Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 52 to 59)
જરૂરી માહિતી–માર્ગદર્શન
ગરમી અને બચવાનો ઈલાજ : ગરમીની મોસમમાં હજ્જ થતી હોય ત્યારે ગરમી અને તેના નુકસાનોથી સ્વજાતનું રક્ષણ કરવા પાણી અને શરબતનો વધૂ પ્રમાણમાં ઉપયોગ કરો. અને જો વધૂ કમઝોરી લાગે, તો ત્યાં મળતા યીભહન્બી ઈલેકટ્રલ જેવા પાઉડરોનો શરબત બનાવી વપરાશ કરો, જે શરીરની નબળાઈને દૂર કરશે. તાપથી બચીને, ઠંડકવાળી જગાએ, પંખાની હવામાં બેસો અને બરફનો ઉપયોગ કરતા રહો. જો વધૂ પ્રમાણમાં ચકકર આવે, માથું દુઃખે, ગભરામણ થવા લાગે, બેચેની અને બેહોશી જેવું લાગે, તો આ બધા તાપ અને લૂ લાગી જવાના લક્ષણો ગણાય, આવા સંજોગોમાં જરા પણ ગભરાયા વિના ડોકટરનો સંપર્ક કરવો.
ડોકટરી સહાય : દેશ, હવામાન, ખોરાક, સફર અને નિત્યક્રમના ફેરફારને કારણે બિમારી, કમઝોરી કે અન્ય કોઈ તકલીફ ઉભી થાય અથવા (અલ્લાહ ના કરે) કોઈ અકસ્માત સર્જાય તો લેશમાત્ર ગભરાવવાની જરૂરત નથી. સઊદી હુકૂમતે જિદ્દહ, મકકહ મુકર્રમહ, મદીનહ મુનવ્વરહ, મિના, મુજદલિફહ, અરફાત દરેકે દરેક જગાએ, દવાખાનાઓની અજોડ વ્યવસ્થા કરી છે. વળી દવાખાનાની એમ્બ્યુલન્સો, જેના ઉપર અરબીમા الاسعاف” ” (અલ્ઈસ્આફ) અને અંગ્રેજીમાં Ambulance અને الھلال الاحمر” ” લખેલું હશે,(લાલ ચંદ્ર એના ઉપર પાડેલો હશે.) તે આપને તાત્કાલિક નજદીકના દવાખાનામાં સલામતી અને સહૂલત સાથે પહોંચાડી આપશે. ઈન્શાઅલ્લાહ. ગાડીના માણસોને પોતાની વાત કહેવામાં સહેજે ખચકાટ અનુભવશો નહિ. ભારત સરકારના પણ, દરેક ઠેકાણે દવાખાનાઓ હોય છે અને ભારતીય ડોકટરો તપાસીને દવા આપે છે. આટલી વાત પણ યાદ રાખો, કે એકસીડન્ટ અથવા ગંભીર બીમારીવાળા માણસોને દવાખાનામાં ભરતી કરે છે અને બીમાર સાથે કોઈને રહેવા દેતા નથી. વળી ચોકકસ સમય સિવાય દર્દીને મળવાની પણ રજા આપતા નથી, છતાં ફિકર કરશો નહિ, તે લોકો આપના દર્દીની આપનાથી વધૂ સંભાળ રાખશે અને સંપુર્ણ સારું થયે, રજા આપશે. વળી જો કેસ થયો હશે તો તેનો નિકાલ પણ તે જ કરશે.
