૮, ઝિલહજ્જના મિનામાં આપે કરવાના કામો

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 116 to 117)

, ઝિલહજ્જના મિનામાં આપે કરવાના કામો

                આજે ”મિના”માં આપને કોઈ ખાસ કામ કરવાનું નથી, પણ ઝુહ્‌ર,અસ્‍ર, મગરિબ, ઈશા અને ૯ મી ઝિલ્હજ્જની ફજ્‌રની નમાઝ ”મિના”માં અદા કરવાની છે.રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પણ પાંચ નમાઝો ”મિના”માં અદા ફરમાવી હતી. આજનો દિવસ અને આજની રાત (એટલે કે ૮ ઝિલ્હજ્જનો દિવસ અને ૮ તથા ૯, ના વચ્ચેની રાત) ”મિના”માં પસાર કરવાની, એ જ એક અહીંયાંનો અમલ છે. નમાઝોના ટાઈમે નમાઝો પઢશો, અને ઝિક્ર તથા તિલાવત તેમજ દુઆઓ વિગેરેમાં મશ્ગૂલ રેહશો અને આપના સાથીઓને પણ આવા કામો કરવાની તરગીબ આપશો. આ ઈબાદતોનાં દિવસો છે, ઈબાદતોની રાતો છે અને લોકો પોતાના માલિકને યાદ કરે છે.

                અને તમો જાણો જ છો, કે આ”મિના” તે જગા છે, કે સૈકાઓ પહેલાં, જયાં હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અલ્લાહનાં હુકમથી હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ને ઝુબ્હ કરવા માટે ”મિના” લાવ્યા હતા. અય અલ્લાહ ! ઈશ્કે ઈબ્રાહીમનો એકાદ રજકણ અમને પણ અતા ફરમાવો., આમીન

                આ તબકકે આપે એ પણ યાદ રાખવું જોઈએ, કે ”મિના”ના આ જ મૈદાનમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અલ્લાહનો પૈગામ અને કલિમહ લઈને, અહીંયાં ભેગા થવાવાળા લોકોમાં ચકકરો મારતા હતા તથા અલ્લાહ અને અલ્લાહના દીન તરફ તેમને બોલાવતા હતા.

હજ્જના દિવસોમાં ”મિના”માં જુમ્અહની નમાઝ પઢવું જાઈઝ છે.

Log in or Register to save this content for later.