Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 114 to 116)
મિના રવાનગી
૮ ઝિલ્હજ્જના આપે ”હજ્જ”નું એહરામ બાંધવાનું છે અને આપને ૮ ઝિલ્હજ્જના ”મિના” જવાનું છે, જે ”મકકહ મુકર્રમહ”થી સાડા ત્રણ માઈલ દૂર છે. ચાલીને જવું પણ કોઈ મુશ્કિલ નથી. હિંમત હોય તો જ ચાલીને જશો, નહિ તો મુઅલ્લિમની ગાડીમાં જશો. પણ એટલું યાદ રાખશો, કે હવે ”મકકહ મુકર્રમહ” તમારી વાપસી બારમી અથવા તેરમી ઝિલ્હજ્જના થશે, એટલે કે ચાર પાંચ દિવસ પછી તમારે પાછા આવવાનું થશે, તો એટલા દિવસનો જરૂરી સામાન પણ સાથે લઈ લો. મિનામાં બજાર જેવું હોય છે, અને જે રીતે ”મકકહ મુકર્રમહ”માં ખાવા–પીવાની વસ્તુઓ મળે છે, એવી જ રીતે ”મિના”માં પણ એ બધું મળી જશે, એટલે એવી વસ્તુઓ બાંધીને લઈ જવાની જરૂર નથી. પોતાની પૂરી રકમ પણ સાથે લઈ જવાની જરૂરત નથી.જરૂરત પુરતા પૈસા લઈ, બાકીની રકમ કોઈને અમાનતના તૌર પર જમા કરાવો, અથવા તમો જયાં ઉતર્યા છો, ત્યાં કોઈ કબાટમાં મુકી, તાળું મારી, જવું જોઈએ. પૂરી રકમ સાથે લેવામાં ચોરીનો ખતરો છે. કારણ કે કેટલાક લોકો તો ચોરી કરવા જ આવે છે.
મિના જતી વખતે આપના મુઅલ્લિમ સાહેબ તરફથી, આપને એક કાર્ડ આપવામાં આવશે, જેમાં જે તે મુઅલ્લિમના નામ તથા તેમનો નંબર પણ હશે અને ખાસ વાત આ કે, તેમાં આપને મિનામાં જઈ જે તંબૂમાં થોભવાનું છે તેનો નંબર પણ લખેલો હશે. તો આપ આ કાર્ડને જાળવી રાખશો.
”મિના” જતી વખતે, એવી જ રીતે” મિના”થી ”અરફાત” અને ત્યાંથી ”મુઝદલિફહ” અને ત્યાંથી વળી પાછા ”મિના” આવતી વખતે, દરેક જગાએથી સફર શરૂ કરતી વખતે, તમો પોતાના દિલમાં એવો જ ખ્યાલ જમાવો કે મારો મવલા હવે મને ત્યાં હાજરીનો હુકમ કરી રહયો છે. જો તમને આવો ખ્યાલ નસીબ થઈ ગયો, તો ઈન્શાઅલ્લાહ ચલત, ફિરત અને દોડભાગમાં આપને ઘણી લઝઝત આવશે.
”મિના” માટે સવારમાં જલ્દી નીકળી જવું જોઈએ, જેથી વધુ તડકો થતા પહેલાં ”મિના” પહોંચી જવાય અને ત્યાં પહોંચી આપના મુઅલ્લિમે આપના માટે જે ખેમા(તંબુ)માં અથવા જે જગાએ થોભવાનો ઈન્તિઝામ કર્યો છે, ત્યાં આપ આરામ કરો.