ચોરોથી સાવધાન : હાજી લોકોએ એરપોર્ટ (વિમાન ઘર), મદીનતુલ હુજ્જાજ, હરમ શરીફ, તથા અન્ય ભીડભાડ વાળી જગાઓએ ચોરો – ધોકેબાજોથી સતર્ક રહેવું જોઈએ. ઘણા ચોરોએપોતાનો ચોરીનો ધંધો છેક હરમૈન શરીફૈન સુધી વિકસાવેલો હોય છે અને તે હેતૂએ જ ત્યાં જતા હોય છે. માટે પોતાની રોકડ રકમ, ડ્રાફટ, પાસપોર્ટ અને કીમતી સામાનની સાવચેતી પૂર્વક હિફાઝત કરો અને તેને કોઈની સામે ના ખોલો તથા કોઈપણ સંજોગોમાં કોઈને ન સોંપો. ખપપૂરતા પૈસા જ પોતાની પાસે રાખો અને વધારાની રકમ ત્યાં બીજા કોઈ સંબંધી પાસે અથવા મુઅલ્લિમની ઓફિસે જમા કરાવી રસીદ લઈ લો. અને જરૂરત મુજબ ત્યાંથી લેતા રહો. પ૦ – ૧૦૦ રિયાલ ઓરતો પાસે પણ રાખો, જેથી વિખુટા પડી જવાની હાલતમાં, તેઓ પરેશાન ના થાય. હજ્જના તે પાંચ દિવસો, જેમાં આપને ”મકકહ મુકર્રમહ”ની બહાર રહેવાનું છે, તે સમયે રૂમને તાળું મારી, બરાબર બંધ કરવાની કાળજી રાખશો, જેથી આપનો રૂમમાં રાખેલ સામાન મેહફૂઝ રહે. આ સમયગાળામાં મોટી રકમ રૂમમાં છોડીને જવું હિતાવહ નથી. સૌથી સારી શકલ આ જ છે કે મુઅલ્લિમ પાસે જમા કરાવી રસીદ લઈ લો.
ટ્રાફિક – હાઈવેની સમસ્યાઓ : ”સઊદી અરબ”ના હાઈવે રોડ અને વધૂ ટ્રાફિકનાં લઈ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક હોય છે. રોડ ક્રોસ કરતી વેળાએ પબ્લિકની લાઈન ચાલુ હોય ત્યારે જ, રોડ ક્રોસ કરવો, ત્યાં સુધી ઊભૂં રહેવું ડહાપણ ભર્યું છે. ચાલુ લાઈને રોડ ક્રોસ કરશો તો અકસ્માત સર્જાશે, માટે ઉતાવળમાં પડી આવી ભૂલ કરશો નહિ.
ભીડભાડ અને સાવચેતી :
નવી જગા અને અતિશય ભીડભાડના કારણે, ગૃપથી છૂટા પડી જવાનો પૂરો ખતરો રહે છે. ”મકકહ મુકર્રમહ” પહોંચી, શરૂઆતના બે – ત્રણ દિવસ, એજ રીતે ”મદીનહ મુનવ્વરહ”માં, હરમૈન શરીફૈન સાથેજ જવું અને ત્યાં જઈ એક સરળતાથી ધ્યાનમાં રહે તેવી જગા નકકી કરી લેવી કે કોઈ પણ ભૂલો પડયે અહીંયા આવીને ઉભો થઈ જાય. પોતાનો માણસ સહેલાઈથી શોધવાની આ જ ઉત્તમ રીત છે.
હરમ શરીફમાં તમો જે દરવાજેથી દાખલ થાઓ, તેનું નામ તથા નંબર યાદ રાખો જેથી આપને બહાર નીકળવામાં સરળતા રહે.
હરમૈનમાં કુર્આન શરીફ મુકવા માટે જે ઘોડા બનાવેલા છે, તેમાં એઅ્રાબવાળા અને સાદા કુર્આન તેમજ બીજા પણ હોય છે, તમોને જે અરબી અક્ષરો પઢવામાં વધારે સરળતા લાગતી હોય તે પ્રકારના અક્ષળોવાળુ કુર્આન શરીફ લઈ શકો છો, લગભગ નીચેના ખાનામાં પાકિસ્તાની અંદાઝનાં કુર્આન શરીફ હોય છે.
એવી જ રીતે હરમૈન શરીફૈનમાં બુટ–ચંપલ મુકવા માટે જે અસંખ્ય ઘોડાઓ બનાવેલા છે, તમો તેનો ઉપયોગ કરો તો યાદ રાખો કે તમો જે નંબરના ઘોડા અથવા ખાનામાં પોતાના બુટ કે ચંપલ મુકી રહયા છો તેના ઉપર નંબર લગાવેલા હોય છે, તે નંબરને યાદ કરી લ્યો, નહિ તો બુટ ચંપલ શોધવામાં પરેશાન થઈ જશો.
