એહરામ અને હજ્જના પ્રકારો

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 38 to 52)

એહરામ અને હજ્જના પ્રકારો

                જયારે ”એહરામ” બાંધવાનો ઇરાદો હોય (સમય આવે) તો પહેલાં હજામત કરાવો, નખ કાપો, ડૂંટીથી નીચેના તેમજ બગલના બાલ સાફ કરો.અમુક લોકો એહરામની હાલતમાં હોય છે અને એમની બગલના નીચેના બાલ એટલા મોટા હોય છે, કે જાણે મહિનાઓથી કપાવ્યા જ નહિ હોય. જો ડુંટીની નીચેના બાલની હાલતપણ આવી જ હોય, તો ઘણું જ બુરું કહેવાય. દર અઠવાડીયે બાલ સાફ કરી લેવા મુસ્તહબ છે, અને ૧પ (પંદર) દિવસે તો સાફ કરી જ લેવા જોઈએ. ચાળીસ દિવસથી વધારે મુદ્દત સુધી બગલ તથા ડુંટી નીચેના બાલ સાફ ન કરવા મકરૂહે તહરીમી છે, માટે એહરામ પહેલા એનો ખ્યાલ રાખવો. જો ઓરત સાથે હોય તો સુહબત કરવી પણ મુસ્તહબ છે. પછી એહરામ બાંધવાની નિય્યતથી ગુસ્‌લ કરો, જેમાં સાબૂ વગેરે લગાવી, ખૂબ સફાઈ થઈ જાય, એ રીતે ગુસ્‌લ કરો, સીવેલા કપડાં કાઢી નાખો, અને એક ચાદર નીચે બાંધી લો અને બીજી ચાદર ઓઢી લો. આ બંને ચાદરો સફેદ હોય તો વધારે સારૂ, ખૂશ્બૂ લગાવી લો પણ એવી ખૂશ્બૂ ના લગાવો, જેનું જિસ્મ હોય, એટલે કે જે વસ્તુ થી ખૂશ્બૂ બનાવવામાં આવી છે તે પદાર્થ બાકી રહે. (આનું કારણ એ બતાવવામાં આવ્યું છે, કે કદાચ કોઈ વાર આખું એહરામ ઉતાર્યું, અને પછી ફરીવાર પહેર્યું, તો જિનાયત થયેલી ગણાશે, અને દમ વાજિબ થશે.)

                એહરામનો અર્થ પોતાના ઉપર કોઈ વસ્તુનું હરામ કરવું છે.એટલે કે જે વસ્તુઓ એહરામ પહેલાં હલાલ હતી (જેમકે સીવેલા કપડાં, ખૂશ્બૂ લગાવવી, હજામત બનાવવી) તેને પોતાના ઉપર હરામ કરવી અને આમ તોર પર તે બે ચાદરોને એહરામ કહેવામાં આવે છે, જેને હાજી એહરામની હાલતમાં વાપરે છે. પરંતુ યાદ રાખો તે એહરામ નથી, પણ એહરામની ચાદરો છે.

                માશાઅલ્લાહ આપે ગુસલથી ફારિગ થઈ, એહરામ બાંધી લીધું, પણ હજુ સુધી આપ એહરામમાં દાખલ થયા નથી, કારણ કે એહરામની નિય્યત કરવાની બાકી છે. નિય્યત પછી જ એહરામમાં દાખલ થવાય છે.

                (એ પણ યાદ રહે કે ઓરતોનું એહરામ પહેરેલા કપડાં જ છે તેમજ ઓરતો માથું ઢાંકી શકે, પણ મોં (ચહેરો) હંમેશા ખુલ્લો રાખવો જરૂરી છે, ભલે બુરકો પહેર્યો હોય.)

                હવાઈ જહાઝથી જનાર હાજી લોકો ”અહમદાબાદ” અથવા ”મુંબઈ” થી એહરામ બાંધી લે.

                હવે આપે બે રકા’ત નમાઝ પઢવાની છે, એટલો ખ્યાલ રાખવો જરૂરી છે કે મકરૂહ ટાઈમ ના હોય. અને બે રકા’ત નમાઝ મર્દોએ પણ માથું ઢાંકીને જ પઢવાની છે, ચાહે ટોપી પહેરે, અથવા એહરામની ચાદરથી પોતાનું માથું ઢાંકી લે.

                પહેલી રકા’તમા ”કુલ્‌ યા અય્યુહલ કાફિરૂન” અને બીજી રકા’તમાં ”કુલ હુવલ્લાહુ અહદ” પઢો અને સલામ ફેરવ્યા પછી, કિબ્લહ રૂખ બેસીને પોતાનું માથું ખોલી નાખો અને તે જ જગાએ બેસીને એહરામની નિય્યત પણ કરી લો.

નિય્યત કરતાં પહેલા એટલું સમજી લો કે હજ્જના ત્રણ પ્રકાર છે.

