ઝમઝમનું પાણી પીવું

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 92 to 98)

ઝમઝમનું પાણી પીવું

                ”મુલ્તઝમ” ઉપર દુઆ માંગીને, ઝમઝમના કુવા પાસે આવો, અને કિબલહ તરફ મોં કરી ઉભા રહીને, બિસ્મિલ્લાહ પઢીને, ત્રણ શ્વાસમાં ખૂબ પેટ ભરીને ઝમઝમનું પાણી પીઓ.

                ઝમઝમનું પાણી પોતાના ઘર કે હરમ શરીફના બહાર પીવાનો અવસર મળે, તો બેસીને તથા ઉભા રહીને બંને રીતે પી શકાય છે.

                હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)થી રિવાયત છે, કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે અમારા અને મુનાફિકોના વચમાં ફરક કરવાની નિશાની આ છે, કે મુનાફિકો ઝમઝમનું પાણી પેટ ભરીને પીતા નથી. (બહ્‌ર)

                અલ્લાહ તઆલા જે માણસને ”ઉમરહ” અને ”હજ્જ”ની તૌફીક આપે તેઓએ આ મુબારક પાણીને ખૂબ પેટ ભરીને પીવું જોઈએ અને જયાં સુધી ”મકકહ મુકર્રમહ”માં રહે, એ જ પાણી પીએ. ”ઝમઝમ” પીને તમો થોડુંક ચાલશો એટલે આપને એહસાસ થશે, કે ”ઝમઝમ” હજમ થઈ ગયું છે, આ ”ઝમઝમ”ની ખુસૂસિયત છે.

”ઝમઝમ”નું પાણી પીને, અને અલ્‌હમ્દુલિલ્લાહ કહીને, આ દુઆ પઢોઃ

                                                اَللّٰھُمَّ اِنِّی اَسْئَلُکَ عِلْمًا نَافِعًا، وَ رِزْقًا وَاسِعًا، وَ شِفَاعًا مِنْ کُلِّ دٓاء۔

                (અલ્લાહુમ્મ ઈન્‍ની અસ્અલુક ઇલ્મન્‍નાફિઆ, વ રિઝકન વાસિઅન, વ શિફાઅન મિન કુલ્લિ દાઅ)

                ” અય અલ્લાહ ! હું તારા પાસેથી લાભકર્તા ઈલ્મ,વિશાળ રોઝી અને દરેક બીમારીથી શિફા માંગુ છું.”

                ”ઝમઝમ”ના પાણીમાં ત્રણ વસ્તુ એવી છે, જે દુન્યાના કોઈપણ પાણીમાં નથી. (૧) તરસ છીપાવે છે. (ર) ખોરાકનું કામ આપે છે. (૩) મૌત સિવાય દરેક બીમારી માટે શિફા (ઈલાજા છે.

હદીષ શરીફમાં છે :

خَیْرُ مائٍ عَلٰی وَجْہِ الارْضِ، مَائُ زَمْزَمْ، فِیْہِ طَعْامُ طَعمٍ وَ شِفَائُ سَقْمٍ۔

                ” આ ઝમીન ઉપર બેહતરીન પાણી ઝમઝમનું પાણી છે, જે ખોરાકની ગરજ સારે છે, અને બિમારી માટે શિફા (પણ) છે.                (તબરાની કબીર)

બીજી હદીષ શરીફમાં છે કે :

مَائُ زَمْزَمْ لِمَا شُرِبَ لَہ

                ” ઝમઝમનું પાણી જે પણ નિય્યતથી પીવામાં આવે છે તે ફાયદો હાસિલ થાય છે. (ઈબ્ને માજહ)

                ”ઝમઝમ”નું પાણી પીતી વખતે, આ દુઆ પણ કરો, કે અય અલ્લાહ કયામતના દિવસની તરસ છીપાવવા માટે ”ઝમઝમ”નું પાણી પીઉં છું.

