Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 72 to 82)
તવાફ
”તવાફ”નો અર્થ છે કોઈ વસ્તુની ચારેવ બાજુ ચકકર લગાવવો અને હજ્જના બયાનમાં તવાફનો શબ્દ આવે એનો અર્થ આ છે, કે ”કઅબતુલ્લાહ”ની ફરતે સાત વખતે એક ખાસ રીતે ચકકર મારવા.
સન હિજરી ૮, ફત્હે મકકહથી લઈને, આજ સુધી એક સેકન્ડ પણ એવી નથી ગઈ, કે ”મતાફ” (તવાફ કરવાની જગા, ફર્ઝ નમાઝોના સિવાય) ખાલી રહયો હોય.
તમે જોશો, કે હાજીઓની ભીડ છે, અને ”બયતુલ્લાહ”ની ચારેવ બાજુ તવાફ કરવાવાળાઓના ચકકરો ચાલુ છે, કાળા ગિલાફની ચારેવ બાજુ સફેદ કપડાવાળા માણસોના ચકકર લગાવવાનો મંઝર, એવો દેખાય છે, કે જાણે ”કઅ્બતુલ્લાહ”ની ચારેવ બાજુ, દૂધની એક નહેર વહી રહી હોય! તમારે પણ માણસોના આ વહેતા દરિયામાં વહેતું થવાનું છે, પણ ગમે ત્યાંથી જોડાવવાનું નથી, એના માટે એક ખાસ રીત છે, અને જોડાવા માટે એક જગા પણ નકકી છે.
”તવાફ” શરૂ કરવાની જગા તો ”હજરે અસ્વદ” છે, એટલે કે આપના ”તવાફ”ની શરૂઆત ”હજરે અસ્વદ”થી થશે. માટે ”કઅ્બતુલ્લાહ”માં જયાં ”હજરે અસ્વદ” લાગેલો છે, પહેલાં તે ખુણા તરફ પહોચવાની કોશિશ કરો.
” સઊદી હુકૂમતે”, હાજી સાહેબોની સહૂલત માટે, જે જે ફેસીલીટીઓ કરી છે (અલ્લાહ તઆલા એમની ખિદમતોને કબૂલ ફરમાવે, અને તમામ હાજીઓ તરફથી પોતાની શાયાને શા’ન બદલો ઈનાયત ફરમાવે. આમીન)તેમાંની એક ફેસીલીટી આ પણ છે કે, જે તરફ ”હજરે અસ્વદ” લાગેલો, છે ,તે ખૂણામાંથી પથ્થરની એક કાળી પટ્ટી બહાર કાઢેલી છે, જે ઘણા જ દૂર સુધી બનાવેલી છે, એટલે તવાફ કરવા વાળો / વાળી, ”હજરે અસ્વદ”થી ગમે તેટલો/ તેટલી દૂર હોય, અને ગમે તેટલી ભીડ હોય, છતાં તેને ખબર પડી જ જાય છે કે હું ”હજરે અસ્વદ”ની સામે આવી ગયો / આવી ગઈ છું, જેથી એ ”હજરે અસ્વદ”ને ”ઇસ્તિલામ” કરી શકે અને પોતાનો આગલો ચકકર શરૂ કરી શકે.
તો તમે પણ ત્યાં આવી જાઓ, જયારે તમે કાળી પટ્ટી પાસે આવી જાઓ, તો પટ્ટીથી થોડેક દૂર (લગભગ અર્ધો ફૂટ) ડાબી બાજુ બયતુલ્લાહ તરફ મોઢું કરીને ઉભા થઈ જાઓ, તમે જયારે આવું કરશો, ત્યારે ”હજરે અસ્વદ” તમારા જમણા ખભા તરફ, ખભાથી બહાર હશે, અને તમો પેલી લગાવેલી પટ્ટીથી ડાબી બાજુ પૂરા બહાર હશો.