(૧) ”હજ્જે ઇફરાદ”, જેમાં એહરામ વખતે ફકત હજ્જની નિય્યત કરવામાં આવે છે,

(ર) ”હજ્જે કિરાન”, જેમાં એહરામ વખતે હજ્જ અને ઉમરહ, બંનેની એક સાથે નિય્યત કરવામાં આવે છે

(૩) ”હજ્જે તમત્તુઅ”, જેમાં એહરામ વખતે ફકત ઉમરહની નિય્યત કરવામાં આવે છે અને મકકહ શરીફ પહોંચીને, ઉમરહ કર્યા પછી, એહરામ ખોલી નાખવામાં આવે છે અને ૮ ઝિલ્હજ્જના ફરીવાર મસ્જિદે હરામથી ”હજ્જ” માટેનું એહરામ બાંધવામાં આવે છે. જયારે કે પહેલી અને બીજી રીતમાં, જયાં સુધી હજ્જથી ફારિગ ના થાય ત્યાં સુધી એહરામ બાકી જ રહે છે અને એહરામની બધી જ પાબંદીઓ નિભાવવી પડે છે, જેનું નિભાવવું આમલોકો માટે ઘણું મુશ્કિલ છે, અને લગભગ એવું બને છે કે, લોકો એવા કામો અને એવી વાતો કરી બેસે છે, જે એહરામની હાલતમાં મના છે. એટલા માટે આજ કાલ અવામને આ બંને સૂરતો ઉપર અમલ ન કરવાનો મશ્‍વેરો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમો ત્રીજા નંબરની રીત જ અપનાવો, એટલે કે એહરામ બાંધીને ”હજ્જે તમત્તુઅ”ની જ નિય્ય્ત કરો અને એટલા માટે આ કિતાબમાં પહેલા ”હજ્જે તમત્તુઅ”ની વિગતો આપવામાં આવી છે. તે છતાં કોઈ ”હજ્જે ઇફરાદ” અથવા ”હજ્જે કિરાન” ની નિય્યત કરે તો એ બંનેના મસાઇલ પણ, આ કિતાબના પેઇજ નંબર એકસો બાસઠ (૧૬ર) ઉપર આપવામાં આવ્યા છે, ત્યાં જોઈ લેવા વિનંતી છે.

                ખૈર, આપ બે રકા’તથી ફારિગ થઈ, માથું ખોલી, નિય્યત કરી રહયા છો, તો આ પ્રમાણે નિય્યત કરો :

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الْعُمْرَۃَ فَیَسِّرْھَا لِیْ وَ تَقَبَّلْھَا مِنِّی

                ” અલ્લાહુમ્મ ઈન્‍ની ઉરીદુલ્‌ ઉમરત, ફયસ્સિરહા લી, વ તકબ્બલ્‌હા મિન્‍ની.”

                ”ઓ અલ્લાહ ! હું ઉમરહની નિય્યત કરું છું, આપ મારા માટે ઉમરહને આસાન ફરમાવો અને મારા ઉમરહને કબૂલ ફરમાવો.”

                જો અરબીના ઉપરોકત શબ્દો યાદ ના હોય તો ઉર્દુ, ગુજરાતી, ઈંગ્લિશ વગેરે પોતે જાણતા હોય તે કોઈ પણ ભાષામાં આ અરબી શબ્દોનો અર્થ બોલવું અને ઉચ્ચારવું પણ મુનાસિબ અને યોગ્ય છે.

                ત્યાર પછી, મર્દો ઊંચા અવાજે અને ઓરતો નીચા અવાજે નીચે પ્રમાણે તલબિયહ પઢે :–

لَـبَّــیْــکَ اَلـلّٰـھــُمَّ لَـبَّـیْکَ

لَبَّیْکَ لا شَرِیْکَ لَکَ لَـبَّیْکَ

اِنَّ الْحَمْدَ وَ الـنِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،

لا شَرِیْکَ لَکَ

લબ્બય્‌ક,અલ્લાહુમ્મ લબ્બય્‌ક

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક

ઈન્‍નલ્‌–હમ્દ વ ન્‍નિઅ્‌મત લક વલ્મુલ્ક,

લા શરીક લક

હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,

બેશક બધા વખાણ અને નેઅ્‌મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ.

તમારો કોઈ જ ભાગીદાર નથી.

                આ શબ્દોને ”તલબિયહ” કહેવામાં આવે છે, આ ”તલબિયહ” ”હજ્જ” તથા ”ઉમરહ”નો ખાસ ઝિક્ર છે. ‘તલબિયહ”માંથી કોઈ શબ્દ ઓછો કરવો મકરૂહ છે. ”તલબિયહ” પઢવાની સાથે જ હવે તમો એહરામમાં દાખલ થઈ ગયા, જેવી રીતે કે તકબીરે તહરીમહ (اللہ اکبر) ”અલ્લાહુ અકબર” કહેવાથી, નમાઝમાં દાખલ થઈ જાઓ છો .

                દરેક તે ઝિક્ર જેનાથી અલ્લાહ તઆલાની તઅઝીમ (મહાનતા) મકસૂદ હોય તે ઝિક્ર ”તલબિયહ”ની ‘જગ્યા લઈ શકે છે, જેમકે ”લાઈલાહ ઈલ્લલ્લાહ”, ”અલ્હમ્દુ લિલ્લાહ”, ”અલ્લાહુ અકબર”.