                મેઅ્‌રાજની રાત્રે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો મુબારક સીનો ચીરીને દિલ કાઢી, જે પાણીથી ધોવામાં આવ્યું હતું, તે ઝમઝમનું જ પાણી હતું. (બુખારી શરીફ)

                મેઅ્‌રાજની રાત્રે હઝરત જિબ્રઈલ (અલ.) સવારી માટે આસ્માનથી બુરાક લાવ્યા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પાકીઝહ દિલને મુકવા માટે જન્‍નતમાંથી થાળી લાવ્યા, પરંતુ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દિલને ધોવા માટે પાણી, જન્‍નતમાંથી લાવવાના બદલે ”ઝમઝમ”નું પાણી વાપર્યુ એનાથી ઝમઝમની અઝમત માલૂમ પડે છે.

                આ ઉપરથી ઉલમાએ કિરામ લખે છે, કે ઝમઝમથી ઉત્તમ કોઈ પાણી નથી, અગર એનાથી ઉત્તમ કોઈ પાણી હોત, તો તેને લાવવામાં આવત, અને તેનાથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક દિલને ધોવામાં આવત.

                ઝમઝમના કુવાની થોડીક તારીખ પણ જાણી લઈએ : હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) અલ્લાહ તઆલાના જલીલુલ કદ્ર નબી, અને પયગમ્બર હતા. એમને જે જાતજાતની આઝમાઈશોથી ગુજરવું પડયું હતું, તેમાંથી એક આ પણ છે, કે દૂધપીતા ફરઝંદ હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ) અને હઝરત હાજિરહને ફારાન (મકકહ મુકર્રમહ)ના જંગલોમાં છોડી આપવાનો હુકમ મળ્યો.(તેઓ મુલ્કે શામ રહેતા હતા)

આ ઈમ્તિહાન કોઈ મઅ્‌મૂલી ઈમ્તિહાન ન હતું, પોતાના ઘડપણ અને કમઝોરીની ઉમ્મીદોનું મરકઝ, રાત દિવસની દુઆઓનું ફળ, અને ઘરના ચિરાગ સમાન, વહાલસોયા પુત્ર હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ને ફકત હુકમે ઈલાહી ઉપર અમલ કરવા માટે, એક બેઆબો ગયાહ (ઘાસ–પાણી વિનાના) જંગલમાં છોડી મુકે છે, અને પાછળ ફરીને એવી બીકે જોતા પણ નથી, કે એવું ના બને કે, પાછું જુએ, અને ખુદાના ખ્વાસ્તહ, (અલ્લાહ ના કરે) માનવ સ્વભાવમાં અલ્લાહે મૂકેલી પિદરી (પિતાની) કે શોહરી (પતિની) શફકત જોશમાં આવી જાય અને કોઈ લગઝિશ (ઉણપ) થઈ જાય.

                આજે જે જગા ઉપર ખાનએ કઅ્‌બહ છે, ત્યાં ઝમઝમના કુવાના ઉપરના ભાગે, હઝરત ઈસ્માઈલ (અલયહિસ્સલામ) અને હઝરત હાજિરહ (રદિ.)ને છોડી મુકયા હતા, તે વખતે આ જગા એકદમ વેરાન હતી, વસ્તી પણ ના હતી, અને દૂરદૂર સુધી પાણીનું કોઈ નામો નિશાન ના હતું. એટલા માટે હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) એક મશકમાં પાણી અને એક થેલીમાં ખજૂર તેઓની પાસે મુકીને ગયા હતા.

                હઝરત હાજિરહ (રદિ.)એ જયારે જોયું, કે એમના માનવંત શોહર એક પણ શબ્દ કહયા વગર એમને છોડીને જઈ રહયા છે, તો હઝરત હાજિરહ (રદિ.) હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ની પાછળ પાછળ ચાલતાં જતા, અને પુછતા હતા કે ” તમો અમોને આવા જંગલમાં છોડીને કયાં જઈ રહયા છો ? જયાં ન કોઈ માણસ છે અને ના કોઈ સાથી!”