મિનામાં હઝારો બેહતરીન ફાયરપૃફ,એરકુલરની ફેસીલીટીવાળા તંબૂઓ બનેલા છે અને બધા એક જ સરખા દેખાય છે, જેના કારણે અનેક લોકો અહીંયાં ભૂલા પડી જાય છે. માટે વગર જરૂરતે પોતાના તંબૂને છોડીને બહાર જવું નહિ. કદાચ કોઈ કારણ સર જવાનું થાય અથવા આપ રમ્યે જિમાર માટે જઈ રહયા છો તો આપના તંબૂનો રસ્તો યાદ રાખવા માટે ત્યાંની થીઅરી જાણવી જરૂરી છે, અને તે એકે સઊદી હુકૂમતે મિનામાં અસંખ્ય રોડ બનાવેલા છે, અને દરેક રોડની બંને સાઈડે અસંખ્ય મેઈનગેટ (દરવાજા) બનાવેલા છે. આ દરેક મેઈન દરવાજા ઉપર ઘણાજ ઊંચા થાંભલા લગાવેલા છે, જે ઘણા જ દૂરથી જોઈ શકાય છે, આ થાંભલાઓ ઉપર નંબરો લગાવેલા છે, આ નંબરો આપના તંબૂ શોધવા માટે મુખ્ય આધાર રાખે છે, અને તે એ પ્રમાણે કે :
આપના તંબૂનો નંબર બી /૧૧ છે, તો એટલા નંબરથી આપનો તંબૂ કદિ પણ મળી શકે નહિ, કારણ કે બી –૧૧ના તો ઘણા તંબૂઓ હશે, પણ આપ આપના મેઈન ગેટ ઉપરના ઊંચા થાંભલા ઉપર લગાવેલા નંબર યાદ રાખો, અને પહેલાં તે નંબર ઉપર પહોચો પછી અંદર દાખલ થયા પછી આપનો તંબૂ શોધશો તો આસાનીથી મળી આવશે. જેમકે મેઈન ગેટના ઊંચા થાંભલા ઉપર ૪૧/૬ નંબર લખેલો છે, એનો અર્થ એ થયો કે આપનો તંબૂ ૪૧ નંબરના રોડ ઉપર ૬ નંબરના મેઈન ગેટમાં આવેલો છે. તો સૌ પ્રથમ ૪૧ નંબરનો રોડ થાંભલાઓ જોઈને શોધી કાઢો, પછી ૬ નંબરના મેઈન ગેટમાં દાખલ થાઓ અને પછી આપનો તંબુ બી/૧૧ શોધશો તો મલી જશે.
વધૂ વિગતે એમ સમજી શકાય :
૧ |
41/1 |
41/2 | 41/3 | 41/4 | 41/5 |
૨ | 25/1 | 25/2 | 25/3 | 25/4 | 25/5 |
૩ | 19/1 | 19/2 | 19/3 | 19/4 | 19/5 |
૪ | 7/1 | 7/2 | 7/3 | 7/4 | 7/5 |
૫ | 31/1 | 31/2 | 31/3 | 31/4 | 31/5 |
૧ નંબરવાળી લાઈનનો મતલબ એ છે કે રોડ નંબર ૪૧ છે અને તેના સાથે લગાવેલા નંબરો તેના મેઈન ગેટો બતાવે છે.
ર નંબરવાળી લાઈનનો મતલબ એ છે કે રોડ નંબર રપ છે અને તેના સાથે લગાવેલા નંબરો તેના મેઈન ગેટો બતાવે છે.
૩ નંબરવાળી લાઈનનો મતલબ એ છે કે રોડ નંબર ૧૯ છે અને તેના સાથે લગાવેલા નંબરો તેના મેઈન ગેટો બતાવે છે.
૪ નંબરવાળી લાઈનનો મતલબ એ છે કે રોડ નંબર ૭ છે અને તેના સાથે લગાવેલા નંબરો તેના મેઈન ગેટો બતાવે છે.
પ નંબરવાળી લાઈનનો મતલબ એ છે કે રોડ નંબર ૩૧ છે અને તેના સાથે લગાવેલા નંબરો તેના મેઈન ગેટો બતાવે છે.
જો તમો ઉપરોકત હકીકત સમજી ગયા હોય તો હવે તમારે કોઈને તમારા તંબૂનું એડ્રેસ આપવું હોય તો આપ કહેશો કે મારો તંબૂ ”૪૧/૪” માં ” બી/૧૧” માં છે. આનાથી તે માણસ કોઈ પણ જાતના ગુંચવાડા વગર આપના મુકામે પહોંચી જશે.
Log in or Register to save this content for later.