                એવીજ રીતે ”તલબિયહ” દરેક ભાષામાં જાઈઝ છે, પરંતુ અરબી ભાષામાં પઢવું બેહતર અને અફઝલ છે.

                (ઓરતને જો માસિક આવતું હોય તો ગુસ્‌લ અથવા વુઝૂ કરી લે, એહરામ માટે સીવેલા કપડાં પહેરીને મુસલ્લહ ઉપર બેસી જાય, નમાઝ ન પઢે, ફકત ઉમરહની નિય્યત કરે, અને તલબિયહ પઢે એટલે એ પણ એહરામમાં દાખલ થઈ જશે.)

                આ ”તલબિયહ” હાજીઓનું ખાસ તરાનું છે,અસલમાં એ હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ની પુકારનો જવાબ છે. હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)એ અલ્લાહના બંદાઓને પુકાર્યા હતા, કે આવો અલ્લાહના ઘર પર હાજરી આપો. હવે જે બંદાઓ ”હજ્જ” અથવા ”ઉમરહ”ની નિય્યતથી, એહરામ બાંધીને, અલ્લાહના ઘરે હાજરીના ઈરાદાથી જાય છે તેઓ ”તલબિયહ” પઢીને જાણે કે, હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ની તે પુકારના જવાબમાં અર્જ કરે છે, કે ઓ અમારા રબ, તેં પોતાના મકબૂલ બંદા હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) મા’રફતે   અમોને બોલાવ્યા હતા, તો અમે હાજર છીએ, અમે હાજર છીએ,તારી હુઝૂરમાં હાજર છીએ.

                તો ”તલબિયહ” પઢતી વખતે, અલ્લાહને હાજિર નાઝિર સમજીને સીધા અલ્લાહ તઆલાથી વાતો કરતા હોય તેમ શોખ તથા ડર સાથે વારંવાર રટણ કરો

لَـبَّــیْــکَ اَلـلّٰـھــُمَّ لَـبَّـیْکَ

لَبَّیْکَ لا شَرِیْکَ لَکَ لَـبَّیْکَ

اِنَّ الْحَمْدَ وَ الـنِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،

لا شَرِیْکَ لَکَ

લબ્બય્‌ક,અલ્લાહુમ્મ લબ્બય્‌ક

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક

ઈન્‍નલ્‌–હમ્દ વ ન્‍નિઅમત લક વલ્મુલ્ક,

લા શરીક લક

હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,

બેશક બધા વખાણ અને નેઅ્‌મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ,

તમારો કોઈ જ ભાગીદાર નથી.

                ”તલબિયહ” પઢીને ખૂબ ખુશૂઅ અને ખુઝૂઅ સાથે અલ્લાહથી દુઆ કરો. આ મોકા પર આ દુઆ ખાસ તોર પર મુસ્તહબ છે :–

اَللّٰھُمَّ اِنِّی اَسْألُکَ رِضَاکَ وَ الْجَنَّۃَ وَ اَعُوْذُ بِکَ مِنْ غَضَبِکَ وَ النَّارِ۔

                (અલ્લાહુમ્મ ઈન્‍ની અસ્‌અલુક રિજાક વલ્જન્‍નત, વ અઊઝુબિક મિન ગઝબિક વન્‍નાર)

                ”હે અલ્લાહ ! હું આપથી આપની રઝામંદી અને જન્‍નત માંગુ છું અને આપની નારાજગી તથા દોઝખના અઝાબથી આપની પનાહ ચાહું છું.”

                હવે ”તલબિયહ” જ તમારા માટે બેહતર ઝિક્ર છે, હજ્જમાં ‘તલબિયહ”નો તે જ દરજો છે, જે દરજો નમાઝમાં ”તકબીર”નો છે. પણ બુમો પાડી પઢવાથી પરહેઝ કરવું, પોતે સાંભળી શકે એટલા ઉંચા અવાજ થી પઢવું.દરેક નવી હાલત થવા પર, ”તલબિયહ” કહેવું મુસ્તહબ છે, જેમકે સવારી ઉપર સવાર થાઓ, સવારીનો રસ્તો બદલો, ફજર તુલૂઅ થાય, સુતેલા હોય અને આંખ ખૂલે, એવી જ રીતે ફર્ઝ અને નફલ નમાઝો પછી , જયારે કોઈને મળો, કોઈ ઊંચી જગાએ ચઢો અથવા કોઈ નીચી જગાએ ઉતરો, દરેક હાલતમાં ”તલબિયહ” પઢતા રહો, અને ઓછામાં ઓછા ત્રણ વખત પઢો, અને પઢતી વખતે કોઈનાથી વાત ના કરો,પછી જે ચાહો તે દુઆ માંગો.

ઈજન જિસ્કો મિલા તેરે દરબારસે

વજ્‌દમેં ખૂશી કે વો ફિર ગીત ગાને લગે

”હાજિર હું યા મવલા તેરે દરપે હાજિર”

બસ યેહી એક રટ સબ લગાને લગે

                                તમો હવે મુહરિમ થઈ ગયા, એટલે તમારા માટે નીચેના કામો કરવાની મનાઈ છે.