                હઝરત હાજિરહ વારંવાર આ સવાલ કરતા હતા, પણ હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) ચુપચાપ આગળ જ ચાલતા જતા હતા, આખરે હજરત હાજિરહ (રદિ.)એ પૂછયું, શું અલ્લાહે આ હુકમ કર્યો છે ? તો હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)એ ફરમાવ્યું, ” હા, આ અલ્લાહનો હુકમ છે!” હઝરત હાજિરહ (રદિ.)એ જયારે આ સાંભળ્યું તો કહેવા લાગ્યાં ” અગર અલ્લાહનો હુક્‌મ છે, તો બેશક તે અમને બરબાદ નહિ કરે.

                હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) ચાલતા ચાલતા જયારે એક ટેકરી ઉપર પહોચ્યા, અને બીબી હાજિરહ તથા નેક ફરઝંદ ઇસ્માઈલ (અલયહિસ્સલામ) આંખોથી ઓઝલ થઈ ગયા, તો આજે જયાં કઅ્‌બહ છે, તે તરફ મોં કરીને, હાથ ઉઠાવીને આ દુઆ માંગી :

}َبَّنَا اِنِّی أَسْکَنْتُ مِنْ ذُرِّیَّتِی بِوَادٍ غَیْرِ ذِی زَرْعٍ عِنْدَ بَیْتِکَ الْمُحَرَّمِ رَبَّنَا لِیُقِیمُواْ الصَّلَوٰۃَ فَجْعَلْ أَفْئِدَۃً مِّنَ النَّاسِ تَھْوِیٓ اِلَیْھِمْ وَ اَرْزُقْھُمْ مِنَ الثَّمَرَاتِ لَعَلَّھُمْ یَشْکُرُوْنَ۔ {

                ” હે અમારા પરવર દિગાર ! મેં મારી અમુક અવલાદને એવા જંગલમાં, જે ખેતીના લાયક નથી, તારા મુહતરમ ઘર પાસે લાવીને વસવાટ કરાવ્યો છે, પરવર દિગાર આ મેં એટલા માટે કયુર્ં છે, કે એ લોકો અહીંયા નમાઝ કાયમ કરે, માટે તુ લોકોના દિલોને એમના તરફ મુશ્તાક બનાવ અને એમને ખાવા માટે ફળ આપ, શાયદ કે તેઓ શુક્ર ગુજાર બને.”

                હઝરત હાજિરહ થોડાક દિવસ તો પાણી અને ખજૂર ખાતા રહયા અને દૂધ પીતા ફરઝંદ હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ને દૂધ પાતા રહયા, પણ આખરે એવો વખત પણ આવ્યો, કે પાણી અને ખજૂર પૂરા થઈ ગયા અને હઝરત હાજિરહ (રદિ.) ઘણા જ પરેશાન થઈ ગયા, કેમકે પોતે પણ ભૂખ્યા હતા, એટલા માટે દૂધ ઉતરતું ના હતું, પરિણામે હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ) પણ ભૂખ્યા રહેતા હતા, અંતે જયારે હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ) ભૂખે બેતાબ થવા લાગ્યા, તો હઝરત હાજિરહ (રદિ.) પાણીની તલાશમાં નીકળ્યા અને હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ને એક જગાએ છોડી ભારે વ્યાકૂળ હાલતમાં સફા તરફ ગયા, પણ આંખોની ઠંડકને એકલા મુકીને આવ્યા હતા, એટલે વારંવાર વળી વળીને જોતા હતા, કે ફરઝંદ સલામત છે કે નહી ? જયારે બંને પહાડીઓના વચમાં આવ્યા અને પ્રાણ પ્યારા ફરઝંદ દેખાયા નહિ તો દોડયા અને મરવહ પહાડી ઉપર ચઢયા, ત્યાં પણ પાણીનું કોઈ નામો નિશાન ન હતું, ફરીવાર પાછા ફર્યા અને સફા તરફ દોડયા. આવી રીતે એમણે પાણીની શોધમાં સફા – મરવહના સાત ચકકર માર્યા, અને દરેક વખતે ખીણ (નીચી જગા, જયાંથી હઝ. ઇસ્માઈલ (અલ.) દેખાતા ના હતા) તરફ દોડયા હતા. અને આ દરમિયાન અલ્લાહથી દુઆ પણ કરતા હતા, કે પાણી મળી જાય, સાતમાં વખતે જયારે તેઓ મરવહ ઉપર હતા તો તેમના કાનોમાં એક અવાઝ આવ્યો. તેઓ તે સાંભળી એકદમ ચોંકી ઉઠયા, અને દિલમાં કહેવા લાગ્યા કે કોઈક પુકારે છે. હઝરત હાજિરહ (રદિ.)એ જવાબ આપ્યો ”જો તમે મદદ કરી શકતા હોય તો સામે આવો, તમારો અવાજ સાંભળવામાં આવ્યો છે.” જોયું તો સામે હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) હતા. હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ)એ પોતાનો પગ મુબારક, તે જગા ઉપર માર્યો, જયાં આજે ઝમઝમનો કુવો છે, તો ત્યાંથી પાણીનું ઝરણું ફૂટી પડયું. હઝરત હાજિરહ (રદિ.)એ જયારે આ જોયું તો ચારેવ બાજુ પાળ બનાવવા લાગ્યા, પણ પાણી બરાબર નીકળતું જ રહયું.

                અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યુંઃ અલ્લાહ તઆલા હઝરત હાજિરહ (રદિ.) ઉપર રહમ ફરમાવે, જો પાળ ના બાંધી હોત, તો એ પાણી એક મોટી નહેર બની જાત.

                હઝરત હાજિરહ (રદિ.)એ પાણી પીધું અને પોતાની આંખોની ઠંડક (હઝરત ઇસ્માઈલ અલયહિસ્સલામ)ને દૂધ પીવડાવ્યું. ફરિશ્તાએ કહયું કે હાજિરહ ડરો નહિ, અલ્લાહપાક તમારા આ છોકરાને બરબાદ નહિ કરે. આ બયતુલ્લાહની જગા છે જેનું બાંધકામ આ છોકરો (હઝરત ઇસ્માઈલ અલયહિસ્સલામ) અને એના બાપ (હઝરત ઈબ્રાહીમ, અલયહિસ્સલામ)ની કિસ્મતમાં લખાઈ ચુકયું છે.

                હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ની વાલિદહ પોતાના ફરઝંદને લઈને ત્યાં જ રહેતા હતા, અને કબીલએ બની જુહરમે ત્યાં આવીને વસવાટ કર્યો હતો અને પછી તે જ કબીલહમાં હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ની શાદી થઈ હતી.

                ઝમઝમનું ઝરણું આજે પણ વહી રહયું છે. એની આજુ બાજુ એક કુવો બનાવવામાં આવ્યો છે. આ કુવામાં એટલું પાણી છે કે લાખો હાજીઓ હજારો વર્ષોથી એનું પાણી પીતા આવ્યા છે, પરંતુ કુવો ભરેલો જ રહે છે.

                સન હિજરી ૧૩૯૯ માં મતાફનો ભાગ વધારવાના કારણે, આ ઝરણા ઉપર ધાબૂં ભરવામાં આવ્યું છે અને હરમ શરીફની ચારેવ બાજુ પાઈપ લાઈનોથી ઝમઝમનું પાણી પહોંચી રહયું છે અને મકામે ઈબ્રાહીમના પાછળના ભાગમાં નીચે ઉતરવાના પગથિયાં બનાવીને સન હિજરી ૧૪૦રથી ઝમઝમના કુવાની ઝિયારત કરવા તેમજ ઝમઝમનું પાણી પીવા માટે, નીચેનો ભાગ ખોલી આપવામાં આવ્યો છે, અને મર્દો તેમજ ઓરતો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

                ”ઝમઝમના કુવા”ને સવાબની નિય્યતથી જોવું ઈબાદત છે જેમકે ”બયતુલ્લાહ”ને જોવું ઈબાદત છે.

