તવાફે ઝિયારત

Chapter : બહેનોની હજ્જ

(Page : 151 to 153)

તવાફે ઝિયારત

                આ તવાફ સામાન્ય રીતે કુર્બાની તથા હજામત કરી, એહરામ ખોલીને, ન્હાવા પછી કરવામાં આવે છે અને તવાફ પછી તવાફની બે રકા’ત નમાઝ પઢી, ઝમઝમ ઉપર જઈ, ઝમઝમનું પાણી પીવા તેમજ દુઆથી ફારિગ થઈ, સફા–મરવા વચ્ચે સઈ પણ કરવાની હોય છે.

                આ ”તવાફે ઝિયારત” કરવો હજ્જનો રુક્‌ન અને ફર્ઝ છે. ”તવાફે ઝિયારત” ૧૦, ઝિલ્હજ્જના કરવો અફઝલ છે, ૧ર, ઝિલ્હજ્જના સુર્ય આથમતા સુધી કરી લેવો પણ જાઈઝ છે, અને જો ત્યાં સુધી ના કર્યો તો, લેટ કરવાના કારણથી દમ વાજિબ થશે અને તે છતાં તવાફ તો કરવો જ પડશે, કારણ કે આ તવાફે ઝિયારત કોઈ પણ હાલતમાં મા’ફ થતો નથી. ઝિંદગીની છેલ્લી ઘડી સુધી અદા કરવો ફર્ઝ રહે છે, અને જયાં સુધી તેને અદા કરવામાં નહિ આવે, તમો ઔરતો તમારા ધણી માટે હરામ જ રહો છો.

                પણ તમો ઔરતો માટે અમુક કુદરતી હાલતો એવી છે, જે તમોને ફિતરી (કુદરતી) તૌર પર પેશ આવે છે, જેના કારણે તમારા માટે મસ્જિદે હરામ અથવા અન્ય કોઈ પણ મસ્જિદમાં દાખલ થવું, નમાઝ પઢવી અને તિલાવત કરવી નાજાઈઝ અને હરામ થઈ જાય છે. જો હજ્જમાં આ પ્રમાણે તમોને ”માસિક” આવી જાય, તો હજ્જના બધા જ અરકાનો અદા કરશો, પણ મસ્જિદે હરામ અથવા અન્ય કોઈપણ મસ્જિદમાં દાખલ ન થશો અને જયાં સુધી પાક ના થાઓ ત્યાં સુધી તવાફ પણ ના કરશો અને માસિક આવવાના કારણે તવાફે ઝિયારતમાં ૧રમીના સૂર્યાસ્તથી મોડું થઈ જશે તો પણ તમો ઓરતો ઉપર દમ વાજિબ થશે નહિ, અને ન તો કોઈ જાતનો ગુનોહ થશે. પરંતુ એ ખ્યાલ રાખશો કે ”તવાફે ઝિયારત” હજ્જનો રૂકન છે અને તેનો કોઈ જ બદલ, કે કઝા નથી, અને નતો એ કદિ માફ થાય છે અને જયાં સુધી તવાફે ઝિયારત નહિ કરો, હજ અદા નહિ થાય.

                એ પણ યાદ રાખો કે તમારા માંથી કોઈ હજીયાણી માસિકથી એવા સમયે પાક થઈ કે ૧રમી તારીખના ગુરૂબે આફતાબમાં એટલી વાર હતી કે પાકીનું ગુસલ કરી, ”મસ્જિદે હરામ”માં જઈને પૂરો ”તવાફે ઝિયારત” અથવા ”તવાફે ઝિયારત”ના ચાર ચકકર પૂરા કરી શકે અને એ ઓરતે એમ ન કર્યું તો તવાફ મોડો અદા કરવાના કારણે એના પર ”દમ” વાજિબ થશે. અને જો એટલો સમય ના હોય તો ”દમ” વાજિબ થશે નહિં.

Log in or Register to save this content for later.