હવે તવાફ કરવાની જે રીત છે, તેની તૈયારી કરી લો, સૌ પહેલા તો તમો છેલવેલ્લા ”તલબિયહ” પઢી લો, જે તમે એહરામ બાંધ્યું છે ત્યારથી પઢતા આવ્યા છો, અને હવે પછી આપને ”તલબિયહ” પઢવાની નથી, કારણકે, તવાફ શરૂ કરતાંની સાથે જ, એનો ટાઈમ પૂરો થઈ જાય છે, ત્યાર પછી ”ઈજ્તિબાઅ્” કરો, એટલે કે જમણા ખભાની નીચેથી ચાદર કાઢીને, ડાબા ખભા ઉપર નાખી દો, (ઓરતો માટે ઈજતિબાઅ નથી) હવે ”તવાફ”ની નિય્યત કરો, નિય્યત ઘણીજ જરૂરી છે, વગર નિય્યતે તવાફ થશે જ નહિ.
اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ طَوَافَ بَیْتِکَ الْحَرَامِ، سَبْعَۃَ اَشْوَاطٍ لِلّٰہِ تَعَالٰی، فَیَسِّرْہٗ لِی، وَ تَقَبَّلْہٗ مِنِّی۔
(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુ તવાફ બય્તિકલ હરામિ, સબ્અત અશ્વાતિન લિલ્લાહિ તઆલા, ફ યસ્સિરહુ લી, વ તકબ્બલહુ મિન્ની.)
” અય અલ્લાહ હું તમારા બયતુલ હરામના, સાત ચકકરોના તવાફની નિય્યત કરું છું, ફકત તમારી ખૂશ્નૂદી અને રઝામંદીના ખાતર. તમો એને મારા માટે આસાન કરી દો અને કબૂલ ફરમાવો.”
હવે જમણી બાજુ એટલું હટો કે તમારા પગ પેલી પટ્ટી ઉપર આવી જાય, અને ”હજરે અસ્વદ” તમારી સામે થઈ જાય, અને આ દુઆ પઢો :
بِسْمِ اللّٰہِ، اللّٰہُ اکْبَرْ، وَ لِلّٰہِ الْحَمْد
” બિસ્મિલ્લાહિ અલ્લાહુઅકબર વ લિલ્લાહિલ્હમ્દ”
(શરૂ કરું છું અલ્લાહના નામથી, અલ્લાહ સૌથી મોટો છે, અને બધા વખાણ અલ્લાહના માટે જ છે.)
ઉપરોકત દુઆની સાથે સાથે તમો પોતાના બંને હાથ એ પ્રમાણે ઉઠાવો, જે પ્રમાણે નમાઝમાં (એટલે કે કાન સુધી) ઉઠાવવામાં આવે છે.
(યાદ રાખો આ એક જ વખતે તમારે હાથ કાનો સુધી ઉઠાવવાના છે, જેવી રીતે કે નમાઝમાં ફકત ”તકબીરે તહરીમહ” વખતે જ હાથ ઉઠાવવામાં આવે છે.પછીના કોઈ પણ ચકકરમાં, તમારે હાથ કાનો સુુધી ઉઠાવવાના નથી, ઘણા માણસોને તમે જોશો, કે તેઓ દરેક ચકકર વખતે કાનો સુધી હાથ ઉઠાવે છે, તો તમે પણ દેખાદેખી એવું ના કરતા.)
પછી હાથ છોડી દેવાના છે, એટલે કે નીચા કરી લો અને હજરે અસ્વદને બોસો (ચુંબન) આપો.
બોસાની રીત આ છે કે, બંને હાથ હજરે અસ્વદ ઉપર એ પ્રમાણે મુકો, જેવી રીતે સિજદહની હાલતમાં ઝમીન ઉપર મુકવામાં આવે છે, અને બંને હથેળીઓની વચમાં મોઢું રાખીને હજરેઅસ્વદને અદબના સાથે બોસો આપો.આને જ ઇસ્તિલામ કહે છે.
હજરે અસ્વદ પર ખુશ્બૂ લગાડેલી હોય છે, માટે જો તવાફ કરનાર હાલતે એહરામમાં હોય તો હાલતે એહરામમાં ખુશ્બૂ મના હોવાથી હજરે અસ્વદને બોસા ના આપો પણ હાથોથી ઈશારો કરીને હાથોને બોસો આપે.