જિદ્દહ એરપોર્ટથી પરત એરપોર્ટ આવતાં સુધી, જયારે જયારે પણ બસની સફર કરો, ત્યારે ત્યારે ગૃપના બધા માણસો એક જ બસમાં સફર કરે એવો આગ્રહ રાખવો, જેથી વિખૂટા પડવાનો ભય જ ના રહે, શૈતાનને કાંકરીઓ મારતી વેળાએ, ગૃપના માણસો તેમજ અન્ય સાથીઓને સાથે રાખીને જ જાઓ, જેથી જરૂરત પડયે, ધકકામુકકીમાં પોતાના માણસોની સાંકળ બનાવી હિફાઝત થઈ શકે. બીમારો તથા ઘરડાઓ અને ઓરતોને ભીડ ઓછી થયા પછી અને મા’ઝૂરોને મોડા લઈ જશો તો હિતાવહ રહેશે, અને ખોટી હેરાનગતી નહિ થાય. આવા સમયે ખોટી બહાદુરી બતાવી, જાનને જોખમમાં નાંખવી હિતાવહ નથી.
કસ્ટમ તથા પ્રતિબંધિત ચીઝ વસ્તુઓ : હજ્જનો સફર એક પવિત્ર અને મુબારક સફર છે, હાજી લોકોએ હજ્જની પવિત્રતા અને એહતિરામને જાળવી રાખવા, સરકારે નકકી કરેલ બધા જ કાનૂનો તથા હિદાયતોની પાબંદી કરવી અત્યંત જરૂરી છે. જો આવી હિદાયતોની પાબંદી નંહી કરવામાં આવે તો સફરમાં પરેશાની ઊભી થશે અને દીન – દુન્યાનું નુકસાન પણ ઉઠાવવું પડશે, માટે એવી બધી જ વાતોની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.
નીચે દર્શાવેલ ચીઝ વસ્તુઓ બિલ્કુલ લઈ જવી નહિ :
હથિયાર અથવા કોઈપણ પ્રકારનો લડાઈનો સામાન અથવા એવા દેખાતાં રમકડાંઓ, સ્ફોટક તથા જ્વલનશીલ એવા બધા જ પદાર્થો, બધા જ પીણાઓ, દવાઓ, કે ખાધપદાર્થો જે નશીલા હોય. એવા કોઈપણ પદાર્થો, જે ઝેરી હોય, એવી વાંચન સામગ્રી, જે ગેર ઇસ્લામી, ગેર અખ્લાકી હોય.
”સઊદી સરકારે” નશો પૈદા કરનાર ચીઝ વસ્તુઓના વેચાણ, હેરાફેરી, વપરાશ વગેરે ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સખ્ત કાયદાઓ ઘડી કાઢયા છે, જેનો વિરોધ કરનાર માટે લાંબી સખ્ત જેલ અને સજાએ મૌત સુધીની જોગવાઈ કરેલ છે. એ વાત યાદ રાખવી અતિ આવશ્યક છે કે સઊદી સરકારે આ કાનૂનના અંતર્ગત ખસખસ અને અફીણ જેવી વસ્તુઓ ઉપર પણ સંપૂર્ણ પાબંદી લગાવેલ છે, ભલે તે ઓછા પ્રમાણમાં હોય કે વધુ પ્રમાણમા, સજામાં કોઈ ફેરફાર નથી, માટે હાજી લોકોને વિશેષ હિદાયત આપવામાં આવે છે કે ખસખસ જેવી વસ્તુઓ પોતાની સાથે ના રાખે. વળી એવી બીજી નશો પૈદા કરનાર વસ્તુઓ લઈ જવાથી પણ સંપૂર્ણ સાવચેતી રાખે, જેથી કાયદાની રૂએ હેરાનગતી ના થાય. આ બાબતે એક વાત ખાસ ધ્યાનમાં રાખે કે કોઈ પણ અપરિચિત કે ઓછી પરિચિત વ્યકિતનો સામાન પોતાની પાસે ન રાખે અને આવી વ્યકિતઓ પાસેથી કોઈ દાગીનો સાથે લઈ જવા માટે ન સ્વીકારે. ઘણીવાર મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા સંજોગો આવી શકે છે.
