ દુઆઓ કબૂલ થવાની ખૂશખબરી આપવામાં આવી હતી. પરંતુ મુઝદલિફહની રાતમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ, પોતાના રબથી રડી રડીને દુઆ માંગી અને પેલી બાકી રહેલ વસ્તુ માટે ફરીથી દુઆ કરી, તો અહીંયાં તે પણ કબૂલ ફરમાવવામાં આવી, જેનાથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઘણાં જ ખૂશ થયા, અને ઉમ્મતના પરિણામથી મુત્મઈન થયા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ શૈતાનને જોયો કે તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની દુઆ કબૂલ થવા પર અફસોસ કરી રહયો છે અને પોતાના માથા પર ધૂળ નાંખી રહયો છે.

                ફજરની નમાઝ સુબ્હે સાદિક થયા પછી જલ્દીથી અંધારામાં જ પઢશો. જયારે સુબ્હે સાદિક થાય છે, ત્યારે હુકૂમત તરફથી તોપનો ગોળો ફોડવામાં આવે છે, ત્યાર પછી જ ફજરની નમાઝ પઢશો, જેથી મુઝદલિફહમાં સુબ્હે સાદિક પછી થોભવું, જે વાજિબ છે, તેના ઉપર પણ અમલ થઈ જાય. ઘડિયાળમાં સમય જોઈને અમલ કરવો હિતાવહ છે. આ કિતાબના પેજ નંબર ૧૯ર,૧૯૩, ૧૯૪,૧૯પ ઉપર મકકહ શરીફના સમયનું ટાઈમટેબલ છે તે જુઓ.

                ”મુઝદલિફહ”નો વુકૂફ વાજિબ છે, અને સુબ્હે સાદિક પછી વુકૂફનો ટાઈમ શરૂ થઈ જાય છે, જે સુર્ય ઉગવાના પહેલાં પહેલાં સુધી રહે છે, જે લગભગ દોઢ કલાકનો સમય થાય છે. અને સૂરજ ઉગતાં જ વુકૂફનો ટાઈમ પૂરો થઈ જાય છે, ત્યાર પછી વુકૂફ કરવું સહીહ ગણાશે નહિ, અને એના છૂટવાના કારણે દમ વાજિબ થશે. એવી જ રીતે, સુબ્હ સાદિક પહેલાં, જો કોઈ માણસ મુઝદલિફહથી ચાલ્યો જાય, તો પણ વુકૂફ ગણાશે નહિ, અને દમ વાજિબ થશે.

                ”મુઝદલિફહ”થી મિના રવાના થતાં પહેલા ખાસ યાદ રાખો કે, આપે મિનામાં શૈતાનને કાંકરીઓ મારવાની છે, તે કાંકરીઓની વ્યવસ્થા અહિંયાં મુઝદલિફહમાંથી જ કરી લેશો, એટલે કે ઓછામાં ઓછી ૭૦ કાંકરીઓ ધોઈને એક થેલીમાં મુકી આપો,(કાંકરીઓ ધોવી જરૂરી નથી પણ તમો જોશો કે નાપાક હોવાનો શક રહે છે તો ધોઈ લેવી બેહતર છે.) તે કાંકરીઓ ન તો બહું મોટી હોય અને ન ઘણી નાની હોય, બલ્કે ચણા જેટલી અથવા ખજૂરના ઠળિયા જેટલી હોય. જો મુઝદલિફહથી કાંકરીઓ નહિ લો તો, પાછળથી આપને પરેશાની થશે કારણ કે બીજી જગાએથી કાંકરીઓ મળવી મુશ્કિલ થઈ જાય છે.

                નાપાક જગાએથી કાંકરીઓ લેવી મકરૂહ છે તેમજ મોટા પથ્થરને તોડીને રમી માટે નાના નાના ટુકડા કરવા મકરૂહ છે, એવી જ રીતે જમરહની પાસેથી કાંકરીઓ લેવી પણ મકરૂહ છે, હદીસ શરીફમાં આવે છે કે, જેમની હજ્જ કબૂલ થાય છે, તેમની કાંકરી ઉઠાવી લેવામાં આવે છે. અને ત્યાં પડી રહેલ કાંકરીઓ, કબૂલ ન થયેલી (મરદૂદ) છે.

                કાંકરીનું ઝમીનની જાતી (પ્રકાર)માંથી હોવું જરૂરી છે, જોઈએ તો પથ્થર હોય કે બીજી કોઈ વસ્તુ, જમીનની જાત વગર બીજી કોઈ વસ્તુ જેમકે સોનું, ચાંદી,લોખંડ,મોતી, અને લાકડી વગેરેથી રમી કરવું જાઈઝ નથી.