હજરે અસ્વદ જન્નતી યાકૂતનો એક પથ્થર છે, તેના નૂરને અલ્લાહ તઆલાએ ખત્મ કરીને દુનિયામાં ઉતાર્યો હતો, જો તેના નૂરને ખતમ કરવામાં ના આવ્યું હોત તો પૂર્વ –પશ્ચિમ તેની રોશ્નીથી રોશન થઈ જાત.(ઈજાહ) જે વખતે તેને ઉતારવામાં આવ્યો હતો, તે દૂધથી વધારે સફેદ હતો, પરંતુ આદમની અવલાદના ગુનાહઓએ તેને કાળો કરી નાખ્યો. (મિશ્કાત)
હજરે અસ્વદના ઇસ્તિલામની આ ખૂબી છે કે, તે કુદરતી તૌર પર ઇસ્તિલામ કરવાવાળાના ગુનાહને ચૂસી લે છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે, ”રૂકને યમાની” અને હજરે અસ્વદને ટચ (હાથ લગાવવો) કરવું ગુનાહોને મુઆફ કરી દે છે. (તિરમિઝી શરીફ વગેરે)
એક હદીસમાં છે કે જયાં સુધી હજરે અસ્વદ અને મકામે ઈબ્રાહીમને ઊઠાવી લેવામાં નહી આવે ત્યાં સુધી, કિયામત કાયમ નહી થાય. (કન્ઝુલ ઉમ્માલ હદીષ નંબર ૩૪૭૧ર)
કિયામતના દિવસે આ બંને પથ્થરો એવી હાલતમાં ઉઠાવવામાં આવશે કે, એમને બે ઝુબાનો, બે આંખો, બે હોઠ હશે, અને તેઓ ઇસ્તિલામ કરવાવાળાના હકમાં ગવાહી આપશે અને શિફારિશ કરશે.
એક હદીસમાં આ પણ છે કે હજરે અસ્વદને ઇસ્તિલામ કરવાવાળો અલ્લાહ રબ્બુલ ઈઝઝતથી મુસાફહો કરી રહયો છે. (ઈબ્નેમાજહ)
અમુક હદીસોમાં આવ્યું છે કે, દુનિયામાં હજરે અસ્વદ અલ્લાહ તઆલાનો હાથ છે, એટલે જે માણસ એને બોસો આપશે અથવા પકડશે, તો એ માલિકે હકીકી જલ્લ મજ્દુહુથી મુસાફહો અને મુલાકાત કરવા સમાન છે.(અત્તરગીબ વત્તરહીબ ૧૯૪જ્ર)
હઝરત ઉમર ફારૂક (રદિ.)એ એક વખતે હજરે અસ્વદને બોસો આપતાં આપતાં ફરમાવ્યું હતું : ” બેશક હું જાણું છું કે તુ ફકત એક પથ્થર જ છે, જે ન તો કોઈને ફાયદો પહોંચાડી શકે છે, અને ન તો નુકસાન, જો મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને તને બોસો આપતાં ના જોયા હોત તો હું પણ તને કદી બોસો ના આપત!”
હઝરત ઉમર ફારૂક (રદિ.)ના શબ્દોથી આ વાત બિલ્કુલ સાફ થઈ જાય છે કે મુસલમાન ફકત અલ્લાહની જ ઈબાદત કરે છે, બીજા કોઈની નહિ. મુસલમાન હજરે અસ્વદને બોસો આપે છે, તે પણ ઇત્તિબાએ સુન્નતમાં જ આપે છે, મુસ્લિમો પથ્થરને કોઈ અહ્મિયત નથી આપતા.
(આ વાત ખાસ ધ્યાનમાં રાખો, કે હજરે અસ્વદને બોસો આપવો સુન્નત છે, અને કોઈ મુસલમાનને તકલીફ પહોંચાડવી હરામ છે, માટે ધકકા મુકકી કરી, કમઝોરોને હટાવી, સુન્નતને અદા કરવા જતાં, હરામ કૃત્ય કરવાથી બચશો! એનો ગુનોહ ઘણો મોટો છે, આ પ્રમાણેના કામો કરીને લોકોમાં ફખ્ર સાથે વર્ણન કરવામાં આવે છે કે અમને હજરે અસ્વદને બોસો આપવાનો મોકો મળ્યો, પરંતુ, ખરેખર તો સવાબની જગાએ ગુનાહ વહોરીને આવ્યા છે, તેનું ઘણા પુરૂષો અને સ્ત્રીઓને ભાન નથી હોતું, સાથે સાથે મસ્જિદે હરામના અદબમાં પણ ખલલ પડે છે.)