જિદ્દહ, મકકહ મુકર્રમહ અને મદીનહ મુનવ્વરહની બજારોમાં વિદેશી વસ્તુઓ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, ઘણીવાર એવું બને છે કે હાજીઓ તેની મોહમાયામાં ખેંચાઈ જઈ, શરૂઆત થી જ બિન જરૂરી ખરીદી કરવા માંડે છે, જેમાં દીન – દુન્યા બંનેનું નુકસાન છે, દીનનું નુકસાન એ રીતે કે તેની ખરીદીમાં કીંમતી સમય વેડફી નાંખે છે, પુરું ધ્યાન તે પ્રતિ કેન્દ્રિત થઈ જાય છે અને ઈબાદત તથા હરમૈન શરીફૈનનો હક અદા કરી શકાતો નથી. અને દુન્યવી નુકસાન આ રીતે કે ગજા બહારની ખરીદીના મોહમાં અંતે પૈસા ખૂંટે છે, ત્યારે યાતો કરજ કરવું પડે છે, યા પછી તે જ વસ્તુઓ સાથીદારોને ઓછી કીંમતે વેચવી પડે છે, જેથી નુકસાન ઉઠાવે છે. માટે આવા સમયે થોડો સંયમ રાખી, પહેલાં સફરનો અસલ મકસદ, એટલે ઈબાદત તરફ મુતવજજેહ રહેશો અને ત્યાર બાદ કોઈ મકામી અનુભવી માણસને સાથે રાખી, ફકત જરૂરી એવી ખરીદી કરશો. છેલ્લે ખરીદીમાં ઘણીવાર માલ સસ્તો અને સારો મળી રહે છે. અને મકકહ – મદીનહ મજૂરની જેમ માલ ઉઠાવી ઉઠાવી ફરતા રહેવાની પારાવાર તકલીફથી પણ છુટકારો થાય છે.
સામાનની ખરીદીમાં વઝનનો ખાસ ખ્યાલ રાખશો અને એટલી જ ખરીદી કરવી, જેટલું વઝન વિના ડયૂટીએ લાવી શકો છો, વધૂ ખરીદી કરવામાં વિમાનનું લગેજ જ એક કિલોએ લગભગ ૧પ૦ રૂપીયા જેટલું હોય છે, તે ભરવું પડશે અને મુંબઈ કે અહમદાબાદમાં, તે માલ કસ્ટમ પાત્ર હશે તો કસ્ટમ પણ લાગશે. જેથી સરવાળે તે સામાન ઈન્ડીયાના બજારમાં મળી જતા ભાવથી કેટલાય ઘણો મોંધો પડશે. માટે ઉપરોકત વાતોની અવશ્ય નોંધ લેશો. ઈલેકટ્રોનિક આઈટમો લાવવામાં પરેશાની પણ રહે છે અને કસ્ટમ ડયૂટી પણ વધૂ લાગે છે, માટે એવી બિનજરૂરી વસ્તુઓ ખરીદવાથી બચવું.
જિદ્દહ એરપોર્ટ : જિદ્દહ એરપોર્ટ દુન્યાનાં પ્રખ્યાત એરપોર્ટોમાંનું એક એરપોર્ટ છે, જેનું નામ ”કિંગ અબ્દુલ અઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ” છે. આ એરપોર્ટ ઉપર ઘણા ટર્મિનલો છે. જેમાં એક ટર્મિનલ સઊદી સરકારે, ફકત હાજીઓ માટે જ બનાવેલ છે. જેને ”હજ્જ ટર્મિનલ” કહેવામાં આવે છે.
