૯ ઝિલ્હજ્જના અરફાત માટે રવાનગી

Chapter : બહેનોની હજ્જ

(Page : 117 to 122)

૯ ઝિલ્હજ્જના અરફાત માટે રવાનગી

                નવમી ઝિલ્હજ્જના સવારમાં સૂર્ય નીકળ્યા બાદ ”મિના”થી ”અરફાત” જવાનું છે. ૯મી ઝિલ્હજ્જના, ફજરની નમાઝ ઈસ્ફારમાં (સવારનું અજવાળું સારી રીતે ફેલાઈ જાય ત્યારે) પઢો અને જયારે સુર્યોદય થાય ત્યારે ”અરફાત” જવા રવાના થઈ જાઓ. ”મિના”થી ”અરફાત” લગભગ ૬ માઈલ છે. ૩ માઈલ ચાલ્યા પછી ”મુઝદલિફહ” આવશે, જયાં આજે રાત્રે આપે આવીને રાત ગુજારવાની છે, પણ અત્યારે તો ત્યાંથી પસાર થઈ જવાનું છે, ત્યાં થોભવાનું નથી.

                તમો થોડીક જ વારમાં ”અરફાત” પહોંચી જશો, અને ખાસ યાદ રાખશો કે, ”તલ્‌બિયહ” પ્રતિ ગફલત ના થાય, રસ્તામાં પઢતા પઢતા જ ચાલશો.

                આજે મગફિરતનો દિવસ છે, આજે અરફાનો દિવસ છે, જે હજ્જનો મોટો રૂકન છે.

                અરફાતનું મૈદાન તે અઝીમુશ્શાન મૈદાન છે, જયાં હઝરત આદમ (અલયહિસ્સલામ) અને હઝરત હવ્વા (અલયહિસ્સલામ)નો જન્નતથી થયેલ જુદાઈ પછી મેળાપ (મિલન) થયો હતો, જયારે હઝરત આદમ (અલયહિસ્સલામ) કઅબહના બાંધકામથી ફારિગ થયા, તો ૯ ઝિલ્હજ્જના હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) , હઝરત આદમ (અલયહિસ્સલામ)ને એક પહાડી ઉપર લઈ ગયા અને તે જ વખતે હઝરત હવ્વા (અલયહિસ્સલામ) પણ ફરતાં ફરતાં અને હઝરત આદમ (અલયહિસ્સલામ)ને શોધતાં શોધતાં, ત્યાં આવી પહોંચ્યા, અને બંનેને એક બીજા સાથે ઓળખાણ અને મુલાકાત થઈ,અને એટલા માટે જ એને અરફાત કહેવામાં આવે છે. અને આજુ બાજુના મૈદાનને ”મૈદાને અરફાત” કહેવામાં આવે છે.

                ”અરફાત” પહોંચીને પોતાના તંબુમાં થોભો. અરફાત પહોચ્યા પછી ઝવાલ પહેલાં ખાવા–પીવા અને પોતાની બીજી જરૂરતોથી પરવારી જવું.

                અરફાતના મેદાનમાં ઝવાલથી પહેલા તૌબા, ઈસ્તિગફારમાં લાગી જાઓ. મસ્અલાના એઅ્‌તિબારથી ઝુહર અને અસરની નમાઝ આપે અરફાતમાં અદા કરવાની છે.

                અરફાતના મૈદાનમાં ઝુહર અસરની નમાઝો ભેગી કરવી વાજિબ નથી. ઝુહરની અઝાન થાય ત્યારે પોતાના ખૈમામાં ફકત ઝુહરની નમાઝ પઢશો અને અસરના ટાઈમે અસરની નમાઝ પઢશો.

                ઝવાલ પછી વુકૂફનો ટાઈમ શરૂ થાય છે અને ગુરૂબે આફતાબ સુધી રહે છે.નમાઝથી ફારિગ થઈ વુકૂફમાં મશ્ગૂલ થઈ જાઓ, જો શકય હોય તો વુકૂફના સમયે છાયડામાં ઊભા રહેવું નહિં બલ્કે તડકામાં ઊભા રહેવું એ બેહતર છે, પરંતુ તકલીફ, કમશકિત અથવા બીમાર થઈ જવાનો ભય હોય તો છાયડામાં ઊભી રહી શકો છો .અને જો થઈ શકે તો કિબ્લહ તરફ મોઢું કરીને ઉભી રહી વુકૂફ કરો. જો પૂરો ટાઈમ ઊભૂ રહેવું મુશ્કિલ હોય, તો જેટલીવાર ઉભી રહી શકતી હોય તેટલીવાર ઉભી રહો. વુકૂફ વખતે બેસવું બલ્કે સુઈ જવું પણ જાઈઝ છે.