(૧) પોતાની પત્ની સાથે હમબિસ્તરી અથવા ચુંબન કરવું :

                મુહરિમ પોતાની પત્નીને શહવતના સાથે બોસો (ચુંબન) આપે અથવા શહવતના સાથે હાથ લગાવે અથવા સોહબત (સંભોગ) કરે, તો ”દમ” વાજિબ થશે. (નાનું જાનવર ઝબહ કરવું પડશે).

                યાદ રાખો કે બે જિનાયતો એવી છે, જેના કરવાથી હાજી ઉપર મોટું જાનવર (ગાય અથવા ઊંટ) ઝબહ કરવું વાજિબ થાય છે.(૧) જનાબત અથવા હૈઝ, નિફાસની હાલતમાં તવાફે ઝિયારત કરવું. (ર) વુકૂફે અરફહ પછી માથું મુંડાવતાં પહેલાં પોતાની પત્નીથી સોહબત કરવી.

(ર) પુરૂષે સીવેલા કપડાં પહેરવા :

                કોઈ મર્દે જરૂરતના લઈ સીવેલા કપડાંમાં જ એહરામની નિય્યત કરી લીધી અથવા એહરામની હાલતમાં હતો અને સીવેલા કપડાં પહેર્યાં તો જો એક રાત અથવા એક દિવસ એટલે કે (૧ર) બાર કલાક પહેરી રાખશે તો ”દમ” વાજિબ થશે અને જો ૧ર કલાકથી ઓછી વાર પહેર્યા હશે તો ”સદકહ” એટલે કે પોણા બે કિલો ઘઉ અથવા એની કિંમત જેટલી રકમ સદકહ કરી આપે.(ઓરતો તો પોતાના સીવેલા કપડાં જ પહેરશે, ભલેને તે રંગીન હોય.)

(૩) માથું અને મોં ઢાંકવું (ઓરતો માથું ઢાંકી શકે છે.) :

                જો મર્દે મોઢું અથવા માથું અને સ્ત્રીએ ચહેરો પૂરી રાત અથવા પૂરો દિવસ ઢાંકયો તો ”દમ” વાજિબ થશે અને બે–ચાર કલાક સુધી ઢાંકયો તો ”સદકહ” (પોણા બે કિલો ઘઉ) વાજિબ થશે. એ વાત યાદ રહે, કે માથા તથા મોઢાં નો ચોથો ભાગ પૂરા માથા તથા પૂરા મોઢાના હુકમમાં છે.એહરામની હાલતમાં કપડાં વગેરેથી મોં લુંછવું નાજાઈઝ છે, કારણ કે કપડું મોંને લાગે છે. હાથ રૂમાલ રાખનારાઓને એની આદત હોવાથી એમનાથી ભૂલ થઈ શકે છે, જો થોડીકવાર માટે એનાથી મોં ઢંકાયેલું રહેશે, તો એક મુઠઠી ઘઉં અથવા એની કિંમત સદકો કરી આપવો હાં, હાથ વડે મોં લુંછી શકાય છે.

                એહરામની હાલતમાં ગોદડું, રજાઈ વગેરે એ રીતે ઓઢવું જાઈઝ છે કે માથું અને મોઢું ન ઢંકાય એનો ખ્યાલ રાખવામાં આવે, બાકી તમામ શરીરને અને પગોને ઢાંકવું પણ જાઈઝ છે.

(૪) એવા બૂટ પહેરવા, કે જેનાથી પગનું વચ્ચેનું હાડકું ઢંકાઈ જાય :

                મોજા અથવા એવા જોડા પહેરી લીધા, જેનાથી પગના પંજા ઉપરની વચ્ચેની ઉભરેલી હાડકી છુપાઈ ગઈ અને તે ૧ર કલાક કે એથી વધુ વાર ઢંકાયેલી રહે તો ”દમ” વાજિબ થશે અને જો એનાથી ઓછું (બે–ચાર કલાક) ઢંકાયેલું રહે તો, ”સદકહ” વાજિબ થશે. (ઓરતો હાથ અને પગના મોજા પહેરી શકે છે, જો કે સારું એ છે કે મોજા ન પહેરે. ઓરત એવા બૂટ પણ પહેરી શકે છે જેનાથી પગના વચ્ચેનું હાડકું છુપાઈ જાય.)

(પ)હજામત બનાવવી :

                બાલ મૂંડાવવા, કપાવવા, ઉખેડવા, ચૂના અથવા બાલસફા પાવડરથી અથવા બીજી કોઈ વસ્તુથી બાલ ઉતારવા અથવા સળગાવવા બધાનો એક જ હુકમ છે. જો મુહરિમે માથાના અથવા દાઢીના ચોથા ભાગના બાલ મુંડાવ્યા અથવા બદનના કોઈ પણ ભાગના કોઈ પણ રીતે બાલ ઉતાર્યા તો ”દમ” વાજિબ થશે અને જો ચોથા ભાગથી ઓછા હશે, તો ”સદકહ” વાજિબ થશે.

