Chapter : બહેનોની હજ્જ
(Page : 194 to 202)
મસ્જિદે નબવી
( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
ના
બરકતવંત સાત થાંભલાઓ
એમ તો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ખુણે ખુણો બાબરકત છે, પણ રિયાઝુલ જન્નતના સાત થાંભલાઓ, ખાસ વર્ણનના કાબિલ છે, જેમને સંગે મરમર અને સોનેરી ડીઝાઈનોથી મુમતાઝ પણ કરવામાં આવ્યા છે. આ થાંભલાઓને ”સુતૂનહાએ રહમત” કહેવામાં આવે છે.
(૧) ઉસ્તુવાને આઈશહ સિીકહ (રદિ.) :
આ સુતૂનને ”ઉસ્તુવાને મુહાજિરીન” પણ કહે છે, કારણ કે મુહાજિરીનની વધુ ભાગે, આ જગાએ બેઠક રહેતી હતી. શરૂઆતમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નમાઝ પઢવાની જગા આ જ હતી, ત્યારપછી સુતૂને હન્નાનહ પાસે નમાઝ પઢતા હતા.
એક વખત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે મારી મસ્જિદમાં એક એવી જગા છે, કે જો લોકો ત્યાં નમાઝ પઢવાની ફઝીલત જાણી લે, તો પોતાની વારી માટે કુર્આ અંદાઝી (ચીઠ્ઠીઓ) કરે. (તબરાની), ત્યારથી જ સહાબએ કિરામને આ જગા શોધવાની લગન હતી. અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત પછી હઝરત આઈશા (રદિ.)એ પોતાના ભાણા હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર (રદિ.)ને બતાવી આપી હતી અને આ જગા તે જ છે, જયાં આજે સુતૂન બનેલો છે અને એટલા માટે જ તેને સુતૂને આઈશા (રદિ.) પણ કહે છે.
હઝરત અબૂ બક્ર (રદિ.) અને હઝરત ઉમર (રદિ.) આ સુતૂન પાસે નમાઝો પઢયા કરતા હતા.
(ર) ઉસ્તુવાને અબૂ લુબાબહ (રદિ.) :
હઝરત અબૂ લુબાબહ (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના એક મશ્હૂર સહાબી છે.ગઝવએ બનૂ કુરયઝહ વખતે, એમનાથી એક ભૂલ થઈ ગઈ હતી અને તે એ કે, જયારે બનૂ કુરયઝહના યહૂદીઓને મુસલમાનોએ ઘેરી લીધા ત્યારે યહૂદીઓએ થાકીને હથીયાર નાખી દેવાનો ઈરાદો કર્યો અને હઝરત અબૂ લુબાબહ (રદિ.)ની સાથે, જાહિલીયતના ઝમાનામાં યહૂદીઓને સારો સંબંધ હતો, એટલા માટે યહૂદીઓએ હઝરત અબૂ લુબાબાહ (રદિ.)ને સલાહ માટે બોલાવી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો શું ખ્યાલ છે તે જાણવા માંગ્યું. તો હઝરત અબૂ લુબાબહ (રદિ.) જયારે તેઓની પાસે પહોંચ્યા, ત્યારે તે યહૂદીઓએ ખૂબ જોરથી રડવા, કરગરવાનું શરૂ કયુર્ં, તેઓનું આ રૂદન જોઈ, હઝરત અબૂ લુબાબહ (રદિ.)નું દિલ ભરાઈ આવ્યું, અને તેઓના પૂછવા ઉપર ”ગળા” તરફ ઈશારો કરીને જાણે એ ઝાહિર કરી દીધું કે હવે તેમને જીવતા છોડવામાં નહિ આવે. જો કે ઝુબાનથી એ વિશે કંઈ જ કહયું નહિ. પાછળથી તેમને પોતાની આ ભૂલ બદલ બેહદ પસ્તાવો થયો અને દિલમાં ખટકવા લાગ્યું કે મારાથી મહાન ભૂલ થઈ ગઈ છે, કદાચ મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના એક ભેદને ખોલી નાખ્યો, એ વિચાર આવતાં જ મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં આવી તે જગાએ, કે જયાં ખજૂરનું થડ (થાંભલો)હતું, પોતાને તે થાંભલા સાથે બાંધી દીધા અને પ્રતિજ્ઞા લીધી, કે જયાં સુધી અલ્લાહ તઆલા મને મુઆફ નહિ કરી દે, ત્યાં સુધી હું અહિંયા જકડાયેલો જ રહીશ. જયારે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને આ વાતની ખબર પડી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું, કે જો તેઓ મારી પાસે આવતા અને પછી અલ્લાહ તઆલાથી મા’ફી ચાહતા અને હું પણ એમના માટે માફીની દુઆ કરત તો અલ્લાહ તઆલા તેમને માફ કરી આપત, પરંતુ હવે જયાં સુધી અલ્લાહ તઆલાનો હુકમ નહિ થાય, હું એમને ખોલીશ નહિ.
