Chapter : બહેનોની હજ્જ
(Page : 102 to 110)
બાલ કપાવવા
હવે ”ઉમરહ”ના બધા જ કામો પૂરા થઈ ગયા છે એટલે મસ્જિદે હરામથી બહાર આવો, અને હવે આપને બાલ કપાવવાના છે. તમો હજીયાણીઓએ પૂરા માથાના બાલને અથવા માથાના ચોથા ભાગના બાલને લંબાઈમાં આંગળીના વેઢા જેટલા કપાવવાના છે અને એ સુન્નત છે, ચાહે પોતે પોતાના બાલ કાપો, અથવા મહરમ (જેની સાથે નિકાહ જાઈઝ નથી, હરામ છે.) અથવા ધણી પાસે કપાવો, ગેરમહરમ પાસે ઔરતે બાલ કપાવવા જાઈઝ નથી.
અલહમ્દુલિલ્લાહ, હવે બાલ કપાવીને ફારિગ થઈ ગઈ એટલે આપનો ઉમરહ પણ પૂરો થઈ ગયો, અને આપનું એહરામ પણ પુરૂ થયું. હવે આપના ઉપર એહરામની કોઈ પણ પાબંદી બાકી નથી. ન્હાવું, ખૂશ્બુ લગાવવી વગેરે જાઈઝ છે અને હવે તમારા માટે તે બધી જ વસ્તુઓ જાઈઝ થઈ ગઈ છે, જે એહરામના કારણે નાજાઈઝ હતી.
”ઉમરહ”ને હજ્જે અસગર (નાનો હજ્જ) પણ કહેવામાં આવે છે. ઈસ્તિતાઅત (શકિત) અને કુદરત હોય તો પૂરી ઉમરમાં એક વાર ઉમરહ કરવું સુન્નતે મુઅકકદહ છે, અને કેટલાક ફુકહાએ કિરામ વાજિબ પણ કહે છે.
એક વાત ખાસ યાદ રાખો કે જો તમો માસિક આવવાની હાલતમાં હોય તો મકકહ મુકર્રમહ પહોંચીને, પોતાના રૂમ ઉપર જ થોભો અને મસ્જિદે હરામમાં ના જાઓ, કેમકે હૈઝ અથવા નિફાસની હાલતમાં ઔરત માટે મસ્જિદે હરામમાં અથવા કોઈપણ મસ્જિદ માં દાખલ થવું, મના છે. આવા સમયે ઔરત તલબિયહ,તકબીર, લાઈલાહ ઈલ્લલ્લાહ, અને તસ્બીહ પઢતી રહે જયારે માસિકથી પાક થઈ જાય, ત્યારે એહરામની પાબંદીઓને ધ્યાનમાં રાખીને પાકીનું ગુસલ કરી, બાવુઝૂ, હરમ શરીફમાં જઈને, ઉમરહના અમલો કરે.એટલે કે તવાફ કરે, બે રકા’ત નમાઝ તવાફની પઢે, અને સઈ કરીને, ઉપર બતાવ્યા મુજબ બે રકા’ત નમાઝ પઢી, બાલ કપાવી, એહરામથી ફારિગ થાય.
જો તવાફ કરી રહી હતી અને માસિક આવી ગયું, તો તવાફ કરવાનું તરતજ બંદ કરી, મસ્જિદથી બહાર આવી જાય અને સઈ તવાફના તાબિઅ છે, એટલે સઈ પણ ના કરે, પાક થયા પછી તવાફ અને સઈ કરે.
જો એવું બને કે, તવાફથી હજુ ફારિગ જ થઈ હતી, કે માસિક આવવાનું શરૂ થઈ ગયું, તો પછી તવાફ તો થઈ ગયો છે, એટલે હવે માસિક આવવાની હાલતમાં જ સફા–મરવાની સઈ કરી લે, એ જાઈઝ છે કારણ કે સઈ માટે હૈઝથી પાકી જરૂરી નથી, અલબત્ત પાકીની હાલતમાં સઈ કરવી સુન્નત છે.