                એક અથવા બે વાળ ખજવાળી અથવા ખેંચીને ઉખેળ્યા તો દરેક વાળના બદલામાં એક મુઠ્ઠી અનાજ સદકો કરે અને જો ત્રણ વાળ અથવા વધુ વાળ ઉખેળ્યા, તો પૂરો સદકો વાજિબ થશે.

                એહરામની હાલતમાં માણસની કોઈ એવી હિલચાલથી વાળ ખરી પડયા, જેને કરવાનો હુકમ શરીઅતમાં આપવામાં આવ્યો છે, જેમકે, વુઝૂ અથવા ગુસલ કરવું અને તેનાથી ત્રણ અથવા વધુ વાળ ખરી પડયા, તો એક મુઠ્ઠી સદકો કાફી છે.

                એહરામની હાલતમાં માણસે, બીજા એહરામમાં હોય તેવા માણસનું માથું, ચોથા ભાગ અથવા તેનાથી વધુ મૂંડી નાંખ્યું, તો મૂંડવાવાળા ઉપર સદકો વાજિબ છે, અને મૂંડાવવાવાળા ઉપર ”દમ” વાજિબ થશે.

(૬) નખ કાપવા :

                કોઈ મુહરિમે એક હાથ અથવા એક પગના અથવા બે હાથ અથવા બે પગના નખ, એક મજલિસમાં કાપી નાંખ્યા, તો ”દમ” વાજિબ થશે અને જો ચારેવ અવયવોના નખ, ચાર અલગ અલગ મજલિસ (બેઠક)માં કાપ્યા અથવા કપાવ્યા, તો ચાર દમ વાજિબ થશે.

                પાંચ નખથી ઓછા કાપ્યા, અથવા પાંચ અલગ અલગ કાપ્યા, જેમકે એક હાથના બે અને બીજા હાથના ત્રણ અથવા સોળ નખ અલગ અલગ જેમકે ચાર–ચાર બંને હાથ પગના કાપ્યા, તો ત્રણેવ સૂરતોમાં દરેક નખના બદલામાં પૂરો સદકહ (પોણા બે કિલો ઘઉ) વાજિબ થશે, પરંતુ જો એ બધો સદકહ, બકરા કે ઘેટાની કિંમત જેટલો થઈ જાય, તો થોડો ઓછો કરી દેવામાં આવે, જેથી દમની કિંમતથી વધી ના જાય.

                એ પણ યાદ રાખો કે, તુટેલા નખને તોડવાથી કંઈ જ વાજિબ થતું નથી.

(૭) ખુશ્બૂ લગાવવી :

                જો પૂરા એક ઉઝ્‌વ (અવયવ) ઉપર અથવા એકથી વધૂ ઉઝ્‌વ ઉપર એક મજલિસમાં ખૂશ્બૂ લગાવી અથવા એક વેંતની લંબાઈ પહોળાઈ થી વધુ વિસ્તારમાં ખુશ્બૂ ચાદર પર લગાવી, તો ”દમ” વાજિબ થશે.

                ખૂશ્બૂથી ભરેલું કપડું પહેર્યું, તો જો ખૂશ્બૂ વેંત બે વેંત, અથવા એનાથી વધારે લાગેલી હોય અને આવું કપડું એક રાત અથવા એક દિવસ (૧ર–બાર કલાક) પહેરી રાખ્યું, તો તેનાથી ”દમ” વાજિબ થશે.(અર્ધી રાતથી અર્ધો દિવસ, એ મળીને એક દિવસની ગણત્રીમાં આવશે.) અને જો એનાથી ઓછા ટાઈમ માટે હશે અથવા વેંત બે વેંતથી ઓછી ખૂશ્બૂ લાગેલી હશે, તો ”સદકહ” વાજિબ થશે. (ગળામાં ફૂલોનો હાર પહેરવો મકરૂહ છે.)

                અમુક હવાઈ જહાઝવાળાઓ હજ્જ યાત્રાળુઓને હાથ–મોં લુંછીને તાઝગી મેળવવા ખાતર ખૂશ્બુદાર ”ટીશુ પેપર” (કાગઝી રૂમાલ) આપે છે અને લોકો બે–ખબરીમાં તેનાથી હાથ–મોં લુંછી લે છે. ખ્યાલ રહે કે એહરામની હાલતમાં આ રીતે ખૂશ્બૂદાર કપડાંથી મોં અથવા પૂરો હાથ લુંછવામાં આવે તો ”દમ” વાજિબ થશે.

                હાજીઓ માટે આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ના થાય તે માટે વિમાનપરિચાલન સ્ટાફને પણ આવા મુદ્દાઓની તા’લીમ આપવી જોઈએ. હજ્જ કમિટી તથા ટૂર કંપનીઓના જિમ્મેદાર હઝરાત આ તરફ ધ્યાન આપે તે ઈચ્છનીય છે.

                વિમાનમાં મચ્છરો મારવા માટે જે સ્પ્રે છાંટવામાં આવે છે તે વિશે પણ યોગ્ય તહકીક જરૂરી છે.