આ જ સ્થિતિમાં અમુક દિવસો પસાર થઈ ગયા, માત્ર નમાઝ અને કઝાએ હાજત માટે, તેમની બીવી કે બેટી ખોલી જતાં અને પાછા એ સુતૂન સાથે જ બાંધી દેતા. કેટલાયે દિવસો વિતી ગયા, ન ખાવું, ન પીવું. ભૂખના કારણે આંખોએ અંધારિયા આવવા લાગ્યા હતાં, એક રાત્રે જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હઝરત ઉમ્મે સલમહ (રદિ.)ના હુજરા (રૂમ)માં હતા, ત્યારે તહજજુદ વખતે તેમની તવબહ કબૂલ થઈ અને તવબહ કબૂલ થવા વિશેની આયત આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર નાઝિલ થઈ તો બધા સહાબએ કિરામ, પોતાના જકડાયેલા સાથીને ખૂશખબરી આપવા અને એમને ખોલવા દોડયા, પરંતુ એમણે કહયું કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખૂદ નહિ ખોલે, ત્યાં સુધી મુકત નહિ થઈશ. આ સાંભળી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તશ્રીફ લાવ્યા અને એમને આઝાદ કર્યા.
અહિંયાં તમો પણ પોતાના ગુનાહોની મા’ફી માટે, બે રકા’ત નમાઝ પઢો અને અલ્લાહ તઆલાથી મગફિરત માંગો.
(૩) ઉસ્તુવાને વુફૂદ :
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં જે વફદો (ડેપ્યુટેશનો) આવતા, તેમને વધુ ભાગે આ જગા ઉપર બેસાડવામાં આવતા હતા. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેમની તે જગાએ, મુલાકાત ફરમાવતા હતા, અને તેઓને દીનની તા’લીમ આપતા હતા, અને ઈમાનની દૌલતથી નવાઝતા હતા.
(૪) ઉસ્તુવાને સરીર :
આ જગાએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એઅ્તિકાફ ફરમાવતા હતા અને રાતના આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે બિસ્તર પણ અહિયા જ બીછાવવામાં આવતો હતો.
(પ) ઉસ્તુવાને અલી ( અથવા ઉસ્તુવાને હારિસ)ઃ
અમુક સહાબએ કિરામ (રદિ.) પહેરેદાર તરીકે આ જગાએ બેસતા હતા. અને વધુ ભાગે હઝરત અલી (રદિ.) આ જગા એ, નમાઝ પઢયા કરતા હતા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની દેખરેખ આ જ જગાએ બેસીને કરતા હતા એટલે એને ઉસ્તુવાને અલી કહેવામાં આવે છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે હઝરત આઈશા (રદિ.)ના હુજરાથી બહાર તશ્રીફ લાવતા, ત્યારે આ જગાએથી પસાર થતા હતા.