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત ઉમર (રદિ.)ને ખાસ તાકીદ ફરમાવી હતી, કે જુઓ તમો તાકતવર માણસ છો, હજરે અસ્વદને ઇસ્તિલામ આપવામાં લોકોથી ધકકા મુકકી ના કરતા, જગા હોય તો બોસો આપશો, નહિ તો દૂરથી ઇસ્તિલામ કરી લેશો.
(સુર્ય ઉગ્યા બાદ અને ઝુહ્રના અર્ધો કલાક બાદ, કા’બા શરીફમાં તથા મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ભીડ ઓછી હોય છે. એ જ પ્રમાણે ઇશાના ચાર પાંચ કલાક પછી મકકહ શરીફમાં અને અડધા કલાક બાદ મદીના શરીફમાં, ભીડ ઓછી હોય છે, તે વખતે તવાફ અને સલાતો સલામમાં રાહત રહે છે.)
જો ભીડના કારણે ”હજરે અસ્વદ” સુધી પહોંચવું અને બોસો આપવો શકય ના હોય તો પોતાની જગાએ જ ઉભા રહી બંને હથેળીઓ હજરે અસ્વદ તરફ ઉંચી કરો અને એવો ખ્યાલ જમાવો, કે જાણે તમે ”હજરે અસ્વદ” ઉપરજ બંને હથેળીઓ મુકી છે, પછી બંને હથેળીઓને ચૂંમી લો, જે ”હજરે અસ્વદ”ને ચુંબવા બરાબર છે.(આપના ખભાની ઉંચાઈના સામે જ હજરે અસ્વદ છે, માટે તમારે પણ હાથ એટલા જ ઉંચા કરવાના છે, કાનો સુધી ઉઠાવવા નહિ.)
અત્યાર સુધી આપ ”હજરે અસ્વદ” તરફ મોઢું કરીને ઉભા હતા, હવે જમણી બાજુ ફરી જાઓ જે તરફ ”કઅ્બતુલ્લાહ”નો દરવાજો છે અને તવાફ કરવાનું (ચાલવાનું) શરૂ કરી આપો.”કઅ્બતુલ્લાહ” થી તમો ગમે તેટલા દૂર હોય અને ”ઝમઝમનો કુવો” વગેરે પણ વચમાં આવી જતો હોય, તો પણ કોઈ હરજ નથી, આપનો તવાફ થઈ જશે.
એક વાત યાદ રાખો કે ”બયતુલ્લાહ”ની ઉત્તર દિશાએ, ”બયતુલ્લાહ”થી અડીને જ, ઝમીનનો અમુક ભાગ છે, જેને અંગ્રેજીના યુ, શકલમાં બનાવેલો છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નબુવ્વત પહેલાં, કુરૈશે ખાનએ કઅબહના બાંધકામનો ઈરાદો કર્યો અને બધા એ વાત ઉપર મુત્તફિક થયા કે, હલાલ માલથી જ એનું બાંધકામ કરવામાં આવે. માલ ઓછો હોવાના કારણે, ઉત્તર દિશાએ, બયતુલ્લાહમાંથી લગભગ છ શરઈ ગઝનો ભાગ છોડી દેવામાં આવ્યો હતો, આ છોડેલા ભાગને હતીમ કહેવામાં આવે છે, આ ભાગને તવાફમાં શામિલ કરવું જરૂરી છે.
જો આ ભાગમાં નમાઝ પઢવાનો મૌકો મળે તો જરૂરથી પઢી લેશો, એ એમ જ ગણાશે કે આપે બયતુલ્લાહની અંદર નમાઝ પઢી.
અલ્લાહના ફઝલો કરમથી દર વર્ષે હાજીઓની સંખ્યામાં વધારો જ થતો રહે છે, હજ્જથી ૩–૪ દિવસ પહેલાં અને હજ પછી તવાફે ઝિયારતમાં, ઘણી ભીડ થઈ જાય છે, એટલા માટે ”સઊદી હુકૂમતે”, મસ્જિદે હરામના બધા જ સહેનનો, મતાફ (તવાફ કરવાની જગા)માં સમાવેશ કરી લીધો છે. આ વધારેલી જગામાં તવાફ કરવાનો એટલો જ સવાબ છે, જેટલો જૂના મતાફમાં તવાફ કરવાનો છે, હા, જો ભીડ ઓછી હોય, તો જૂના ”મતાફ”માં તવાફ કરવાની કોશિશ કરવી જોઈએ.