                ”અરફાત”ના મેદાનના આ થોડાક કલાકો વીતાવવા (ઝુહરથી ગુરૂબે આફતાબ સુધી) આખી હજ્જનો નીચોડ છે. અલ્લાહનાં વાસ્તે એક સેકન્ડ પણ ગફલતમાં બરબાદ ના કરતી. અહિયાંનો ખાસ વઝીફો તો દુઆ અને ઈસ્તિગફાર છે. પરંતુ આપણા જેવાઓ માટે પૂરો ટાઈમ દિલ લગાવીને ફકત દુઆમાં મશ્ગૂલ રહેવું મુશ્કેલ છે, એટલા માટે પોતાની તબીયતના મુવાફિક તકબીર, લાઈલાહ ઈલ્લલ્લાહ, અને તિલાવતનું કામ પણ રાખશો અને થોડી થોડી વારે તલબિયહ પઢતી રહેશો.

                આ ટાઈમ અને આ મકામ, દુઆઓ અને ઈસ્તિગફારની કબૂલિયતનો છે, અને આવો મુબારક વખત ઝિંદગીમાં વારે ઘડીયે નથી આવતો અને તેમાંય વળી અરફાત જેવી મુકદદસ જગા બીજે કયાંય નથી મળી શકતી, એટલે દરેક દુઆ દિલથી માંગો.

                શું તમો નથી જાણતીં કે લાખો–કરોડો માણસો, આ મુકદ્દસ ફર્ઝ (હજ્જ)ની તમન્ના કરતાં કરતાં દુન્યાથી ચાલ્યા ગયા. માટે ”ગયા વકત ફિર હાથ આતા નહિ.”ની કહેવત યાદ રાખી, ખૂબ ખૂબ અને ખૂબ જ વસૂલ કરો.

                મતાફ, મકામે ઈબ્રાહીમ, મુલ્‌તઝમ, રૂક્‌ને યમાની, ઝમઝમ, બયતુલ્લાહ શરીફ, સફા, મરવહ, તથા સફા મરવહના વચ્ચેનો ભાગ, અરફાત, મુઝદલિફહ, મિના, જમરએ ઊલા, જમરએ વુસ્તા વગેરે તમામ જગાઓ કે જે દુઆ કબૂલ થવાની જગાઓ છે અને જયાં હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અને ખાતમુન્નબિય્યીન સય્યિદના હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને તેમના સિવાય ન જાણે સેંકડો હઝારો પેગમ્બરોએ અને લાખો બલ્કે કરોડો વલીઓએ પોતપોતાના ઝોક શોક, અને પોતપોતાના ઝર્ફ (ગજા) પ્રમાણે કેવી કેવી ઈલ્હાહઝારીથી (રડી રડીને) અલ્લાહથી દુઆઓ માંગી હશે? અને કેવા તડપતા દિલથી તેને યાદ કર્યો હશે? તો તમે પણ આ બધી જ જગાઓએ પહોંચવાની છો, અને અલ્લાહથી દુઆઓ કરવાની છો, માટે આ જગાઓની દુઆઓ સંબંધી આપને મશ્વેરો આપવામાં આવે છે કે, તમો ઉપરોકત જગાઓએ જયારે દુઆઓ માંગો, તો તેની સાથે સાથે આટલી દુઆ પણ જરૂરથી કરશો કે :

                ” અય અલ્લાહ ! તારા મકબૂલ બંદાઓએ આ જગા ઉપર તારાથી જે જે દુઆઓ, જયારે જયારે પણ કરી છે અને જે જે વસ્તુઓનો તારાથી સવાલ કર્યો છે, ઓ મારા રહીમો કરીમ પરવરદિગાર, હું પોતાની નાઅહલિયત, નાલાઈકી અને ગુનાહોના ઈકરાર સાથે, ફકત તારી અને તારી જ શા’ને કરીમી ઉપર ભરોસો કરીને, તે બધી જ વસ્તુઓનો આ જગાએ તારાથી સવાલ કરું છું. અને જે જે ચીઝોથી તેઓએ આ મકામ ઉપર તારાથી પનાહ માંગી છે, આ જગાએ હું પણ તે તમામ વસ્તુઓથી પનાહ માંગું છું.

                અય અલ્લાહ ! આ ખાસ જગાની જે ખાસ રોશની અને બરકતો છે, મને તેનાથી મહરૂમ ના કરો અને અહિંયાં હાજર થનાર તમારા સારા બંદાઓને તમેં જે કંઈ આપ્યું હોય, અથવા તમો તેમને જે કંઈ આપનાર હોય, મને પણ તેમાં ભાગીદાર બનાવો, અને એનો થોડો ભાગ મને પણ અતા ફરમાવો, તમારા ખઝાનામાં કોઈ જ કમી નથી.

Log in or Register to save this content for later.