Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 110 to 113)
હજ્જ
૮ ઝિલ્હજ્જના હજ્જનું એહરામ અને મિના રવાનગી :
ઝિલ્હજ્જની આઠમી તારીખને ”યવમુત્તરવિયહ” પણ કહે છે. તરવિયહનો અર્થ પાણી પાવું થાય છે, આ દિવસે લોકો ઊંટને પાણી પીવડાવતા હતા, એના કારણે આઠમી તારીખને ”યવમુત્તરવિયહ” કહેવામાં આવે છે.
જે દિવસો માટે અલ્લાહ તઆલાએ તમોને બોલાવ્યા હતા, તે દિવસો આવી ગયા. યાદ રાખો, આ દિવસો આપના પૂરા સફરની જાન છે.
ઝિલ્હજ્જની આઠમી તારીખથી ”હજ્જ”ના અરકાનો શરૂ થઈ જાય છે. આઠમીના સૂર્ય ઉગ્યા પછી એહરામની હાલતમાં બધા હાજીઓએ મિના જવાનું છે.
જો તમો ૮ ઝિલ્હજ્જ પહેલાં હજ્જનું એહરામ બાંધવા ચાહો તો બાંધી શકો છો, પણ આપના માટે સહૂલત એમાંજ છે કે ૮ ઝિલ્હજ્જની સવારમાં હજ્જ માટે એહરામ બાંધો. (હરમવાસીઓ પણ આજે એહરામ બાંધશે.)
આજકાલ મુઅલ્લિમ લોકો પોતાની ઈન્તિઝામી સહૂલત, ટ્રાન્સપોર્ટની મુશ્કેલી અને અડચણોના કારણે સામાન્ય રીતે હાજીઓને આઠમી ઝિલ્હજ્જની રાત્રેજ ઈશા પછી કોઈ પણ વખતે ”મકકહ મુકર્રમહ”થી ”મિના” લઈ જાય છે, જો મજબૂરી હોઈ તો ચાલ્યા જવામાં વાંધો નથી.
”અહમદાબાદ”થી કે ”મુંબઈ”થી હવાઈ જહાઝમાં બેસતાં પહેલાં આપે જેવી રીતે ગુસલ કરીને એહરામ બાંધ્યું હતું, એ જ પ્રમાણે આ એહરામ પણ બાંધવાનું છે. બંનેમાં કોઈ ફરક નથી.
હજ્જનું એહરામ હુદૂદે હરમની કોઈ પણ જગાએથી બાંધી શકો છો, તમે જે મકાનમાં ઉતર્યા છે, ત્યાંથી પણ બાંધી શકો છો.
એહરામ બાંધીને મસ્જિદે હરામમાં આવો અને સહૂલત હોય તો ”તવાફે તહિય્યહ” કરો (આ તવાફ ફર્ઝ કે વાજિબ નથી, માટે કરવો જરૂરી નથી અને આ તવાફમાં ”રમલ” કે ”ઇજતિબાઅ” પણ નથી.
જો તમારી સાથે કમઝોર અને જઈફ લોકો તેમજ ઓરતો હોય અને તમે આ નફલ તવાફમાં, તવાફે ઝિયારત, કે જે ૧૦, ઝિલ્હજ્જના કરવામાં આવશે, તેનું ”રમલ” અને ”ઈજતિબાઅ”, તેમજ ”સઈ” આ તવાફમાં એડવાન્સ કરી લેવા માંગતા હોય, તો કરી શકો છો, એટલે કે પછી તમારે તવાફે ઝિયારતમાં રમલ, સઈ કરવાની જરૂરત નહિ રહે.
પણ જે લોકો મજબૂત અને નવજુવાન છે, તેઓએ આ પ્રમાણે એડવાન્સમાં તવાફે ઝિયારતના ”રમલ”, તથા ”સઈ” ના કરવાં જોઈએ, અને તવાફે ઝિયારત માં જ રમલ, સઈ વગેરે કરે.
નફલ તવાફ કરીને માથું ઢાંકીને બે રકા’ત વાજિબુત્તવાફ પઢો.
જો ભીડ હોય અથવા કોઈ કારણસર તવાફ ના કરવો હોય તો, જો મકરૂહ વખત ના હોય તો, બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો. ત્યાર પછી બે રકા’ત નમાઝ એહરામના સુન્નતની પઢો, પછી માથું ખોલી નાંખો, અને હજ્જના એહરામની નિય્યત કરો.
اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الحَجَّ فَیَسِّرْہُ لِیْ وَ تَقَبَّلْہُ مِنِّی
(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલહજ્જ ફયસ્સિરહુ લી વતકબ્બલહુ મિન્ની.)
”અય અલ્લાહ તઆલા હું આપની રઝામંદી માટે હજ્જનો ઈરાદો કરું છું. આપ મારા માટે એને આસાન ફરમાવી, કબૂલ ફરમાવો.”
ઉપરોકત નિય્યત કરીને પછી ”તલબિયહ” પઢો.
لَـبَّــیْــکَ اَلـلّٰـھــُمَّ لَـبَّـیْکَ
لَبَّیْکَ لا شَرِیْکَ لَکَ لَـبَّیْکَ
اِنَّ الْحَمْدَ وَ الـنِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،
لا شَرِیْکَ لَکَ
લબ્બય્ક,અલ્લાહુમ્મ લબ્બય્ક
લબ્બય્ક લા શરીક લક લબ્બય્ક
ઈન્નલ્–હમ્દ વ ન્નિઅમત લક વલ મુલ્ક,
લા શરીક લક
હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,
હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,
બેશક બધા વખાણ અને નેઅ્મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ
તમારો કોઈ જ ભાગીદાર નથી.
”ઉમરહ” અને ”હજ્જ”માં જયાં જયાં ”તલબિયહ” પઢવાનું આવ્યું છે, ત્યાં જયારે જયારે પઢો ત્યારે એકવાર પઢવું તો જરૂરી છે, અને ત્રણવાર પઢવું સુન્નત છે.
”તલબિયહ” પઢતી વખતે, દિલમાં એવો ખ્યાલ જમાવો કે મારા માલિક અને મારા પરવરદિગારે આજથી હજારો વર્ષ પહેલા, પોતાના ખલીલ હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) મારફત પોતાના બંદાઓને હજ્જ માટે બોલાવ્યા હતા, અમો તેનો જવાબ આપી રહયા છીએ, અને અમારા માલિકથી કહી રહયા છીએ અને તે સાંભળી રહયો છે અને અમારી હાલત જોઈ રહયો છે.
”તલબિયહ” પછી જે પણ દિલ ચાહે તે દુઆ કરી શકો છો પણ ખાસ કરીને આ દુઆ માંગવી જોઈએ :
”અય અલ્લાહ, હું તમારા હુકમ ઉપર અમલ કરવા માટે અને તમારી રઝામંદી માટે પોતાનો દેશ અને ઘરબાર છોડીને તમારા દરવાઝા ઉપર હાજર થયો /થયી છું અને મેં હજ્જનું એહરામ બાંધ્યું છે. તમો પોતાની ખાસ મદદ અને તૌફીકથી મારા આ હજ્જને અદા કરાવી આપો અને એને કબૂલ ફરમાવો અને હજ્જની બરકતોથી મને નવાઝો. હું તમારાથી તમારી રઝામંદી અને જન્નતનો સવાલ કરું છું અને દોઝખ તેમજ તમારી નારાજગીથી પનાહ માંગું છું. અય અલ્લાહ ! દુન્યા અને આખિરતની ભલાઈઓ તેમજ આફિયત મને નસીબ ફરમાવો અને મારી બધી જ ભૂલો અને ગુનાહોને માફ ફરમાવો.
નિય્યત કરવાથી અને તલબિયહ પઢવાથી હવે ફરીવાર આપના ઉપર તે બધી જ પાબંદીઓ આવી ગઈ, જે ઉમરહના એહરામ વખતે હતી. હવે ૧૦ તારીખના કુર્બાની કર્યા પછી, જયારે માથું મૂંડાવશો ત્યારે આપનું એહરામ ખતમ થશે. અલબત્ત, સોહબતની પાબંદી તવાફે ઝિયારત ન કરવામાં આવે ત્યાં સુધી બાકી રહેશે.
”ઉમરહ”ના એહરામ વખતે જે ”તલબિયહ” પઢતા હતા, તે ”તવાફ” શરૂ કરતાં જ ખતમ થઈ ગઈ હતી. આ ”તલબિયહ” પણ હવે આપે ઉઠતાં, બેસતાં અને નમાઝો પછી પઢવાની છે અને જયારે તમો ૧૦ ઝિલ્હજ્જના ”જમરએ અકબા”ની રમી માટે પહેલી કાંકરી મારવાનું શરૂ કરશો, કે તરતજ આ ”તલબિયહ” પઢવાનું પણ ખતમ થઈ જશે. પછી તમારે ”તલબિયહ” પઢવાની નથી.
Log in or Register to save this content for later.