                ”દમ” (કુર્બાની) મકકહ મુકર્રમહ અને હરમની હદમાં જ આપવી જરૂરી છે અને એનો ગોશ્ત ગરીબોમાં વહેચી આપવાનો છે, પોતે અથવા કોઈ માલદાર માણસ માટે એમાંથી ખાવું જાઈઝ નથી. તેમજ જયારે ”દમ” વાજિબ થતો હોય તો ”દમ” આપવું જ જરૂરી છે, ”દમ”ના જાનવરની કીંમતની ખૈરાત કરવી જાઈઝ નથી.

                ”હજ્જ” અને ”ઉમરહ”ના સિલસિલાનો પહેલો અમલ આ ”એહરામ” જ છે, અને હવે મકકહ મુઅઝઝમહ પહોંચતા સુધી, આપને કોઈ ખાસ અમલ કરવાનો નથી, બસ ”એહરામ”ની પાબંદીઓ નિભાવો અને પોતાના અંદર અલ્લાહનો ડર અને ખૌફ, ઈશ્ક અને મુહબ્બત પૈદા કરીને, ખૂબ ખૂબ ”તલબિયહ” પઢતા રહો. આ ટાઈમે ઈશ્કો–મુહબ્બ્ત અને ખૌફની જેટલી કૈફિયત તમારા અંદર પૈદા થશે, તે જ અસલ ઈબ્રાહીમી મીરાસ છે, અને એ જ ”હજ્જ” તથા ”ઉમરહ”ની રૂહ છે. અને આ કૈફિયત કેમ પૈદા ન થાય, જયારે કે જમીન અને આકાશોનો માલિક પોતાના મહાન ઘરથી પ્રતિપળ આપને નઝદીક લઈ જઈ રહયો હોય !

                સફર દરમિયાન જયારે જયારે પણ, તમો સવારી ઉપર સવાર થાઓ, ચાહે પછી તે ઘરે થી ”અહમદાબાદ” કે ”મુંબઈ” જતા હોય, અથવા ”અહમદાબાદ” કે ”મુંબઈ”થી ”જિદ્દહ” જતા હોય કે, પછી ત્યાંથી આગળનો સફર ખેડતા હોય, સફરની દુઆઓ જરૂરથી પઢતા રહો, તેને જીંદગીની આદત બનાવી લો.

                હવે આખરે હવાઈ જહાઝમાં સવાર થવાનો મુબારક ટાઈમ આવી ગયો, જયારે હવાઈ જહાઝ રવાના થાય ત્યારે આ દુઆ પઢો :

بِسْمِ اللّٰہِ مَجْرِھَا وَ مُرْسٰھَا اِنَّ رَبِّیْ لَغَفُوْرٌ رَّحِیْمٌ

(બિસ્મિલ્લાહિ મજરેહા વ મુરસાહા ઈન્‍ન રબ્બી લગફૂરુર્રહીમ)

                ”જહાઝોનું ચાલવું અને રોકાવું અલ્લાહના નામની બરકતથી છે. બેશક મારો પાલનહાર ક્ષમાવાન, દયાવાન છે.”

                એક વાત ખાસ યાદ રાખો કે ”અહમદાબાદ” અથવા ”મુંબઈ” આપને આપના સફરના આગલા દિવસે ટીકિટ તથા પાસપોર્ટ લેવા માટે બોલાવશે અને આપને આપની ટીકિટ અને પાસપોર્ટની સાથે સાથે એક સ્ટીલનું કડું આપવામાં આવશે. આ સ્ટીલનું કડું ઘણું જ ઉપયોગી અને મહત્વનું છે, એના ઉપર આપનો કવર નંબર, આપનો પાસપોર્ટ નંબર, તેમજ તમો કયા દેશનાં અને કયા સ્ટેટના રહેવાસી છો ? અને આપનું ગૃપ કેટલા માણસોનું છે ? વગેરે કોતરાયેલું હોય છે. જેમકે :

INDIA/19048 GJ 0458/10/الہند
આ   લખાણ એમ બતાવે છે કે આપ ઈન્ડિયાના છો અને આપનો પાસપોર્ટ નંબર ૧૯૦૪૮ છે.

 

તમે   ગુજરાત રાજયના છો.

 

તમારો કવર નંબર ૦૪પ૮ છે અને તમારુ ગૃપ દસ માણસનું છે, એમ બતાવે છે.