માસિકવાળી ઔરત (નમાઝ અને તિલાવતે કુર્આન સિવાય) બીજી દુઆઓ, દુરૂદ શરીફ તથા વઝીફા ચાલુ રાખી શકે છે અને તે જાઈઝ છે, મના નથી. આવી ઔરત માટે મુસ્તહબ આ છે કે, નમાઝનો ટાઈમ થાય તો દરેક નમાઝના ટાઈમે પાક–સાફ થઈને મુસલ્લા ઉપર બેસીને, જેટલો ટાઈમ નમાઝ અદા કરવામાં જાય છે એટલો ટાઈમ ”સુબ્હાનલ્લાહ” અને ”લાઈલાહ ઈલ્લલ્લાહ” તેમજ ”અસ્તગફિરુલ્લાહ લ્લઝી લાઈલાહ ઈલ્લા હુવલ હય્યુલ કય્યુમુ”, પઢતી રહે, જેથી ઈબાદતની આદત પણ ના છૂટે.
હવે ઈન્શાઅલ્લાહ ૮ ઝિલ્હજ્જનાં આપે હજ્જનું એહરામ બાંધવાનું છે, ત્યાં સુધી તમારે મકકહ મુઅઝઝમહમાં એહરામ વગર જ રહેવાનું છે. પણ આ સમયગાળામાં મિનિટે મિનિટની કદર કરશો. બેકાર કામોમાં પોતાનો ટાઈમ ના વીતાવશો અને જેટલું પણ શકય હોય, એટલું મસ્જિદે હરામમાં જ પોતાનો ટાઈમ વીતાવશો. શું ખબર ઝિંદગીમાં ફરી આવો ખૂશનસીબ મોકો મયસ્સર થાય છે કે કેમ?
માટે ખૂબ નફલ તવાફ કરો.હજીયાણી હોવાની હૈસિયતથી મકકહ મુકર્રમહ આવનાર દરેક હજીયાણી અલ્લાહની મહેમાન છે. આવા મેઝબાનની લાઝવાલ નેઅ્મતો અને રહમતોની તલબમાં દરેક હજીયાણીનો ફર્ઝ છે કે, તે વધારામાં વધારે પ્રમાણમાં તેના પવિત્ર દર ઉપર હાજરી આપતી રહે, એટલે કે તવાફ કરતી રહે, અને યાદ રાખો કે દુન્યામાં તમે જયાં પણ હશો, દરેક જગાએ, નમાઝ, રોઝહ અને તિલાવત વગેરે કરી શકો છો, પરંતુ તવાફની સઆદત ફકત અને ફકત, ખાનએ કઅબહમાં જ મયસ્સર થાય છે, એટલે આ સમયગાળાને ગનીમત સમજો, અને વધારેમાં વધારે તવાફ કરો.
અને વિશેષ રૂપે તમો એવો ખ્યાલ રાખશો કે, તમારી અહિંયાંની હાજરી કોના કરમના તુફૈલ છે ? આ બધુંજ આકાએ નામદાર સરવરે કાઈનાત હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તુફૈલથી છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નાં એહસાનોનો તકાઝો આ છે, કે સૌથી પહેલા નફલ તવાફ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માટે કરવામાં આવે, અને તે તવાફમાં કોઈ પણ જાતની દુઆઓ પઢવાના બદલે પૂરા તવાફમાં ફકત દુરૂદ શરીફ જ પઢવામાં આવે, ત્યાર પછી, થોડીક હિંમતથી કામ લેશો, અને ખુલફાએ રાશીદીન વગેરેને બખ્શવાની નિય્યતથી પણ તવાફ કરશો. તમારા મર્હૂમો માટે, મુહસિનો માટે,તમારા સગાઓ વગેરે માટે પણ તવાફ કરશો. મતલબ કે આ મૌકાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવશો. એટલું યાદ રાખશો કે, દરેક તવાફ પછી બે રકા’ત નમાઝ પઢવી જરૂરી છે, માટે જયારે જયારે પણ તવાફ પૂરો થાય, પહેલા તવાફની બે રક્અત નમાઝ પઢવી અને ત્યાર પછી જ બીજો તવાફ કરવો. હાં, મકરૂહ ટાઈમ હોય તો તવાફ કરવાનું ચાલુ રાખશો અને મકરૂહ ટાઈમ નીકળી ગયા પછી, બધા તવાફોની બે બે રકા’તો પઢી લેશો.
ફજરની નમાઝ પછીથી સુર્ય ઉગી ઊંચો થવા સુધી, ઝવાલના સમયે અને અસર પછીથી સુર્ય ગુરૂબ થવા સુધી, આ ત્રણ ટાઈમો મકરૂહ ટાઈમો છે.
