તવાફે વદાઅ

Chapter : બહેનોની હજ્જ

(Page : 162 to 165)

તવાફે વદાઅ

                જયારે મકકહ મુકર્રમહથી પાછા ફરવાનો સમય આવે, ત્યારે આપે ”તવાફે વિદાઅ” (રૂખ્સતીનો તવાફ) કરવાનો છે.(મીકાતથી બહાર રહેનારાઓ (બહારના હાજીઓ) માટે આ ”તવાફે વિદાઅ” વાજિબ છે.)

                જો તમોને હૈઝ (માસિક) આવી ગયું હોય અથવા તમો નિફાસની હાલતમાં હોય અને મકકહ મુકર્રમહથી રવાના થતાં સુધી પાક ના થઈ શકી હોય, તો તમારા માટે તવાફે વદાઅ માફ થઈ જશે હવે તમો હરમ શરીફના દરવાજા બહાર ઉભી થઈને દુઆ માંગી લ્યો અને હરમ શરીફમાં અથવા અન્ય કોઈ મસ્જિદમાં દાખલ ના થાઓ.

                જો મકકહ મુકર્રમહની આબાદી પૂરી થતાં પહેલાં જ તમો માસિક અથવા નિફાસથી પાક થઈ જાઓ તો તમારા માટે મસ્જિદે હરામમાં પાછું આવવું અને તવાફે વદાઅ કરવું જરૂરી થઈ જાય છે. અને જો મકકહ મુકર્રમહની આબાદીથી નીકળી ગયા પછી પાક થાઓ તો પછી તમારા માટે પાછું ફરવું વાજિબ નથી.

                તવાફ કરતી વખતે, પોતાના ઉપર ગમ તથા અફસોસની હાલત હોય અને જો આંખોથી આંસુ વહે તો ઘણું સારુ નહિતો, રડવાની શકલ બનાવો. તવાફ પછી બે રકા’ત નમાઝ તવાફની પઢવાની છે, ત્યાર પછી ઝમઝમ ઉપર જાઓ અને કિબ્લહ તરફ ઉભા રહી, ઝમઝમનું પાણી પેટ ભરીને, ખૂબ ધરાઈ ધરાઈને પીઓ અને બદન ઉપર તથા સીના ઉપર લગાવો. થઈ શકે તો, કઅ્‌બતુલ્લાહની ચોખટને બોસો આપો અને મુલ્તઝમ ઉપર મોં મુકીને, કઅબતુલ્લાહનો પડદો પકડીને, રડી કકડીને ખૂબ આજિઝી સાથે દુઆ માંગો, કે આ પાક જગા ના દિદાર વારંવાર નસીબ થાય. હજરે અસ્વદને બોસો આપો આ મૌકા ઉપર ,જો આપની આંખો બે આસું વહાવી આપે, તો ઘણું જ સારૂ અને મુબારક છે.

                ખાનએ કઅબહની જુદાઈ ઉપર અફસોસનો ઈઝહાર કરો. મસ્જિદમાંથી ઉલટા પગે નીકળવું ,રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત નથી, પરંતુ આલિમોએ અને બુઝુર્ગોએ કઅબહના માન અને ઈઝઝત માટે સારૂં સમજયું છે.

                બયતુલ્લાહના અદબો અને હુકૂકના વિશે જે કંઈ કોતાહીઓ આ દિવસોમાં થઈ ગઈ, તેની માફી માંગતી માંગતી મસ્જિદે હરામથી નીકળો અને કાયદા પ્રમાણે ડાબો પગ પહેલા (બાબુલ વદાઅ અથવા બીજા કોઈ પણ દરવાજાથી) મસ્જિદે હરામની બહાર કાઢો અને આ દુઆ પઢો.

اَللّٰھمَّ اغْفِرْ لِیْ ذُنُوْبِی وَ افْتَحْ لِی اَبْوَابَ رَحْمَتِکَ

                (અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફતહ લી અબવાબ રહમતિક)

                ”હે અલ્લાહ ! મારા ગુનાહોને મા’ફ ફરમાવો અને મારા માટે તમારી રહમતના દરવાઝા ખોલી આપો”

                ”તવાફે ઝિયારત” પછી જો તમોએ કોઈ નફલ તવાફ કર્યો હોય તો એ તવાફ પણ ”તવાફે વદાઅ”ના કાયમ મકામ થઈ જશે.

                જો તવાફે વદાઅ કર્યા વગર મીકાતથી બહાર નીકળી જશો તો તમારા ઉપર ”દમ” વાજિબ થશે, એ ”દમ”થી બચવાની રીત, આ છે કે ફરીવાર ઉમરહનું એહરામ બાંધીને હરમમાં આવો અને પહેલાં ઉમરહ કરો, પછી તવાફે વદાઅ કરો. ફકત તવાફે વિદાઅના માટે, મીકાતથી ઉમરહના એહરામ વગર આવવું મના છે.

Log in or Register to save this content for later.