 

                ”સઊદી હુકૂમતે” હાજીઓની માહિતી કોમ્પ્યુટરાઈઝડ કરી દીધી છે. એટલે જો તમારો કોઈ માણસ સઉદી ખાતે છે અને હજ્જ દરમિયાન તે આપને મળવા આવવાનો છે, તો આપ એમને જયારે ઈન્ડિયાથી આપના હજ્જમાં જવાની ખબર આપો ત્યારે આપે, ફકત પોતાનો કવર નંબર આપી દેવાનો છે.(કારણ કે આપના મુઅલ્લિમ તથા બિલ્ડીંગ વગેરેની માહિતી તો આપને જિદ્દહ પહોંચ્યા પછી જ આપવામાં આવશે.) જયારે તેઓ ત્યાં હજ્જ ઓફિસે જઈને આપનો કવર નંબર બતાવશે તો કોમ્પ્યુટર જે તે હાજી વિશે પૂરી માહિતી આપશે, કે આ કવર નંબરવાળા હાજી કયારે આવશે ? અથવા કયારે આવ્યા છે ? એમનું કેટલા માણસનું ગૃપ છે ? એમના મુઅલ્લિમ તથા મુઅલ્લિમનો નંબર પણ બતાવશે. એટલે પછી મુઅલ્લિમ સાહેબથી કોન્ટેકટ કરશે તો, તેમનાથી જાણ થશે કે, આ હાજી સાહબ કયા એરયામાં છે? અને એમનો બિલ્ડીંગ નંબર શું છે ? એના ઉપરથી જે તે બિલ્ડીંગમાં જઈ ત્યાં કાઉન્ટર ઉપર પૂછવામાં આવશે, તો જે તે હાજી સાહબ કયા માળે છે અને તેમનો રૂમ નંબર શું છે ? વગેરે પૂરી માહિતી આપશે.

                આપ ખોવાઈ જાઓ અથવા આપની પાસપોર્ટ ખોવાઈ જાય, ત્યારે પણ ઉપરોકત કડું ઘણું જ ઉપયોગી છે, માની લો કે રસ્તામાં કોઈ માણસ બેહોશ પડેલો છે, તો આ હાજી કોણ છે ? કયાંના છે ? વગેરેથી વાકિફ થવું ર૦ થી રપ લાખ માણસોમાં ઘણું જ મુશ્કિલ કામ છે, પણ જો તેમના હાથમાં આ કડું પહેરેલું હશે, તો પોલીસવાળા તેનાથી બધી માહિતી મેળવી શકશે.

                ખૈર તો તમો તે કડું હાથમાં હંમેશા પેહરી રાખશો. જો કડું ના ફાવે તો મુઅલ્લિમ તરફથી આપવામાં આવતો કાંડા – પટ્ટો પણ આપ પહેરી શકો.

                આ ઈન્ટરનેટના ઝમાનામાં હજ્જની વેબસાઈટ પણ જોવી જોઈએ. એેનાથી ઘણી માહિતી મળી શકે છે. ઈન્ડિયા હજ્જ કમીટીની વેબ સાઈટ આ પ્રમાણે છે. www.hajcommittee.gov.in

                અલહમ્દુલિલ્લાહ આપ હવાઈ માર્ગે ”જિદ્દહ” જવા રવાના થઈ ગયા છો. ગણત્રીનાં કલાકોમાં આપ ”જિદ્દહ”ના એરપોર્ટ ઉપર ઉતરી જશો, અને આપને અનહદ ખૂશી થશે કે અલ્લાહ તઆલાએ તમોને હિજાઝની મુકદ્દસ ભૂમિ ઉપર કદમ મુકવાનો મુબારક મૌકો નસીબ ફરમાવ્યો, સમગ્ર મુસ્લિમોના દિલોમાં આ દેશની મુહબ્બત સૌથી વધૂ છે.આ ”જિદ્દહ”, સમજો કે ”મકકહ મુઅઝઝમહ”નો દરવાજો છે. હવે તમારી તબિયત ”મકકહ મુઅઝઝમહ” પહોંચવા માટે અધીરી બની ગઈ હશે, પણ ધીરજ રાખશો, વહેલા મોડા કાનૂની કાર્યવાહી પતાવી, તમો બસ મા’રફત જરૂર ”મકકહ મુઅઝઝમહ” પહોંચી જશો. ”જિદ્દહ”થી ”મકકહ મુઅઝઝમહ”નો દોઢથી બે કલાકનો રસ્તો છે, અને રોડ ઘણોજ સારો છે, ડ્રાઈવરો પણ ગાડી તેજ ગતિથી ચલાવે છે.

                ”જિદ્દહ” હવાઈ જહાઝમાંથી ઉતરતી વખતે, પોતાનો હાથ સામાન અંદર જ ના રહી જાય એનો ખ્યાલ રાખશો. પોતાની સાથે લઈને જ ઉતરો.

                હવાઈ જહાઝની સીડીઓ ઉતરીને તમારે બસમાં બેસવાનું છે , પોતાની ઓરતોને પોતાની સાથે રાખો, શાંતિથી બસમાં બેસી જાઓ, તમોને બસ મા’રફત એરપોર્ટ ઉપર બનેલા એક મોટા હોલમાં લઈ જવામાં આવશે. થોડીકવાર પછી ત્યાંથી બીજા હોલમા દાખલ થવાની રજા મળશે, તે વખતે ઓરતો અને મર્દોને અલગ અલગ કરી દેવામાં આવે છે, માટે તમારી ઓરતની પાસપોર્ટ અને તેના જરૂરી કાગળો, ઓરતને જ સોંપી આપો.