તો જો અસરની નમાઝ પછી તવાફ કરી રહયા છો, તો અસરની નમાઝ પછી નફલ નમાઝ જાઈઝ નથી, માટે જેટલા તવાફો કરવા હોય તે કરો, અને મગરિબ પછી દરેક તવાફની બે બે રકા’તો પઢી લો. દા.ત. અસર પછી કુલ ત્રણ તવાફ કર્યા, તો મગરિબ પછી છ રક્અતો, બે બે રકા’તો કરીને પઢી લો.
મસ્જિદે હરામમાં નમાઝ પઢવાની ફઝીલત જગતની બધી જ મસ્જિદોથી વધારે છે. એક નમાઝનો સવાબ એક લાખ નમાઝો બરાબર છે. પણ મજકૂર સવાબ ફકત મર્દો માટે છે, ઓરતો માટે નથી. એમના માટે પોતાના રૂમાંજ ફર્ઝ નમાઝો પઢવું મુસ્તહબ અને અફઝલ છે.
ઔરતોને પોતાના રૂમમાં નમાઝ પઢવાનો સવાબ ઈન્શાઅલ્લાહ એટલો જ મળશે, જેટલો કે મર્દોને મસ્જિદે હરામમાં નમાઝ પઢવાનો મળે છે. અને જો મસ્જિદે હરામમાં પઢે તો તે જગાએ પઢે કે જયાં ઔરતો ઈબાદત કરે છે.
એક ખાસ મસ્અલો પણ જાણી લ્યો કે આજકાલ મસ્જિદે હરામમાં ઓરતો બાજમાઅત નમાઝમાં મર્દોની સાથે અથવા મર્દોની આગળ ઉભી થઈ જાય છે, જેને શરીઅતની ભાષામાં ”મુહાઝાત” કહેવામાં આવે છે. ”મુહાઝાત”થી ત્રણ માણસોની નમાજ ફાસિદ થઈ જાય છે.
(૧) ઓરતથી જમણી બાજુવાળા મર્દની,
(ર) ઓરતથી ડાબી બાજુવાળા મર્દની,
(૩) ઓરતની પાછળની સફમાં ઓરતની સીધમાં ઉભા થનાર મર્દની.–આનાથી ઓરતોએ બચવું જોઈએ.
નોટ ઠ્ઠ મસ્જિદે હરામમાં નમાઝ પઢતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે, નમાઝમાં તમારુ મોં અને છાતી, ઐને કિબ્લહ તરફ થવાં જોઈએ, એટલે કે જો નમાઝીના ચેહરા સામેથી એક સીધી લીટી ખેંચવામાં આવે તો તે લીટી બયતુલ્લાહના કોઈ ભાગને ચીરીને આગળ નીકળી જાય, આના માટે સઊદી હુકૂમતે, મસ્જિદે હરામમાં કિબ્લહરૂખ માટે જે પટ્ટીઓ બનાવી છે તે મુજબ જ નમાઝમાં ઊભુ રહેવું જરૂરી છે, જો આવું નહીં કરો તો નમાઝ થશે નહીં.
જો ખાલી હરમ શરીફમાં બેસવાનું પણ થાય, તો મુહબ્બત અને અઝમતના સાથે બયતુલ્લાહ શરીફને વારંવાર જોતી રહેશો. રબ્બુલ આલમીનનું આ તે ઘર છે, જેના તરફ જોવું પણ ઈબાદત છે.
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું, કે અલ્લાહ તઆલા કા’બા શરીફ ઉપર હર વખત એકસો વીસ (૧ર૦) રહમતો ઉતારે છે, જેમાંથી
સાઈઠ (૬૦) તવાફ કરવાવાળાઓ ઉપર,
ચાલીસ (૪૦) નમાઝ પઢનારાઓ ઉપર અને,
વીસ (ર૦) કા’બા શરીફને જોવાવાળાઓ માટે.
(તબરાની)
હદીષનો અર્થ આ થયો, કે જે હજીયાણી બયતુલ્લાહનો તવાફ પણ કરે છે, મસ્જિદે હરામમાં નમાઝ પણ પઢે છે, અને કઅબતુલ્લાહને જુએ પણ છે, તો તે બધીજ એટલે કે ૧ર૦ (એકસોવીસ) રહમતોની હકદાર થશે.
Log in or Register to save this content for later.