                હરમૈન શરીફૈનમાં આપ જગા જગા વોટર કુલરો જોશો, જેની બંને બાજુ ગ્લાસો મુકવાનું સ્ટેન્ડ હોય છે, એ પણ સારી રીતે સમજી લો કે જમણા હાથ તરફના ખાનામાંથી આપે પીવા માટે ગ્લાસ લેવાનો છે અને પાણી પીધા પછી તે ગ્લાસ ડાબા હાથના ખાનામાં નાખી દેવાનો છે. થોડી થોડી વારે હરમના ખાદિમો આવે છે અને વપરાયેલા ગ્લાસ લઈ જાય છે, અને નવા ગ્લાસ મુકે છે.

                જમણા હાથનાં ખાના ઉપર અરબીમાં લખેલું હોય છે, કાસાતુન નઝીફહ (એટલે ચોખ્ખા ગ્લાસ) અને ડાબા હાથનાં ખાના ઉપર લખેલું હોય છે કે, કાસાતુન મુસ્તઅ્‌મલહ (એટલે કે વપરાયેલા ગ્લાસ) અને બીજી વાત એ કે આ કુલરોમાં પાણી ઠંડું હોય છે, પણ જેઓ ઠંડું પાણી ના પીતા હોય તો યાદ રાખો, તમો જે કુલરોની લાઈન જોઈ રહયા છે, એમાંથી વચ્ચેના કુલર ઉપર લખાયેલું હશે કે ”સુકયા ઝમઝમ ગયરૂ મુબર્રદ” એટલે કે આ કુલરનું પાણી ઠંડું નથી તો ઠંડું પાણી ના પીનારા તેમાંથી પાણી પી શકે છે.

હકીકતમાં આપણે ”સઊદી હુકૂમત”ના ઈન્તિજામને દાદ દેવી જ રહી.

                કોઈ નાપાક વસ્તુને ઝમઝમથી ધોવામાં ન આવે, કપડાં હોય અથવા બીજી કોઈ વસ્તુ હોય. જનાબતવાળી વ્યકિતએ ઝમઝમના પાણીથી ગુસલ પણ ના કરવું જોઈએ, જો કે ”દુર્રે મુખ્તાર” અને ”રદ્દુલ મુહતાર”થી માલૂમ પડે છે કે ”ઝમઝમના પાણી”થી હદસને દૂર કરવું (ચાહેતો તે (હદસે અસગરથી) ”બેવુઝૂ”હોય, કે પછી (હદસે અકબરથી) ”ગુસલ” વાજિબ હોય) જાઈઝ છે. અને ”ઝમઝમના પાણી”થી નાપાકીને દૂર કરવું અથવા ધોવું મકરૂહ છે.

                ઝમઝમના પાણીને બીજા અન્ય શહેરોમાં બરકત માટે લઈ જવું અને લોકોને પીવડાવવું મુસ્તહબ છે અને બિમારોને પાવું પણ જાઈઝ છે.

                ઝમઝમના પાણીથી કોઈ વસ્તુ પકાવવી જાઈઝ છે.

                ઝમઝમના પાણી પીવાથી તેમજ દુઆથી ફારિગ થઈ ગયા બાદ હવે તમને યાદ હોવું જોઈએ, કે ”અહમદાબાદ” કે ”મુંબઈ”થી તમોએ જે એહરામ બાંધ્યું હતું, તે ઉમરહનું એહરામ હતું, અને અત્યાર સુધી આપે જે કઈ અમલ કર્યો તે ઉમરહના સિલસિલાનો જ કર્યો. ઉમરહના એહરામની નિય્યત કર્યા પછી, ૩ કામો ખાસ કરવાના હોય છે. (૧) તવાફ (ર) સફા–મરવહ દરમિયાન સઈ (૩) ત્યાર પછી માથાના બાલ   મૂંડાવવા, અથવા કતરાવવા. આ ત્રણમાંથી એક એટલે કે તવાફ, અલ્હમ્દુલિલ્લાહ આપે પૂરો કરી લીધો, હવે તમારે સફા–મરવહની સઈ કરવા માટે જવાનું છે.

Log in or Register to save this content for later.