                આ હોલમાં તમારી પાસપોર્ટ ઉપર ”એન્ટ્રી”નો સીકકો મારવામાં આવશે અને ”ઈમીગ્રેશન” પણ થશે. ”એન્ટ્રી” તથા ” ઈમીગ્રેશન ” થયા પછી, તમારે ત્રીજા હોલમાં જવાનું થશે, જયાં તમારો સામાન પણ પહોંચી ગયો હશે, અને તમારી ઓરતોથી તમારી મુલાકાત પણ આ જ હોલમાં થશે.

                પોતાનો સામાન ઓળખીને એક જગાએ ભેગો કરો, અને કસ્ટમ કરાવવા માટે તેના કાઉન્ટર ઉપર પહોંચો, સામાનનું ચેકીંગ સખ્ત થાય છે.

                કસ્ટમથી ફારિગ થઈ, બહાર નીકળશો, તો ત્યાં અમુક ટેબલો હશે, ત્યાં તમારી પાસપોર્ટ ઉપર, તમારા આગળના પૂરા સફર માટે, બસની ટીકીટો, પીન કરી આપે છે.

                જો તમારી પાસપોર્ટમાં એરટીકીટ હોય તો તે કાઢી લેશો, કારણ કે, ”મકકહ મુકર્રમહ” જતી વખતે, ગાડીમાં પાસપોર્ટ આપી દેવી પડે છે, અને જયારે તમો હજ્જથી ફારિગ થઈ, પાછા ”જિદ્દહ” આવશો, ત્યારે જ તમોને તમારી પાસપોર્ટ પાછી આપવામાં આવશે. ઉપરોકત કાનૂની કાર્યવાહી થયા પછી, તમોને, તમારા સામાન સાથે, તે જગાએ પહોંચાડવામાં આવશે કે જયાંથી તમોને ”મકકહ મુકર્રમહ” જવાવાળી બસોમાં બેસાડવામાં આવશે.

                અહિંયાં પેશાબ પાણી, નમાઝ વગરેનો ઈન્તિજામ હોય છે, માટે પોતાની જરૂરતોથી ફારિગ થઈ જાઓ, અને તમારી પાસે જે ડ્રાફટ છે, તેના રિયાલ પણ અહિંયાથી જ લેવાના છે, માટે ડ્રાફટ આપી, રિયાલ લઈ લો, ઓરતને પણ લાઈનમાં ઉભી કરી આપો. એ વાત યાદ રાખો કે પોતાના ડ્રાફટના રિયાલ છૂટા કરવા અથવા રિયાલ ગણવા કોઈને પણ આપશો નહિ. તમોને જે રિયાલ પીન મારીને આપવામાં આવે છે, તે ગણેલા જ હોય છે અને પૂરેપૂરા હોય છે, ઈન્શાઅલ્લાહ ઓછા બિલ્કુલ નહિ નીકળે, માટે ફિકર કરશો નહિ. રિયાલ લઈ, તેને સંભાળીને મૂકો, પોતાની ઓરત પાસે પણ થોડાક રાખો, કારણ કે કેટલાક મર્દો અને કેટલીક ઓરતો પણ, ખાસ ચોરી કરવા જ અહીંયા આવે છે.

                બધા રિયાલ સાચવવાની તકલીફમાં ના પડવું હોય તો ફકત ઓરતોનાં ડ્રાફટના રિયાલ જિદ્દહ એરપોર્ટ ઉપર લઈ લેશો. અને તે પૂરા થયે ”મકકહ મુકર્રમહ”માં પણ ડ્રાફટ વટાવી શકાય છે. હા, પાસપોર્ટની જરૂર પડે છે અને તે માટે મુઅલ્લિમ પાસે ધકકા ખાવા પડે છે, માટે મર્દોનો ડ્રાફટ ના વટાવો તો મર્દો આ કામ સહેલાઈથી કરી શકશે. પરંતુ જિદ્દહ એરપોર્ટ ઉપર ડ્રાફટ વટાવવાનું કામ બીજી જગા કરતાં વધારે સરળ રહે છે.

                એક કામ એ પણ કરો કે પોતાનું ઘડિયાળ અઢી કલાક પાછળ કરી આપો, કારણ કે ઈન્ડિયા અને સઊદીના ટાઈમમાં અઢી કલાકનો ફર્ક છે.

                બીજું કામ એ કરો કે ટેલીફોન કરવા માટે પચાસેક રિયાલનો એક કાર્ડ ખરીદ કરી લો, કારણ કે જિદ્દહ, મકકહ મુકર્રમહ, મિના, મદીનહ મુનવ્વરહ દરેકે દરેક જગાએ ટેલીફોનના બુથો હોય છે, અને આમ રસ્તા ઉપર હોય છે એટલે તમો જતા આવતા ઘણી જ આસાનીના સાથે ગમે ત્યાં ટેલીફોન કરી શકો છો. આઈ. એસ. ડી.ની દુકાન શોધવામાં તમોને મહેનત પડશે અને તે પણ ઓછી હોય છે, જયારે કાર્ડ સિસ્ટમના બુથો ઘણા હોય છે અને રસ્તાઓમાં પણ હોય છે.

Log in or Register to save this content for later.