(૬) ઉસ્તુવાને તહજજુદ :
આ જગાએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તહજજુદની નમાઝ પઢતા હતા. આ થાંભલો દેખાતો નથી કારણ કે, એ હુજરહ શરીફના અંદર છે, જે અસ્હાબે સુફફહના સામે પડે છે. એટલા માટે તેની સામે હુજરહ શરીફના બહાર નમાઝ પઢવામાં આવે.
(૭) ઉસ્તુવાને હન્નાનહ :
આ જગા પણ ઘણી જ બરકતવાળી છે, જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મેહરાબની પાસે છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેના પાસે નમાઝ પઢાવ્યા કરતા હતા. આ જગાએ એક ખજૂરનું ઝાડ હતું, જેને ટેકો લગાવીને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખુત્બહ આપતા હતા, જયારે મિમ્બર બની ગયું અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મિમ્બર ઉપર ખુત્બો આપવાનું શરૂ કર્યું તો આ ખજૂરનું થડ ઝોર ઝોરથી રડવા લાગ્યું, જે લોકો તે વખતે ત્યાં હાજર હતા, તેમણે દરેકે તે અવાઝ સાંભળ્યો હતો.
એક રિવાયતમાં છે કે તેના રડવાથી મસ્જિદ ગૂંજી ઉઠી અને બીજી રિવાયતમાં છે કે તેના આ રડવાની હાલતના કારણે મસ્જિદમાં જેઓ હાજર હતા, તેઓ પણ રડી પડયા…અલ્લાહુ અકબર !
આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મિમ્બર ઉપરથી ઉતર્યા પછી પોતાનો હાથ મુબારક, તે થડના ઉપર ફેરવ્યો, જેનાથી તેણે રડવાનું બંધ કર્યું. યા રબ્બિ સલ્લિ વસલ્લિમ દાઇમન અબદા અલા હબીબિક ખય્રિલ ખલ્કિ કુલ્લિહિમી.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, તેના નઝદીક હક તઆલા શાનુહુનો ઝિક્ર થતો હતો અને હવે મિમ્બર બની જવાના કારણે તે એનાથી મહરૂમ થઈ ગયું, એટલા માટે તે રડી રહયું છે, જો હું એના ઉપર હાથ ના મુકત તો કયામત સુધી રડયા જ કરત.
એક રિવાયતથી માલૂમ પડે છે, કે એ થડે એટલા ઝોરથી ચીસ પાડી હતી કે ફાટી જવાના લગભગ થઈ ગયું. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મિમ્બર ઉપરથી ઉતરીને તેને છાતી મુબારક સાથે લગાડયું, ત્યારે જેમ નાનું બચ્ચું રડવા પછી ડુસ્કા ભરે છે તેમ ડુસ્કા લઈ રહયું હતું.
પાછળથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તે ખજૂરના ઝાડને ત્યાં જ દફન કરી અપાવ્યું.
હઝરત હસન બસરી (રહ.) જયારે પણ આ કિસ્સો બયાન ફરમાવતા તો રડતા હતા અને ફરમાવતા હતા કે ઓ અલ્લાહના બંદાઓ! એક ખજૂરના ઝાડને તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી આટલી મુહબ્બત હતી કે સહેજ જુદાઈમાં આટલું બધું રડયું, તો તમો તો એનાથી વધારે મુહબ્બતના અહલ છો.
આ બધા સુતૂનો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તે જ ભાગ અને જગામાં છે, કે જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં હતી, ત્યાં જઈને દુઆ માંગો, ઈસ્તિગ્ફાર કરો અને જયારે પણ મૌકો મળે, ત્યાં સુન્નતો તથા નફલો અદા કરો. આ તે મુબારક જગા છે, જેને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક નઝર અને મુબારક કદમોના સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત છે.
નોટ : ઓરતો માટે સલાતો સલામ પઢવા જે આડ ઉભી કરવામાં આવે છે એમાં રિયાઝુલ જન્નતનો અમુક ભાગ મરદોના સલાતો સલામ માટે છોડી દેવામાં આવે છે જેના પરિણામે થઈ શકે છે તમો ઓરતોને અમુક સુતુન જોવા ના પણ મળે.
Log in or Register to save this content for later.