Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 117 to 119)
૯ ઝિલ્હજ્જના અરફાત માટે રવાનગી
નવમી ઝિલ્હજ્જના સવારમાં સૂર્ય નીકળ્યા બાદ ”મિના”થી ”અરફાત” જવાનું છે. ૯મી ઝિલ્હજ્જના, ફજરની નમાઝ ઈસ્ફારમાં (સવારનું અજવાળું સારી રીતે ફેલાઈ જાય ત્યારે) પઢો અને જયારે સુર્યોદય થાય ત્યારે ”અરફાત” જવા રવાના થઈ જાઓ. ”મિના”થી ”અરફાત” લગભગ ૬ માઈલ છે. ૩ માઈલ ચાલ્યા પછી ”મુઝદલિફહ” આવશે, જયાં આજે રાત્રે આપે આવીને રાત ગુજારવાની છે, પણ અત્યારે તો ત્યાંથી પસાર થઈ જવાનું છે, ત્યાં થોભવાનું નથી.અલ્લાહના ઘણા બંદાઓ આ રસ્તો પગપાળા કાપે છે. આ મુકદ્દસ મકામાતનો હક અદા કરવા માટે આપણે તે તમામ પ્રયત્નો કરવા જોઈએ જે આપણાથી શકય હોય. જો તમોને એવો ભય હોય, કે પગપાળા જશો તો થાકી જશો અને અરફાત જઈ ઝિક્ર, દુઆ વગેરે, જેવી ચુસ્તીના સાથે થવા જોઈએ, એ પ્રમાણે નહિ થાય, તો પછી તમે સવારીમાં જ જાઓ. હવે, તમો થોડીક જ વારમાં ”અરફાત” પહોંચી જશો, અને ખાસ યાદ રાખશો કે, ”તલબિયહ” પ્રતિ ગફલત ના થાય, રસ્તામાં પઢતા પઢતા જ ચાલશો.
આજે મગફિરતનો દિવસ છે, આજે અરફાનો દિવસ છે, જે હજ્જનો મોટો રૂકન છે. મસ્અલાના એઅ્તિબારથી ૯ ઝિલ્હજ્જના બપોરથી ૧૦મી ઝિલ્હજ્જની સુબ્હે સાદિક સુધીમાં થોડીકવાર માટેનો અહીંયાં વુકૂફ, એ હજ્જનો મોટો રૂકન છે, જેના વગર હજ્જ થશે નહિ. ઝવાલ પછી વુકૂફ (રોકાણ)નો ટાઈમ શરૂ થઈ જાય છે, એટલા માટે ઝવાલ પછી અરફાતમાં રહેવું જરૂરી છે. જો થઈ શકે તો, ઝવાલ પહેલા ગુસ્લ કરી લો, જેથી તબિયતમાં સ્ફુર્તી આવી જાય, પણ બદન ઉપર સાબુ વગેરે લગાવશો નહિ, અને મેલ પણ ઉતારશો નહિ, કારણ કે એહરામની હાલતમાં તેની મનાઈ છે. અને જો ગુસલની સહૂલત ના હોય, અથવા વ્યવસ્થા ના થઈ શકતી હોય, તો ફકત વુઝૂ કરી લો.
ફજરની નમાઝ મિનામાં પઢયા પછી કાફલાઓ અરફાત જવાનું શરૂ કરી આપે છે, તે વખતનો મંઝર અજીબો ગરીબ હોય છે. માણસોનો જાણે એક સમંદર, જોવા મળશે, જેમાં તમો પણ હશો, અને આ સમદંરના મોજા, એક બીજા સાથે લહેરાતા લહેરાતા, આગળ વધી રહયા હશે, હવે તો ન કવમીયતની પરવાહ, ન ઝુબાનનો ખ્યાલ, ન રંગ નસલની કોઈ આડ, બધાજ એક બીજાના ખભાથીખભો મિલાવી, આગળ વધી રહયા છે. અરફાત તરફ જઈ રહયા છે, આ બધા અલ્લાહના બંદાઓ છે, અલ્લાહના મહેમાન છે, બધાને જ અલ્લાહે બોલાવ્યા છે.
ઈન્સાનોનો આ સમંદર ઝુહ્ર પહેલાં પહેલાં, મૈદાને અરફાતમાં પહોંચી જશે. મૈદાને અરફાતમાં તમારી નઝર ”જબલે રહમત” ઉપર પહોંચશે, આ તે પહાડ છે, જયાંથી સરકારે દોઆલમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આખરી હજ્જના મોકા ઉપર એક લાખથી વધુ મુસલમાનોને ખિતાબ ફરમાવ્યો હતો, જેને ખુતબએ હજ્જતુલ વદાઅ કહેવામાં આવે છે.
Log in or Register to save this content for later.