હજ્જ ટર્મિનલ ઘણું જ મોટું છે અને ટેન્ટ (તંબુ) ટાઈપ એનું છત છે બધી જ જગાઓ એક જ ટાઈપની હોવાથી, જો માણસ પોતાની જગાએથી આઘોપાછો થાય છે તો ભૂલો પડી જાય છે અને પરેશાન પરેશાન થઈ જાય છે. માટે પોતાની જગા યાદ રાખવા માટે આટલું યાદ રાખો કે ”સઊદી હુકૂમતે” તંબુના જે મોટા મોટા થાંભલાઓ બનાવેલા છે એના ઉપર નંબર લગાવેલા છે, જેમકે :
A/1 | A/2 | A/3 | A/4 | A/5 | A/6 | A/7 | A/8 |
B/1 | B/2 | B/3 | B/4 | B/5 | B/6 | B/7 | B/8 |
C/1 | C/2 | C/3 | C/4 | C/5 | C/6 | C/7 | C/8 |
D/1 | D/2 | D/3 | D/4 | D/5 | D/6 | D/7 | D/8 |
E/1 | E/2 | E/3 | E/4 | E/5 | E/6 | E/7 | E/8 |
આ રીતે અનેક લાઈનો હોય છે, તો આપ જે જગાએ રોકાયેલા છો તેના નઝદીક જે થાંભલો છે, તેનો નંબર જોઈલો, લખી લો અને યાદ રાખી લો, માની લો કે તે થાંભલાનો નંબર “ C/5 ” છે, હવે આપ કોઈ કામ અર્થે ગયા અથવા હાજત કે ગુસલ માટે ગયા અને પોતાની જરૂરતથી ફારિગ થઈ આપે પોતાની જગાએ પહોંચવું છે, તો પહેલા તો આપ “C” નંબરના થાંભલાની લાઈન શોધો અને પછી , “ 5 ” નંબરનો થાંભલો શોધો એટલે આસાનીથી પોતાની જગાએ પહોંચી જશો.
હાજીઓને લાવનાર– લઈ જનાર બધા જ વિમાનો આ જ ટર્મિનલથી લાવે, લઈ જાય છે.ત્યાં હાજીઓ માટે દરેક જાતની સહૂલતો ઉપ્લબ્ધ છે. મોટા મોટા હોલ, બાથરૂમ, જાજરૂ, બજાર, હોટલો, રેસ્ટોરન્ટો, ઠંડા ગરમ પાણીની સહૂલત, મસ્જિદ વગેરેની સગવડ છે. આ જગાને ”મદીનતુલ હુજ્જાજ” પણ કહે છે. ત્યાં ડ્રાફટ વટાવવા માટે બેંક કાઉન્ટરો પણ હશે અને પ્રત્યેક દેશના ઝંડાઓ તેમજ ખાસ નિશાનીઓ વડે જે તે દેશના કાઉન્ટરો પણ અલગ માલૂમ પડશે. જો આપને પૈસા વટાવવાની જરૂરત હોય તો કાઉન્ટર ઉપર જઈને ડ્રાફટ આપશો એટલે તુરત જ રિયાલ આપી દેશે. ઘરડા માણસો તેમજ ઓરતોનો ડ્રાફટ અહીંયા વટાવી લેવો મુનાસિબ છે, કારણ કે મકકહ મુકર્રમહમાં, ડ્રાફટ વટાવવાની લાંબી વિધિ થાય છે. ત્યાર બાદ આપ નમાઝોનો સમય હોય તો નમાઝ પઢી વખત બગાડયા વગર, મદીનતુલ હુજ્જાજનાં તે ખૂણે ચાલ્યા જશો, જયાં આપનાં મુઅલ્લિમની બસ આપને લેવા આવશે, એટલે કૂલી તમારો સામાન બસ ઉપર ચઢાવશે, માટે યાદ રાખો કે જે બસમાં, તમારો સામાન ચઢાવવામાં આવે, તે જ બસમાં તમારે બેસવાનું છે. એક બસમાં એક જ મુઅલ્લિમના માણસો હોય છે, તે છતાં કદાચ બે મુઅલ્લિમના માણસો હોય, તો રસ્તામાં જયારે બીજા મુઅલ્લિમના પેસેન્જરો ઉતરતા હોય, ત્યારે એટલો ખ્યાલ રાખશો, કે તમારો સામાન પણ ત્યા ના ઉતરી જાય, કારણ કે જયારે આવું થાય છે, ત્યારે પાછળથી સામાન મળવો મુશ્કિલ થઈ જાય છે.
ખૈર તમે જોશો કે જિદ્દહ ઉતર્યા પછી ઉપરોકત બધી કાર્યવાહી થાય છે, તો તમો એ વખતે પણ, તમારુ ધ્યાન અલ્લાહ તઆલા તરફ મુતવજજેહ રાખશો અને તલબિયહ પઢતા જ રહેશો.
Log in or Register to save this content for later.