મતાફમાં સુફેદ કિમ્યાવી પથ્થરો લગાવવામાં આવ્યા છે, એવી જ રીતે બીજા માળના ધાબા ઉપર(છેલ્લા ધાબા ઉપર પણ) એવા જ પથ્થરો લગાવવામાં આવ્યા છે.એ પથ્થરોની ખાસિયત એ છે કે ગમે તેટલી ગરમી અને તડકો હોય એ પથ્થરો ગરમ થતા નથી અને ઠંડા રહે છે, પરિણામે સખત ગરમી અને તાપમાં પણ લોકો ઇત્મીનાનના સાથે તવાફ કરે છે અને નમાઝો પણ પઢે છે. અલ્લાહ તઆલા ”સઉદી હુકૂમત”ને આવો અનોખો ઈન્તિઝામ કરવા બદલ બેહતરીન બદલો ઈનાયત કરે. આમીન
મર્દોએ પહેલા ત્રણ ચકકરોમાં ”રમલ” કરવાનો છે, અને બાકીના ચકકરો સામાન્ય ચાલથી જ પૂરા કરવાના છે.
”રમલ”નો અર્થ,બહાદુરીનો દેખાવ કરીને પહેલવાનોની જેમ ખભા હલાવતા હલાવતા, તેઝ, જલ્દી, નઝદીક નઝદીક પગ મુકીને ચાલવાનો થાય છે..
અને આ રમલ આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નત છે, પણ ફકત મર્દો માટે છે, ઓરતોએ રમલ કરવાનો નથી.
જો તવાફ, ”રમલ” કરવાની હાલતમાં શરૂ કર્યો, અને એક બે ચકકર માર્યા પછી એટલી ભીડ થઈ ગઈ કે, ”રમલ” કરવું શકય ન રહયું તો ”રમલ” છોડીને ”તવાફ” પૂરો કરી લેવામાં આવે. આખા ”તવાફ”માં ”રમલ” કરવું મકરૂહ છે, તે છતાં જો કોઈ ”તવાફ”ના સાતે સાત ચકકરોમાં ”રમલ” કરશે, તો કોઈ બદલો વાજિબ નહિ થાય.
એક હદીસમાં છે, હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) કહે છે કે રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને આપના સહાબએ કિરામ (રદિ.) જયારે (હજ્જ કરવા મકકહ મુકર્રમહ) તશરીફ લઈ ગયા, તો મુશ્રિકોએ (આપના આવતા પહેલાં અંદર અંદર) આ ચર્ચા કરી કે હવે અમારી પાસે એવી જમાઅત આવશે, જેને યસરબ (મદીનહ મુનવ્વરહ)ના બુખાર (મલેરિયા)એ કમઝોર કરી નાંખ્યા છે. બસ (આ વાતની જાણ થતાં ) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હુકમ આપ્યો કે તવાફના ત્રણ ચકકરોમાં રમલ કરો.
હવે આપનો ”તવાફ” શરૂ થઈ ગયો, આપે આ પ્રમાણે ”બયતુલ્લાહ”ની ચારેવ બાજુ ફરીને સાત ચકકરો પૂરા કરવાના છે. દરેક ચકકર ”હજરે અસ્વદ”વાળા ખૂણાથી શરૂ થશે, અને ત્યાં જ આવીને પૂરો થશે, અને ચકકર પૂરો થાય એટલે આપે :
بِسْمِ اللّٰہِ اللّٰہُ اکْبَرْ وَ لِلّٰہِ الْحَمْد
” બિસ્મિલ્લાહિ અલ્લાહુઅકબર વ લિલ્લાહિલ હમ્દ”
પઢીને દર વખતે ”હજરે અસ્વદ”ને બોસો આપવાનો છે, બોસા માટે જયારે (હજરે અસ્વદના દૂર હોવાના કારણે) હાથ ઉઠાવો, ત્યારે એટલો ખ્યાલ રાખવો કે હથેળીઓ હજરે અસ્વદ તરફ હોય, અને હાથ ખભા સુધી ઉઠાવવાના છે, પછી બંને હથેળીઓને ચૂંબવાની છે, અને પછી જમણી તરફ ચાલી પડવાનું છે . આ રીતે તમે જયારે સાતમો ચકકર પૂરો કરશો, અને ”હજરે અસ્વદ”ને બોસો આપશો એ તમારો આઠમો બોસો હશે, કારણ કે એક બોસો ”તવાફ” શરૂ કરતાં પહેલાં આપ્યો હતો અને સાત બોસા સાત ચકકર પછીના થયા, એમ કુલ આઠ બોસા થયા.
