Chapter : બહેનોની હજ્જ
(Page : 208 to 213)
હાજીઓનું સ્વાગત
જયારે હાજી લોકો હજ્જથી ફારિગ થઈ પાછા આવે, તો તેઓની મુલાકાત કરો અને સલામ તથા મુસાફહો કરો અને તેઓ પોતાના ઘરે પહોંચે એ પહેલાં, તેઓની પાસે પોતાના માટે દુઆ કરાવો, કારણ કે હાજીની દુઆ કબૂલ થાય છે. આપણા પૂર્વજોની આ જ રીત હતી.
عَنْ ابنِ عُمَر ؓ اِذَا لَقِیْتَ الْحَاجَّ فَسَلِّمْ عَلَیْہِ وَ صَافِحْہُ وَ مُرْہٗ اَنْ یَسْتَغْفِرَ لَکَ قَبْلَ اَنْ یَّدْخُلَ بَیْتَہٗ فَاِنَّہٗ مَغْفُوْرٌ لَہٗ (رواہ احمد و مشکوۃ)
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.)થી રિવાયત છે, કે જયારે હાજીની મુલાકાત કરો તો, સલામ અને મુસાફહો કરો. અને હાજી પોતાના ઘરમાં દાખલ થાય એ પહેલાં એમનાથી દુઆની દરખ્વાસ્ત કરો, કારણ કે તેના ગુનાહ મા’ફ કરી દેવામાં આવ્યા છે.
ઉપરોકત રિવાયતથી હાજીઓને આવકાર તથા એમનાથી દુઆ કરાવવું સાબિત છે. અને તેના જાઈઝ હોવામાં કોઈ જ શક નથી, પણ એટલું યાદ રાખવું, કે આમાં હદથી વધીને એહતિમામ ના કરવામાં આવે, અને બીજી ખરાબીઓ પૈદા ના થવા પામે એનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.
હજ્જની એડવરટાઈઝ (શો) ના કરવી જોઈએ
હજ્જનો સફર શરૂ કરતાં પહેલા,નિય્યત ખાલિસ કરવી જોઈએ ખ્યાતિ પામવા, કે પોતાને હજીયાણી કહેવામાં આવશે એ નિય્યતથી હજ્જ ના કરવામાં આવે, નહિતો સવાબ નહિ મળે. એવી જ રીતે હજ્જ થી પાછા ફરીને જયાં બેસો ત્યાં હજ્જની જ વાતો કરો અને ત્યાંના જ કિસ્સા અને કહાનીઓ બયાન કરતા ફરો, કે જેમાં લોકોને તમારું હજીયાણી હોવું, બતાવવું મકસૂદ હોય, કોઈ વખત પોતાની હજ્જનો ખર્ચ બયાન કરો છો તો કોઈ વખત, સદકહ ખૈરાતની વાતો કરો છો તો આ સહીહ નથી. આવી વાતો સવાબ ખોવાવાળી છે. હાં, કોઈ ખાસ મસ્લિહત હોય તો બયાન કરી શકો છો, પરંતુ જરૂરત વગર અને ફાયદા વગર તકબ્બુર (મોટાઈ ખાતર)ના તૌર પર બયાન કરવું ગુનાહનું કામ છે.
હજ્જની વાતો દરેકથી ન કરવી જોઈએ
હજ્જનું વર્ણન દરેકના સામે ના કરવું જોઈએ, કેમકે એમાં ખતરો છે કે ફખર પૈદા થઈ જાય અને રિયા તથા ફખરના તૌર પર બયાન કરવું ઘણી બૂરી વાત છે. અમુક સુફિયાએ કિરામ (રહ.) તો અમુક એવા તઝકિરહ (વર્ણન)થી પણ મના ફરમાવે છે કે જેમાં ઈતાઅત માલૂમ પડતી હોય. જેમકે ત્યાંની સારી વસ્તુઓ અને ફઝીલતોનું બયાન કરવું, કે જેનાથી ત્યાં જવાનો શોખ અને રગબત પૈદા થાય.
આ સુફયાએ કિરામ (રહ.)નું કહેવું છે, કે લોકો ત્રણ જાતના છે, (૧) એક તો તે, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ છે, તેમની સામે તો રગબતની વાતો કરવી જાઈઝ બલ્કે મુસ્તહબ છે.(ર) બીજા તે લોકો, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ તો નથી, પરંતુ તેમના અંદર હજ્જ કરવાની તાકત છે, ગુંજાઈશ છે અને તેઓના માટે હજ્જમાં જવું મના પણ નથી. તેમની સામે પણ રગબતની વાતો કરવી જાઈઝ છે. (૩) અને ત્રીજા તે લોકો, કે જેમના ઉપર હજ્જ ફર્ઝ નથી, અને તેઓ માટે હજ્જમાં જવું મના છે. આ તે લોકો છે કે જેમની માલી તાકત નથી અને મુસીબતો ઉપર સબ્ર પણ નથી કરી શકતા, આવા લોકોની સામે આવા કિસ્સા બયાન કરવાથી તેઓમાં હજ્જનો શોખ પૈદા થાય છે અને ગુંજાઈશ ના હોવાના કારણે, હજ્જમાં ના જઈ શકવાથી પરેશાનીમાં મુબ્તલા થાય છે.
હજ્જના સફરની તકલીફો બયાન કરવી
અમુક હજીયાણીઓ હજ્જની તકલીફો લોકોની સામે બયાન કરે છે, આવું ના કરવું જોઈએ. ચાહે ગમે તે તકલીફ પડી હોય. કારણ કે આવા વાકિઅહ બયાન કરવાથી ઘણા લોકો હજ્જ માટે જવાથી અટકી જાય છે. એનો ગુનોહ તે લોકોને થશે, જેમણે આવા કિસ્સા બયાન કરીને તેમને ડરાવ્યા છે.
વળી કેટલાકની તો આદત હોય છે કે હદથી વધીને, મુબાલગહથી બયાન કરે છે, જે મોટા ગુનાહનું કામ છે.
હજ્જની સફર એક લાંબી સફર છે, કે જેમાં રેલગાડી, બસ તથા હવાઈ જહાઝમાં સવાર થવું પડે છે. દેશ બીજો, ઝુબાન બીજી વગેરે કારણસર કોઈ તકલીફ કદાચ પહોચે, તો એ કોઈ મોટી વાત નથી. આપણે આપણા દેશમાં જ સફર કરીએ છીએ અને સફર ટૂંકો હોય છે, છતાં સફરમાં ઘણી પરેશાનીઓ ઊભી થાય છે, તો હજ્જ જેવી મોટી નેઅમત હાસિલ કરવા અને તે પણ આટલા લાંબા સફરમાં કદાચ કોઈ તકલીફ પહોંચે, તો તે ન પહોંચવા બરાબર છે અને વળી અલ્લાહના ત્યાં, આ તકલીફો બદલ સવાબ પણ મળે છે. વળી ત્યાં હાજીઓ કેટલીક તકલીફો તો હાથે કરીને જ ઊભી કરતાં હોય છે.
અને અલ્લાહના ફઝલો કરમથી ”સઊદી હુકૂમતે” હાજીઓ માટે એટલી બધી રાહતો ઊભી કરી છે, કે કદાચ જ આપને કોઈ તકલીફ પહોંચે.અલ્લાહ તઆલા બધા હાજીઓ તરફથી તેમને બેહતરીન બદલો ઈનાયત કરે. આમીન
Log in or Register to save this content for later.