                આ પણ કુદરતે ઈલાહીનો એક મુઅ્‌જિઝો છે કે દર સાલ લાખો હાજીઓ અહીંયાથી કાંકરીઓ લે છે, અને દરેક હાજી ઓછામાં ઓછી ૪૯ કાંકરીઓ લે છે, અને દરેક જ એહતિયાતન પ કે ૧૦ કાંકરી વધારે લે છે, આ હિસાબે જો ર૦ લાખ હાજીઓ હોય તો ઓછામાં ઓછી દસ કરોડ કાંકરીઓ દર વર્ષે ત્યાંથી લેવામાં આવે છે, તે છતાં કોઈ ખાલી હાથ નથી આવતું અને એમ લાગે છે કે જાણે કાંકરીઓ ત્યાં પૈદા ના થતી હોય !

                ”મુઝદલિફહ”થી ”મિના” જતી વખતે ”વાદિએ મુહસ્સર” (જેને વાદિયુન્‍નાર પણ કહેવામાં આવે છે.) ત્યાંથી ન જવું જોઈએ. જો કદાચ કોઈ કારણ સર ત્યાંથી પસાર થવાનું થાય, તો ત્યાંથી દોડીને પસાર થઈ જવું. આ ”વાદિએ મુહસ્સર” ”મુઝદલિફહ”થી અલગ છે, અને આ વાદીમાં ”અસ્હાબે ફીલ” ઉપર અઝાબ ઉતર્યો હતો.

                ”મુઝદલિફહ”માં ફજરની નમાઝ પઢીને, થોડીવાર વુકૂફ કરો અને અદબ, એહતિરામથી તૌબા, ઈસ્તિગફાર કરો. પોતાના ગુનાહોની મા’ફી માંગો. સૂરજ નીકળવાની થોડીક મિનિટો પહેલાં, વુકૂફનો ટાઈમ પૂરો થઈ જાય છે. જો કોઈ માણસ ફજરની નમાઝમાં, વુકૂફની નિય્યત કરી લે, અને તસ્બીહ, તકબીર, તલબિયહ કહી લે, તો પણ આ વાજિબ અદા થઈ જશે.

                (આ વુકૂફ સુબ્હે સાદિકથી લઈ ખૂબ અજવાળું થતાં સુધી (એટલે કે સૂર્ય ઉગવાથી પાંચ મિનીટ પહેલાં સુધી) સુન્‍નતે મુઅકકદહ છે.)

                કેટલાક હાજીઓ આ ગલતી કરે છે કે, અરફાતથી પાછા ફરતા સીધા મિના ચાલ્યા જાય છે, અને કેટલાક મુઝદલિફહમાં રાતના એક બે કલાક રહીને મિના ચાલ્યા જાય છે. હાલાંકે, સુબ્હે સાદિક પછી મુઝદલિફહમાં રહેવું જરૂરી છે, અને હજ્જના વાજિબાતમાંથી છે. વુકૂફે મુઝદલિફહ છોડી દેવાથી દમ વાજિબ થશે. હા, ફકત ઓરતો માટે રજા આપવામાં આવી છે. અગર તેણીઓ ભીડના કારણે મુઝદલિફહમાં ના રોકાય તો તેણીઓ ઉપર દમ વાજિબ થશે નહિ.

                સુબ્હે સાદિકનો ખરો ટાઈમ જાણવા માટે એમ કરશો કે ૭/૮ ઝિલ્હજ્જના મસ્જિદે હરામમાં ફજરની અઝાનનો ટાઈમ નોંધ કરી લેશો, અને તેના પાંચ મિનિટ પછી, મુઝદલિફહમાં ફજરની નમાઝ પઢો. (કેટલાક લોકો ધોકો આપવા વહેલી અઝાન આપે છે, અથવા મુઅલ્લિમ જલ્દીના કારણે સુબ્હેસાદિક પહેલાંજ નમાઝ પઢાવી લે છે) તો તમારે તમારા ઘડિયાળ ઉપર જ ભરોસો કરવાનો છે, અને ટાઈમ થયા પછી જ ફજરની નમાઝ પઢવી અને ત્યાર પછી જ ”મિના” માટે રવાના થવું, શરઈ ઉઝ્‌ર વગર સુબ્હે સાદિક પહેલાં જો કોઈ રવાના થશે, તો દમ વાજિબ થશે.

                ખૈર, ફજરની નમાઝ પછી તમે જોશો, કે ઈન્સાનોનો આ સમંદર ફરી એકવાર મિના તરફ જઈ રહયો છે.

Log in or Register to save this content for later.