આ પણ યાદ રાખવું જોઈએ ,કે ”કા’બા શરીફ”ના દીદાર પણ એક ઈબાદત છે,પરંતુ તવાફ કરવા દરમિયાન ”કા’બા શરીફ”ને જોવાની મનાઈ છે, માટે ”તવાફ” કરતાં કરતાં ”કા’બા શરીફ”ને જોવાથી બચવું જોઈએ, હા’ જયારે જયારે તમારો ચકકર પુરો થાય, અને ”હજરે અસ્વદ”ને બોસો દેવાનો વારો આવે, ત્યારે ”હજરે અસ્વદ” તરફ મોઢું કરવું જાઈઝ છે.
એવી જ રીતે ”તવાફ” દરમિયાન, ”કા’બા શરીફ” તરફ પીઠ કરવી અથવા ”કા’બા શરીફ” તરફ છાતી કરવી પણ મકરૂહે તહરીમી છે, તવાફ દરમિયાન ”કા’બા શરીફ”ના ગિલાફને વળગવા અને ”મકામે ઈબ્રાહીમ”ને જોવાથી તવાફમાં વિક્ષેપ પડવાની સાથે સાથે, છાતી અને પીઠ ”કા’બા શરીફ” તરફ થઈ જાઈ છે, માટે એનાથી બચવું જોઈએ, અને ”તવાફ” દરમિયાન પોતાની નઝર ચાલવાની જગાએ રાખવી જોઈએ, ગમે તેમ જોવું મુનાસિબ નથી. જેવી રીતે નમાઝની હાલતમાં પોતાની નઝર સિજદહની જગાથી આગળ ના જવી જોઈએ.
અને જો આપે ઘણા એહતિયાતથી કામ લીધું, તે છતાં કોઈ સંજોગ એવો ઉભો થયો કે ”કા’બા શરીફ” તરફ પીઠ કે છાતી થઈ ગઈ, તો તવાફના તેટલા ભાગને દોહરાવવો વાજિબ છે, અને બેહતર એ છે કે આખો ચકકર જ દોહરાવી લો.
બીજી વાત આ કે તવાફ દરમિયાન, ”હજરે અસ્વદ” સિવાય, ”કા’બા શરીફ”ના કોઈ પણ ખુણા કે દિવાલને બોસો દેવાની મનાઈ છે, ફકત તમે ચકકર લગાવતા લગાવતા જયારે ”રૂકને યમાની” પર પહોંચો, તો ”રૂકને યમાની”ને બંને હાથ અથવા જમણો હાથ લગાડવો સુન્નત છે, તે પણ એ રીતે કે તમારા બંને પગો પોતાની જગાએ તે જ પોઝીશનમાં જમીન પર જમેલા રહે, અને છાતી કે પગના પંજા કા’બા શરીફ તરફ ના થાય તેનો ખ્યાલ રાખવાનો છે, તમે જોશો, કે ઘણા લોકો રૂકને યમાનીને પણ ”હજરે અસ્વદ”ની જેમ જ (બોસો) ઇશારો કે તકબીર કહી રહયા છે, તો એ દેખા દેખી તમે આવું હરગીઝ ના કરશો. જો ”રૂકને યમાની”ને હાથ લગાડવાનો મોકો ના મળે, તો એમજ પસાર થઈ જશો.
એક ખાસ વાત એ પણ યાદ રાખવી, કે કિતાબોમાં તવાફની ખાસ દુઆઓ લખવામાં આવી છે, પણ જે લોકોને આ દુઆઓ યાદ ના હોય અથવા હવે યાદ નથી કરી શકતા, તો એમાં ગભરાવાની કોઈ જરૂરત નથી, કારણ કે તવાફ દરમિયાન કોઈ મખસૂસ દુઆ બિલકુલ જરૂરી નથી, જો દુઆઓ યાદ ના હોય તો ફકત :
سُبْحَانَ اللّٰہِ ، اَلْحَمْدُ لِلّٰہِ، لااِلٰہَ اِلا اللّٰہُ، اَللّٰہُ اکْبَرْ
(સુબ્હાનલ્લાહિ, અલહમ્દુ લિલ્લાહિ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર.)
દરેક ચકકરમાં પઢતા રહો અને સાતેવ ચકકરોમાં જયારે જયારે તમો રૂકને યમાની પાસે આવો ત્યારે ત્યારે રૂકને યમાનીથી લઈને, હજરે અસ્વદ સુધીમાં આ દુઆ પઢો :
} رَبَّنَا اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَہً وَ فِی الآخِرَۃِ حَسَنَۃً وَ قِنَا عَذَابَ النَّارِ{
” રબ્બના આતિના ફીદ્દુન્યા હસનતન વ ફિલ આખિરતિ હસનતન વ કિના અજાબ ન્નારિ.”
” અય પરવરદિગાર અમને દુન્યામાં પણ ભલાઈ અતા ફરમાવો અને આખિરતમાં પણ ભલાઈ અતા ફરમાવો અને દોઝખના અઝાબથી અમને બચાવો.”
જો આટલું પણ યાદ ના હોય તો પોતાની ભાષામાં જે માંગવું હોય તે માંગો અને કશું માંગ્યા વગર અને પઢયા વગર તવાફ કરશો તો પણ તવાફ થઈ જશે.
પરંતુ જે લોકોના હાથમાં હજ્જમાં જતા પહેલાં ”ફલાહી”ની આ કિતાબ આવે, તેઓને ”ફલાહી”ની નમ્ર વિનંતી અને મુખ્લસાનહ મશ્વરો છે, કે તેઓ નીચેની બે દુઆઓ જરૂરથી યાદ કરીને જાય :
)۱( سُبْحَانَ اللّٰہِ، وَ الْحَمْدُ لِلّٰہِ، وَ لا اِلٰہَ اِلاّ اللّٰہُ، وَ اللّٰہُ اَکْبَرْ، وَ لا حَوْلَ وَ لا قُوَّۃَ اِلاّ بِاللّٰہِ الْعَلِیِّ الْعَظِیمِ۔
(સુબ્હાનલ્લાહિ, વલ્હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહુ, વલ્લાહુ અકબર વ લા હવ્લ વ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલિય્યીલ અઝીમ.)
” અલ્લાહ તઆલા પાક છે અને બધા વખાણ અલ્લાહ માટે જ છે અને અલ્લાહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને અલ્લાહ સૌથી મહાન છે અને અલ્લાહ તઆલાની મદદ વગર અમારા અંદર નેકી કરવાની કે, ગુનાહોથી બચવાની તાકત નથી. બેશક અલ્લાહ તઆલા ઘણી ઊંચી શાન અને મોટી અઝમતવાળો છે.”
﴿رَبَّنَا اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَہً وَ فِی الآخِرَۃِ حَسَنَۃً وَ قِنَا عَذَابَ النَّار﴾ (۲)
” અય પરવરદિગાર અમને દુન્યામાં પણ ભલાઈ અતા ફરમાવો અને આખિરતમાં પણ ભલાઈ અતા ફરમાવો અને દોઝખના અજાબથી અમને બચાવો.”
સાતેવ ચકકરોમાં, ”હજરે અસ્વદ” વાળા ખૂણાથી લઈને, ”રૂકને યમાની” વાળા ખૂણા સુધી પહેલા નંબરની દુઆ પઢે, અને ”રૂકને યમાની” થી ”હજરે અસ્વદ” સુધી, બીજા નંબરની દુઆ પઢે.
અને જો પહેલા નંબરવાળી દુઆ ”રૂકને યમાની” આવતા પહેલાં પુરી થઈ જાય તો ફરીથી પઢો અથવા પોતાને આવડતી બધી દુઆઓ અને નેક ઉમ્મીદો પૂરી થવા માટે દુઆઓ પોતાની ભાષામાં કરતા રહો.
Log in or Register to save this content for later.